Thursday, September 18, 2025

ભારતીય વહીવટી સેવામાં મારો પ્રવેશ

ભારતીય વહીવટી સેવામાં મારો પ્રવેશ 

(જાહેર સેવાઓનો મારો પ્રવાસ)

૧૯૭૮માં લગ્ન, ૧૯૭૯થી સચિવાલયમાં નોકરી, ૧૯૮૦માં બી.કોમ.માં ડિસ્ટિંકશન અને લક્ષ્મીના ત્રીજા આણાંથી જીવન પ્રવેશ પછી મારું સાંસારિક જીવન ગોઠવાઈ રહ્યું હતું. ત્યાં મારી નજર છાપામાં માર્ચ ૧૯૮૧માં આવેલી ગુજરાત જાહેર સેવા આયોગની એક જાહેરાત પર ગઈ. હજી મારે એકવીસ વર્ષ થયા નહોતા તેથી ગ્રેજ્યુએટ આધારિત પરીક્ષાઓ આપવાની વાર હતી તેથી હું જાહેરાતો ઓછાં ધ્યાનથી જોતો. પરંતુ તે દિવસે મેં ઉંમરની શરતમાં ૧ ઓગસ્ટ ૧૯૮૧ના રોજ એકવીસ પૂરા થતાં હોવાની શરત વાંચતાં જ મારી આંખોમાં ચમક આવી ગઈ. મારી જન્મ તારીખ ૨૮/૭/૧૯૬૦ હોવાથી ત્રણ દિવસના લાભથી હું અરજી કરવા લાયક ઠરતો હતો. મેં પછી જાહેરાત પૂરા ધ્યાનથી વાંચી. છ વિષયોની ત્રણ ત્રણ કલાકની લેખિત પરીક્ષા અને પછી ઈન્ટરવ્યુ. ગુજરાતી, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન ફરજિયાત. બાકીના ત્રણ વિષયો લીસ્ટમાંથી પસંદ કરવાના. આંકડાશાસ્ત્ર મારે પાકું હતું. એકાઉન્ટન્સી હું કોલેજમાં પ્રી અને ફર્સ્ટમાં ભણેલો. ત્રીજો વિેષય રાજ્યશાસ્ત્ર આઝાદી આંદોલન અને બંધારણનો મને ગમતો તેથી તેની પસંદગી કરી મેં ફોર્મ ભરી દીધું. વર્ગ-૧ની એક બિનઅનામત જગ્યા જિલ્લા રજિસ્ટ્રારની અને બીજી અનુસૂચિત જનજાતિ માટે અનામત હતી. નાયબ કલેક્ટરનુ માંગણાપત્ર ન હતું. 

મુખ્ય ભરતી તો સચિવાલયમાં સેક્શન અધિકારી અને જિલ્લાઓમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓની જગ્યાઓ માટેની હતી. અમે સચિવાલયના કર્મચારી તેથી અમારી નજર સેક્શન અધિકારીની જગ્યા પર મંડાયેલી રહેતી. ડીસેમ્બર ૧૯૮૧માં પરીક્ષા લેવાઈ, મારો બેઠક નં ૨૭૦૩ (નં૩) મારા માટે લકી હતો. ૧૯૮૨ના ઉનાળામાં ઈન્ટરવ્યુ થયાં અને જુલાઈ-ઓગસ્ટમાં પરિણામ આવ્યું તો હું આશ્ચર્યચકિત થઈ ગયો. જનરલ મેરિટમાં હું રાજ્યમાં ત્રીજા ક્રમે પસંદ થયો હતો. ડીસેમ્બર ૧૯૮૨માં ગેઝેટ બહાર પડ્યું ત્યારે ૨૨ વર્ષની ઉંમરે હું રાજ્યપત્રિત અધિકારી બની રહ્યો હતો. મેં વિષયવાર માર્ક્સ જોવડાવ્યા તો મારા લેખિત પરીક્ષાના માર્ક્સ ખૂબ સારા હોવાથી ઈન્ટરવ્યુના માર્ક્સૈ મારી મેરીટને એકદમ ટોચના ક્રમમાં લાવી દીધી હતી અને સચિવાલયમાં જાણીતો ચહેરો બનાવી દીધો હતો. પરંતુ ઈન્ટરવ્યૂના માર્કસથી અસંતુષ્ટ કેટલાક ઉમેદવારો પૈકી એક જનક ભટ્ટ હાઈકોર્ટમાં ગયાં, જેને કારણે અમારી નિમણૂકમાં નવેક મહિનાનો વિલંબ થયો હતો. તે દરમ્યાન ગુજરાત જાહેર સેવા આયોગની મદદનીશની પરીક્ષા મેં જનરલ મેરીટ પર પાસ કરી દીધી હતી તેથી તેમાં પસંદગી થતાં ફેબ્રુઆરી ૧૯૮૩માં સ્પીપાની તાલીમ લઈ સિંચાઇ વિભાગમાં મારી નિમણૂક થઈ હતી. હવે વાટ તો માત્ર સેક્શન અધિકારી તરીકે નિમણૂકની જોવાતી હતી. છેવટે કોર્ટે પસંદગી યાદી સ્પ્લિટ કરી ટકોરાબંધ મેરીટવાળા ઉપરના ક્રમના ઉમેદવારોને નિમણૂક આપવા સંમતિ આપતાં સેક્શન અધિકારી (પ્રોબેશનર) તરીકે મારી નિમણૂક નર્મદા અને જળસંપત્તિ વિભાગમાં થતાં હું ૧૬ ઓગસ્ટ ૧૯૮૩ ના રોજ હાજર થઈ ગયો. 

અમારી તાલીમ સરદાર પરેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) અમદાવાદ (ન્યૂ મેન્ટલ)માં થઈ. તે વખતના સ્પીપાના નાયબ નિયામક ભાગ્યેશ જ્હા અમારા કોર્સ ડિરેક્ટર બન્યાં. તેમની સાથે ગુજરાત દર્શનના ભાગરૂપે કરેલ સાપુતારા પ્રવાસ યાદગાર રહ્યો. પ્રવાસ દરમ્યાન ઝાડેશ્વર ભરૂચમાં મેં જીવનમાં બટાટા પૌંઆનો પહેલીવાર સ્વાદ લીધો. પ્રવાસમાં ઉકાઈ સિંચાઇ ગેસ્ટ હાઉસનું રાત્રિ રોકાણ કેમ ભૂલાય? જેવા થાકેલા પાકેલા રાત્રે મચ્છરદાનીવાળા પલંગમાં ઘૂસ્યા તેવા મોટા ડાંસ જેવા મચ્છરોએ આખી રાત શરીર ફોલી ખાધું. સવારે તો ખુલ્લા એટલાં ભાગમાં ઢીમચા પડી ગયેલ. સાપુતારામાં શિક્ષણ સંસ્થા ઋતંભરાની મુલાકાત, નાગલીનાં પાપડ અને વાંસનાં અથાણાંનો સ્વાદ કેમ કરી ભૂલાય? 

મારી સચિવાલયની પહેલી નોકરી (૧૯૭૯-૧૯૮૨) ગૃહ વિભાગમાં અને ચંદ્રમૌલી સાહેબ અમારા સચિવ. બીજા એક ગોપાલાસ્વામી સાહેબ અને તેમની પછી આવેલાં આનંદ ભારદ્વાજ સાહેબ અમારાં સંયુક્ત સચિવ. તેમની ચેમ્બર બહાર લટકતી નેમ પ્લેટ જોઈ તેના પર નામ નીચે લખેલ આઈએએસ વાંચી શરૂ શરૂમાં મને પ્રશ્ન થતો કે એ શું હશે? હું બી.કોમ. થયેલો તેથી થતું કે શું બી.કોમ. જેવી કોઈ ડિગ્રી હશે? પરંતુ સચિવાલયમાં એકાદ બે જણ યુપીએસસી પ્રિલીમ પાસ થયાની વાતો થતી તેથી મારા બે સહાધ્યાયી એ.ડી. પટેલ અને કાન્તિ પ્રજાપતિ સાથે રહી યુપીએસસીની જાહેરાત આવતાં મેં ડિસેમ્બર ૧૯૮૧માં ફોર્મ ભરેલું. મારું ધ્યાન તે વખતે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પર હોવાથી યુપીએસસી પરીક્ષા માટે મારી કોઈ ગંભીરતા નહીં. ન તો પરીક્ષા વિશે કોઈ સમજ કે ન કોઈ તૈયારી. બધાં કહે બહું જ અઘરી પરીક્ષા તેથી આપણે ધ્યાન છોડી દીધેલું. 

પરંતુ એવાકમાં ૧૯૮૨ના મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક ઘટના બની. હાથીખાઈ પોઈંટની બસથી હું ગાંધીનગર જતો તેમાં એક હરિભાઈ પટેલ આવતાં. તેઓ બાપુનગર પોઈંટથી બેસે અને હું હાથીખાઈથી. બંનેનુ બેસવાનું અલગ અલગ જગ્યાએ તેથી અમારો પરિચય નહીં. પરંતુ તે દિવસે બધાં તેમને અભિનંદન આપવા લાગ્યા તેથી મેં પણ અભિનંદન આપ્યાં અને અભિનંદનનું કારણ પૂછ્યું તો ખબર પડી કે તેઓ યુપીએસસી પરીક્ષા પાસ કરી આઈએએસ થયા છે. તેઓ સામાન્ય વહીવટ વિભાગમાં પ્લાનિંગ શાખામાં સેક્શન અધિકારી. મેં માર્ગદર્શનની વાત કરી તો કહે પૂનમભાઈ બપોરે રિસેશના સમયે મારી જગ્યાએ આવજો. હું ગયો એટલે તેઓ વિશેષ કશું બોલ્યા વિના ટેબલનું ખાનું ખોલી મને Employment Newsની નકલ પકડાવી દીધી. કહે આમાં બધું જ છે. હું તે કોપી લઈ પાછો ફર્યો અને એકજ બેઠકે જાહેરાત, શરતો, વિષયોની યાદી, સીલેબસ બધું વાંચી ગયો. જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ થતું કે આ તો આપણે કોલેજમાં આપતાં હતાં તેવી એક પરીક્ષા છે. ચાલો આપી તો જોઈએ? 

૩૧ મે ના રોજ રવિવારે એક મિત્ર એ. કે. પરમારની મુલાકાત લીધી. તેમણે અગાઉ પરીક્ષા આપી હતી પરંતુ બેંકમાં ઓફિસરમાં પાસ થવાથી તેમને હવે યુપીએસસીની પરીક્ષામાં રસ નહોતો તેથી તેમણે તેમની પાસેની એક હિસ્ટ્રીની મલ્ટીપલ ચોંઈસના પ્રશ્નોની અપેક્ષિત હતી તે આપી. ૧૦ જૂનના રોજ પરીક્ષા હતી. મારી પાસે તૈયારી કરવાં ગણીને નવ દિવસ. મેં નવ દિવસની ઈ.એલ. મૂકી અને કાંકરિયા નગીનાવાડી પહોંચી ગયો. ત્યાં યુપીએસસીની તૈયારી કરતાં ઉમેદવારો વાંચતાં. મારી પાસે એક માત્ર મિત્ર એ. કે. પરમારે આપેલી અપેક્ષિત. પ્રિલીમમાં મેં ઓપ્શનલ વિષય તરીકે બીજાનું જોઈ ઈતિહાસ રાખેલો. કોમર્સના સ્ટુડન્ટ તરીકે ઈતિહાસનો શાળામાં ભણ્યા પછીનો મારો આ બીજો ટકરાવ. મારા નસીબે બે એક ભાઈઓ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણના પુસ્તકો લઈ વાંચવા આવે. મેં વિનંતી કરી કે તેઓ જે બુક વાંચે તે સિવાયની થેલામાં રહેલી બુક્સ મને વાંચવા આપે. તેમણે હા ભણી એટલે મેં રોજના તેર કલાક લેખે વાંચવાનું શરૂ કર્યું. લગભગ ઉપલબ્ધ થયાં તેટલાં પુસ્તકો વાંચી નાંખ્યાં. કલાકના પચાસ પાનાંની ઝડપે હું રોજના ૬૫૦ પાનાં વાંચી જતો તે લેખે નવ દિવસમાં મારે સાત થી આઠ હજાર પાનાંનું વાંચન થયેલું. વળી ઘડતર તો શાળા કોલેજ જીવનથી હતું તેથી આગે આગે દેખા જાએગા, યાહોમ કરીને પડો, ફતેહ છે આગે કરીને આપણે તો ૧૦ જૂનની પરીક્ષા આપી દીધી. ઓગસ્ટમાં પરિણામ આવ્યું તો સૌના આશ્ચર્ય વચ્ચે આપણે પ્રિલીમ પાસ થઈ ગયેલાં. પછી ઓક્ટોબર-નવેમ્બરમાં ૧૯૮૨માં મેઈન પરીક્ષા આવી. બે ઓપ્શનલ વિષયોમાં ઈતિહાસ તો ગાંડું ગબડાવી લેવાય પરંતુ હરિભાઈના વિષયોનું જાણી જે એકાઉન્ટન્સી વિષય રાખેલો તેનો કોર્સ કેમ કરી પૂરો કરવો? જોર કરી જોયું પણ જામ્યું નહીં અને તે વિષયની પરીક્ષા આપવા ગયો તો તે દિવસે વાવાઝોડું. પ્રભુદાસ ઠક્કર કોલેજની લોખંડની તૂટેલા કાચવાળી બારીઓ બંધ થાય નહીં અને પવનના જોરથી જોર જોરથી ભટકાય અને મોટો અવાજ કરે. પવનના સુસવાટાને કારણે પેપર માંડ માંડ પકડી રાખીને લખાય. ઠંડી, પવન અને અવાજે મનને અસ્થિર અને વિચલિત કરી દીધું. તે દિવસના બંને પેપર્સ બગડ્યા અને પરિણામ આવ્યું ત્યારે આપણે થોડાક માર્ક્સના છેટાંથી ઈન્ટરવ્યુ માટે પસંદ ન થયાં. 

