Thursday, October 2, 2025

કચ્છ ભૂકંપ બચાવ રાહત કામગીરી (૨૦૦૧)

 કચ્છ ભૂકંપની બચાવ રાહત કામગીરી (૨૦૦૧)

૨૭ જાન્યુઆરી ૨૦૦૧ ના રોજ અમે ભચાઉમાં દાખલ થયા તો ચારે બાજુ તબાહીનો મંજર. મકાનો બહુ બધા જમીનદોસ્ત. ધરા હજી વારેવારે ધ્રુજી હ્રદયોને ધ્રુજાવી રહી હતી. હું એક ધ્વસ્ત થયેલા મકાન આગળ આવી ઊભો. નીચે ખૂબ ઊંડાણમાંથી કોઈકના કણસવાની કે મદદની પોકારનો અવાજ મલબો ચીરી ધીમેથી આવી રહ્યો હતો. બેએક માળની ઈમારતના કાટમાળ નીચે તે દબાયા હતા. મને થયું અબ ઘડી કાટમાળ હટાવી તેમને બહાર કાઢી લઉ. પરંતુ આરસીસીના ગચિયા મારાથી ન હલ્યા. મેં એક કોન્સ્ટેબલને જોયો, બૂમ પાડી બોલાવ્યો અને કહ્યું આમને બચાવી બહાર કાઢો. કહે સાહેબ આ મલબો માનવીય હાથથી ઉઠે એવો નથી. આ એક નહીં આવા તો અનેક મકાનોમાં માણસો દબાયા છે પરંતુ મલકો હટાવવો કેવી રીતે? ના જેસીબી છે ના કોઈ બીજા સાધનો. ડ્રાયવરો મજૂરો કોઈ નથી. વીજળી પણ બંધ. બધું થંભી ગયુ છે. કુદરતી કહેર સામે માણસની લાચારી જોઈ મારી આંખોમાં અશ્રુ વહ્યા. હું બીજા થોડાક મકાનોની ગલીમાંથી પસાર થયો. ભૂકંપ ટ્રેમર્સ ચાલુ હતા. મરતાં માણસ કેમ બચાવવા? મારે ભૂજ પહોંચવાનો આદેશ હતો તેથી થયું જિલ્લા કચેરીએ જઈ રાવ નાંખીશું. દુઃખી હ્રદયે મેં ભચાઉ છોડ્યું. 

ભૂજ પહોંચી પહેલાં કલેક્ટર કચેરીએ પગ દીધો. મારી ૬-૭ વર્ષ જૂની કચેરી, કેમ જાણે આજે ખંડેર જણાઈ. કલેક્ટર કમલ દયાનીને જોયાં જાણે અવાચક, સાવ ડઘાઈ ગયેલા. મેં પૂછપરછ કરી તો કહ્યું ગાંધીનગરથી જી સુબ્બારાવ સાહેબ આવ્યા છે અને સામે RDCની રૂમમાં બેઠા છે. ત્યાં RDC આર. એસ. નિનામા મળ્યા. તેની બોડીમાં મેં કરંટ જોયો. હું જઈ જી સુબ્બારાવ સાહેબને મળ્યો અને જણાવ્યું કે મને આપની સાથે ભૂકંપ બચાવ રાહતની કામગીરી માટે મોકલ્યો છે. ગાંધીનગરથી એક ટીમ સરકારી હવાઈ જહાજથી પહોંચી ચૂકી હતી. ભૂજ આર્મી, એરફોર્સ, બીએસએફનું મથક તેથી બચાવ કામગીરીમાં તેઓ અને પોલીસ, યુનિફોર્મ ફોર્સ કામે લાગી ગયો હતો. ઘાયલને ભૂજ સિવિલમાં અને અતિ ઘાયલને અમદાવાદ કે બીજી મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. 

જી સુબ્બારાવ સાહેબ અને મેં જુદાજુદા વિભાગના અધિકારીઓને કામગીરી સોંપવા અને તેનું દૈનિક સંકલન મીટીંગ થાય તેવી રૂપરેખા ઘડી. પરંતુ બધા પાસે પહોંચવું કેવી રીતે? વીજળી નહી. ટેલીફોનના થાંભલાઓ ધરાશાયી તેથી ફોન બધા બંધ. ભૂજની ટ્રકો, સરકારી વાહનો બધા ઊભા. ડ્રાઇવર બધા ગાયબ. કોઈ વાહન ચાલે તો વીજળી વિના ડીઝલ પેટ્રોલ ક્યાંથી મળે? મને કોઈક ટેબલના ખાનામાંથી છૂટા થોડા કાગળ હાથ લાગ્યા, એક બે કાર્બન પેપર મળ્યા. ૧૯૭૯ના ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ગુજરાત કોલેજના હેડક્લાર્કે આપેલું મુસદ્દા કોપી કરવાનું યાદ આવ્યું. પેન ખોલી સૂચના મુસદ્દા લખ્યા અને જે અધિકારી સાહેબો મળવા આવે તેમને સૂચના પકડાવવાનું શરૂ કર્યું. 

આરોગ્ય કમિશનર આર. એમ. પટેલ સાહેબે હસતા હસતા કહ્યું કે પૂનમભાઈ તમારે અમને સૂચના આપવાની છે? મેં હળવેથી જવાબ આપ્યો સાહેબ આ ઘડી કોઈ અધિકારી નાનો નથી કે મોટો નથી. કુદરતી આપત્તિ સામે એક ટીમ બની આફતમાંથી પ્રજાને બહાર લાવવાની છે. કચ્છના પૂર્વ કલેક્ટર તરીકે મને મારી પ્રજાની પીડા સતાવી રહી હતી. 

ભૂકંપમાં ભૂજ હોસ્પિટલ ભાંગી પડી હતી અને ચારસોથી વધુ દર્દીઓ અને હાજર સ્ટાફ દટાઈ મર્યા હતા તેથી મેડીકલ ટીમો ઉભી કરી ઈજાગ્રસ્તોની સારવાર કરવું અતિ કપરું કામ હતુ. શરૂના ચાર દિવસ તો આર્મી બેઝ હોસ્પિટલ મોટી કામમાં આવી. પૂણેથી પણ તેમની એક બીજી ટીમ આવી પહોંચી હતી. દરમ્યાન જ્યુબિલી ગ્રાઉન્ડ પર IMAના સહયોગથી એક કામચલાઉ ટેન્ટ હોસ્પિટલ ઊભી કરી કામ આરંભાયું હતું. લાલન કોલેજમાં રેડક્રોસની ટીમો કામે લાગી સારવાર કેન્દ્રો શરૂ કરી દીધા હતા. જે ઉપલબ્ધ હતું તે ગોઠવી રેસ્ક્યુ થયેલાને સારવાર આપવા અને જરૂર જણાય ત્યાં મોટી હોસ્પિટલોમાં ખસેડવા ટીમો ખડે પગે કામ કરી રહી હતી. બીજા જિલ્લાઓમાંથી બોલાવેલા ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ આવી કામે લાગવા માંડયો. પછી તો બીજા દેશો, રાજ્યોમાંથી મેડીકલ એઈડ આવવી શરૂ થઈ. બીલ ક્લિન્ટન અને બીજા એનજીઓ જોડાયા અને સ્થાનિક પટેલ હોસ્પિટલમાં બનેલ ઈઝરાયલની ટેન્ટ હોસ્પિટલમાં પહેલી ડીલીવરી થઈ ત્યારે થયું કે આરોગ્ય સેવાઓ પાટે ચડી. રેસ્ક્યુ સારવાર કામ ચાવતી હતી ત્યાં એપેડેમીક કંટ્રોલના કામે બધા લાગ્યા. આરોગ્ય કમિશ્નર આર એમ પટેલ સાહેબ અને આરોગ્ય મંત્રી અશોક ભટ્ટે સંકલનથી બેનમૂન કામ કર્યું. 

