Pages

Tuesday, August 26, 2025

સેંટ જોસેફ હાઈસ્કૂલના સંભારણા

ગુજરાતમાં ગામડે જઈએ અને પૂછીએ કે કાન્તિભાઈ છે, તો એક સામટા દસ પંદર કાન્તિભાઈ મળી જાય. ગુજરાતની ફઈઓને ચાર પાંચ નામ બહુ ગમતાંઃ કાંતિ, અમૃત, ચંદુ, નારણ, પ્રહલાદ, વગેરે. બહુ મોર્ડન હોય તો જયંતી નામ પાડી દે. આવા જ એક કાન્તિભાઈ પટેલ અમારી સેંટ જોસેફ હાઈસ્કૂલના પીટી શિક્ષક. શનિવારની સવાર તેમનો દિવસ. એક કલાક સુધી સાવધાન, વિશ્રામ, હાથ ઊંચા નીચા, ડાબા જમણાં કરાવે અને કદમ તાલ કરાવે. કોઈક શનિવારે લેજીમ તો કોઈક શનિવારે ડંબેલ્સ કરાવે. એનસીસીવાળા વિદ્યાર્થીઓને વિશેષ તૈયારી કરવી પડતી. ચડ્ડી ખમીસ, ટોપી, પટ્ટો, લાંબા મોજાં અને ચાલીએ ત્યારે અવાજ કરે એવાં વજનદાર બૂટ પહેરી એનસીસી દળ ૧૫ ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરીએ પરેડ કરતું ત્યારે તેમનો વટ પડી જતો. 

મારે પણ એનસીસી કેડેટ બનવું હતું. પરંતુ મન અડધું પડધું. નિશાળે ભણાવાનું અને ઘેર સીમેન્ટના કોથળા ફાડીને સાંધવાના. તેથી ત્રીજો સમય એનસીસીને આપવાનું મન ઓછું. વળી યુનિફોર્મ મર્યાદિત તેથી સાર્જન્ટ નક્કી કરે તે થાય. અમારે ત્યાં માઈકલ નામનો એર તેજ તડાક તરવરિયો એનસીસીનો કેપ્ટન. તેણે મને બે પગ ભેળાં કરી ઊભો રાખ્યો અને જોયું કે મારા બંને ઢીંચણ એકબીજાને અડકી જાય છે એટલે કહ્યું કે તું એનસીસીમાં નહીં ચાલે. મારે તો ભાવતું તું અને વૈદ્યે બતાવ્યું. સારું થયું છૂટ્યાં એમ કરી નીકળી ગયા. 

પછી તો ચોપડી ને સીમેન્ટના કોથળાં ૮ થી ૧૧નું હાઈસ્કૂલ શિક્ષણ પસાર કરી લીધું. પરંતુ એ ચારેય વર્ષ દરમ્યાન સંસ્કૃતના શ્રીરમણ શર્મા સાહેબ અને પીટીના કાન્તિભાઈ વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય રહેતાં.

તે વર્ષે એક કરૂણાંતિકા સર્જાયેલી.દિવાળીના વેકેશન અગાઉ શાળાની એક પિકનિક વાત્રક નદીના પ્રવાસે ખેડા ગયેલી. મારી બા પૈસા આપે નહીં અને જવા દે નહીં તેથી હું તો નહોતો ગયો પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા પડ્યાં તેમાંથી માઈકલ કેમ કરી પાણીમાં આગળ ગયો અને ડૂબીને મરી ગયો. શાળાનો રમતવીર સિતારો અને એનસીસીનો કેપ્ટનની કરૂણાંતિકાથી શાળાના સૌ હચમચી ગયાં. તેની એક બહેન પણ શાળાએ આવતી. અમે સૌ તેના ઘેર બેસણાંમાં ગયેલા અને તેનો એક ફોટો શાળાની દિવાલ પર લગાડી તેને શ્રદ્ધાંજલિ આપી હતી. 