પરંતુ બેલેન્સશીટમાં હવે પ્રથમ પ્રયત્ને પ્રિલીમ પાસ થવાનો સ્વાદ હતો અને વિષય પસંદગીમાં ઓછી ગંભીરતા કેવું નુકસાન કરે તેનો અનુભવ. મેં એક મિત્રના મિત્ર મયંક પટેલને મળી તેમના પિતા પ્રોફેસર જશુભાઈ પટેલનો સંપર્ક કર્યો. તેઓ સ્વામિનારાયણ કોલેજમાં ઈતિહાસના પ્રાધ્યાપક. તેમણે મને સ્વામીનારાયણ કોલેજમાં ઉપલબ્ધ પુસ્તકો અપાવ્યાં. તેમણે લખેલા બેએક પુસ્તકો આપ્યાં. હું શેઠ મગળદાસ લાયબ્રેરીનો સભ્ય થઈ ત્યાંનું કાર્ડ લઈ આવ્યો. કેટલુંક રીચી રોડ અને વિક્ટોરિયા ગાર્ડનનું ગુજરી બજાર ફેંદી આવ્યો. આખા અભ્યાસક્રમનું એક જગ્યાએ મળે તેવો જમાનો નહીં. એ વખતનું ગૂગલ એટલે આપણું પોતાનું મગજ. જ્યાં ત્યાંથી જે મળે તે ટૂકડા સાંધી હું વાંચતો ગયો. નોકરીમાં બાની બીકે દહાડા પડાય નહીં. બસ અને રીસેસ કે કામ ન હોય તેવાં કચેરીના સમય અને રજાના દિવસોનો વાંચનમાં ઉપયોગ કરવાનો હોય. પોઈંટની બસની સીટ એ જ આપણી લાયબ્રેરી અને આપણી તાલીમ એકેડમી. નર્મદા અને જળ સંપતિ વિભાગમાં સેક્શન અધિકારી દિલીપભાઈ રાવલ શાખા તાલીમ દરમ્યાન મને કચેરી સમયમાં વાંચવાની છૂટ કરી આપતાં તે કેમ ભૂલાય? 

મારું વાંચન વિશાળ પરંતુ ટૂકડાઓમાં.  ઉધારના પુસ્તક પાછા આપવાના હોય અને પુસ્તક કે નોટ માટે પાઈનો પણ ખર્ચ કરવાનો નહીં. તેથી જે વાંચ્યું તેની નોંધ તૈયાર કરવી જરૂરી જણાઈ. અમારી જીપીએસસી પસંદગી કેસ સંદર્ભે હાઈકોર્ટ જઈએ ત્યારે વકીલ નિરંજન પંડ્યા અને સામે પક્ષે ભાસ્કર તન્ના જે બ્રીફ લઈ દલીલો કરે તે કાગળ વચ્ચેથી વાળેલો રાખે. કોર્ટના બધાં વકીલો તેમ જ કરતાં. મારા મોટા ભાઈ કનુભાઈ મિલ કામદારમાંથી રોજગાર વિનિમય કચેરીના એક ઇન્ટરવ્યૂમાં પાસ થઈ બેક ઓફ બરોડામાં પહેલાં પટાવાળા અને પછી બઢતીથી કારકુનની નોકરી કરતાં. તેઓ મારી મદદમાં આવ્યા. બેંક શાખામાં જે વેસ્ટ પેડ હોય તે મને લાવી આપતાં. હું વાંચુ અને તે કાગળોને ડબલ ફોલ્ડ કરી નોંધ-મુદ્દા ટપકાવતો જાઉં. જેવું વાંચન પૂરું થાય એટલે નોંધ પર ફરી એકવાર નજર મારી લઉ. પરીક્ષાના દિવસે પણ ઝડપથી એક નજર વિહંગાવલોકન કરવાનું એ હાથવગુ સાધન હતું. મે જૂન ૧૯૮૩માં લેવાયેલ પ્રિલીમ પાસ કરી, પછી ઓક્ટોબર-નવેમ્બરની મેઈન આપી પાસ કરી અને એપ્રિલ ૧૯૮૪માં યુપીએસસી દિલ્હીમાં ઈન્ટરવ્યૂ આપી IRSમાં પસંદગી પામ્યો. મારી ઉંચાઈ ૧૬૩ સેમી તેથી IPS ભરેલું નહીં. પરંતુ મેરીટ મુજબ IPS પસંદગીનો અધિકારી હતો. તે ઈન્ટરવ્ય આપવા દિલ્હીનો અને ગુજરાત ભવનનો એ મારો પહેલો પ્રવાસ હતો. ગુજરાત ભવનના ખીચડી કઢી બહું ભાવતાં. હું ચાર દિવસ પહેલાં ગયો હતો તેથી બે દિવસ ચાલીને ધોલપુર હાઉસ જઈ બહાર ઊભા રહી ઈન્ટરવ્યુ આપી બહાર નિકળતા ઉમેદવારોને પૂછી ઈન્ટરવ્યુ કેવું હોય તેનો અંદાજ કાઢતો. 

હું માતાપિતા સાથે સંયુક્ત કુટુંબમાં ખુશ હતો અને સચિવાલયની નોકરી સ્થાયી અને સ્થિર હતી તેથી IRSમાં નાગપુર તાલીમમાં હાજર ન થયો. એકવાર extension માટે એકવાર અરજી કરી. વળી જીપીએસસી વર્ગ-૧ પસંદગીમા તક ઉભી હતી તેથી IAS અને ગુજરાત મળે તો જ જવું તેવું નક્કી કરી તે તક છોડી દેવા નિર્ણય કર્યો. મેં તે ૧૯૮૩ મેઈન્સ પરીક્ષાની માર્કશીટ જોઈ તો ખબર પડી કે માત્ર ત્રણ માર્કસ માટે હું અનામત વર્ગની IAS બેઠક ચૂક્યો હતો. જે પેપર્સ સારા ગયા હતાં તેમાં મને ઓછા ગુણ મળ્યા હતાં, કારણકે પ્રશ્નપત્રમાં બાંધેલી શબ્દોની મર્યાદાને હું ગણી ગણીને વળગી રહ્યો. કેટલાક જવાબો ખૂબ સારા આવડવા છતાં શબ્દોની મર્યાદાને ગણી ગણીને હું વળગી રહ્યો અને મુદ્દાઓ લખી છોડતાં માર્કસ ગુમાવ્યા હતાં તે ભૂલ દેખાણી. સારું આવડે છતાં શબ્દ મર્યાદાની પાળમાં બંધાઈ હું અનાડી સાબિત થયો હતો. 

પછી આવી જૂન ૧૯૮૪ની પ્રિલીમ, ઓક્ટોબર-નવેમ્બરની મેઈન્સ, એપ્રિલ ૧૯૮૫માં ઈન્ટરવ્યુ. ત્રણેય કોઠા પાર કરી મે ૧૯૮૫માં IAS તરીકે પસંદગી મેળવી લીધી. આ વખતે તો મેં માત્ર પરીક્ષાના દિવસની કેજ્યુઅલ રજા લઈ પરીક્ષા આપી હતી અને પરિણામમાં ચારસોથી વધુ રેન્કનો સુધારો કરી લીધો હતો. આ વખતે એક આશ્ચર્યજનક ઘટના બની. ઈન્ટરવ્યુ માટે તૈયાર થવા હું કાન્તિભાઈ બાર્બરની શોપ પર ગયો. ત્યાં લાઈન હતી તેથી વેઈટિંગમાં બેઠો. ત્યાં બાજુમાં બે-ત્રણ જૂના મેગેઝિન પડ્યા હતાં. મેં નજર કરી તો સુભાષચંદ્ર બોઝના મૃત્યુ અંગેના જુદા જુદા કમીશનોના અહેવાલોનું વિશ્લેષણ કરતો એક લેખ હતો. હું ધ્યાનથી વાંચી ગયો. પચીસ મિનિટના એ ઈન્ટરવ્યુમાં સુભાષચંદ્ર બોઝ અને ગાંધીની સરખામણી અને તેમના મોત વિષેના પ્રશ્નોએ મારી સફળતાને મહોર મારી દીધી.

તે વર્ષે સલામતી માટે મેં જીપીએસસી વર્ગ-૧ની પરીક્ષા આપી હતી તેમાં પણ જનરલ મેરીટ પર મારી વર્ગ-૧માં પસંદગી થઈ હતી. પરંતુ હવે IAS અને ગુજરાત કાડર મારી પાસેથી કોઈ છીનવી શકવાનું ન હતું. માત્ર ફોર્મ ભરવાના પોસ્ટલ ઓર્ડરના ખર્ચે મળેલી એ સફળતા મોટી હતી. 

૧૯૭૯ થી ૧૯૮૫ સુધીના એ છ વર્ષમાં મારા હાથમાં નોકરીના બાવીસ ઓર્ડર આવી ગયા હતા. બેંકીંગ સર્વિસ રિક્રૂટમેન્ટ બોર્ડની રમતાં રમતાં આપેલી પરીક્ષામાં પ્રોબેશનરી ઓફિસરની પસંદગી યાદીમાં વેસ્ટ ઝોન આખામાં મારો મેરીટ નંબર ત્રીજો હતો. સ્ટાફ સિલેક્શનમાં કસ્ટમ ઈન્સ્પેકટરની પરીક્ષા પાસ કરી ત્યારે વડોદરા જઈ સાયકલ ટેસ્ટ આપવાનો હતો. મને સાયકલ આવડે નહીં તેથી એક પટાવાળાભાઈની નીચી સાયકલ લઈ મેં હિંમત કરી સાયકલ ચલાવી તે નોકરીનો ઓર્ડર પણ મેળવી લીધો હતો. આ ઉપરાંત કેન્દ્રીયકૃત ભરતી, રેલવે, જીપીએસસી, યુપીએસસી, જે પણ નિમણૂક એજન્સીઓ હતી ત્યાં બધે જ સફળ થતો રહ્યો. 

મારી સફળતાથી હિતેચ્છુ સૌ રાજી હતાં. મારું નામ હવે સચિવાલયમાં ખૂબ જાણીતું નામ હતું. મારું દૃષ્ટાંત લઈ ઘણાં સહકર્મી જીપીએસસીની ૧-૨ અને યુપીએસસી અને બીજી પરીક્ષાઓમાં સફળ થયાં હતાં. પરંતુ મારી IASમાં પસંદગીની સફળતા અમારા સચિવાલયના એક સાથી મિત્રને ઈર્ષ્યા કરાવી ગઈ, જે આગળ જઈ મને અવરોધક સાબિત થવાની હતી. 

૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫

Wednesday, September 17, 2025

પિતાની મેમ્બરી અને મારો જાહેર વિકાસ

 પિતાની મેમ્બરી અને મારો જાહેર વિકાસ 

૧૯૫૪માં ધોળકા મિલ શરૂ થઈ અને બહુમતી મજૂરો ગાંભુ ગુરૂ ગાદીના શિષ્યો હોવાથી મારા પિતાની મજૂર મહાજન સંઘના પ્રતિનિધિ તરીકે બિનહરીફ પસંદગી થઈ ગઈ. પછી તો તેમનું ખેમો મેમ્બર એવું લેબલ જીવનપર્યંત બની રહ્યું. બગબગાટ ખાદીનો ઝભ્ભો, ધોતી, ટોપી અને પોલિશવાળી કાળી મોજડી તેમનો પહેરવેશ જીવનભર રહ્યો. ૧૯૫૪ થી ૧૯૮૪ મિલ બંધ થઈ ત્યાં સુધી સળંગ ત્રીસ વર્ષ તે મેમ્બર રહ્યાં. મેનેજમેન્ટમાં કામદારોની ભાગીદારીના સુધારાથી જોઈન્ટ મેનેજમેન્ટ કાઉન્સિલની ચૂંટણી આવી તો તે પણ તેઓ મોટી બહુમતીથી સૌથી વધુ મતો લાવી જીતી ગયેલાં. તેઓ નિરક્ષર પરંતુ મારી બાએ તેમને અક્ષરજ્ઞાન આપ્યું હતું. તેથી અરજીઓ અને હિસાબો લખવાં, અગત્યની નોંધો રાખવામાં તેઓ નિયમિત. તેમની મજૂર મહાજન સંઘની ડાયરીઓમાં નોંધેલી ઘણી માહિતી મને કુટુંબના ઈતિહાસના સાંધા જોડવા કામ લાગેલી. 

પિતાની આગેવાનીને કારણે મને નવ વર્ષે ૧૯૬૯ના હુલ્લડના વર્ષથી જ માનસિક પુખ્તતા મળતી ચાલી. ૧૯૭૧ના ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે અને રાત્રે ચાલીઓમાં ફરતાં અને ઘેર ઘેર લાઈટો બંધ કરાવતાં. ૧૯૭૧ની ચુંટણી વખતે કોંગ્રેસના ભાગલા થયેલાં હતાં. લોકસભાની ચૂંટણીમાં સંસ્થા કોંગ્રેસ અને ઈંદિરા કોંગ્રેસ સામસામે હતાં. મજૂર મહાજન સંઘે સંસ્થા મોરારજી દેસાઈ સાથે તેથી અમદાવાદ લોકસભા બેઠક પર સંસ્થા કોંગ્રેસના ઉમેદવાર તરીકે મિલ માલિક શેઠ જયકૃષ્ણ હરિવલ્લભદાસ ઊભા રહેલ. પિતાને કારણે તે વખતે વોર્ડ બુથની વ્યવસ્થા ઉપરાંત કામદાર મેદાન પોલીંગ બુથના એજન્ટ તરીકે મેં સેવા આપેલ અને આવતાં મતદારોની ઓળખનું ધ્યાન રાખી બોગસ વોટર આવે તો પ્રીસાઈડીંગ ઓફિસરનું ધ્યાન દોરી તેમ કરતાં અટકાવેલ. આમ અગિયાર વર્ષે ચૂંટણીની કામગીરીનો મને જાત અભ્યાસ થયેલ. ઈંદુચાચા સામે શેઠ જયકૃષ્ણ તે હારી ગયા પરંતુ મને રાજનીતિમાં રસ પડવા લાગ્યો. ૧૯૭૨માં ઈંદુચાચાનું નિધન થતાં પેટા ચૂંટણી થઈ તેમાં અપક્ષ ઉમેદવાર પુરૂષોત્તમ ગણેશ માવલંકરના પ્રવચનો લોકપ્રિય. હું તેમના પ્રવચનો સાંભળવા તેમના કાફલા સાથે ફરતો જેને કારણે તે પણ મને ઓળખતા. તેઓ પેટા ચૂંટણી જીતી સંસદ સભ્ય બન્યાં. પછી ફરીથી ઈમરજન્સી પછીની ૧૯૭૭ની ચૂંટણી તેમણે ગાંધીનગર બેઠક પરથી જનતા પક્ષના ઉમેદવાર તરીકે જીતેલ પરંતુ ૧૯૮૦માં હારી ગયેલ. 