મેં ભચાઉ જોયું હતું તેવા હાલ ભૂજમાં હતા. લોકો મલબા નીચે પરંતુ મલબો હટાવવાના સાધનો અને મજૂરો નહીં. હું શહેરમાં ફર્યો અને માનવ મડદાં ખાઈ શક્તિહીન બનેલાં કૂતરાઓને જોઈ અરેરાટી ઉપજી. માનવ જીવનની આ નશ્વર હાલત મને હચમચાવી ગઈ. માનવ મડદાની દુર્ગંધ વચ્ચે પણ ડેડ બોડીઓ કાઢી તેમની સન્માનભેર અંતિમ વિધિમાં લાગેલા સ્વયંસેવકોને જોઈ માનવતાની ગંધ અનુભવી.  

એટલામાં ખબર આવી કે રીલાયન્સના જેસીબી રવાના થઈ ગયા છે. ૧૨-૧૫ કલાકે પહોંચી ડેબરી ખસેડવાનું ચાલુ થઈ જશે. અમે આશાના કિરણની જેમ તે મશીનોની રાહ જોતા હતાં ત્યાં ખબર પડી કે સૂરજબારીનો પુલ તૂટી ગયો હોવાથી હવે મશીનો મહેસાણા રાધનપુરના રસ્તે થઈ આવશે. તેને આવવામાં બે દિવસ બગડ્યા. 

અહીં અમારું ધ્યાન વીજળી અને ટેલિફોન સેવાઓ ચાલુ કરવા તરફ. વીજળી ચાલુ થાય તો પીવાના પાણીના ટ્યુબવેલ ચાલુ થાય, ઘંટીઓ ચાલુ થાય તો અનાજ દળાય અને લોકોનો રોટલો ચાલુ થાય, પેટ્રોલ-ડીઝલ પંપો ચાલુ થાય તો વાહનો ચાલુ થાય, વાહનો ચાલુ થાય તો બચાવ રાહત કામગીરી ઝડપી બને. જીઈબી, પાણી પુરવઠા અને ટેલિફોન ખાતાના અધિકારીઓ ખડે પગે લાગી ગયા અને પોત પોતાના યુનિટોનું સંકલન કરી સબ સ્ટેશનો, પંપીંગ સ્ટેશનો ચાલુ થાય તે માટે મચી પડ્યા. પાણી પુરવઠાના રાધાકાંત ત્રિપાઠી સાહેબ તો આવતાં જ કામે ચડ્યા અને તેઓ ફીલ્ડમાં જ રહે તેથી અમને ન મળે પરંતુ તેમનું કામ તરત બોલવા લાગ્યું. જીઈબીના અધિકારીઓએ તૂટેલા સબ સ્ટેશનો ફરી ઉભા થાય ત્યાં સુધી આડી ઊભી લાઈનો જોડી પાવર સપ્લાય ચાલુ કરાવ્યો તે તંત્રની મોટી જીત હતી. 

ધીમે ધીમે બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલી ટીમો સાથે સંકલન ગોઠવાવા લાગ્યું. સુરેશભાઈ સક્રિય થયા. ત્યાં દિલ્હીથી પ્રધાનમંત્રી આવી રહ્યા છે તેવો મેસેજ મળતાં પ્રધાનમંત્રીને નુકસાનનો શું અંદાજ આપવો તેની ચર્ચા થઈ. કચ્છની વસ્તી તે વખતે ૧૫ લાખ તેથી અંદાજે ત્રણ લાખ મકાનો ગણી તેના ૫૦% લેખે ૭.૫ લાખ મકાનો નાશ પામ્યાનું અને ભચાઉ, ભૂજ, અંજારની જાનહાનિની જે વાતો સાંભળી હતી તે ધ્યાને રાખી અંદાજે વીસેક હજાર જેટલા માનવ મૃત્યુ, તેનાથી ત્રણ ગણા પશુ મૃત્યુ, લાખેક ઈજાગ્રસ્ત ગણી તથા જાહેર ઈમારતો, અસ્પતાલો, શાળાઓ, રસ્તા, સબસ્ટેશનો, ટેલિફોન, વગેરેના નુકસાનના અંદાજો બાંધી અમે એક આવેદનપત્ર બનાવી દીધું. સુરેશભાઈ મહેતાને બતાવ્યું તો તેમને ઓછુ જણાયું પરંતુ સર્વે અંદાજો મેળવવાનો સમય કે સગવડ ક્યાં હતી? તેમણે મોઢું બગાડ્યું પરંતુ હાથે ચડ્યું એ હથિયાર અમે નુકસાનથી પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા. તેમણે લોકોના દુઃખ દર્દ જાણ્યા અને દિલ્હી જઈ તરત જ બચાવ રાહત ટીમો, રાહત સામગ્રી, વોટર કુલર મશીન વગેરે રવાના કર્યાં. ભૂજ જનરલ હોસ્પિટલ નવી બાંધી અદ્યતન કરવા હુકમો છોડ્યા. 

ભૂકંપનું એ પહેલું અઠવાડિયું કપરું હતું. ભૂકંપ હજી સમાપ્ત નહોતો થયો. ટ્રેમર્સ ચાલુ તેથી શહેર આખું બહાર ઊંઘે. કડકડતી શિયાળાની રાતો. અમે કચેરી છોડીએ ત્યારે રાતના ૧૧–૧૨ થઈ જતાં. વળી પાછા સવારે ૬-૭ વાગે કચેરીમાં આવી જઈએ. પરંતુ રાત્રે સૂવા ક્યાં જઈએ? લેઉવા પટેલ સમાજવાડીના ગેસ્ટ હાઉસમાં મર્યાદિત રૂમ તેથી સીનીયર સાહેબો મંત્રીઓ ઉપલબ્ધ રૂમોમાં અને મેં કંપાઉન્ડમાં ખુલ્લામાં ગોદડા પાથરેલા તેમાં એકની ભેળાં બે થઈ જ્યાં થોડું ઓઢવાનું મળે ત્યાં ઘૂસી ત્રણ રાત પસાર કરી. જીસુબ્બારાવ અને હું મોડી રાતે કચેરી છોડતાં. સાહેબને મારી રાત્રે સૂવાની તકલીફની ખબર પડી એટલે ચોથે દિવસે તેમની રૂમમાં મને રૂમ શેરિંગની જગા કરી. વીજળી તો હતી નહિ તેથી ડોલ ભરી જે પાણી મળે તેનાથી અમે નાહતા. હું ચાર દિવસે નાહ્યો. પછી તો પાણી બહાર ગરમ કરી એક એક ડોલ પાણી ગરમ મળે તેવી સ્વયંસેવકોએ વ્યવસ્થા કરતાં રાહત થઈ. એક નાહી રહે અને બીજાની ચિંતા કરે. મંત્રી અશોક ભટ્ટ પણ ડોલ ઉચકી એકબીજાને પહોંચાડવા અમારી સાથે લાગી જતા. 