શાળામાં શિક્ષક હોય અને તેમનું વિદ્યાર્થીઓ નામ ન પાડે તેમ કેમ બને? એકવાર નામ પડી જાય પછી નવા વિદ્યાર્થીઓ પણ જૂના પાસેથી સાંભળી વારસો આગળ ચલાવે. તેથી શિક્ષક શાળામાંથી નિવૃત્ત થાય ત્યાં સુધી ઉપનામ ચાલુ રહે. મજાની વાત એ કે વિદ્યાર્થીઓ શિક્ષક માટે જે ઉપનામ વાપરે તેની ખબર શિક્ષકને ક્યારેય ન પડતી. કાન્તિભાઈનું વતન અમદાવાદ નજીકનું વાંચ ગામ. તેથી કોઈક વિદ્યાથીએ તેમનું નામ પહેલાં વાંચો પાડ્યું હશે, જે પછીથી અપભ્રંશ થઈ રોંચો થઈ ગયું. પરંતુ મજબૂત મનોબળવાળા. અમારા શાળામાંથી આગળ અભ્યાસે નીકળી ગયાના ઘણાં વર્ષો પછી એક દિવસ તેઓ મણીનગર રેલવે સ્ટેશને ઊભા હતા અને ધક્કો લાગવાથી રેલના પાટા પર પડી ગયા અને તે જ વખતે ટ્રેન પસાર થઈ અને તેમનો પગ કપાઈ ગયો. તેઓ બચી ગયા. હાથમાં થેલી હતી. પળવારનો વિલંબ કર્યા વિના તેમણે લોકોની મદદથી ઊભા થયા અને કપાઈ દૂર પડેલો પગ થેલીમાં મૂક્યો અને સીધા હોસ્પિટલ પહોંચી ગયા. દાક્તરો પણ અચરજ પામ્યા. ઓપરેશન થિયેટરમાં લઈ પગને પુનઃ સાંધી દીધો. તેમને પગની ખોડ રહી ગઈ પરંતુ આજે ૮૫ વર્ષે પણ તેઓ પોતાના પગ પર ચાલીને પોતાનું સ્વાવલંબી જીવન ગુજારે છે. તેમનો દીકરો અમેરિકા છે અને પત્નીએ વિદાય લઈ લીધી. છતાં પોતાના ભાઈ ભત્રીજાની હૂંફ થકી આજે પણ હસતા મુખે પોતાનું સ્વતંત્ર જીવન વિતાવી રહ્યા છે. 

આમ જુઓ તો શાળાના દરેક શિક્ષકની પોતાની વિશેષતા અને તે વિશેષતાની તેમની આગવી ઓળખાણ. સત્યભાષક સાહેબ તો મારા પહેલાં અંગ્રેજી શિક્ષક અને વર્ગ શિક્ષક. હું તેમનો ફેવરીટ વિદ્યાર્થી એટલે તેમનો મારો નાતો ઘનિષ્ઠ રહ્યો. બીજા વર્ષે ધોરણ ૯માં મૃદુલાબેન શાહ વર્ગ શિક્ષક બન્યાં. તે અમને હિન્દી ભાષા ભણાવતાં. નામ જેવો મૃદુ સ્વભાવ એટલે સૌને વ્હાલા. ભાવસાર સાહેબ ગુજરાતીના શિક્ષક, વિદ્વાન, મજાથી હસાવે અને ભણાવે. ઘેર નાના બાળકો તેડવા આપે અને ગૃહકાર્યમાં વિધ્ન આવે તો બાળકોને ચૂંટિયો ભરી રડાવી તેમની મા ને પકડાવી અભ્યાસમાં ધ્યાન વધુ આપવા સમજાવે. ગુજરાતીમાં બીજા શિક્ષક ચંપકભાઈ પરીખ, ઊંચા અને સારું ભણાવતા. પીટર સાહેબ બધાંમાં ઘરડાં, અમને ઈતિહાસ ભણાવતાં. 