મારા શિક્ષણની સાથે કેળવણીમાં માતાને પણ મોટો ફાળો. ચર્ચા સંવાદમાં સુભાષિતો કહેતી જાય અને જીવનનો બોધપાઠ મળતો રહે. બા પાંચ ધોરણ ભણેલી અને વાંચનમાં હોંશિયાર. શબ્દ અને વાક્યનો અર્થ બરાબર કરી જાણે. ઘડિયા તો પા, અડધા, પોણા, એકા, અગિયારા, એકવીસા સુધી આવડે. તે છાપું વાંચે તો તેનો ખૂણે ખૂણો વાંચી લે. વૈષ્ણવ સંસ્કાર તેથી કામની સાથે શ્રીકૃષ્ણની ભક્તિ અને શ્રીમદ્ ભાગવતનું વાંચન તેની દિનચર્યા રહેતી. સુભાષિતોનો તે ખજાનોં રોજબરોજની જીવનની ઘટમાળમાં પ્રસંગને અનુરૂપ સુભાષિત કોટ કરવાનું તે ક્યારેય ન ચૂકે. બાળકો સંસ્કારી અને આજ્ઞાંકિત રહે તેથી કહેતી કહ્યું કરો મા બાપનું દો મોટાને માન, ગુરૂની શિક્ષા માનીએ તો કરે પ્રભુ લીલા લહેર. તે વિચારની ગુણવત્તા પર ભાર દેતી. વિચાર બડો સાર છે તેના રૂપિયા એક હજાર છે. જીવનમાં નિયમિતતા માટે કહેતી વહેલા જે સૂઈ રહે, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર. ગરીબીને કર્મના સિદ્ધાંત સાથે જોડી તાદૃશ કરતી કે, કરમમા લખ્યું કરસનિયા, જાને કોની જાવું, કરમમાં લખ્યું ડોળિયું, તો ઘી ક્યાંથી પીવું? સત્તા સામે શાણપણ નકામું તેથી કહેતી કે જિસકે રાજમેં રહેના ઉસકી હાંજી હા કરના. જીવનમાં સાવધાની રાખવું તેને ગમે તેથી હંમેશાં કહેતી ચેતતા નર સદા સુખી. 

રીબીમાં મહિનો પૂરો થવાના સમયે બધાંને નાણાંભીડ થાય. તેમાંય કોઈ બીમાર થાય, વાસણ ખરીદવું હોય, લગ્ન, મામેરાં જેવો પ્રસંગ હોય એટલે નાણાં ઉધાર લેવા હાથ લંબાવવો પડે. ઉછીના લેવા જાઓ તો રૂપિયાના ચાર આના વ્યાજ એટલે કે મહિને ૨૪% વ્યાજ. જો ચૂકવણીમાં મોડુ થઈ જાય તો ઘરમાં હોય તે દાગીનો વેચવાનો વારો આવે. ૧૯૭૧માં મે બચત મંડળનો ખ્યાલ મૂક્યો. અગિયાર જેટલાં સભાસદ કર્યાં. મહિને દસ રૂપિયાનો ફાળો નક્કી કર્યો. વ્યાજ દોકડો એટલે મહિને ૧% રાખ્યું. લોન પરત કરવાનો સમય માસિક દસ સરખા હપ્તે દસ મહિનાનો. મને વિદ્યાની દેવી સરસ્વતી પ્રત્યે અપાર શ્રદ્ધા તેથી મંડળનું નામ આપ્યું સરસ્વતી બચત મંડળ. હું રીચી રોડ જઈ એક ચોપડો લઈ આવ્યો. તેમાં સભાસદના નામ, મંડળની શરતો લખી બધાંનાં સહી અંગૂઠા કરાવ્યા અને પછી દર મહિને ₹૧૧૦ ભેળાં થાય તેને સભ્યો વત્તા વારાફરતી ધીરવાનું ચાલું કર્યું. પછી તો નવા સભ્ય ઉમેરતાં ગયાં અને માસિક ફાળાની રકમ ₹૨૫ કરી ધિરાણની રકમ મોટી કરતાં ગયાં. મંડળ લગભગ દસ વર્ષ ચાલ્યું અને તેને કારણે મને ધીરધાર, વ્યાજ ગણન, વસૂલાત, હિસાબ લખવાં વગેરે મહાવરો થઈ ગયાં. 

૧૯૭૫ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે શહેરકોટડાની બેઠક જનતા મોરચા વતી મજૂર મહાજન સંઘના ફાળે આવેલી તેમાં ખેમાભાને ઉમેદવાર બનાવવાનું સૂચન થયેલ પરંતુ તેમનાં મિત્ર નારણભાઈ રણછોડભાઈની તરફેણમાં તેમણે તે તક જતી કરી હતી. જો કે નારણભાઈ ચૂંટણીમાં કોંગ્રેસના નરસિંહભાઈ મકવાણા સામે હારી ગયા હતાં. જોકે સરકાર તો જનતા મોરચાની બનેલ. તેમાં મજૂર ખાતાના મંત્રી તરીકે મજૂર મહાજનના નવીનચંદ્ર બારોટ બનેલ. તેમણે ચાલીઓનાં જીવનમાંથી મજૂરોને મુક્ત કરવા ચાલીઓમાં આવી સ્લમ રીડેવલપમેન્ટની મીટિંગો કરેલ. મારી ઉંમર એ વખતે પંદર વર્ષ પણ હું ખૂબ સક્રિય. પિતાને કારણે મને મજૂર મહાજન સંઘના આગેવાનો અરવિંદ બુચ, શાંતિલાલ શાહ, મનહર શુક્લ અને નવીનચંદ્ર બારોટનો પરિચય રહેતો. મેં પણ તે બેઠકોમાં ઉપસ્થિત રહી યોજનાને ટેકો જાહેર કરેલ અને ચાલીમાં રહેતાં મજૂરોને સમજાવવા પ્રયત્ન કરેલ. પરંતુ અમારી છત પર બીજા ફલેટ બને અને તે પર કોઈ રહેવા આવે તેથી અમારા આકાશી અધિકારનું શું? તેવા સંકુચિત ખ્યાલથી તે યોજના ભાંગી પડી અને કટોકટીના થોડાક મહિના પછી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગતાં સ્લમ રિડેવલપમેન્ટમાં તે ઉમદા વિચારનું બાળમરણ થયેલ. હજી બીજો એક દશકો મારે અર્બન સ્લમ્સની એ ગંદકીમાં વિતાવવાનો હતો. 

મજૂર મહાજન સંઘ અને મોરારજી દેસાઇને કારણે અમે પણ કટોકટીનો વિરોધ કર્યો. તે વખતે છાપા પર તો સેન્સર તેથી સંવેદનશીલ સમાચારો વાંચવા હોય તો ફરતી પત્રિકાઓ પર નજર કરવી પડે. તે વખતે પ્રેસના નામ વગરની પત્રિકાઓ કોઈક ખાનગીમાં છપાવી મહોલ્લે મહોલ્લે અને ચાલીએ ચાલીએ વિતરણ કરાવતું. આખી ચાલી વચ્ચે એકાદ બે પત્રિકા ભાગ આવે. અને ચોકમાં ઊભા રહી એકબીજા પાસેથી લઈ વાંચીએ. તેમાંય જ્યોર્જ ફર્નાન્ડીઝ અને સુબ્રમણ્યમ સ્વામીને મળેલી જેલ અને યાતનાઓની દર્દનાક કહાનીના વર્ણનથી જેઓ વર્ષોથી કોંગ્રેસી હતાં તે પણ પલટાવા માંડયા. જો કે કોંગ્રેસની વોટ બેંક એટલી ઊંચી કે શહેર કોટડાની બેઠક પરથી કોંગ્રેસનો ઉમેદવાર કદી ન હારે. 

મારી પડોશમાં જ દારૂનો વેપાર. તેથી દારૂ, દારૂડિયો, જુગાર, પોલીસ અને વ્યસનોથી થતી પાયમાલી સમજવા જાણે કુદરતે મને તેવાં જ ઠેકાણે બેસાડી દીધો હતો. 

ચાલીનું જીવન એટલે પૃથ્વી પરનું નર્ક. ૮૦ ઓરડી અને ૨૫ છાપરાંઓ વચ્ચે દસ જાહેર જાજરૂ. પુરુષો બધા સવારે જાય અને મહિલાઓ રાત્રે. મહિલાઓની રાત્રિસભા તો ખુલ્લામાં થતી. પુરુષો સવારે ૨૦૦ એમએલ પાણીના ચંબા ભરી આવે અને લાઈનમાં લાગી જાય. જાજરૂ માટે એક કુંડી પરંતુ નગરપાલિકાનું પાણી સાવ ધીમું અને અડધો કલાક આવે તેથી કુંડી ભરાય નહીં અને જાજરૂની નીક સાફ થાય નહી. તેમાંય ઉપરની બેઠકનો પત્થર કોઈ બગાડી જાય તો જુગુપ્સા વધી જાય. જેમ તેમ કરી વારો આવે એટલે એ દુર્ગંધના નર્કમાં બેસવાનું અને ભાગીને બહાર આવી જવાનું. ચોમાસામાં તો કીડા પડે. બે-ત્રણ મિનિટ બેઠાં હોય તો કીડા પગ પર ચડી જાય અને તન મનમાં અરેરાટી વ્યાપી જાય. એ નર્ક જેવાં જાજરૂ અને કીડા મને ચાલી છોડવા જોર જોરથી ધક્કો મારી રહ્યા હતાં. મને ભારતીય વહીવટી સેવામાં મોકલવા કદાચ એ તેમનો સૌથી મોટો ધક્કો હતો. 

પિતા ગાંધીવાદી તેથી મારું ગાંધી વાંચન ખૂબ સારું. પિતાએ ૧૯૬૧માં મજૂર મહાજનના પ્રતિનિધિ મંડળમાં ભાવનગર સેશનમાં ભાગ લીધો હતો અને પંડિત નહેરુને મળ્યા હતાં. ગાંધીજી બે વર્ષનું ભારત દર્શન કરી ૧૯૧૭માં કોંગ્રેસ અધિવેશનમાં કલકત્તા ગયા ત્યારે તેમણે પાયખાના સાફ કરેલાં તે મેં વાંચેલું. તેઓ જેલમાં હતાં ત્યારે પણ પાયખાના સાફ કરતાં. હું દરરોજ જનતા જાજરૂની એ ગંદકી જોતો અને તે સાફ કરવા આવતાં એક વાલ્મિકી યુવક ભીખાને જોતો. તેણે ભણવાનું છોડી ચાલી વાળવાનું અને જાજરૂ ધોવાનું કામ અપનાવી લીધેલું. તેને લોકોની ગંદકી સાફ કરતાં જોઈ મને તેના પર કરૂણા ઉપજતી. હું તેને જોતો અને મનથી ગાંધીને અને પછી મનોમય નિશ્ચય કરી તેની વેદનાને વહેંચવા એકવાર તેની સાથે પાયખાના ધોવા લાગી ગયો. તે ઘટનાએ મને લોકોને પડતાં દુઃખ દર્દને સમજવાં એક મોટી સમજણ આપી દીધી. 

મને ભણવાનો અને ભણાવવાનો શોખ. તેથી સચિવાલયની નોકરીથી છૂટી ઘેર આવું એટલે રાત્રિશાળા ચલાવું. ચાલીના ચોગાનમાં ડેલાની દિવાલે પ્લાસ્ટર અને કાળો કલર કરી નોટિસ લખવાં એક કાળું પાટિયું બનાવેલ હતું અને મ્યુનિસિપાલિટીનો સ્ટ્રીટ લાઇટનો થાંભલો આવી ગયેલ તેથી તેના અજવાળે હું પ્રાથમિક શાળાના બાળકોને ભણાવતો. પાઠ વંચાવું, તેનો અર્થ સમજાવું, ગણિત અને ઘડિયા કરાવું અને તે રીતે તેમનાં વાંચન, લેખન અને ગણનને મજબૂત કરતો. નાનકડી બોધ વાર્તાઓ કરી તેમને જીવન મૂલ્યોનું સિંચન કરતો. મહાપુરુષોની વાર્તા કરી તેમનામાં દેશભક્તિ જગવતો. 

મને ક્યાં ખબર હતી કે જીવનની આ પાઠશાળા મને કોઈ મોટી જાહેર સેવા માટે તૈયાર કરી રહી હતી. 

૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫

Monday, September 15, 2025

ખેમાભાનો રઝળપાટ

 ખેમાભાનો રઝળપાટ 

ખેમાભા એટલે મારા પિતા ખેમચંદ વાલજી. તેમનો જન્મ સન ૧૯૨૦-૨૧ આસપાસ ભટારિયા ગામે થયેલો. વાલાભા અને સુંદરબાના એ પાંચમાં સંતાન. સન ૧૯૩૦માં તેમના પિતા વાલાભાનું ૪૫ વર્ષની ઉંમરે અવસાન થયું ત્યારે તેઓ આશરે નવ વર્ષના. કુટુંબનો મોભી મરી જતાં આખું કુટુંબ વેરવિખેર થઈ ગયેલું. પહેલાં તો તેમની ફૂઈ ડઈબા તેમને ગોકળપુરા લઈ ગયા પરંતુ ત્યાંનું પાણી માફક ન આવ્યું. ખારું પાણી પી પી તેમને ઝાડા થઈ જતાં તેથી બેએક વર્ષ રહી ભટારિયા પાછા આવ્યા. ગામમાં નિશાળ નહીં અને જોટાણાની નિશાળે કોઈ લે નહીં તેથી તેઓ નિરક્ષર રહી ગયેલ. વાસમાં તેમની ઉંમરના મેલા જોડે તેમને દોસ્તી. બાર વર્ષની ઉંમરે તેમણે બંને જાકાસણા ગામની સીમમાં કૂવીમાં બેસી બીડીનો સ્વાદ લીધેલો. મોટાભાઈ નરસિંહભા પરણેલાં તેથી તેમની વહુનું આણું થયું એટલે અમદાવાદ જઈ લક્ષ્મી કોટન મિલમાં ચડી ગયા. સોમાભા અને ખુશાલભાએ પણ ગામ છોડ્યું. ખેમાભા પણ ૧૪ વર્ષની કાચી ઉંમરે ૧૯૩૪માં અમદાવાદ ભેળાં થઈ ગયા. સુંદરબા અને બે દીકરા જેઠીબા અને સંતોકબા ગામડે રહ્યા. 

તે જમાનામાં મફત કોઈ ખાય નહીં. જેવી આવડે તેવી મજૂરી કરે પરંતુ પોતાના સ્વમાનને ઠેસ ન પહોંચવા દે. ગામ હોય તો દહાડીએ જવાય પરંતુ આ તો શહેર. કેવોક વિચાર આવે? ખેમાભાએ છૂટક મજૂરી કરી એક આનો કમાઈ લીધો પછી પોલીશની એક ડબી અને એક બ્રશ ખરીદ્યું અને કાલુપુર રેલવે સ્ટેશનની સામે બુટપોલીશનિં કામ કરવા બેઠાં. પરંતુ જેવા પહેલાં જ ગ્રાહકનો બુટ પોલીશ કરવા હાથમાં લીધો કે તેમનાથી મોટો પિતરાઈ ભાઈ લવજીભા તેમને જોઈ ગયો. અલ્યા આપણાથી આવું કામ થાય? ઊભો રહેજે. તેમણે પગમાંથી જોડું કાઢી મારવા દોડ્યા અને ખેમાભા તો જાય ભાગ્યા. પછી તો એ પોલીશ અને બ્રશને ક્યારેય હાથ ન લગાડ્યો. મિલમાં આમ તો પુખ્ત ઉંમરે દાખલ થવાય પરંતુ ઓળખાણ શરમમાં નાની ઉંમરે પણ નાના કામમાં કોન્ટ્રાટી લઈ જાય. તેથી તેઓ મિલમાં કામે ચડ્યા. ચારેય ભાઈઓ હવે અમદાવાદમાં મિલ કામદાર હતાં. શરૂઆતમાં તેઓ મોટાભાઈ નરસિંહ ભેળું રહ્યા પરંતુ તેમની જોડે ન ફાવ્યું એટલે ચોરગલીમાં મગુનાવાળા તેમના ફોઈના દીકરા જેસિંગભા રહે તેમને ત્યાં વિશીમાં રહેવા જતા રહ્યા. 

ખેમાભાને ગોકળપુરા ફોઈના દીકરા અંબારામભા જોડે ખૂબ સારું બનતું. અંબારામભાનું લગ્ન ગાંભુ ગામે ગુરૂ કાનપીર વૈષ્ણવ ગાદીના મહંત બેચરદાસની પુત્રી ચંચળ જોડે થયેલું. ગુરુ બેચરદાસ ઘોડી રાખે, પાઠ, માંગણીએ જાય અને ઊંચા ઢોલિયે બેસી સત્સંગ કરે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનું ચરોતર અને ભાવનગર સુધી તેમનાં શિષ્યો. સન ૧૯૩૯માં તેમનું દેહાવસાન થતાં તેમના મોટા પુત્ર મૂળદાસ ગુરૂ બન્યાં. તે વખતે મૂળદાસની મોટી પુત્રી પૂંજી ધોરણ પાંચનો અભ્યાસ પૂરો કરી શાળામાંથી ઉઠી ગયેલ તેની ઉંમર ૧૬ વર્ષની. આમ તો મારા પિતાનું પરગણું ચુંવાળ અને માતાનું પાટણવાડો તેથી સામાન્ય સંજોગોમાં આ સગપણ થાય નહીં. પરંતુ મારી બાની ફૂઈ ચંચળના લગ્ન ગોકળપુરા મારા પિતાની ફોઈના દીકરા અંબારામભા સાથે થયેલા તેથી અંબારામભા એ મારા માવતરનું સગપણ કરાવેલું. સંવત ૧૯૯૭ના વૈશાખ સુદ અગિયારસ તા. ૧૮/૫/૧૯૪૦ નારોજ તેમણે આપબળે કમાઈને લગ્ન કર્યા. એ જમાનામાં જાન પરણવાં જાય એટલે રસ્તામાં જે કોઈ સગાવહાલાના ઘર આવે ત્યાં રોકાતી જાય અને મહેમાનગતી કરતી જાય પરિણામે અઠવાડિયે પહોંચે. પરણવાના માંડવે પણ બે-ત્રણ દિવસના ઉતારા અને પછી વળતાં વાયણું ખાતા ખાતા પાછા ફરે એટલે કુલ આઠ-દસ દિવસનો પ્રવાસ થઈ જાય. મુરતિયો તો ગણેશ બેસાડી પીઠી કરી હોય ત્યાંથી પરણીને ઘેર આવે, વહુનો ગૃહપ્રવેશ થાય, પછી ગણેશ ઉઠાડે ત્યારે નાહ્યા ધોયા ભેળો થાય. પીઠીવાળુ પીળું શરીર, કાંડે મીંઢળ અને હાથમાં કટાર, શ્રીફળ લઈ મેલોઘેલો ફરતો મુરતિયો જોવા જેવો થતો. પરંતુ એ જમાનો બાહ્ય દેખાવનો ઓછો અને હેતના હરખનો વધુ તેથી હૈડાના હેતનો આનંદ લગ્નના પ્રસંગે હિલોળા લેતો. 

મારી બા પરણી ત્યારે તેની ઉંમર સત્તર વર્ષ હતી અને મારા પિતાની ઉંમર ઓગણીસ. પરંતુ પિતા દેખાવે પાતળા અને ઊંચા તેથી ઉંમરમાં નાના જણાય. જાન પરણીને પાછી ફરી ત્યારે મહેસાણા રેલવે સ્ટેશને પોલીસે બાળ લગ્ન ગણી તેમની રોક કરેલ પછી સમજાવટથી જવા દીધેલ. ત્યારે લગ્નની કાયદેસરની વય પુરૂષ માટે ૧૮ વર્ષ અને સ્ત્રી માટે ૧૪ વર્ષ હતી. 

હવે પરણ્યા એટલે જુદી ઓરડી જોઈએ. અને ૧૯૪૦માં મહિને આઠ આનાના ભાડે નટવરલાલ વકીલની ચાલીમાં ઓરડી ભાડે લઈ નવા જીવનની શરૂઆત કરી. મારા પિતા મિલમાં કામદાર તેથી મારી બા પણ મિલમાં કામે ચડી. મિલમાં ત્યારે કામના કલાકો ૧૨ હતાં. ડોફરનો પગાર માસિક ₹૩ અને પીસરનો ₹૭ હતો. પરંતુ રૂપિયો ત્યારે ગાડાના પૈડા જેવડો તેથી ગુજરાન ચાલી જતું. ખેમાભાની સાથે પૂંજીબા પણ મિલમાં કામે ચડી ગયા. ૧૯૪૧માં મારી બા ગર્ભવતી બની. મારા પિતાએ દેવું કરી સીમંતનો પ્રસંગ ઉજવ્યો. તે વખતે ડીલીવરી ઘરે થતી. બાની પહેલી સુવાવડ અને દાઈને ન ફાવ્યું તેથી પુત્ર મરેલો જન્મ્યો. તેમના જીવનમાં હવે દુઃખના વાવડ શરૂ થઈ ગયાં. 

બીજું વિશ્વયુદ્ધ અને દેશ આખો “ભારત છોડો”, “કરેંગે યા મરેંગે” ના નારા હેઠળ આઝાદીનું આંદોલન ચલાવે. ૧૯૪૨માં ગાંધીજીની હાકલનો પ્રતિસાદ આપી અમદાવાદના મિલ મજૂરોએ પણ સાડા ત્રણ મહિનાની હડતાલ પાડી દીધી. મજૂરો જ્યાં રોજ પાશેર લાવીને ખાતાં તેમને વગર પગારે પેટ ટૂંકું કરી એ દિવસો કાઢવા ભારે વસમાં હતાં. પૂંજીબા અને ખેમાભાએ તે હડતાલમાં જોડાઈ દેશની આઝાદીની ચળવળમાં પોતાનો ફાળો આપ્યો હતો. 

ખેમાભાના મોટાભાઈ સોમાભા મિલમાં જોબ્બર. શરીરે બળવાન, મોટી આંખો અને ગુસ્સે થાય તો મારવાડાના ગાડાનો એક્કો ઉપાડી મારવા દોડી શકે. ઢાળેલા ખાટલાના એક પાયાને પકડી ચારે પાયાને સમતોલ ઉઠાવવાની શરત તે જીતી લેતાં. તેમને મિલના સુપરવાઈઝર ભાલસાહેબની દોસ્તી. બંને અંગ્રેજી પીવાના શોખીન. સોમાભા ઈંગ્લીશ દારુની ચપટ બાટલી ગજવામાં રાખે અને થોડી થોડી વારે ઘૂંટ ભરી પીતા રહે એટલે મોટી આંખો લાલ રહે. તેઓ જેવા ખાતામાં દાખલ થાય તો બધાં શિસ્તબદ્ધ કામે લાગી જાય અને હાકોટો કરે તો ડરપોક કામદારો ખૂણે લપાઈ જાય. સોમાભાને નાના ભાઈની વહુ મિલમાં કામ કરે તે ન ગમે. તેમના કડપનો સ્વાદ નાનાભાઈ ખેમાને પણ મળેલો. તે વખતે થ્રોસલના મશીનોના પટ્ટા ચાલુ મશીને ચડતાં. મિલમાં રણજીત નામનો એક સુંદર યુવાન પટ્ટો ચડાવતાં પટ્ટામાં આવી જતાં મરી ગયેલ તેથી બધાં ભય પામે. પરંતુ કામમાં ભાઈ નહીં. સોમાભાના હુકમથી ખેમાભાએ મશીન પરના પટ્ટા ચડાવવા પડતાં. 

૧૯૪૩માં પૂંજીબા બીજીવાર ગર્ભવતી થયાં, પૂરા મહિને જીવણભાઈનો જન્મ થયો. નાનું બાળક ઘેર મૂકી મિલમાં કેવી રીતે જવાય? તેથી લાઈનની છેલ્લી ઓરડીમાં રહેતાં મોતીબેનને મહિને એક રૂપિયો આપવાનો ઠરાવી જીવણભાઈને ત્યાં મૂકી મિલનું કામ ચાલુ રાખ્યું. પરંતુ સન ૧૯૪૪માં અંબાલાલ શેઠને કંઈક તકલીફ પડી અને તેમણે ધોળકા (બગીચા મિલ નં.૨) મિલ બંધ કરી દીધી. અહીં મિલ બંધ થતાં બેરોજગારી થઈ બીજી બાજુ નાની બહેન સંતોકનાં લગ્નનો ઝઘડો ઊભો થયો. દુકાળમાં અધિક માસ. પંચાતીયા દિવસે દહાડી કરે અને બપોરે રાત્રે રોટલા ખાવા અને ધબાડી કૂટવા આવે. ખેમાભાએ દેવું કરીને પણ બહેનના લગ્ન જીવનનું ભંગાણ અટકાવ્યું. 

અમદાવાદ નટવરલાલની ચાલીના નાકે ગિરિરાજ શેઠનું લાકડાનું પીઠું. મારા પિતા લાકડાં ફાડે અને મારી બા તે પીઠામાં ગોઠવે. પીઠુ ગિરિરાજ ચલાવે પરંતુ તેમના પિતા ધર્મમય, ભગવત પાઠ કરે તે મારી બા કામ કરતી જાય અને સાંભળતી જાય. ગિરિરાજને બે પત્ની કસ્તુરી અને શીલા. પહેલી પત્નીને સંતાન ન થવાથી બીજી કરેલ. ગિરિરાજ અને કસ્તુરી બંને પૂંજીબા પર કરુણા રાખે. મિલમાં લાકડાંનું કામ કરતાં દૂરના મણિનગર તરફના કોઈ કોઈ ગ્રાહક આવે તો લાકડાનો ભારો માથે ઉપાડી બા ને તેમને ઘેર નાંખવા જવું પડતું. મારી બા કહેતી કે તેને પહેરવા એક જ સાડી રહેતી, તેથી રાત પડે એટલે ધોઈને સૂકવી દેતી અને સવારે પહેરી લેતી. મારા પિતા એકવાર તેના માટે બગલમાં સંતાડીને નવી સાડી લઈ આવ્યા પરંતુ ચાલીમાં તેમની ભાણી પાસેથી ઉછીના પૈસા લીધેલા તે અપમાન કરી લઈ ગઈ. ગરીબી અને અવમાનના એ સમયમાં મારા પિતાને તમાકુ અને બીડી પીવાની અને માતાને બીડી પીવાની લત લાગી. બા ભારો નાંખવા જાય ત્યારે રસ્તામાં અડધી પી ફેંકેલી બીડી વીણી લાવે અને પીએ જેને કારણે તેને બ્રોન્કાઈટીસનો રોગ થયો જેણે પછી પચાસ વર્ષ સુધી તેનો સાથ ન છોડ્યો. 