મારી પાસે પોતાનું ખાવાનું તો કશું હતું નહીં. તેથી RDC અમારે માટે ક્યાંય થી જે કંઈ બિસ્કિટનું પેકેટ લઈ આવે તે ખાઈ અને પાણી જે મળે તેવું પી પહેલાં બે દિવસ ચલાવ્યું. ત્યાં સુધીમાં સામાજિક સંસ્થાઓના રસોડા ચાલુ થતાં અને અછત રાહત સામગ્રીમાં પાણીની બોટલો આવતા અમારી તકલીફો ઓછી થઈ. 

મુખ્યમંત્રી આવી ગયા હતાં. પરંતુ તે દિવસે અમને મુખ્યમંત્રી અને નાણામંત્રીના સંકલનમાં તફાવત દેખાયો. પ્રધાનમંત્રીની મુલાકાત પછી ખબર નહીં સુરેશભાઈને શું વાંકુ પડ્યું જી સુબ્બારાવ સાહેબને પરત બોલાવી સરકારે એલ. માનસિંહ સાહેબને ચીફ કોઓર્ડિનેટર બનાવી મોકલ્યા. જીસુબ્બારાવ સાહેબ ખૂબ ખંતથી કામ કરતાં અને જે રીતે તેમને પાછા બોલાવ્યા તે મને ન ગમ્યું. પરંતુ સરકારી હુકમ એટલે સરકારી હુકમ. તેઓ ગાંધીનગર ગયા પરંતુ નિયતિ તેમના મારફત મારી એક મોટી મદદ કરવાની હતી. 

તેમના સ્થાને આવ્યાં તે મારા જૂના બોસ એલ. માનસિંહ સાહેબ. ત્યાં અંજારમાં મારા બેચમેટ સંજય ગુપ્તા અને ભચાઉમાં બેચમેટ અતનુ ચક્રવર્તી જોડાયા. કલેક્ટર કચ્છ બદલાયા. હું ઊર્જાથી ભરેલો હાજર પરંતુ સુરેશભાઈ પણ હાજર તેથી મારી પર નજર શાની પડે? મારા બેચમેટ અનિલ મુકીમને કલેક્ટર બનાવી મોકલ્યા. ૧૯૮૫ની બેચ આમ ભૂકંપ રાહત કામમાં લાગી પડી. ત્યાં વળી હુકમ આવ્યો કે મારે ભૂજ છોડી રાપર એકમનો ચાર્જ લઈ બચત રાહતની કામગીરી સંભાળવાની છે. પરતું એલ. માનસિંહ સાહેબે ગાંધીનગર વાત કરી મને રોકી લીધો. રાપરમાં અરવિંદ શર્મા કામે લાગ્યા.

એલ. માનસિંહ સાહેબ રીસોર્સફૂલ એટલે તેમણે ક્યાંકથી બે લેપટોપ લાવી દીધાં. મને એક લેપટોપ મળતાં મેં ડેટા અને થઈ રહેલી બચાવ રાહતની કામગીરી નોંધવાનું અને રીપોર્ટ બનાવવાનું શરૂ કરી દીધુ. બેટરીમાં દમ હતો ત્યાં સુધી કામ કરવાનું હતું. વીજળી જલ્દી ચાલુ થવાની ઉમેદ હતી. જીઈબીની ટીમ સફળ રહી. સાતમા દિવસે વીજળી ચાલુ થતાં જીવન ધમધમતું થવા લાગ્યું. મુખ્ય સચિવ મુકુન્દન સાહેબ અધિકારીઓની ટીમ લઈ આવી પહોંચ્યા. અમે માહિતી રજૂ કરી. તેમને આશ્ચર્ય થયું કે આટલી ઝીણવટભરી માહિતી ભેગી કેવી રીતે થઈ. વીજળી, પાણી, ટેલિફોન, વાહનવ્યવહાર, સાર્વજનિક રસોડા અને રાહત સામગ્રી વિતરણ અમારી પ્રાથમિકતા બની. 

અહીં ગાંધીનગરમાં લક્ષ્મી, ઉજ્જવલ, ધવલ ભૂકંપગ્રસ્ત ઘરમાં દિવસો કાપે. લક્ષ્મીએ સ્કૂટર લઈ સેક્ટર-૧૯ અને પછી સેકટર-૨૦નું ચક્કર લગાવી આમતેમ પૂછપરછ કરી એક ખાલી ઘર શોધી કાઢ્યું. મેં તેને ફીશરીઝ કમિશનર કચેરીમાં જઈ મકાન ફેરફારની અરજી તૈયાર કરાવી તેમાં સહી કરી એક અરજી માર્ગ અને મકાન વિભાગના સચિવ જામદાર સાહેબને અને બીજી અરજી નાણાં વિભાગમાં સુબ્બારાવ સાહેબને આપવા કહ્યું. તેણે તેમ કર્યું. મારી ૧૯૮૯માં સીનીયર સ્કેલમાં બઢતી વખતે નાયબ સચિવ માર્ગ અને મકાન વિભાગ તરીકે નિમણૂક થઈ ત્યારે જામદાર સાહેબ ત્યાં સંયુક્ત સચિવ હતાં. જીસુબ્બારાવ સાહેબ અને હું તો હજી હમણાં જ ભેળાં હતાં. મુખ્યમંત્રી કચ્છ આવ્યા ત્યારે મારા પરિવારને મકાનની અગવડની વાત મેં કરી રાખી હતી. સંજોગે અમને મદદ કરી અને સેક્ટર ૨૦માં મકાન ફાળવણી થતાં લક્ષ્મી, ઉજ્જવલ અને ધવલ ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૧ના રોજ કબજો લઈ મકાનમાં રહેવા ગયા જ્યાં હવે પછી અમે બીજા ૧૫ વર્ષ રહેવાના હતા અને તે દરમ્યાન બંને પુત્રોના લગ્ન પ્રસંગો પૂરા કરવાના હતા. એ અમારું સુંદર અને છેલ્લું સરકારી નિવાસસ્થાન હતું. 

આ તરફ કચ્છમાં રાહત સામગ્રીના વહન માટે મહેસાણા તરફથી રસ્તો ચાલુ તેથી રાહત સામગ્રીની ટ્રકોની લંગાર શરૂ થઈ. અધિકારીઓ પણ ફોજની જેમ ખડકાવા લાગ્યા. તે રાહત કામમાં મદદે આવે તે પહેલાં તેમના રહેવા જમવાની સગવડની રાહતના પ્રશ્નો થયાં. એરપોર્ટ પર પણ રાહત સામગ્રીનો ખડકલો ચાલુ થયો. જો એરપોર્ટ ખાલી ન થાય તો બીજી ખેપો રોકાઈ જાય તેથી રાહત સામગ્રીને યોગ્ય જગ્યાએ સ્ટોર કરી, શોર્ટિંગ કરી તેના વિતરણના તંત્રની ગોઠવણની જરૂર ઊભી થઈ. પછીથી સુરજબારી પુલ ચાલુ થતાં તે માર્ગ પણ ખુલ્યો એટલે ધસારો વધ્યો. 