બાબુભાઈ વોરા સાહેબ ગણિત એવું ભણાવે કે એકવાર સમજાવે તો પણ પાકું થઈ જાય. તેઓ બંને હાથે બ્લેકબોર્ડ પર લખતાં અને ઝડપથી પોતાનો કોર્સ પૂરો કરાવતાં જેથી પરીક્ષા વખતે પુનરાવર્તનનો સમય રહે. મને તો તે મારવાડી જોતાં અને તેમની ઝડપ સાથે મારી ઝડપ મેચ કરે તે જોઈ તેમણે મારાંમાં રહેલાં તેજને જોઈ લીધું હતું. વોરા સાહેબ ગણિત ઉપરાંત સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ હોશિયાર. હિન્દી ફિલ્મ જગતના કલાકારોની માહિતીનો ભંડાર. દરરોજ ૨૦ કિલોમીટર (૧૦ આવવાના અને ૧૦ જવાના) સાયકલ ચલાવી સેંટ ઝેવિયર્સ કોલેજ નજીક તેમના ઘરથી ભણાવવા આવે. તેમના ગજવામાં પાઈ પણ ન હોય. જો રસ્તામાં આવતાં સાયકલમાં પંક્ચર પડે તો સાયકલવાળા પાસે ઉધાર કામ કરાવી બીજે દિવસે પૈસા આપતાં. 

ધોરણ-૧૦માં અમારા વર્ગ શિક્ષક સંસ્કૃતના શર્મા સાહેબ. ઊંચાઈમાં ચાર ફૂટ પરંતુ તેમનો સંસ્કૃત પ્રેમ અને તે વિષયમાં વિદ્યાર્થીઓને સંસ્કૃત પ્રેમી બનાવવાનું તેમનું ગજું મોટું. ના આવડે તો મૂર્ખાનંદન કહે અને જરૂર પડે માથામાં આંગળીના વેઢાની ઉલટી બાજુથી ટપારી દેતાં. તેઓ હસે થોડું પરંતુ પરીક્ષામાં પાસ થવા અને વધુ માર્ક્સ કેવી રીતે આવે તેની ટ્રીક સમજવતાં. તેથી મારા જેવાં ઘણાએ ધોરણ ૧૧માં ટાઈપને બદલે સંસ્કૃત વિષય રાખેલો. પરંતુ સમય પત્રકમાં બીજા વિષય સાથે તે ક્રોસ થાય એટલે શર્મા સાહેબ રજાના દિવસે તેમાંના ઘેર સરસપુર બોલાવી અમને પાઠ પૂરાં કરાવતાં. તેમણે ધાર્મિક વિધિઓ દ્રારા દક્ષિણાની કમાણી અને પગાર થકી ઘાટલોડિયા સોસાયટીમાં પોતાનું મકાન બનાવી શકેલ. તેમની બે દીકરીઓ તો પરણી ગઈ પરંતુ તેમનો અંત સમય કપરો ગયો. પડી જવાથી તેમનું ફીમર ભાંગી ગયુ્ં. પથારીમાં જ જાજરૂ પેશાબ કરવાની સ્થિતિમાં દીકરા વગેરેનો સાથ ઓછો મળ્યો અને ગુજરી ગયાં. 

ધોરણ-૧૧માં ફરી અમારા વર્ગ શિક્ષક બન્યાં સત્યભાષક સાહેબ, પરંતુ અંગ્રેજી ભણાવ્યું તો ફાધર જેરીએ. અમારી બેંચ પર ચોપડી પડી હોત તો તેમની તરફથી ઉંધી રહે તો પણ લાઈનો વાંચતા જાય અને સમજાવતાં જાય. 

ધોરણ ૧૦-૧૧માં ગુજરાતીમાં દિનેશભાઈ દવે સાહેબની સાહિત્યિક કથાનકોની વાર્તા અને કલ્પનામાં એવાં તો ડૂબી જતાં કે તેઓ શાળાના સૌથી લોકપ્રિય શિક્ષક બની ગયા. અમે ધોરણ ૧૧માં હતાં ત્યારે પ્રિનસીપાલ જેરી લોબોએ તેમને નોકરીમાંથી પાણીચું આપ્યું તો અમે બધાએ મહિના જેટલી હડતાલ પાડેલી જેને કારણે અમારું ભણતર બગડેલું અને ધાર્યું પરિણામ ન આવ્યું. દિનેશભાઈના વિવાદનું કારણ તેમની બે જગ્યાની નોકરી. તેઓ સેંટ જોસેફ શાળા ઉપરાંત પાલડી પ્રભુદાસ ઠક્કર કોલેજમાં સવારના વર્ગમાં ભણાવવા જતાં. સ્ટાફમાંથી કોઈકે ફાધરને ચાડી ખાધી. ફાધરે તેમને બોલાવી સમજાવ્યા કે શાળાના નિયમ મુજબ એક જ જગ્યાએ નોકરી કરાય. તેમણે બીજે નોકરી કરવાનો આરોપ નકાર્યો તો ફાધર જેરી શનિવારે કોલેજ જઈ કોલેજના પ્રિન્સિપાલ જોડેથી લખાવી આવેલાં કે દિનેશભાઈ ત્યાં વર્ગ લેવા આવે છે. છેવટે તેમને છૂટા થવું પડ્યું અને સરપ્લસ શિક્ષકોને બીજી શાળામાં સમાવવાની યોજના અંતર્ગત તેમને બીજે નોકરી મળી ગઈ. પરંતુ તેમનું પ્રકરણ અમારી મીઠી મધુર શાળા ખીરમાં એક ખટ્ટાઈનું કામ કરી ગઈ. ન દિનેશભાઈ પાછા આવ્યાં અને અમારું બોર્ડનુ પરિણામ દસેક ટકા જેટલું ઘટી ગયું હતું. 