મારી બાને ૧૯૪૦ થી ૧૯૫૪ના ચૌદ વર્ષના ગાળામાં કુલ નવ સુવાવડ આવી. શાહજહાંએ જેની યાદમાં તાજમહેલ બંધાવ્યો તે મુમતાઝ ૧૮ વર્ષમાં ચૌદ સંતાનો જણી ૩૮ વર્ષની નાની ઉંમરે ચૌદમા સંતાનના જન્મ વખતે મૃત્યુ પામી પરંતુ મારી બા દારૂણ ગરીબી વચ્ચે નવ સુવાવડો પછી પણ ટકી રહી કારણકે મારે હજી આવવાનું બાકી હતું. ભારતમાં બાળમૃત્યુ દર એટલો ઊંચો હતો કે વધુ બાળકો જણવાં એ ઘર ઘરની કહાની હતી. 

ધોળકા મિલ પછીથી શેઠ જયંતીભાઈ ભીખાભાઈએ ૧૯૫૪માં ખરીદી ચાલુ કરી પરંતુ ૧૯૪૪ થી ૧૯૫૪નો એ બેરોજગારીનો દશકો મારા માતાપિતાને દારૂણ ગરીબીમાં લઈ ગયો અને તેઓ ૩૧-૩૨ વર્ષની યુવાન ઉંમરે વૃદ્ધ થઈ ગયાં. એ કાળ એટલો વસમો અને ભારે હતો કે પછી સુખી જીવનમાં પણ તેને યાદ કરતાં રહ્યા. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ તેમનો સમય ધીમો પડી ગયો હતો અને દસ વર્ષનો એ કપરો કાળ જાણે ત્રીસ-ચાલીસ વર્ષની પીડા મળી હોય તેમ યાદ રહ્યો. 

૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫

Sunday, September 14, 2025

મારું કુળ - ૨

 મારું કુળ -૨

મૂળાભાને બે દીકરા, ભુદરભા અને ડોસલભા. ભુદરભાના પત્ની શ્યામબા. તેમને છ સંતાનો, ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ. દીકરાઓમાં મોટાં વાલાભા તે મારા દાદા. તેમના જન્મનું વર્ષ અંદાજે ૧૮૮૫. છપ્પનિયા કાળના ચોથા વર્ષે એટલે કે સન ૧૯૦૪માં વાલાભાના લગ્ન કરણનગર સુંદરબા જોડે થયેલા.

તે જમાનામાં જમીનોના રેકર્ડે પરના કબજેદારો તો કટોસણના દરબારો પરંતુ જમીનનો કબજો ભોગવટો ખેડૂતોનો. વાલાભાને તે રીતે ખેતીમાં ૮૦ વીઘા જમીન. ખેતી હોય તો પશુપાલન હોય જ તેથી ગાય, બળદ, ભેંસ, વાછરડાં, પાડી વગેરે ઢોરઢાંખર ઘણા. ચોમાસું ખેતી પરંતુ વરસાદ ખેંચાય અને ઢોરઢાંખર માટે ઘાસ માટે સિંચાઈની જરૂર. તેથી ગામ નજીકના ખેતરમાં કૂવો ગળાવી તેઓ બળદ અને કોસથી મદદથી સિંચાઇ કરતાં. સુખી ઘર. અનાજ, દૂધ, ઘીની છૂટ તેથી ઘર આંગણે કુળ કુંવાસી, મહેમાન પરોણાં કાયમ હોય અને ગોરગામોટ, તૂરી, બારોટ, નાયક બધાં પોસાય. તેમને સાત સંતાનો. તેમના બે ભાઈ ગોવાભા અને રામાભા નાની ઉંમરે ગુજરી જતાં તેમના કુટુંબો સહિત સંયુક્ત કુટુંબનો બધો ભાર, કાર વહેવાર, લગ્નો, મામેરાં તેમનાં ભાગ પડેલાં જે તેમણે સારી રીતે નિભાવેલા. તેમના બાપા ભુદરભાના મરણ પાછળ કળશિયો ભરી તેમણે સામાજિક પ્રતિષ્ઠા મેળવેલી.

વાલોભા શરીરે કદાવર, મોટી મોટી જંઘા અને ભુજાઓ. નીચે ધોતી અને ઉપર રબારીઓ પહેરે તેવી આંગળી. માથે મોટી પાઘડી, કાનોમાં સોનાની મરચી પહેરી હાથમાં મોટી ડાંગ લઈ ચાલે એટલે એક પડછંદ પ્રતિભાનાં દર્શન થાય. ગામ ગામેતરા તેઓ ચાલીને જ જતાં. સાસરી કરણનગર પચીસ ગાઉ ચાલીને જાય. રાત્રે નીકળી સવારે પહોંચે. આખો દિવસ રોકાઈ રાત્રે પાછા વળે અને સવારે ભટારિયા પહોંચી જાય. 

તેઓ મેલડીના ભુવા તેથી નિયમ પાલન કરે અને જ્યાં બહારનું ખાય પીએ નહીં. દારૂથી તેમણે તેમનો કોઠો અભડાવ્યો નહોતો. બહારગામ જાય તો કાયમ જોડે દોરી લોટો સાથે રાખે. માર્ગમાં તરસ લાગે તો કૂવામાં લોટો નાંખી પાણી ખેંચી હાથ ધરીને પી લેતાં. મેલડીના મઢે રમણ હોય કે નૈવેદ્ય-પૂજા, ડાબા અંગૂઠાની દોરી છોડતાં વેંત તેમની કુંડલિની શક્તિ જાગૃત થઈ જતી. માતાના મઢ પર બેસી શક્તિ આરાધના કરી ધૂણવાની પ્રથા કુંડલિની જાગરણની એક તાંત્રિક વિધિ છે. જેમાં નિયમ પાલન, શિસ્ત, સંયમ અને ભક્તિ અતિ મહત્વના છે. આજકાલ તો હાકોટા કરી શરીર હલાવનારા ઝાઝા અને શક્તિ જગાવનારા ઓછા જણાય છે. દેવી ઉપાસનાની શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રેખા સાન પાતળી તેથી અંધશ્રદ્ધાળઓને વધતાં વાર નથી લાગતી. 

વાલાભાની દેવી ઉપાસનાની શક્તિની વાત કરતાં મારા પિતા જણાવતાં કે તેમના હાલનાં ખેતરની બાજુમાં કાશીરામ પટેલનું ખેતર. સેઢા ભેળા થાય ત્યાં તકરાર રહેવાની. તમારો બળદ મારું ખેતર ભેળી ગયો એવી ફરિયાદ કરી કાશીરામે વાલાભાનો માનીતો રેલ્લો એકવાર ગામના ઢોર ડબામાં પૂરાવેલો. વાલોભા છોડાવવા ગયા તો કાશીરામે ગાળો બોલી સોટું માર્યું. જેને કારણે વાલાભાની પાઘડી ગામ વચ્ચે પડી ગઈ. એ વખતે પાઘડી પડવી તે ભારે અપમાન ગણાતું. વાલાભાએ પડેલી પાઘડી લાવી માતાના મઢે મૂકી અપમાનનો બદલો માંગ્યો. કહેવાય છે ત્યારબાદ કાશીરામ પટેલના બે પગ ત્રાંસા થઈ ગયેલાં અને ખૂબ હેરાન થયેલાં. કાશીરામ પટેલના સંતાનોએ પછી તેમના ખેતરમાં મેલડી બેસાડી તેનું નૈવેદ્ય કરતાં. એ ઘટના પછી ગામમાંથી કોઈએ પણ વાલાભા કે તેમના કુંટુંબને ક્યારેય રંજાડ્યુ્ નહીં. 

વાલાભા અને સુંદરબાને સંતાનોમાં ચાર દીકરા અને ત્રણ દીકરીઓ; અનુક્રમે માણેકબા, નરસિંહભા, ખુશાલભા, સોમાભા, ખેમાભા, જેઠીબા, સંતોકબા. સંતાનોમાં પાંચમા અને ચાર દીકરાઓમાં સૌથી નાના ખેમાભા મારા પિતા. તેમની હયાતીમાં સાત સંતાનો પૈકી તેમણે સન ૧૯૨૭મા મોટી દીકરી માણેકબાને બાન્ટય ખોડાભાઈ સાથે અને સન ૧૯૨૯માં મોટા પુત્ર નરસિંહભાને કરસનપુરા પૂંજીબા સાથે પરણાવેલાં. જાન ચાલતાં ભટારિયાથી કટોસણરોડ અને ત્યાંથી વિરમગામવાળી ટ્રેનમાં કરસનપુરા પહોંચેલી. મારા પિતા ખેમાભાની ઉંમર તે વખતે આઠ નવ વર્ષની હશે તેથી વાલાભાએ તેમને ખભે બેસાડી કટોસણરોડ સુધી તેડેલા. પિતાનો એ સ્પર્શ  ખેમાભાને જીવનભર યાદ રહ્યો.  તેઓ સન ૧૯૩૦માં ગુજરી ગયા ત્યારે મારા પિતાની ઉંમર નવેક વર્ષની. તેમને તેમના પિતાની આછી પાતળી ઝાંખી. તેમને એટલી ખબર કે તેઓ પડછંદ અને મજબૂત કાયા ધરાવતા તેમના પિતા ભારે ઉદ્યમી અને પ્રેમાળ હ્રદયના હતાં. તેઓ તેમના બચપણને યાદ કરી કહેતા કે એકવાર ખેતરે રમતાં રમતાં કોષના ડબાનું પતરું તેમને જમણાં હાથના અંગૂઠાની અંદરની બાજુ વાગી જતાં લોહીની ધાર થયેલી. વાલાભાએ તરત જ પાઘડીનો છેડો ફાડી પાટો કરી બાંધી દીધેલો. અંગૂઠાની અંદર ઘાના નિશાનને જોઈ પિતાના કોમળ હ્રદયની સ્મૃતિ યાદ કરી તેઓ ઘણીવાર રોઈ પડતાં. 

એક સરખા દિવસ સુખના કોઈના જતાં નથી. વાલાભાને કુટુંબની જવાબદારી મોટી તેથી ખર્ચ પૂરો કરવાં સિંચાઈ કરી અને પશુપાલનનો ટેકો રાખેલો. પશુપાલન કરતાં વધારાનાં ઢોર વેચી દેતાં. આવા જ એક પ્રસંગે તેઓ બળદ વેચવા ચાલતા સરસપુર અમદાવાદ આવેલાં. રાત્રે બહાર સૂતાં તેથી તેમને પગે જૂવા કરડી ગયા હતાં. પછીથી પગ પાક્યો અને ન મટ્યો. દિવસે દિવસે રોગ વધતો ગયો અને તેઓ ખાટલાવશ થઈ ગયા. કદાચ ગેંગરીન થઈ ગયું હશે. તેઓ પથારીમાંથી ફરી પાછા ઊભા ન થઈ શક્યાં. સન ૧૯૩૦માં ૪૫ વર્ષની સાવ નાની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યાં. માતા, પત્ની, ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓનુ્ ભર્યુ્ભાદર્યુ્ ઘર આમ અચાનક નંદવાઈ ગયું. સુખી વાલાભાના સંતાનોની ખરી જીવન કસોટી અને કરમની કઠણાઈ હવે શરૂ થવાની હતી.

૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫

Thursday, September 11, 2025

મારું પ્રાથમિક શિક્ષણ

જૂન ૧૯૬૫નું બીજું અઠવાડિયું, મારે હજી પાંચ વર્ષની ઉંમર પૂરી થવામાં દોઢ મહિનો બાકી હતો. મારો ચાલી મિત્ર રમણ પરસોત્તમ તે દિવસે માથે તિલક અને નવા નક્કોર કપડાં પહેરી તેના પિતાની આંગળી પહેરી નરવેલા તરફથી તેના ઘર તરફ જઈ રહ્યો હતો. તેના પિતાએ પણ નવો લેંઘો, ખમીસ અને માથે કાળી ટોપી પહેરી હતી. હું મારા ઘરનાં આંગણામાં બે ગબી ગાળી તે વચ્ચે નીચેથી હોલ કરી પાણી એક ગબીમાંથી નાંખી બીજી ગબીમાં જાય તેવી રમત રમી રહ્યો હતો. મારા પિતા ખાટલીમાં બેઠા ગુજરીયું પી રહ્યા હતાં. મેં મોટેથી પૂછયું રમણ, આજે નવાં કપડાં પહેરી ક્યાં જઈ આવ્યો? તેનાં પિતાએ જવાબ આપ્યો કે તેનું આજે શાળામાં નામ લખાવ્યું. મેં મારા પિતા તરફ જોઈ કહ્યું, કાકા મારું પણ શાળામાં નામ લખાવોને. કુટુંબમાં પિતાને મોટાભાઈઓ હોય તેમને સંતાનો કાકા કહેતાં. મારા પિતાએ મારી વાતનું બહું ધ્યાન ન આપ્યું પરંતુ જેવું મેં રોવાનું શરૂ કર્યું એટલે અમારી લાઈનમાં ચોથા ઘરે અમારી કૌટુંબિક બહેન સોનીબેનના બીજો દીકરા નારણને બોલાવી કહ્યું કે આને ભણવું છે, શાળાએ જઈ નામ લખાવી આવજે. નારણે મારા ઘેરથી મારા જન્મનો દાખલો લીધો અને મને લીધો. અમે રસ્તામાં વાતો કરતાં કરતાં શાળાએ પહોંચ્યા. મેં કહ્યું કે મારું નામ પૂનમભાઈ ખેમાભાઈ ના લખાવતાં પરંતુ પૂનમચંદ ખેમચંદ લખાવવાનું છે. સામાન્ય નામ મારે ન ચાલે. મારે વિશિષ્ટ અને મોટા બનવાનું છે. વાતો કરતાં કરતાં અમે બંને રાજપુર શાળા નં.૧ પર પહોંચ્યા અને જેવો લાઈનમાં વારો આવ્યો એટલે નામ નોંધણી કરનાર સાહેબે મારો જન્મનો દાખલો જોઈ મને હજી પાંચ વર્ષ પૂરાં થયાં નથી તેથી પ્રવેશ ન મળે તેવું કહી અમને પાછા મોકલી દીધાં. આમ ગુરુવારે ધક્કો થયો. મેં ઘેર આવી રડવાનું શરૂ કર્યું એટલે નક્કી થયું કે કાલે ફરી જવું અને સાહેબને વિનંતી કરવી. અમે બીજા દિવસે ગયાં. નામ નોંધણી કરનાર સાહેબે ફરી ના કહી એટલે અમે આચાર્ય પુરુષોત્તમ પરમાર સાહેબની રૂમમાં ગયાં. મારી ભણવાની ઉત્કંઠા જોઈ તેમણે કહ્યું કે હાલ તુરંત મને ધોરણ-૧માં મેનાબેનના વર્ગમાં બેસાડવો. મને પહેલી હરોળમાં પાથરણાં પર બેઠક મળી ગઈ. 