અમે અધિકારીઓ અને કર્મચારીઓ લગાવ્યા. વાહનો જોડ્યા. કેટલાક એનજીઓને જોડ્યા અને રાહત સામગ્રીનું વિતરણ ચાલું કરાવ્યું. પરંતુ કામ ધારીએ તેવું સહેલું ન હતું. ભૂજ એકલામાં પાંચ લાખ ધાબળા વહેંચ્યા પરંતુ ધાબળા લેનારની લાઈનો ટૂંકી થાય નહી. પછીથી ખબર પડી કે કેટલાક કુટુંબો ઘરના દરેક સભ્યને લાઈનમાં ઊભા કરે. ધાબળા લઈ જાય અને ઘેર મૂકી ફરી લાઈનમાં લાગી જાય. જેને વિતરણ કર્યું તે ફરી ન આવે તેવી નોંધ રાખવાનું અને અમલ કરવાનું ક્યાં શક્ય હતું? વિતરણ માટે જે એનજીઓની મદદ લીધી તે પણ જબરા નીકળ્યા. તેમની સંસ્થાના બેનરો બાંધી જાણે તેમની સંસ્થા રાહત સામગ્રી વિતરણ કરી રહી છે તેવી છાપ ઊભી કરવા લાગ્યા. પરિણામે સરકારને કામની ટીકાનો વરસાદ મળે અને સંસ્થાને ત્યાં અનુયાયીઓના દાનની સરવાણી ફૂટે. માંડ માંડ બધાને કાબૂમાં લાવ્યા. 

કચ્છ ભૂકંપ રાહતમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાની બેનમૂન કામગીરીની નોંધ લેવી જ પડે. સંસ્થાએ બ્રહ્મવિહારી સ્વામીને ઉતાર્યા. અમદાવાદ થી પ્રમુખસ્વામી તેમની દરરોજ વહેલી સવારે અને મોડી રાત્રે સમીક્ષા કરે અને રાહત કેન્દ્ર અને રસોડુ કેવી રીતે ચલાવવું તેનું આયોજન અને અમલ કરે. લોકોને આપવની રાહત કીટમાં મીણબત્તી, મેચબોક્ષ, ટોર્ચ, ટોર્ચ સેલ જેવી નાની નાની વસ્તુઓની વિચારણા કરી યાદી બને. રાહત સામગ્રી કીટ બની આવે અને સ્વયં સેવકો વિતરણમાં લાગી જાય. તેમણે એક મોટું રસોડું શરૂ કરેલું. અન્નક્ષેત્રની જેમ રસોડે  મોટી સંખ્યામાં લોકો જમે પરંતુ સારા ઘરના લોકો જાહેરમાં જમવા આવતા સંકોચ કરે અને તેઓ ભૂખ્યા ન રહી જાય તે માટે ટીફીન સેવાની સગવડ કરેલ. મુંદ્રા રોડ પર ખુલ્લી જમીનમાં એક મોટો પતરાનો શેડ બનાવી શિયાળાની ઠંડી સામે અસરગ્રસ્તોને આશ્રયની મોટી વ્યવસ્થા ઊભી કરેલ. અમે પણ ક્યાં પાછળ રહેતાં. રસોડા માટે જરૂરી અનાજ ઘંઉ, ચોખા વગેરે FCIના ગોડાઉનમાં ઉપલબ્ધ હતું તે સંસ્થાને આપી રસોડાને ધમધમતું રાખવા સહયોગ કર્યો. પ્રધાનમંત્રીએ આપેલું મોટું વોટર કુલર આવ્યું તો તે સંસ્થાને આપી જનસેવાના કામમાં લીધું. બ્રહ્મવિહારી સ્વામી સાથે મિત્રતા બંધાઈ અને જીવનભર ટકી રહી.

એલ. માનસિંહ સાહેબને આ વખતે સરકારે આઈટેમ દીઠ રૂપિયા પાંચ કરોડના ખર્ચ મંજૂરીના અધિકારો આપ્યા હતા. તેથી બચાવ રાહત કામમાં એજન્સીઓને જોડવાનો રસ્તો સરળ બન્યો હતો. રૂપિયાની કોથળી ખુલે એટલે તે લેનારા આવી જ જાય. વિના ટેન્ડરે કામ મળવાનું. અંદાજો અંદાજિત, કામ અંદાજિત અને રૂપિયા અંદાજિત. આઈટમ દીઠ પાંચ કરોડની સત્તા એટલે ડેબરી નિકાલની ફાઈલો લાખમાં શેની આવે? દલા તરવાડી જેવી સ્થિતિ. ફેરા લખું ચાર પાંચ ત્યાં લખે દસ બાર. એલ. માનસિંહ સાહેબ કહે પીકે મંજૂરી આપી દઈએ? પરંતુ કયા કામનો કયો રેટ મંજૂર કરવો, કેટલી રકમ મંજૂર કરવી તેનો તાગ કેવી રીતે કાઢવો? અમે વ્યૂહ રચના બનાવી. ભાવોને SORના માન્ય દરો પર બાંધ્યા. કાર્યપાલક ઈજનેરને ફેરાની સંખ્યા અને મલબાના હિસાબને સર્ટિફાય કરવાની જવાબદારી સોંપી અને કરોડની ફાઈલોને લાખમાં મંજૂરી આપી કામગીરીના શ્રીગણેશ કર્યા. બીજા વિભાગોમાં સંબંધિત વિભાગના બજેટ ઉપરાંત ખૂટતી રકમ જોડવા સત્તાનો ઉપયોગ કરતાં. આ ઉપરાંત કામચલાઉ શેડ-કોલોની બનાવવાના કામે અનુભવી અધિકારીઓ હોવાથી ખર્ચ મંજૂરીમાં કોઈ તકલીફ ન પડી. ભૂજમાં જગદીશન આવી ગયા હતા તેઓ નગરપાલિકાના સંકલન થકી મોટું મેદાન શોધી, પ્લોટિંગ કરી ટીન શેડની કોલોની ઉભી કરવા જોતરાયા. 

જુદા જુદા રાજ્યોમાંથી મંત્રી, અધિકારીઓના ડેલિગેશન ઉતરવા શરૂ થયા. વિદેશી ટીમો ઉતરવા વાગી. UNDPની ટીમ લઈ મારા બેચમેટ પ્રવીણ પરદેશી જોડાયા. જાપાનની ટીમ ટેન્ટનો ઢગલો અને આરોગ્ય ટીમ લઈ ઉતરી. તેમની આરોગ્ય ટીમને ગાંધીધામ મોકલી. બીજા કેટલાક દેશોની ટીમ આરસીસી કટરના સામાનો લઈ આવી હતી તે કામે લાગી. પરંતુ સમય પસાર થયો હતો તેથી દટાયેલા જીવતા નીકળવાની સંભાવના નહિવત્ હતી. જે જે ટીમો આવતી ગઈ તેઓને અસરગ્રસ્ત શહેર, ગામોની યાદી આપતાં અને તેમના બજેટની મર્યાદામાં પુનર્વસન એકમ પસંદ કરવાનું કહેતા તેઓ કામે લાગ્યા. આ પ્રયોગ સફળ થયો. આપણાં ચોપડે મદદ લઈ પુનર્વસનનું કામ આપણી ટીમ દ્વારા કરવાને બદલે જે તે એજન્સી, સરકારો દ્વારા તેમની ટીમો કામે લાગવાથી અમારો બોજ હળવો થયો. 