ચૌહાણ સાહેબ અમને ફીઝીક્સ ભણાવતા. ચૌહાણ સાહેબ પછીથી વ્યાખ્યાતા તરીકે પ્રભુદાસ ઠક્કર કોલેજમાં જોડાયેલાં અને પછી તેના પ્રિન્સિપાલ બનેલાં.બિપિનભાઈ શાહ સાહેબ કેમિસ્ટ્રી અને ભાનુબેન અમને શરીર વિજ્ઞાન અને ગણિત ભણાવતાં. જોસેફ સાહેબ અમને બીજ ગણિત અને ભૂમિતિ ભણાવતા. તેઓ ઓછાબોલા, શાંત અને સુશીલ. તેથી ભણાવવા સિવાય બીજી કોઈ લપ નહી. તેથી તેમનું ભણાવેલું ઊગી નીકળતું. ભાનુબેન હસમુખા અને રૂપાળા. તેમનો અવાજ પણ મધુર એટલે શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનાં માનીતા. હળવે હળવે ભણાવે અને ૩૦-૩૫ મિનિટનો પીરિયડ ક્યાં પૂરો થાય ખબર જ ન પડે. શાળા છૂટ્યા પછી ભાનુબેન અડધો કલાક રોકાઈ ગણિતના કલાસ ભાનુબેન લેતા અને જે વિદ્યાર્થી સૌથી પહેલા દાખલો ગણે તેને એક પેન્સિલ ભેટ આપતા. 

સોની સાહેબ સંગીત શીખવવા પાછળથી જોડાયા. તેઓ પ્રજ્ઞાચક્ષુ પરંતુ સંગીતમાં રસ ભરી દેતાં. તેમણે ગવડાવેસું આવો બચ્ચો તુમ્હેં દિખાયે ઝાંખી હિન્દુસ્તાન કી, ઈસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી બલિદાન કી.. વંદે માતરમ. એ ગીતમાં એક તરફ બંદૂક ધનધનતી ગાતી વખતે અમારો અવાજ ગોળીઓની ગર્જના કરતો શૌર્ય રસથી ભરાઈ જતો. 

ફાધર જેરી અને બ્રધર અમને અંગ્રેજી ભણાવતાં. ૮-૯-૧૦ બ્રધરે ભણાવ્યું અને ૧૧ ફાધરે. બ્રધર કાળા, જાડા અને ભારે તીણાં અવાજવાળા. મારવા ડસ્ટરનો ઉપયોગ કરે. વિદ્યાર્થીનીઓને તો તે વધુ મારતાં. સરખા વાળ કરીને રીબીન બાંધીને આવે એટલે કહેતાં નવીઓ થઈને આવવાની ખબર પડે છે પરંતુ ભણાવામાં પાછળ, હોમવર્ક કર્યા વગર આવે. તેમનાથી સેસીલ્યા, થેરેસ્યા, સાબીના, ઉર્મિલા, ઊષા, સુમિત્રા, ફ્લોમીના, મંજુલા, જશોદા વગેરે બચી જતાં પરંતુ લીલા, પુષ્પા, પ્રફુલબાલા, રંજનબાલા,એલીસા, કેટરીના, વિજયા, વગેરે હાથ લાગી જતાં. 