ધોરણ ૧ના વર્ગખંડની દિવાલ પર પ્લાસ્ટરથી બનેલું બ્લેક બોર્ડ અને તેની ઉપરના ભાગે દિવાલ પર બે બિલાડીઓની વચ્ચે ત્રાજવું પકડીને રોટલો તોલવા બેઠેલો એક વાંદરો. અમારા વર્ગ શિક્ષક મેનાબેન પ્રેમાળ અને તેમનો અવાજ જાણે કોકિલ કંઠ. તે ભણાવે એટલે આનંદ આવે અને બધું યાદ રહી જાય. એ વખતે વર્ગશિક્ષક જ અંકો, અક્ષરો, બારાક્ષરી અને વાંચન લેખન કરાવતાં. પાટી પેનથી ભણાવાનું. દરરોજ બપોરે બાર વાગ્યાથી શાળા. શાળાના પટાંગણમાં પહેલાં ધોરણ મુજબ લાઈન થાય, સમૂહ પ્રાર્થના થાય અને પછી પોતપોતાના વર્ગ ખંડમાં જવાનું. મારો વર્ગખંડ ગ્રાઉન્ડ ફ્લોરમાં જમણી બાજુ છેલ્લેથી બીજો હતો. મેનાબેન દરરોજ વિદ્યાર્થીઓની નામ દઈ હાજરી પૂરે અને જેનું નામ આવે કે જય હિંદ કે જય ભારત બોલે. પરંતુ મારું નામ ન આવે તેથી દિવસની શરૂઆતમાં જ મારું મોઢું ફિક્કું પડી જાય. હાજરીમાં નામ ન બોલાય તો પણ હું શાળાએ નિયમિત જતો અને ધ્યાન દઈને ભણતો. થોડા જ દિવસોમાં હું મારા વર્ગ શિક્ષકનો ફેવરીટ વિદ્યાર્થી બની ગયો. હાજરી વગરનું શિક્ષણ આમ દોઢ બે મહિના ચાલ્યું હશે ત્યાં એક દિવસ હાજરી પૂરતાં મેનાબેન હસીને બોલ્યાં પૂનમચંદ ખેમચંદ પરમાર. હું રોજ બધાંના નામ સાંભળતો. મારાં કાન અચાનક સરવાં થયાં, આંખોમાં એક તેજ કિરણ ચમક્યું અને શરીરમાં વીજળી પસાર થઈ ગઈ. હું પૂરું જોર દઈ મોટેથી બોલ્યો જય હિંદ. પૂરો વર્ગખંડ મારા “જય હિંદ” અવાજથી ગૂંજી ઉઠ્યો. મારું નામ હાજરી પત્રકમાં આવવાથી મેનાબેન અને સહાધ્યાયીઓ સૌ રાજી થયાં. 

પહેલું ધોરણ પૂરું થતાં હું બીજા ધોરણમાં આવ્યો. મારો વર્ગ ખંડ પહેલાં માળે હતો. મારા વર્ગશિક્ષક ક્રિશ્ચિયન બહેન ગળામાં દાઝી ગયાના નિશાનવાળા હતાં અને તેમનો અવાજ પણ રૂક્ષ. તેઓ તેમનાં ગોરા અને રૂપાળાં પુત્રને લઈ શાળાએ આવતાં અને વચ્ચે રાખેલાં ટેબલ પર બેસાડતાં અને થોડી થોડી વારે બાટલીનું દૂધ ચૂસવા આપે. અમારું ધ્યાન તેથી બ્લેક બોર્ડના ભણતર પર ઓછું અને બાળકની હરકતો પર વધુ રહેતું. વચ્ચે વચ્ચે તે રડે એટલે તેની ક્રિશ્ચિયનને તેને ધમકાવે, મારે, રડાવે તેથી વર્ગખંડનું વાતાવરણ સાવ બગડી જતું. હું મનોમન ભગવાનને પ્રાર્થના કરતો કે હે ભગવાન પેલા બાળકને તેની માંના ત્રાસમાંથી છોડાવ અને કોઈ એવો રસ્તો કાઢ કે અમે પહેલાં ધોરણમાં ભણ્યા તેવું બીજામાં ભણી શકીએ. 

ધોરણ બીજામાં એક દિવસ સમૂહ પ્રાર્થના પછી મારા શાળામિત્ર જશુની પાછળ દોડી શાળાની સીડી ચડતાં મારો પગ તૂટેલા પગથિયાંની ધારે અથડાયો અને પડ્યો. મારી ડાબી આંખના ખૂણે પગથિયાંની ધાર વાગી ગઈ. લોહી નીકળવા લાગ્યું. ગજવામાં રૂમાલ નહીં. શાળામાં ફર્સ્ટ એઇડ નહીં. મેં પાટી-પેન રાખતો તે થેલી કાઢી લમણે દબાવી અને સીધો ઘેર પહોંચ્યો. હજી માં કંઈ પૂછે કે ક્યાં વાગ્યું, તેટલીવારમાં ESI દવાખાનાનું મફત સારવારનુ કાર્ડ લઈ હું દોડ્યો ડી-૨૫ દવાખાને. દવાખાનું અમારા ઘરથી બે કિલોમીટર જેટલું દૂર અને બપોરે બાર એક વાગે બંધ થઈ જાય. મેં ઝડપથી કેસબારીથી કેસ કઢાવી ક્લિનિકમાં બેઠેલા ડોક્ટર પાસેથી દવા લખાવી પછી પહોંચ્યો પાટા-પીંડીવાળી રૂમમાં. કચરાભાઈ કમ્પાઉન્ડરે તરત જ બળતરા થાય તેવું કોઈ પ્રવાહી લગાડી ઘા સાફ કર્યો. દવા લગાડી, પેડ લગાવી માથા ફરતો પાટો બાંધી દીધો. બાજુમાં જ સફેદ, ગુલાબી રંગની ગોળીઓના ભરેલા ડબા હતાં, તેમાંથી સફેદ ગોળીઓ લઈ કાગળમાં બાંધી મને આપી દીધી. દવાખાનેથી પાછા ફરી મેં કાર્ડ ઘેર મૂક્યું અને પાછો બાંધેલા પાટે સ્કૂલમાં જઈ મારી જગ્યાએ બેસી ગયો. વર્ગ શિક્ષક કહે વાગ્યું હતું તેથી આજે ન આવ્યો હોત તો ચાલત. પરંતુ નિશાળમાં દહાડો થોડો પડાય? ગેરહાજરીમાં મારું નામ આવે તે મને ન ગમે. 

પિતાજી મજૂર મહાજન સંઘના મેમ્બર અને રાજકીય ઘટનાઓથી ઘર માહિતગાર તેથી આઝાદીની ચળવળ, ગાંધીજી, પંડિત નહેરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ વગેરેના દૃષ્ટાંતો અમને પ્રેરણા આપતા. ૧૯૬૫ના ભારત પાકિસ્તાનનું યુદ્ધ, અઠવાડિયે એક ઉપવાસ, તાશ્કંદ કરાર પછી લાલ બહાદુર શાસ્ત્રીજીનું અચાનક અવસાન થતાં જાહેર રજા અને દેશમાં શોકના વાતાવરણનો દિવસો મને હજી યાદ છે. એ બંને વર્ષ હું શાળાએ આવતાં જતાં રસ્તાની બંને બાજુએ આવેલી દુકાનોના બોર્ડ વાંચી મારું વાંચન પાકું કરતો અને શાળામાં સંભળાવેલી પાંચ વાર્તાઓને જીવન ઘડતરમાં ઉપયોગમાં લેવા ચિંતન કરતો.

છ વાર્તાઓએ મારા જીવતરનો રાહ ઘડેલો. પહેલી તો અમારા વર્ગખંડની દિવાલ પરની બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી જવાની વાત જેમાંથી એકતા અને સંપનું મહત્ત્વ સમજાયુ. બીજી વાર્તા રાજા સત્યવાદી રાજા હરીશયંદ્રની. વચન અને સત્યની રક્ષા કાજે તેમણે પોતાની પત્ની અને પુત્રને વેચ્યાં અને ફરજનું પાલન કરતાં પોતાના પુત્રના અગ્નિદાહની ફી માંગવાથી પણ ન ચૂક્યા. ત્રીજી વાર્તા શ્રવણની. શ્રવણ કાવડ લઈને ફરતો, સેવા માતપિતાની કરતો. પોતાના અંધ માબાપને કાવડમાં બેસાડી તીર્થયાત્રા કરાવવા નિકળેલો શ્રવણ રાજા દશરથના શબ્દવેધી બાણથી હણાય છે અને મરતાં મરતાં રાજા દશરથને પોતાના માતાપિતાને તેનાં મરણના સમાચાર ન આપવા અને તેમની સેવા કરવાનું કહી માતૃ પિતૃ ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. મારા માતાપિતા જીવ્યાં ત્યાં સુધી તેમની ભાવથી ખડે પગે સેવા કરવામાં મેં પાછીપાની ન કરી. તેમના આશીર્વાદ અને કુટુંબની ગરીબી નિવારવાની ધગશે જ મને ભારતીય વહીવટી સેવામાં દાખલ થવાનો મોકો આપ્યો. ચોથી વાર્તા ગુરૂ દ્રોણે લીધેલી પાંડવો કૌરવોની પરીક્ષા જેમાં એક અર્જુન જ પાસ થયો જેને પક્ષીની જમણી આંખ જ દેખાતી હતી. લક્ષ્યવેધ કરવા ધ્યાન માત્ર લક્ષ્ય પર જ રાખવું તે સમજાયું. પાંચમી વાર્તા લાવરી અને તેના બચ્ચાંની. જ્યાં સુધી ખેડૂત બીજાની આશાએ પાકને લણવાની તૈયારી કરતો રહ્યો ત્યાં સુધી તેનાં બચ્ચાં ગભરાતાં પરંતુ લાવરી નિશ્ચિંત રહેતી. પરંતુ જેવું ખેડૂતે જાતે પાક લણવાનું નક્કી કર્યું કે લાવરીએ તેનો મુકામ ઉઠાવી લીધો. પારકી આશા સદા નિરાશનો એ મંત્ર જીવનભર કામ આવ્યો. હૈયું બાળવા કરતાં હાથ બાળવાં સારાં. તે બોધને કારણે વન મેન આર્મી તરીકે હું કોઈ પંણ કામ કે ચેલેન્જ ઉપાડવા સક્ષમ બન્યો. છઠ્ઠી વાર્તા ગાંધી બાપુની. તેઓ નાના હતાં ત્યારે અંધારાથી ડરતાં. તેમના ઘરમાં કામવાળા બેન રમાબેને તેમને રામનામનો મંત્ર આપેલો જેથી ભય લાગે તો રામનામ મંત્ર બોલી તે ભય હટાવતાં. મને પણ અંધારામાં ડર લાગતો. વળી ચાલીના મોટા છોકરાઓ રોજ ભેળાં થાય એટલે ભૂત, પ્રેત, જીન, ચુડેલની વાતો કરે એટલે ભયની સાથે ધ્રુજારી આવી જાય. ગાંધી બાપુમાંથી પ્રેરણા લઈ મેં પણ ભગવન નામ સ્મરણને મારો જીવનમંત્ર બનાવ્યો જેને કારણે અંધારું અને અવરોધો બધું પાર કર્યા. 

જેવું બીજું પૂરું થયું એટલે ત્રીજામાં અમને કહી દીધું કે તમારે પોપટીયાવડની નવી શાળા રાજપુર શાળા નં. ૩માં જવાનું છે. શાળા બદલાઈ તે મને ન ગમ્યું, પરંતુ જેવા નવી શાળામાં જનકબેનના વર્ગમાં ભણવા બેઠા તો રાજી થઈ ગયા. એક તો ક્રિશ્ચિયનબેનના કકળાટમાંથી છૂટ્યા અને બીજી તરફ કાળા પણ કામણગારા જનકબેન વર્ગ શિક્ષક તરીકે મળ્યા. ત્રીજું ધોરણ સરસ રીતે પૂરું કર્યું. લેખન, વાંચન અને ગણન એવું મજબૂત થઈ ગયું હતું કે મારા પિતા જે કોઈ મહેમાન આવે તેની સામે મને ચોપડી વાંચી સંભળાવા કહે અને મને પોરસ ચડાવે કે મારો દીકરો બહું હોંશિયાર, કડકડાટ વાંચે છે. 

પછી આવ્યું ચોથું ધોરણ. ફરી શાળા બદલાઈ કારણકે ધોરણ-૩ની શાળામાં એક જ ધોરણ હતું. ચોથા માટે હવે હું રાજપુર શાળા નં.૫માં આવ્યો. મારા વર્ગ શિક્ષક હતાં પ્રદીપભાઈ પરમાર. તેમણે મારી હોશિયારી જોઈ મને ઘડવાનું શરૂ કર્યું. એકા અને અગિયારા મને મોઢે. કેમ ન થાય? મારી બાને પા, અડધા, પોણા, એકા, અગિયારા, એકવીસા બધું કડકડાટ આવડે. હું ચોથા ધોરણમાં પ્રથમ આવ્યો અને વિશેષ હોવાનો ખ્યાલ મારામાં પ્રવેશ્યો. 