ક્યાંક ક્યાંક કોઈક રાજકીય આગેવાનો આવી અમારી સાથે જીભાજોડી કરી જાય તો અમે તેમના ચોકખા કપડાં તરફ આંગળી ચિંધી અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ કામ કરી મેલાં કરી માનવસેવાનું પુણ્ય કમાવા જણાવતા. 

પછી આવ્યું સર્વેનું અને કેશડોલ વિતરણનું કામ. તંત્રએ કર્મચારી અધિકારીઓની ટીમો બનાવી સર્વે માહિતી મેળવવાનું શરૂ કરી દીધું. 

અહીં એક પ્રસંગ નોંધવો રહ્યો. પ્રધાનમંત્રીની મુલાકાત પછી પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી તેમના સચિવ અશોક સાઈકિયા કચ્છની મુલાકાતે આવ્યા. તેઓ માનસિંહ સાહેબના મિત્ર. તેમનું પખવાડિયાનું રોકાણ. ભૂજમાં અમે રોકાયેલ તે લેઉવા પટેલ સમાજવાડીના મકાન સિવાય બીજે કોઈ વ્યવસ્થા નહીં. પ્રશ્ન થયો સાઈકિયા સાહેબને રાત ક્યાં રોકવા? ત્યાં સમાજવાડી મકાનમાં માનસિંહ સાહેબ અને હું એક જ રૂમમાં રહીએ. બાકીની રૂમોમાં બીજા અધિકારીઓ અને તે પણ શેરિંગમાં. મેં સાઈકિયા સાહેબ માટે રૂમ ખાલી કર્યો અને બહાર લોબીમાં સૂતો. વાવેલું એળે ન જાય. સાઈકિયા સાહેબે એ goodwill યાદ રાખી અને ભવિષ્યમાં મારી જાપાન જવાની એક તાલીમમાં પસંદ કરી વાળી આપી. 

મને રાહત કામગીરી સંચાલનમાં બે મહિનાથી વધુ સમય થયો હતો. ૩૧ માર્ચ ૨૦૦૧ના રોજ ઘેરથી ફોન આવ્યો કે મારા સાળા વિનોદને બ્રેઈનની મોટી તકલીફ થઈ છે અને સારવાર માટે મારી મદદની જરૂર છે. કચ્છમાં ગાડી હવે પાટે ચડી ગઈ હતી. મારી પાસે ત્રણ જોડી કપડાં જે હું ધોઈ સૂકવી વાપરતો તેથી થયું ગાંધીનગર એક આંટો મારતો આવું. માનસિંહ સાહેબની રજા લઈ હું નીકળ્યો. વિનોદની બ્રેઈન સર્જરી થઈ પરંતુ તે ન બચ્યો. ૬ એપ્રિલ ૨૦૦૧ તેનો દેહાંત થયો અને તે જ દિવસે મારા પિતાની કેટરેકટ સર્જરી થઈ. ૧૦ એપ્રિલ ૨૦૦૧ તેમને એન્જાયના દુખાવો ઉપડ્યો અને ૧૨ એપ્રિલ ૨૦૦૧ હાર્ટ એટેકથી તેઓ ૮૧ વર્ષની ઉંમરે વી. એસ હોસ્પિટલમાં ગુજરી ગયા. હજી તેમની અંતિમ ક્રિયા, બેસણું બારમું પતાવ્યું ત્યાં મારી બા બિમાર થઈ. તેને હોસ્પિટલ લઈ ગયા, વેન્ટિલેટર પર મૂકી પરંતુ તે પણ ન બચી. ૨૩ મે ૨૦૦૧ ના રોજ ૭૮ વર્ષની વયે મારા પિતાનો સંગાથ કરવા સ્વધામ પહોંચી ગઈ. છત્ર જવાથી હું સાવ ખાલી થઈ ગયો. તેમના આપેલા સંસ્કાર હવે મારી દીવાદાંડી હતાં. 

૨ ઓક્ટોબર ૨૦૨૫

Wednesday, October 1, 2025

વતન વાપસી અને સ્થાન પ્રાપ્તિ મથામણ

વતન વાપસી અને સ્થાન પ્રાપ્તિ મથામણ 

લ્યુબ્લ્યાના યુનિવર્સિટી, સ્લોવેનિયાથી MBA અભ્યાસ પતાવી હું વતન ભારત પાછો ફર્યો. મેનેજમેન્ટ અને કોમ્પ્યુટરના જ્ઞાનથી મારી વહીવટી સ્કિલમાં વધારો થયો હતો. મનમાં હતું કે સરકારે આટલી મોટી ધનરાશિ ખર્ચી આપણને ભણાવ્યા છે તેથી તે વસૂલ કરવા કોઈ મેનેજમેન્ટને લગતી કાર્યપાલક જગ્યા કે બોર્ડ નિગમના એમડી બનાવશે. પરંતુ જેવા આવ્યા કે સંયુક્ત સચિવ (કલ્પસર યોજના), આયોજન પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગમાં નિમણૂક આપવામાં આવી. કોઈ નિવૃત્ત ચીફ એન્જીનિયર સી. કે. પટેલને કલ્પસર યોજનાના અભ્યાસ માટે OSD તરીકે મૂકેલા તેમની સાથે કામ કરવાનું અને રીપોર્ટિંગ ઓફિસર તરીકે આયોજન પ્રભાગના સચિવ ભગત સાહેબ. કલ્પસર તે વખતે એક કલ્પનાની નીપજ લાગતી. ઈજનેર સી. કે. પટેલ તેનો પ્રી ફિઝિબિલિટી અહેવાલ કોઈક નેધરલેન્ડની એજન્સી જોડે કરાવતા હતા તેથી ન તેમની પાસે કોઈ કામ હતું ના મારી પાસે. પ્રી ફિઝિબિલિટી અહેવાલ આવ્યા પછી તેની ભલામણોના અભ્યાસ પછી ફિઝિબિલિટી અહેવાલ બને પછી DPR બન્યા પછી યોજના થશે કે નહિ તેની ખબર પડવાની. વાત એટલી કે ખંભાતના અખાતમાં ૩૦ કિલોમીટર લાંબો ડેમ બાંધી એક કલ્પસર બનાવવું અને ડેમ પર ૧૦ લેનનો રોડ બનાવી સૌરાષ્ટ્રની ટ્રકો ટ્રાફિકને સુરત સુધીનો એક શોર્ટ ઊભો કરી આપવો. પરિણામે અરબી સમુદ્રમાં સાબરમતી અને મહીના ઠલવાતા મીઠા પાણીનું એક કલ્પસર બને તેની શરૂઆતના ભાંભરા પાણીમાં માછલાં પાકે અને ભાલ કાંઠાની જમીનો નવ સાધ્ય થાય. પરંતુ જ્યાં નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમ માટે નાણાં ઊભા કરવાની મુશ્કેલી ચાલતી હોય ત્યાં અંદાજે ૨૫,૦૦૦ કરોડની આ યોજનાનું ભવિષ્ય ધૂંધળું દેખાય. આમછતાં અભ્યાસ કરીએ તો ખબર પડે કે નવું સાહસ કરવું કે નહીં તેથી અમારું એકમ ચાલુ રહ્યું. ૨૭ વર્ષ પછી હવે તો અંદાજો એક લાખ કરોડ સુધી પહોંચી શકે. 