ડ્રોઈંગના શિક્ષક એડવર્ડ સાહેબને કેમ ભૂલાય? તેમણે ઘણી કોશિશ કરી પરંતુ મને ડ્રોઈંગ ન જ આવડ્યું, તો પણ એક ગાય, ફ્રી હેન્ડ દોરી અને જવાબો લખી મને સૌથી વધુ માર્કસ મળ્યાં હતાં. ચિત્રકામ એટલે એક પશુની આકૃતિ, એક પક્ષીની આકૃતિ, ત્રણ-ચાર ફ્રી હેન્ડ, પાંદડાની ડાળી, કુદરતી સૌંદર્યના દૃશ્યો, વોટર કલરથી કાગળ ચિતરવાના એટલે પૂરું. છોકરાઓને તેઓ દોરાવે તે દોરવામાં ઓછો પરંતુ તેમને ચપટ કહી ખીજવવામાં વધુ રસ રહેતો. 

શાળાના એક પટાવાળા બાલુભાઈ પછી કારકુન બન્યા હતાં પરંતુ સ્ટાફરૂમમાં કોઈ કામ હોય, કોઈ ફોર્મ ભરવું હોય, ફી ભરવી હોય, સ્કોલરશીપ લેવી હોય બધાં બાલુભાઈ પાસે જ જાય. ૩૦ નંબર તરીકે જાણીતા કારકુનની પાસે ઓછું જતાં. 

તે વર્ષે ધોરણ ૧૦ અને ૧૧નું બોર્ડ હોવાથી શાળાએ સાંજે ૭.૩૦ થી ૧૦.૦૦ સુધી રાત્રિ વર્ગની વ્યવસ્થા કરી હતી. ૧૦x૧૦ની ઓરડીમાં રહેતાં કુટુંબોના બાળકો માટે આ આશીર્વાદરૂપ હતું. શાળા છ વાગે છૂટતી તેથી નજીક રહેતાં કેટલાંક વિદ્યાર્થીઓ ઘેર જઈ જમી પાછા લેસન વાંચન કરવાં શાળાએ આવી જતાં. ફાધર જેરી રાઉન્ડ લઈ શિસ્તભંગ ન થાય તેની કાળજી રાખતાં. 

આજે ઉપર લખ્યાં તેમાંથી કાન્તિભાઈ હયાત છે. ૮૫ વર્ષ ઉંમર થઈ પરંતુ તંદુરસ્ત છે. વોરા સાહેબની ખબર નથી અને ભાનુબેન હયાત હશે. પરંતુ ફાધર જેરી, બ્રધર, સત્યભાષક સાહેબ, ભાવસાર સાહેબ, દિનેશ દવે સાહેબ, મૃદુલાબેન, શ્રીરમણ શર્મા સાહેબ, જોસેફ સાહેબ, બાલુભાઈ વગેરે બધાં દિવંગત થયા. 

અમારા સહાધ્યાયીઓમાં ઉપર જણાવેલ વિદ્યાર્થીનીઓ ક્યાં છે તેની ખબર નથી. ભીખાભાઈ સોલંકી મિત્ર તરીકે આજે સંપર્કમાં છે. વિલ્સન જોડે કોઈંક દિવસ વાત થાય. પ્રવિણ સોનારા અને ચીમનભાઈની ખબર મળતી રહે. રમણભાઈ પ્રભુદાસનો સંપર્ક નથી. મારી બેંચનો સાથી માલા રાણાની કોઈ ખબર નથી. રમણભાઈ બબાભાઈ દસેક વર્ષ પહેલાં ગુજરી ગયો. અજીમુદ્દીન વીસેક વર્ષ પહેલાં મળ્યો હતો. તેને એલીસા તો ન મળી પરંતુ સરકારી યોજનાઓની અરજીઓ કરવા કરાવવાના કામો કરતો નબળી આર્થિક સ્થિતિમાં હતો. 

મને ઘણીવાર થતું કે મારાં સહાધ્યાયીઓ અને શિક્ષકોનો એક મિલન સમારંભ કરું પરંતુ કોઈ રીતે મેળ ન જ પડ્યો. એકાદ બે સિવાય શિક્ષકો બધાં સ્વધામ સિધાવી ગયાં અને સહાધ્યાયીઓ બધાં સીનીયર સીટીઝન પોતાની દુનિયામાં વ્યસ્ત. આજે કાન્તિભાઈ સાહેબ આવ્યાં, તો બધાંને સંભારવાનો મોકો મળ્યો. સૌને સલામ. સૌને નમસ્તે.
  