ધોરણ પાંચમાં મારા બે વર્ગ શિક્ષક થયાં પહેલાં સત્રમાં જશોદાબેન અને બીજા સત્રમાં નારણભાઈ પટેલ. જશોદાબેન બરાબર ભણાવે નહીં અને નારણભાઈનો સ્વભાવ નબળો. ગુસ્સે થાય તો જોડું છૂટું મારે. તે વર્ષે અમદાવાદમાં કોમી હુલ્લડોનું વર્ષ. અમારો વિસ્તાર તોફાનો કરવામાં અને કર્ફ્યૂ ભોગવવામાં અગ્રેસર. તેથી પાંચમું ધોરણ પરીક્ષા વગર સમૂહ બઢતીથી બધા પાસ થયાં. 

ધોરણ છઠ્ઠાંમાં શાળાનું મકાન ન બદલાયું પરંતુ નંબર બદલાયો કારણકે આચાર્ય અને શિક્ષકગણ અલગ હતાં. શાળા હતી રાજપુર શાળા નં ૭. હું બંને વર્ષે શાળામાં પ્રથમ આવ્યો. ધોરણ ૬ અને ૭ વિષય શિક્ષકો ભણાવતા તેથી તેમાં શિક્ષણના સ્તરમાં મોટો સુધારો થયો. પહેલીવાર પાટી-પેનમાંથી છૂટી નોટ પેન્સિલથી નોટમાં લખવાનું શરૂ થયું. શિક્ષણ સમિતિ તરફથી અપાતાં મફત પુસ્તકો તો વરસ પૂરું થવા આવે ત્યારે આવતાં તેથી સાહેબો જે ભણાવે તે અમારાં પુસ્તકો. અમૃતભાઈ પરમાર સાહેબે અમને અંકગણિત અને ભૂમિતિ એવાં તો ભણાવ્યાં કે તે પાયા પર આજે પણ મજબૂત ઈમારત તરીકે હું ઊભો છું. પ્રેમાનંદ પરમાર સાહેબ અમારા વર્ગ શિક્ષક અને આચાર્ય પણ. તેઓ ગુજરાતી ખૂબ સરસ ભણાવતાં. મારી બા હવે મારા શિક્ષણમાં દાખલ થઈ. મને રોજ પાઠ વંચાવે પછી ઊંઘવા દે. તે પાંચ પાઠ પૂરા થાય ત્યાં સુધી હોંકારો દેતી રહે પરંતુ દૈનિક વાંચનથી મારી યાદશક્તિ અને સમજણ શક્તિ વધતી ચાલી. 

મારે ઘેર દર વર્ષે શ્રાવણ મહિનામાં મહાભારત વંચાતું. દિવસપાળી હોય તો બપોરે ચાર વાગે અને રાતપાળી હોય તો સવારે નવ વાગે મહાભારત વંચાય. વૈશંપાયન એણીપેર બોલ્યાં સુણ જનમેજય રાય, વિસ્તારી તુજને સંભળાવું શાંતિ પર્વ મહિમાય. હું પહેલાં સાંભળતો પછી વારામાં વાંચતો થયો. વલ્લભકૃત મહાભારતની વાર્તા કરૂણ, રૌદ્ર, શ્રૃગાંર, શાંતિ, અદ્ભુત, વીર, ભયાનક રસોથી ભરપૂર. તેથી તેના રસસાગરમાં તરબોળ થઈ જવાય. તેથી જેવું સમૂહ વાંચન પૂરું થાય એટલે હું ઘરના ખૂણામાં બેસી આગળ શું થયું તે જાણવા એકલો વાંચતો અને તેમ કરતાં તે વર્ષે આખી મહાભારત મેં વાંચી લીધી હતી જેને કારણે તેની વાર્તાઓ અને પેટાવાર્તાઓ મને યાદ રહી ગયેલી. મારી બા વૈષ્ણવ, ગુરૂ કાનપીરની ગાદીના સંત બેચરદાસની પૌત્રી અને ગુરૂ મૂળદાસની દીકરી તેથી નિયમિત વલ્લભ રચિત શ્રીમદ્ ભાગવત વાંચે. તેથી વૈષ્ણવ સંસ્કાર અને શિસ્ત મને બચપણથી મળેલાં. મારી બા અમારી ચાલીની સામે આવેલ ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસરમાં દર રવિવારે પૂજા માટે નિયમિત જતી. તેના પિયર ગાંભુમાં ગંભીરા પાર્શ્વનાથ જૈન દેરાસર તેથી તેને જૈન સંસ્કારનું સાતત્ય રહ્યું. તે રવિવારે કાયમ શ્વેત સાડી પહેરતી. ચિંતામણિ પાર્શ્વનાથ જૈન દેરાસર મારી શાળાને અડકીને તેથી જૈન ધર્મ અને તેના સંસ્કારો પ્રત્યે મને રૂચિ રહેતી. 

જેવું ધોરણ સાત પૂરું થયું કે શાળાના આચાર્ય પ્રેમાનંદ સાહેબે મારું લીવીંગ સર્ટિફિકેટ રોકી રાખ્યું. મને કહે તારું નામ ખાડિયાની હાઈસ્કૂલમાં લખાવ્યું છે તેથી તેઓ લીવીંગ સર્ટિફિકેટ તે શાળાએ મોકલી આપશે. તે વખતે અમારા વિસ્તારની હાઈસ્કૂલમાં ડેમોક્રેટિક અને સેંટ જોસેફ હાઈસ્કૂલના સારાં નામ. સેંટ જોસેફ હાઈસ્કૂલ મારા ઘરની નજીક તેથી મારી રૂચિ ઘરની નજીક રહેવાની જેથી શાળાએ જવાય અને સમય બચે તો ઘરકામમાં બા અને ભાભીને મદદરૂપ થવાય. બીજું ખાડિયા શાળામાં મારા મોટાભાઈ કનુભાઈ અને તેમના બે મિત્રો અંબાલાલ અને મૂળજીભાઈ ભણવા ગયેલાં અને તેમનું શિક્ષણ સાવ કથળી ગયેલું મેં જોયેલું. તેથી કોઈ પણ કિંમતે ખાડિયા હાઈસ્કૂલમાં જવાની તૈયારી નહીં. તેથી મારા માનીતા છતાં અન્યાય કરતાં સાહેબ સામે મેં અવાજ ઉઠાવ્યો. સાહેબ મને મારું લિવિંગ સર્ટિફિકેટ આપો, મારે સેંટ જોસેફ હાઈસ્કૂલમાં નામ નોંધાવવાનું છે. સાહેબે બહું આનાકાની કરી અને જ્યારે મેં મારો રસ્તો રોકાતો જોયો એટલે દાણાપીઠ જઈ શિક્ષણ સમિતિમાં ફરિયાદ કરવાની ધમકી આપી. સાહેબ સમસમી ગયા અને ગુસ્સે થઈ મારું લિવિંગ સર્ટિફિકેટ કાઢી આપ્યું. આમ અમદાવાદ પ્રાથમિક શિક્ષણ સમિતિની ચાર શાળાઓમાં ધોરણ સાત સુધીનું પ્રાથમિક શિક્ષણ મેળવી મેં હાઈસ્કૂલ શિક્ષણ માટે સેંટ જોસેફ હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો.  જ્યાં મને ઘડનારા ધોરણ આઠના વર્ગશિક્ષક સત્યભાષક સાહેબ, બાબુભાઈ વોરા, મૃદુલાબેન શાહ, શ્રીરમણ શર્મા, બ્રધર, આચાર્ય ફાધર જેરી લોબો વગેરે તૈયાર બેઠાં હતાં. હવે નોટમાં લખવા ઈન્કપેન મળવાની હતી. સસ્તી પેન, તેની તૂટતી નિબ, પેનનો સાંધો લીક થવાથી બગડતી આંગળી અને કંપાસને બદલે કોઈ દિવસ ગજવામાં ભેરવીએ તો ગજવા પર પડતાં વાદળી ઝાબાની મજા જ કંઈક ઓર હતી. 

ધોરણ પાંચ થી સાત તો એબીસીડી ચાલ્યું પરંતુ ધોરણ આઠથી એક વિષય તરીકે અમારું અંગ્રેજી શિક્ષણ શરૂ થયું. સત્યભાષક સાહેબ બ્લેક બોર્ડ પર વાક્ય લખે અને એક પછી એક બધાને ઊભા કરી વંચાવે. મારો દેખાવ સારો રહેતો તેથી મારો દાખલો આપી બીજાને પ્રોત્સાહિત કરતાં. તેમના પ્રોત્સાહનથી મારી વિશેષ બની રહેવાની વૃત્તિને બળ મળ્યું અને તે બળથી હાઈસ્કૂલમાં ૮-૯-૧૦માં પ્રથમ અને ૧૧માં બીજો ક્રમે મારી હોશિયાર વિદ્યાર્થી તરીકેની મારી છાપ મેં જાળવી રાખી. 

૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫

Sunday, September 7, 2025

મારું કુળ -૧

 મારા પિતા અમને અમારાં વડવાઓની વાતો કહેતા. ૧૯૬૯ની મારી પ્રથમ ગામ મુલાકાત પછી મેં તે વાતો ધ્યાન દઈને સાંભળવાનું શરૂ કર્યું. મને પ્રશ્ન ઉઠતો કે જે જીવન અત્યારે વિષમ છે તેમાં મારા પૂર્વજો કેમ કરી જીવ્યા હશે? પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે તેમનો ઈતિહાસ ગૌરવપૂર્ણ હતો. મને અચરજ ત્યારે થતું જ્યારે બે-ત્રણ વર્ષે અમારા કુટુંબમાં વંશાવળી અદ્યતન કરવા વહીવંચો (બારોટ) આવે તે ઉપલા વર્ણથી આવે. 


મારા પિતા કહે ભટારિયા આપણું મૂળગામ નથી. અહીં આવે હજી સો વર્ષ જેવું થયું હશે પરંતુ તે પહેલાં તેમના પરદાદા મૂળોભા ૧૮૫૭ના બળવા આસપાસ ડિંગુચા ગામ છોડી તેલાવી આવેલાં અને પછી ભટારિયે વસેલાં. ડિંગુચા પહેલાં તેમનાં પૂર્વજોનું સ્થળાંતર ધાર, રતલામ, આબુ, મૂળી થઈ આ તરફ થયું હતું. મૂળીમાં કોઈક વર્ષે ધિંગાણું થયું તેમાં પરમાર રાજા માંડણરાય મરાણો પછી જે બચ્યાં તે જીવ બચાવીને નાઠા અને દૂર દૂરના ગામોમાં પોતાની ઓળખ છૂપાવીને રહ્યાં. તેમાંથી અમારા એક પૂર્વજે આંતરજ્ઞાતીય લગ્ન કર્યું અને તે પેઢીથી જાતિ પરિવર્તન થઈ ગયું. જાતિનું લેબલ બદલાયું પરંતુ Y ફેક્ટરના ખાનદાની લક્ષણો આજે પણ ન મટ્યા. નીડરતા, ન્યાય માટે લડવાનું, અન્યાય સામે અવાજ ઉઠાવવાનો, નબળાનું રક્ષણ કરવું, જરૂરિયાતમંદને મદદ કરવી, દાન ધર્મ કરવું, હાથ આપવા લંબાવવો પરંતું માંગવા નહીં એ અમારા વંશના લક્ષણો રહ્યાં. 

એ જમાનામાં સ્વરક્ષા માટે અને સિદ્ધિ માટે કેટલાક પુરુષો તંત્ર શીખતાં. મૂળોભા કામરૂ દેશ આસામમાં જઈ તંત્ર વિદ્યા શીખી લાવેલાં. તે તાંત્રિકોનો જમાનો. એકબીજાને લાડવા-પૂરી પ્રસાદની ભરેલી માટલીઓ આકાશ માર્ગે મોકલતા. પાટણના ખવીની ચરોતર પ્રદેશમાં જતી માટલી જેવી અમારા ગામ પરથી પસાર થાય એટલે મૂળોભા ઉતારી લેતાં અને તેમાંથી લાડુ પૂરી વગેરે હોય તે કાઢી બધાં ભેળાં થઈ ઝાપટી લેતાં અને ખાલી માટલીમાં માટી કાંકરા ભરી મંત્ર ભણી પાછી આકાશ માર્ગે રવાના કરી દેતા. એકવાર પાટણના ખવીની નડિયાદ બાજુ જતી એક માટલી ઉતારી લેતાં ખવીને કરતૂતની ખબર પડતાં કોણ છે તે શોધતાં શોધતાં ભટારિયા આવેલો. ખવી મૂળાભાને વાસની બહાર લઈ ગયો. પછી બંને વચ્ચે ચડસાચડસી થઈ. ખવી મૂઠમાર વિદ્યામાં પારંગત તેથી મૂળાભા જેવા ગામ તરફ પાછા વળ્યા કે તરત મૂઠ મારી અડધા જમીનમાં ઉતારી દીધાં. મૂળાભા કેમ પાછા પડે? તેમણે કમરથી શરીર પાછળ વાળી વળતી મૂઠ મારી ખવીને આખોય ભોયંમાં ઉતારી દીધેલો. તે જગ્યાએ (હાલ દરબારોની ઓરડીઓ છે) પછી લીમડો ઉગેલ અને ઘણાં વર્ષો સુધી મૂળાભાના પરાક્રમની સાક્ષી પૂરતો ઉભેલ. મૂળાભાની જેમ તેમના નાના પુત્ર ડોસલનો પુત્ર હરિ પણ કામરું દેશમાં મેલી વિદ્યા શીખી આવેલો અને કુટુંબ ગામમાં તેના નામની મોટી બીક રહેતી. મારા પિતા જ્યારે અગિયારેક વર્ષના હતાં ત્યારે ૧૯૩૧માં સ્મશાનમાં લઈ જઈ તેમણે કોઈ પ્રયોગ કરવો હતો પરંતુ મારા પિતા રટ્ટી મારી ભાગી આવેલાં. હું નાનો પરંતુ નિશાળ જાઉં તેથી પ્રશ્ન કરું. એવું તો હોતું હશે કે લાડવા પૂરી માટલીમાં ભરી આકાશ માર્ગે ગમન થાય? મૂઠ મારે એટલે માણસ મરી જાય? મારા પિતાના ફોઈના દીકરા અંબારામભા જૂની પેઢીના તેથી કહેતાં તે વાત સાવ સાચી કારણ કે ઉતારેલી માટલીના લાડવા તેમણે પણ ખાધા હતાં. 