આ બાજુ રાજકીય વાતાવરણ ભૂકંપ આવે ત્યાં સુધી શાંત પડી ગયું હતું. સત્તા કાલ જતી હોય તો આજ જાય, જૂત્તે મારીના અંદાજમાં મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું સંકલન ઘર આંગણે તેમની સરકારને ટેકો આપતાં પક્ષ કોંગ્રેસના નેતા અમરસિંહ ચૌધરી અને કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ સીતારામ કેસરી જોડે તૂટ્યું અને એક વર્ષમા તેમની સરકાર ગઈ. દિલીપભાઈ પરીખને તો જાણે લોટરી લાગી પરંતુ તે પણ ચાર મહિના જ ચાલ્યા. વચગાળાની ચુંટણી આવી. શંકરસિંહે બનાવેલા રાષ્ટ્રીય જનતા પક્ષે બેઠકોની વહેંચણીમાં કોંગ્રેસ સાથે ઠીક ગઠબંધન ન કરતાં બીજેપી ફાવી ગઈ અને ૪૪.૮૮% મત સાથે ૧૧૫ બેઠકો જીતી સરકાર બનાવી દીધી. કોંગ્રેસ (૩૪.૯૦%) અને આરજેપી (૧૧.૬૯%) મળી બીજેપીથી વધારે ૪૬.૪૯% મત મળ્યા પરંતુ વિભાજિત તેઓ હારી ગયા. જૂનું જનતાદળ પણ ૨.૬૪% મત લઈ ગયુ. 

ભાજપની સરકાર હવે જાણે સ્થિર બની. મુખ્યમંત્રી કેશુભાઈની આ બીજી ટર્મ હતી તેથી સાવધાન બની સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યા હલ કરવા અને ગ્રામ વિકાસની ગોકુલગામ યોજના અને સમરસ પંચાયત બનાનવા સક્રિય બન્યા. આંતરિક ખટરાગ ઘટ્યો અને અધિકારીઓનો અવાજ સંભળાવા લાગ્યો. લાગતા વળગતા અને સગાવ્હાલા પણ સક્રિય થયા. 

કામ અને વાહન વિનાની જિંદગીથી કંટાળી મેં એક દિવસ જીએડીમાં કોઈ ફેરફારો આવે તો જોવા કહ્યુ તો તેમણે મને સમાજ કલ્યાણ નિયામક તરીકે મૂકી દીધો. કેડરમાં પણ કેડર, કેટલીક જગ્યાઓ અનામત હતી. 

OBC વર્ગ માટે અલગ નિયામક હોવાથી અને આદિજાતિ કલ્યાણ માટે અલગ કમિશ્નર હોવાથી મારે અહીં માત્ર અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓનું કામ આવ્યું. અમારા મંત્રી ફકીરભાઈ વાઘેલા. ઘડિયાળના કાંટે કામ કરે અને કરાવે. તેમની મિટિંગો નિર્ધારિત સમયે શરૂ થાય અને સમયસર પૂરી થાય જેથી બીજી મીટિંગ પણ તેના નિર્ધારિત સમયે શરૂ થઈ જાય. જો કોઈ વહેલા જાય તો બહાર બેસાડે અને મોડા પડે તો ખખડાવે. તેઓ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી તેથી SC અને OBC કલ્યાણની યોજનાઓની ઝીણવટભરી સમીક્ષા કરતાં. વિભાગોની બેઠકો કરી તેમના સચિવોને હાજર રખાવતા, ૭% બજેટ ફળવાય અને તે વપરાય તેનો આગ્રહ રાખતા અને નબળા કામ માટે ઠપકો આપતા. તેમના સમયે અમે ઘણાં રચનાત્મક કામ કરી શક્યા. નવી યોજનાઓ લાવ્યા. દલિત સાહિત્યમાં ઉમદા કામ માટે ડો. આંબેડકર એવોર્ડ લાવી દલિત સાહિત્યકારોને સન્માનિત કરવાનું શરૂ થયું. ગુજરાતમાં ડાંગ અને ઉંમરગામની મોચી જાતિ અસ્પૃશ્ય હોવાથી અનામતની હકદાર હતી પરંતુ ૧૯૭૭માં કેન્દ્ર સરકારે સમગ્ર મોચી જાતિને SC જાહેર કરતાં SCની અન્ય જાતિઓમાં અસંતોષ હતો. અમે તે વખતની વાજપેયી સરકારના સામાજિક ન્યાય મંત્રી મેનકા ગાંધીને મોચી જાતિને SC જાતિની યાદીમાંથી દૂર કરવા સમજાવી શક્યા. છેવટે મોચી જાતિને SC યાદીમાંથી દૂર કરાઈ. પછીથી મંડલ યાદીમાં તેમનો સમાવેશ થવાથી કોઈ વિશેષ અસંતોષ ન રહ્યો. 

અમારા અધિક મુખ્ય સચિવ તરીકે ડો. પી. કે. દાસ સાહેબ. અભ્યાસુ અને ભલા. વાતો ખૂબ કરે. ગુજરાતી બિંદૂબેન પરણેલા અને તેમને પણ મારી જેમ જ્યોતિષનો ચસ્કો તેથી મારે બહું સારું બને. તેમણે અમેરિકા રહી પીએચડી કરેલું અને તેમનો દીકરો પછીથી અમેરિકા સ્થાયી થયેલો પરંતુ તેની સાથે સંકલનના પ્રશ્નો થતાં. તેઓ કહેતા કે તેમના પિતા સરકારી ડોક્ટર તેથી તેઓ બચપનમા ગામડામાં રહી નબળા વર્ગના બાળકો સાથે રમેલાં તેથી કલ્યાણ યોજનાઓ માટે ભારે હમદર્દી ધરાવે. સરકારે પી.કે. દાસ સાહેબના અધ્યક્ષપણા હેઠળ જુદા જુદા વિભાગોની ચાલતી કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરી ડુપ્લીકેશન દૂર કરી અસરકારક યોજનાઓ આગળ વધારવા સમિતિ બનાવી જેમાં મને સચિવ બનાવ્યો. મારું શૈક્ષણિક જ્ઞાન, વિશ્લેષણ શક્તિ, લ્યુબ્લ્યાનામાં શીખેલ કોમ્પ્યુટર કૌશલ્ય અહીં કામ આવ્યા અને એક સુંદર અહેવાલ તૈયાર થયો જેનો લાગતા વળગતા તમામ વિભાગોએ અમલ કર્યો. નાણાં વિભાગને ફાઈલોમાં ના-ના લખવાનું એક નવું હથિયાર મળ્યું. 