ડો. પૂનમચંદ પરમાર (IAS:1985) 
ભૂતપૂર્વ વિદ્યાર્થી, સેંટ જોસેફ હાઈસ્કૂલ, રાજપુર-હીરપુર, અમદાવાદ-૩૮૦૦૨૧ 
પૂર્વ અધિક મુખ્ય સચિવ, ગુજરાત સરકાર 
 ૨૫ ઓગસ્ટ ૨૦૨૫

સત્વ શુદ્ધિ

આધુનિક વિજ્ઞાન આ વિશ્વની રચનાને અણુ પરમાણુ સંયોજન અને કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં તે સંયોજનમાં ચૈતન્યતા પ્રકટે છે તેમ જણાવી સર્જનનો કોયડો ઉકેલવા પ્રયત્ન કરે છે. બીગ બેંગથી બધું શરૂ થયું પરંતુ બીગ બેંગ પહેલાં શું અને કેમ? તેની કાર્યકારણની શૃંખલા બાબતે તે મૌન થઈ જાય છે. 

હિંદુસ્તાનના દર્શનોમાં સર્જન માટે પુરૂષ અને પ્રકૃતિને જવાબદાર ઠેરવ્યા છે. સર્જન અહીંયા સાયકલિક છે, જેથી તેનો પ્રારંભ મધ્ય કે અંત નથી પરંતુ સર્જન, સંવર્ધન અને વિસર્જનની એક શૃંખલા અવિરત ચાલે છે. એક નિરાકાર સાકારમાં પ્રકટ થાય છે અને તે માટે તે પોતાની સૃજન શક્તિ એવી પ્રકૃતિ સાથે જોડાઈ અભિવ્યક્ત થાય છે. આ અભિવ્યક્તિ આપણને જડ અને ચેતન સ્વરૂપે વિશ્વમાં દેખાય છે. 

પુરૂષની પ્રકૃતિ એ ત્રણ ગુણો છેઃ સત્વ, રજસ અને તમસ. સત્વ તેજનું પ્રતીક છે, રજસ ક્રિયાશીલતાનું પ્રતીક છે અને તમસ જડતા અને અંધકારનું પ્રતીક છે. ભગવદ્ગીતામાં ત્રણ પ્રકરણો ૧૪, ૧૬,૧૭ સત્વ, રજસ અને તમસની ચર્ચા કરે છે. 

આપણું ભૌતિક શરીર તમસનું બનેલું છે. તેમાં પ્રાણ રજસ છે અને મન, બુદ્ધિ સત્વના બનેલા છે. ત્રિગુણ માત્ર શરીર રચનામાં જ નહીં આપણી દરેક પ્રવૃત્તિમાં જોડાયેલા છે. આપણું ભોજન, આપણી પૂજા, આપણું દાન, આપણું તપ, આપણું કર્મ, બધું જ આ ત્રિગુણની વધઘટ પર ચાલે. પરિણામે આપણું વ્યક્તિત્વ સત્વ પ્રધાન છે કે રજસ પ્રધાન કે તમસ પ્રધાન તે નક્કી થાય અને તે આધારે પહેલાના જમાનાની વર્ણ વ્યવસ્થામાં સત્ત્વગુણીને બ્રાહ્મણ, રજોગુણીને ક્ષત્રિય અને તમસગુણીને શુદ્ર કહ્યો અને રજસ-તમસ મિશ્રિતને વૈશ્ય કહ્યો. 

ગીતાના એક ઉદાહરણ મુજબ સત્વગુણી ભગવાનને ભજે, રજોગુણી યક્ષ-રાક્ષસને ભજે અને તમોગુણી ભૂત-પ્રેતની પૂજા કરે. 

જૈસા અન્ન વૈસા મન. અન્નનું સૂક્ષ્મરૂપ આપણું મન છે તેથી ગમે તેવું ભોજન, મનને ગમે તે દિશામાં લઈ જવાનું. કોઈને અન્ન માટે દાન કરીએ અને કોઈને વ્યસન માટે, તેનો ફર્ક તો પડવાનો. 