મૂળોભા એકવાર દેત્રોજ રહેતી તેમની ફોઈને મળવાં ગયેલાં. ફઈ ભૂખ લાગી છે કંઈક ખાવાનું આપ. ફઈએ કહ્યું કે કોઠીમાં ઘેંસ પડી છે, લઈને ખાઈ લે. મૂળોભા એકલો ઘરમાં પેંઠો. કોઠી ખોલી ઘેંસ લીધી પરંતુ કોઠીની ખીંટી પર ટીંગાડેલી ચાંદીની હાંસડી પર નજર પડી ગઈ અને તેનું મન બગડ્યું. હાંસડી ઉતારી ડાબા પગની જાંઘ પર ચડાવી દીધી. ઘેંસ પતાવી, ફોઈની રજા લઈ તે ભટારિયા રવાના થઈ ગયો. થોડાક દિવસો પછી કોઈ પ્રસંગે ફોઈને તેની હાંસડી યાદ આવી. કોઠીમાં જઈ જોયું તો હાંસડી ખીંટી પર ન હતી. કોઈ આવતું જતું નથી પછી કોણ લઈ ગયું હશે? છેલ્લે મૂળો આવ્યો હતો. ફોઈ મૂળા પાસે આવ્યા અને હાસળીનું પૂછયું. મૂળાએ ચોરી ન માની. એ જમાનામાં માણસને કોઈ રસ્તો ન જડે તો માતાજીના મઢે જઈ ધા કરતાં. ફોઈએ પણ મેલડીના મઢે જઈ ઘા કરી કે હે માં મેલડી મારી હાંસડી લીધી હોય તેને જોજે અને પાછી લાવજે. મઢનું દેવ શક્તિશાળી, મેલડી આવી પહોંચી ભટારિયાના ગોંદરે. મૂળાભા કામરૂ દેશની વિદ્યાથી ભરપૂર તેથી વાસ આખાની ચોકી બાંધી રાખેલી તેથી મેલડી વાસમાં પ્રવેશી ન શકે. પરંતુ જેવા એ દિશાએ જવા કે કોઈ બીજા કામે બહાર નીકળે કે મેલડી તેને પાડી દે. મૂળો ગડમથલ કરી જેમ તેમ પાછા વાસમાં પાછા આવી જાય પરંતુ મેલડીને મચક ન આપે. આવું ઘણાં દિવસ ચાલ્યું. બંને મમતે ચડ્યાં. મેલડી કહે હાંસડી લીધા વિના જાઉં નહીં અને મૂળો કહે કે હાંસડી આપું તો ચોર ઠરું એટલે આપું નહીં. આખરે બંને હાર્યા. વચલો રસ્તો કાઢ્યો. મેલડી કહે જો હાંસડી પાછી ન આપે તો મને બેસાડીને પૂજા કર.  મૂળો કહે મને શો ફાયદો? મેલડી કહે કે તું તંત્ર વિદ્યા છોડી મને પૂજીશ તો હું તારી અને તારા કુટુંબની રક્ષા કરીશ અને પેઢીનું કલ્યાણ કરીશ. મૂળાભાએ રાજી થઈ તંત્ર વિદ્યા છોડી અને ઉગતા ભાણની મેલડી મા ને મઢે સ્થાપિત કરી. ત્રણ ગોખ બનાવ્યાં. વચલા ગોખમાં મેલડીની સ્થાપના કરી અને આજુબાજુ બે ગોખમાં કુટુંબના વંશ પરંપરાગત ચાલતાં દેવ અને પૂર્વજ સ્થાપ્યાં. કુટુંબના વંશપરંપરાગત દેવમાં ડિંગુચાની કુળદેવી મહાકાળી અને તેની પલોટમાં સધી અને વીર કાળભૈરવ હોઈ શકે. અહી દર વર્ષે ચૈત્રમાં પલ્લી (નૈવેદ્ય) ભરાય છે અને કુટુંબના મોટા પુત્રની બાબરી ઉતારી રમેલ ઉજવી નૈવેદ્ય કરાય છે. લગ્ન પછી વરવધૂના છેડા મઢે છોડવાનો રિવાજ પણ કાયમ છે. દૈવના સાચ જૂઠ તો શ્રદ્ધાનો વિષય છે પરંતુ તેમની હાજરીથી બીજી કોમોના રંજાડ સામે આ દૈવી કવચ કામ જરૂર આવતું. લોકો દૈવી વડગાડની બીકે અત્યાચાર ન કરતાં. 

આમ ભટારિયાવાળા ભારે જબરાં. તેમની સાથે કોઈથી હોડ થાય નહીં. સમાજમાં દરેક ગામમાં કંઠીગુરૂની પ્રથા પરંતુ આ કુટુંબ બહારથી આવી વસેલું તેથી કોઈ કંઠીગુરૂ નહીં. પરંતુ બાજુના ગામ જાકાસણાથી બાબરીવાળા બાવા આવેતાં તેમને ગાદીપતિ હોવાથી આવકાર આપતાં.  એક દિવસ ગુરૂ જેરામદા આવ્યાં પરંતુ ઠંડા આવકારથી તેઓ ચિડાઈ ગયાં અને ઉશ્કેરાઈને જેમ તેમ બોલવા લાગ્યાં. મારા પિતાના કાકા રામાભાથી સહન ન થયું. ગુરૂને કહ્યું માપમાં રહેજો, બાવા છો તેથી આમન્યા તોડી નથી. બાવાને ઘણું સમજાવ્યું પરંતુ બાવાની અક્કડ ઓછી ન થઈ. આમ કરી દઈશ, કેમ કરી દઈશ, વગેરે ધમકી આપવા માંડ્યા. રામોભા ઉઠ્યાં, અરે ઓ બાવા, બહું થયું, ચાલો હોડમાં ઉતરો, જમવાં ઉઠો. જો દોઢ કોળિયો ખાઈ બતાવો તો ગુરૂ, જે કહેશો તે સેવા કરીશું. પરંતુ જો દોઢ કોળિયે ઉઠી જાવ તો આ ગામમાં ક્યારેય પગ ન દેવો. બાવાજી ગુસ્સામાં હતાં. અલ્યા હેંડ, આ ખાઈ બતાવું, બાબરીવાળાનું હાચ તેં હજી જોયું નથી. બાવો જમવા બેઠાં. શીરો પીરસાયો. એક કોળિયો મોઢામાં મૂક્યો અને રામાભાએ નજર બાંધી દીધી. બાવાએ બીજો કોળિયો ભર્યો પણ પહેલો કેમે કરી ગળેથી ઉતરે નહીં. બીજો હાથમાં જ રહી ગયો. બાવાજી સમજી ગયાં. નત મસ્તક થઈ જતાં રહ્યાં. જાકાસણાના ગુરૂ-ચેલા સંબંધ ત્યારથી પૂરાં થયાં. પરંતુ સમાજમાં બીજા ગામોનું જોઈ પાછળથી નરસિંહ પાઠ કરીએ ત્યારે જાકાસણાના બાવાને બોલાવવાની પ્રથા શરૂ કરવામાં આવી. રામાભા નિઃસંતાન રહ્યા પરંતુ કુટુંબની તેમણે મોટી સેવા કરેલ. મૂળાભાની બધી મેલી વિદ્યા, ટામણટૂમણ બધું કમઠાણ બાટલામાં ભરી મેલડીના મઢની બાજુના લીમડાની ભોંયમાં દાટી આખા કુટુંબને મેલી વિદ્યાના ચુંગાલમાંથી છોડાવેલું.

મૂળાભાના મોટાં દીકરા ભુદરભાના દીકરા વાલાભા અને વાલાભાના દીકરા તે મારા પિતા ખેમાભા-ખેમચંદ. પુરૂષો બધાં પંજાપૂર. આપણાં પગ જેવાં તેમનાં હાથ. સરેરાશ છ ફૂટ નજીકની ઉંચાઇ. એક દિવસમાં પચાસ સાઠ કિલોમીટર ચાલી નાંખવું તેમને મન રમત વાત. હાથમાં મોટી અને મજબૂત લાકડી રાખે. ૨૦-૨૫ જણના હુમલાનો સામનો કરી શકે તેવી તાકાત. ખેતી અને પશુપાલન મોટું તેથી દેશી અનાજનાં રોટલાં અને ઘી-દૂધના ખોરાકે તેમને મજબૂત રાખેલાં. બહારગામ જાય ત્યારે લાકડી અને દોરી લોટો લઈ નીકળે. તરસ લાગે તો જે કૂવો મળે તેમાંથી દોરી લોટાથી પાણી લઈ તરસ છિપાવે. આમ શરીરબળ, દૈવબળને કારણે તેમણે તેમની જિંદગી સ્વમાનભેર જીવી હતી. સામાજિક રિવાજો મુજબ લગ્ન, મામેરાં અને મરણ પાછળ કાણ કળશિયા ભરતાં અને તેથી ગામ, તડ, પરગણામાં તેમની પ્રતિષ્ઠા રહેતી. 

૭ સપ્ટેમ્બર ૨૦૨૫

Saturday, September 6, 2025

Y ની વંશમાળ

Yની વંશમાળ મનુષ્ય પ્રજનનમાં ૨૩ રંગસૂત્રો પિતાના અને ૨૩ માતાનાં એમ મળી ૪૬ રંગસૂત્રોથી એક પુત્ર કે પુત્રીની રચના થાય છે. આ ૨૩ જોડીઓમાં સ્ત્રી સંતાનની રચના પિતાના ૨૩ X રંગસૂત્રો અને માતાના ૨૩ X રંગસૂત્રોની જોડીઓ બની થાય છે. પુત્ર સંતાનમાં ૨૨ જોડી પિતાના ૨૨ X અને માતાના ૨૨X મળી બને છે પરંતુ છેલ્લી પુરુષ લિંગ રચના માતાના X અને પિતાના Y મળી બનતાં XYથી બને છે. આમ એક જ કુટુંબનાં પુરુષ સંતાનોમાં Y પેઢી દર પેઢી એક શૃંખલાથી ચાલ્યો આવે છે. એમ કહી શકાય કે પૃથ્વીમાં પહેલીવાર મનુષ્ય આવ્યો તેનો Y રંગસૂત્ર આપણે ધારણ કરી રહ્યા છીએ. 

ડીંગુચા ગામનાં મૂળોભા તેમના બાપ દાદાની પેઢીનું Y રંગસૂત્ર લઈ ભટારિયા આવ્યાં અને તેમના બે સંતાનોની બે પેઢીઓના પુરૂષ સંતાનો તે જ Y રંગસૂત્ર ધરાવે છે અને આગળ લઈ જવાના. તેથી કોઈ એક જણને પુત્ર સંતાન ન મળે તો પણ Y રંગસૂત્ર અકબંધ જળવાઈ રહે છે અને તે મુજબ વંશવેલો ચાલ્યા કરે છે. 

પ્રશ્ન એ થાય કે જો એક કુટુંબનાં બધાં પુરુષોના Y એક જ હોય તો તેમનાં સ્વભાવ, વ્યવહાર, વર્તંણૂકમાં કેમ કોઈ ફેરફાર જોવા મળતો નથી? કારણકે બધાંના Yના સાથે જોડી બનાવતો માતાનો X જુદો હોય છે. માતા તેના માતા પિતાના XXની બનેલી છે તેથી તે બે ગામનો વારસો લઈ ત્રીજા ગામે આવી હોય છે. તેના માતા પિતા વળી તેમનાં માતા પિતાના X રંગસૂત્રોની મિશ્રિત દોરીને લંબાવીને દીકરીમાં તબદીલ કરેલ હોય છે. તેથી માતા નદીની જેમ X રંગસૂત્રોનું પ્રયાગ બની નવરત્નોની ખાણ બની જાય છે. 

શાંત બેઠા હો ત્યારે પુરુષ હો તો, પિતાના ૨૨ X જે તેમના માતા અને પિતા બંનેના છે અને ૨૩મો Y જે પુરુષની અનંત શૃંખલાની કડી છે તેના લક્ષણોને અનુભવવાની કોશિશ કરજો અને તમારામાં રહેલાં તમારા પિતા, દાદા, પરદાદા, પરપરદાદા વગેરેની હાજરીનો અનુભવ કરજો.

જે સ્ત્રી સંતાનો છે, તેમણે પિતાના ૨૩ X જેમાં તેમના દાદા-દાદીના વંશની આખી શૃંખલા સચવાયેલી છે અને માતાના ૨૩ X જેમાં તેમના નાના-નાનીના વંશની આખી શૃંખલા સચવાયેલી છે તેનો અનુભવ કરવાનો પ્રયત્ન કરજો. તેમને એક સાથે માતા, દાદી, નાની, પરદાદી, પરનાની વગેરેની હાજરીનો અનુભવ થશે. 

હાજરી એટલે તેમનાં ગુણ અને અવગુણોની હાજરી. આપણે ગુણ વિકાસ કરવાનો અને અવગુણોને દબાવી દેવાનાં જેથી આપણાં પછી આવનારી પેઢીનો ગુણ વિકાસ ચાલ્યા કરે. માથું ચકરાઈ ગયુ્ં? ના સમજાય તેણે પ્રશ્ન પૂછવો. પૂછતાં પંડિત ભલા. ના પૂછે તે અજ્ઞાની રહી જાય. 

 પૂનમચંદ 
૪ એપ્રિલ ૨૦૨૫
Powered by Blogger.