ડો. પી. કે. દાસ સાહેબની બદલી થતાં પછી એલ. માનસિંહ આવ્યા. એક ગજબ વ્યક્તિત્વ. મોટા અવાજે હસીને તેઓ આખા રૂમને હસતો રાખે. વાતમાંથી વાત એમની સરકારી બાબુઓની વાત ખતમ ન થાય. અમારે મૈત્રી જેવા સંબંધો બંધાયા. મારી પછી તે વિભાગમાંથી બદલી થઈ હતી પરંતુ અમે પાછા કચ્છ ભૂકંપ રાહતની કામે ભૂજમાં ભેગા થયા. તે વાતો હવે પછીના અંકે કરીશું. 

અનુસૂચિત જાતિ કલ્યાણની યોજનાઓ એટલે મુખ્યત્વે શૈક્ષણિક સ્કોલરશીપની, જે વર્ષોથી ચાલતી. બીજા રાજ્યોની સરેરાશ ૧૫%ની સરખામણીમાં ગુજરાતમાં SC વસ્તી માત્ર ૭%. એક કારણ તો બીજા રાજ્યોમાં SC ગણાતી ધોબી, દેવીપૂજક, વણઝારા, કોળી, માછીમાર વગેરે અહીં અસ્પૃશ્ય ન હોવાથી યાદીમાંથી બાકાત હતાં અને પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારમાં તેમની હાજરી ક્યાંક જ જોવા મળે તેથી ઓછા હતા. અમે અમલી યોજનાઓ સુદઢ કરી. આવાસ યોજનાને ડો. આંબેડકર આવાસ યોજના નામ આપી સહાયના ધોરણો સુધારી બજેટ અને લક્ષ્યાંકો વધાર્યા અને સ્વરોજગારને મજબૂત કરવા તરફ આગળ વધ્યા. 

સામાજિક સેવાઓના વિભાગોમાં કામ કરતાં કર્મચારીઓ અધિકારીઓને પ્રોત્સાહન જોઈએ નહિતર તેઓ ડિપ્રેશનમાં જાય અને કામ પણ. મેં પ્રથમ તો તેમની કામગીરી ઝડપ વધારવા દરેક શાખામાં નવા કોમ્પ્યુટર ઉપલબ્ધ કરાવ્યા, દરેક કર્મચારી અધિકારીને તાલીમ આપી અને કોમ્પ્યુટર પર કામ કરતાં કર્યા. બીજું કેટલાક કર્મચારી અધિકારી કામ પૂરું ન થાય તેંથી કચેરી સમય પછી રોકાતા. તે પ્રથા બંધ કરી બધું કામ કચેરી સમયમાં પૂરું કરવા ફરજ પાડી. તેમનામાં કર્મયોગી જાગે અને જળવાઈ રહે તે માટે શ્રી શ્રી રવિશંકર પ્રેરિત Art of Livingના કોર્સ કરાવ્યા. રીપોર્ટિંગના ઘણાં પત્રકો અને પદ્ધતિઓ બદલી. પરિણામે ટીમ એક નવા જોશથી કામ કરવા લાગી. 

અનુસૂચિત જાતિ વિકાસ માટે શિક્ષણ, સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતા મોટા હથિયાર. અમે તેઓ વિદેશ જઈ ભણી પટેલોની જેમ ડોલરમાં કમાઈ શકે તે માટે વિદેશ અભ્યાસની લોન સહાય ચાલુ કરી. માનવ ગરિમા યોજના ટુલકીટ દ્વારા સ્વરોજગારની તકો વધારી. દીકરીઓ કોલેજ શિક્ષણ સુધી પહોંચી શકે તે માટે અપર પ્રાઈમરીથી કન્યાઓને સાયકલ આપવાનું શરૂ કર્યું. મને યાદ છે તે યોજનાની ફાઈલ પર મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે સહી ડો આંબેડકર એવોર્ડ વિતરણના સમારંભમાં ટાગોર હોલ પાલડીની સ્ટેજ પર કરી હતી. પછીથી બહારગામ જતી કન્યાઓ પૂરતી યોજના સીમિત કરી તે યોજનાને સંકુચિત કરાઈ. કન્યાઓ સાયકલ ચલાવે તો તેમની ઊંચાઈ વધે, પાચન સુધરે, ભોજન સુધરે અને તેઓ એનીમીક અને કુપોષિત ન રહે તે ફાયદા તરફ જોવાનું જાણે ભૂલાઈ ગયું. મેં ૧૯૮૬માં ભારત દર્શનમાં તામિલનાડુના ગામડાઓમાં સાયકલ સવારી કરી ટોળાબંધ શાળાએ જતી કન્યાઓ જોયેલી. ગુજરાત મને તેમની સરખામણીમાં સંકુચિત લાગતું. 

અહીંની SC પ્રજા ધાર્મિક હિંદુ પરંતુ કર્મકાંડ સંસ્કાર માટે બ્રાહ્મણો ન મળે તેથી તેમનામાંથી બનેલી શ્રીમાળી ગરો પેટા જાતિ બ્રાહ્મણ કામ કરે. હજામ-વાળંદ તેમની હજામત ન કરે તેથી સેનમાં નામની પેટા જાતિ તે કામ કરે. તેમની જ પેટા જાતિના તૂરી તરગાડા ગામેગામ ફરી ભવાઈને વેશ કરી તેમની મનોરંજન જરૂરિયાતો પૂરી કરે. તેમના ઢોલી તો બધાને જોઈએ. દરેક ગામમાં સવર્ણ અને અવર્ણ (અસ્પૃશ્ય) એમ બે ભાગ અને સામાજિક જીવનમાં એક માનસિક દિવાલ રાખી જીવવાનું, પરંતુ પોતાની અંદર સ્વમાનભેર જીવવા એક આખી સ્વતંત્ર સામાજિક વ્યવસ્થા ઊભી કરી આ કોમ ટકી રહેલી. 

તેમની શ્રીમાળી ગરો પેટા જાતિના પુરુષો શિક્ષિત. જ્યોતિષ પંચાંગમાં હોશિયાર તેથી પટેલોના નામ જન્મ રાશિ પર ન મળે પરંતુ SC વર્ગમાં નામ અચૂક રાશિ મુજબ જ હોય. તેમનાં ઘરના ખાત, બાંધકામ, વાસ્તુ મુહુર્ત મુજબ જ થાય. તેમના લગ્નન માણેક સ્તંભ મુહૂર્તે રોપાય અને ગણેશ સ્થાપનથી લઈ, જાન જોડવી, ચોરી ફેરા, ગણેશ વિસર્જન બધુ નક્ષત્ર, વાર, તિથિ, ચોઘડિયું જોઈને જ થાય. શુભ પ્રસંગો, બહારગામ જવું, આણું પિયાણું કરવા પણ મુહૂર્ત જોવાતા. મૃતક પાછળ બારમા તેરમાની વિધિ અને શ્રાદ્ધ પિંડદાન પણ હિંદુ સમાજની જેમ જ થાય. ગરો સમાજની સ્ત્રીઓ બ્રાહ્મણ સ્ત્રીઓની જેમજ પ્રસંગોએ કંચુકી પહેર્યા વિના માત્ર સાડી લપેટી જમવાની પ્રથા છેક આઝાદી સુધી ચાલી. 