તપમાં હિંસક તપ કરવું કે અહિંસક કે મધ્યમાં રહેવું તેની પણ ગતિ હોય છે. 

જો કે સંસારમાંથી ત્રિગુણ મટી જાય અથવા કોઈ એક જ રહે તો સંસાર નાશ પામવાનો. તેથી દરેક ગુણ અને ગુણ પ્રધાન વ્યક્તિઓ તો રહેવાના પરંતુ આપણે શું જોઈએ છે તે મુજબ આપણાં જીવનની રાહ નક્કી કરવા આ બોધ કામ આવી શકે. આમ તો દરેકની અંદર ત્રણેય ગુણ હોય, ત્રણ ગુણો ન હોય તો સંરચના પૂરી ન થાય પરંતુ તેની જીવન શૈલીમાં કોઈ એક ગુણ પ્રધાનતા પ્રાપ્ત કરે અને તે મુજબ તેની ઓળખ ઊભી થાય. આ ઓળખ માત્ર જન્મથી પ્રાપ્ત નથી. 

પુનર્જન્મની થીયરી મુજબ જીવ પૂર્વ જન્મના સંસ્કાર લઈ આવે છે તેથી તેમાં કોઈ એક ગુણ પ્રધાન હોય પરંતુ તેના માતા પિતાના સંસ્કાર, શિક્ષણ, વાતાવરણ અને સંગ તેમાં વધારો ઘટાડો કરે અને તે મુજબ જ્યારે વ્યક્તિત્વ બંધાય ત્યારે તે સત્વગુણ પ્રધાન, રજસગુણ પ્રધાન કે તમસગુણ પ્રધાન બને. સત્વવાળો જ્ઞાન તરફ આકર્ષિત રહેવાનો. રજસવાળો સત્તા, ધન સંપત્તિ ભેળી કરવા તરફ દોડવાનો અને તમસવાળો વ્યસનગ્રસ્ત થઈ મોહ અંધકારમાં પડી રહેવાનો. સાત્વિક જીવન શાંતિ આપે, રાજસિક જીવન દુઃખ આપે અને તામસિક જીવન અજ્ઞાન અને અંધકાર આપે. તેથી શું મેળવવું તેની પસંદગી આપણાં હાથમાં છે. 

આયુર્વેદ પણ પ્રકૃતિના આ ત્રણ ગુણો થકી આપણા શરીરની પ્રકૃતિને ઓળખી તેને પિત્ત પ્રધાન, વાત પ્રધાન કે કફ પ્રધાન છે તે નક્કી કરી તેની સમતુલા કરી આરોગ્ય સુધારી આયુષ્ય વધારી આપે છે. પિત્ત પ્રધાન જણ હૂંફાળો પરંતુ ક્રોધી હોવાનો, વાયુ પ્રધાન જણ વાતોડિયો અને કફ પ્રધાન જણ આળસુ હોવાનો. 

 મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ ગુણ વિકાસ કરી, સત્વગુણ વિકાસ કરી પોતાના સ્વ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાનો છે. એકવાર સાક્ષાત્કાર થાય એટલે સાચું ખોટું અલગ થઈ જાય અને સાચાની ખબર પડે એટલે દુઃખોથી મુક્તિ મળી જાય અને જીવ નિર્વાણ- મોક્ષને પ્રાપ્ત થઈ જાય. પરંતુ જે રજસની ખેતી કરે છે તેને દુઃખ જ પ્રાપ્ત થવાનું. જે તમસની ખેતી કરે છે તેનો અંધકાર નથી જવાનો. 

આત્માને ઓળખ્યા વિના રે આ લખચોરાશી નહિ તો ટળે હોજી, આ ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહિ તો મટે હોજી. જીવનનો ઉદ્દેશ સમજીએ અને તે મુજબ આપણી જીવન નૌકાને હાંકીએ. 

 ૨૬/૮/૨૦૨૫

Wednesday, August 6, 2025

सवाल एक जोड़ का है।

हिंदुस्तान के दर्शनो में हमारे अस्तित्व के रहस्य के उत्तर मिलते है। दर्शन बताता है कि हमारा दर्शन अनुभवगम्य है कोई किताबी बातें या बौद्धिक संवाद मात्र नहीं। 

हम हैं एक जोड़ के रूप में। पुरुष और प्रकृति का जोड़। 

जोड़ का एक हिस्सा है पुरुष जो चैतन्य है, अजर, अमर, अविनाशी, नित्योदित, पूर्ण, अपरिवर्तनशील, दुखों से मुक्त। ना कभी जन्मा है, ना उसकी उम्र है, ना परिवर्तनशील है, ना वृद्ध होगा ना मरेगा। सबका पुरुष एक है इसलिए श्रीराम हो, श्रीकृष्ण हो, बुद्ध हो; सम्राट अशोक हो, चंद्रगुप्त द्वितीय हो या हर्षवर्धन हो; बाबर-अकबर-औरंगज़ेब हो; अँग्रेज अमलदार हो; गांधी-नेहरु-सरदार हो; या वर्तमान किरदार हो, हम सबका पुरुष तो एक ही है जो दिव्य है, परम है। 

दूसरा जोड़ है हमारा शरीर, इन्द्रियाँ और अंतःकरण (मन, बुद्धि, अहंकार)। इसे प्रकृति कहते हैं जो परिवर्तनशील है। उसके परिवर्तन को ही जन्म, जरा, व्याधि, सुख, दुःख, मृत्यु, पुनर्जन्म की परिभाषा लगती है। यही पुर्यष्टक को ही पीड़ा है, बंधन है और मुक्ति की प्यास है। 

एक किसान था। एक बड़ी सी ज़मीन का मालिक था। उसे किसी जानकार ने बताया कि उसकी ज़मीन की गहराई में सोना है। लेकिन कहाँ और कितना भीतर इस जानकारी के अभाव में वह अपने आप प्रयास करता रहे तो कहाँ तक पहुँचेगा? लेकिन अगर जानकार आदमी बता दें कि इस जगह इतना भीतर, सोना ढूँढने का काम सरल हो जाएगा। 

हमारा सोना-पुरुष अपने पास है, जिसे पाना है वह हम हैं ही, फिर नज़र क्यूँ नहीं आ रहा? इसे ही अज्ञान या मलावरण कहा है। इसे हटाने किसान को किसी जानकार ने बताया इसी तरह शास्त्र और गुरु काम आते है जो हमारे भीतर रहे पुरुष (दिव्यता) को पहचानने में मदद करें।  

क्या किसान ने सुना कि उसकी ज़मीन के भीतर सोना है यह सुनने से सोना मिल गया? नहीं। इसी प्रकार हम पुरुष है, अजर, अमर, अविनाशी है इतना शब्दों से जान लेना पर्याप्त नहीं हैं? साधक को मार्गदर्शन चाहिए शास्त्र और गुरु का। जैसे किसान ने अपनी ज़मीन की खुदाई खुद की इसी प्रकार साधक को चाहिए अपनी खोज खुद करनी है। 

खोज कहाँ? जो है ही, लेकिन अज्ञान के आवरण की वजह से पहचान नहीं पा रहा है। खुद की खुदाई के औज़ार है श्रवण, मनन, निदिध्यासन। मार्गदर्शन को ध्यान से सुनना, पढ़ना और समझना, शास्त्र भी प्रथम पुरुष में पढ़ने है क्यूंकि अपनी बात है; उसके बारे में जो प्रश्न उठे उसे पूछकर, मनन कर उस प्रश्नों का समाधान करना; और उस समझ को, ज्ञान को जीवन में उतारना। तभी तो पहचान होगी पुरुष की, चैतन्य की और फिर नजर बदलते ही सम्यक दृष्टि प्राप्त होगी, भीतर बाहर एक ही चैतन्य के दर्शन होते ही राग द्वेष से छुटकारा होगा, षड्रिपु से मुक्ति होगी, अरिहंत बनेगा, जितेन्द्रिय होगा, कैवल्य को प्राप्त होगा। वो जो है उसे साध लिया, जो प्राप्त था उसे प्राप्त कर लिया, सिद्ध हो गया। 

बस एक जोड़ का सवाल है। जवाब जुगाड़ नहीं, श्रवण मनन निदिध्यासन है। 
 ६ अगस्त २०२५