એક માત્ર મૃત્યુ સમયે અગ્નિ સંસ્કારને બદલે દફનવિધિ થાય પરંતુ હિંદુ રિવાજ મુજબ ડેડબોડીને જમીન પર કરવાની દિશાથી લઈ ઘોરમાં પણ મડદાંની ઉત્તર દક્ષિણ દિશાનું ભાન રખાતું. જેરૂસલેમનું પહેલું મંદિર બાંધનાર કિંગ સોલોમોન (970-932 BCE)ના વખતથી ચાલી આવતી પ્રથા મુજબ અહીં પૃથ્વી પર રોકાઈ ગયેલા આત્માઓ (spirit)ને પૂર્વજ તરીકે સ્થાપી તેનો દીવો કરી ધૂપિયામાં નૈવેધ ચડાવવાની પ્રથા હજી ચાલે છે. મૃતકને માટીના વાસણમાં ભાથું મૂકવું એ પ્રાચીન પરંપરા આજે ય નિભાવાય છે. પ્રથમ પુત્ર સંતાનના જન્મ માટે દૈવી શક્તિને પશુ બલિદાન આપવાની પ્રથા ઘણાં વર્ષો ચાલી અને હજી ક્યાંક ક્યાંક ચાલુ છે. 

વધતી વસ્તી અને ખૂટતા બ્રાહ્મણો જોઈ અમને શ્રીમાળી સમાજના યુવકોની કર્મકાંડ કૌશલ્ય સુધારી તેમને સારી આવક ઉપાર્જન કરાવવાનું સૂઝ્યું. વેકેશનમાં SC છાત્રાલયો ખાલી રહે તેથી એક પહેલ કરી કર્મકાંડ કરતાં યુવકો માટે કર્મકાંડ ભાસ્કરના તાલીમ કાર્યક્રમો યોજી તેમની સ્વરોજગાર ક્ષમતા વધારવાનું શરૂ કર્યું. 

હું નિયામક હતો ત્યારે મારા મોટા દીકરા ઉજ્જવલને આફત આવી. તે ધોરણ ૧૨ સાયન્સમાં ભણતો. અને સેકટર ૧૯ માં રહીએ અને તેનું ફીઝીક્સનું ટ્યૂશન સેકટર ૮ માં. એક વીકી લઈ આપેલું તેના પર તે દરરોજ સાંજે ટ્યૂશન જાય અને રાત્રે ૯.૩૦ કલાકે પાછો આવે. તે આવે પછી અમે સાથે જમતા. એક રાત્રે ૯.૪૫ થવા આવ્યા પરંતુ તે પહોંચ્યો નહીં તેથી મને ચિંતા થઈ. તે જમાનો મોબાઇલનો નહીં તેથી તે આવે તો ખબર પડે. ત્યાં લેન્ડલાઇન ફોનથી ઘંટડી વાગી અને મેં ફોન ઉપાડ્યો. સામે કોઈ પોલીસ કોન્સ્ટેબલ. કહે ઉજ્જવલ તમારો દીકરો? જલ્દી સિવિલ હોસ્પિટલ ગાંધીનગર આવો તેને ગંભીર અકસ્માત થયો છે. હું ધ્રૂજ્યો, લક્ષ્મી સામે હતી, કહે શું થયું. મેં કહ્યું, પર્સ લઈ, ઘરમાં જે હોય તે રૂપિયા લઈ કારમાં બેસી જા. અમે તાબડતોબ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. જઈ જોયું તો ઉજ્જવલ બેભાન. મોઢામાંથી ફીણ નીકળે, માથાના પાછળના ભાગે ચીરો અને લોહી નીકળે. હું ગભરાયો અને જાણ્યું કે સેક્ટર ૮ થી પરત આવતાં સેક્ટર ૯ આગળ ગુજરાત અર્થશાસ્ત્ર અને આંકડા બ્યૂરોની કચેરી સામે આવેલ સચિવાલયના ગેટ નં- ૩થી  મંત્રીઓના વાહનો માટે જુદી એન્ટ્રી કરાવી હોઈ તે સામેના રોડ પર નવા બમ્પ બનાવ્યા છે અને તે પર ઝિબ્રા પટ્ટા કરવાના બાકી છે. બમ્પ તે જ દિવસે બનેલો. ઉજ્જવલ દરરોજ તે રસ્તે બમ્પ વગરના રસ્તે આવતો તેથી નવા બમ્પનું તેને ભાન નહીં તેથી તે તેની મસ્તીમાં. બમ્પ પર તે વીકી સાથે ઉછળ્યો અને રોડ પર પટકાયો. 

મને સિવિલ હોસ્પિટલ ગાંધીનગરની મર્યાદાનું ભાન હતું. મેં ક્ષણનોય વિલંબ કર્યા વિના એમ્બ્યુલન્સમાં ઉજ્જવલને ચડાવી ઓક્સિજન સિલિન્ડર, નર્સ અને ડોક્ટર સાથે અમદાવાદ સિવિલ તરફ હંકારી દીધું. ત્યાં પહોંચ્યા એટલે ડ્યુટી ડોક્ટર કહે સાહેબ સીટી સ્કેન વિના સારવાર ન થાય. હેડ ઈન્જરીમાં જો બ્રેઇનમાં સોજો હોય અને પહોળુ થતું હોય તો સંકોચનની દવા આપવી પડે. અને જો શોકને કારણે બ્રેઇન સંકોચાઈ ગયું હોય તો તેને વિસ્તારવાની દવા આપવી પડે. અહીં ઉજ્જવલ બેભાન અને સિવિલ હોસ્પિટલનું સીટી સ્કેન મશીન આઉટ ઓફ ઓર્ડર. મને ડર વધવા લાગ્યો. પછી તરત જ ઉજ્જવલને એમ્બ્યુલન્સ પર પાછો ચડાવી અને નવરંગપુરામાં આવેલ સામવેદ ઈમેજિંગ સેન્ટર તરફ હંકાર્યું. ટ્રાફિક તો નહિ પરંતુ સેન્ટર નજીક આવવા થયુ અને એક દારૂડિયો બાઈક લઈ અમારી એમ્બ્યુલન્સની આગળ થયો. તે ધીમે ચલાવે અને અમારી એમ્બ્યુલન્સને માર્ગ ન આપે. મને ગુસ્સો આવ્યો પરંતુ હોર્ન પર હોર્ન વગાડી જેમ તેમ અને ઈમેજિંગ સેન્ટરે પહોંચ્યાં. નોંધણી કરાવી ઉજ્જવલને સ્ટ્રેચર પર લઈ અમે સીટી સ્કેન રૂમ નજીક પહોંચ્યા અને ઉજ્જવલ ભાનમાં આવ્યો. અમને હવે હાશ થઈ. સીટી સ્કેન કરાવ્યો. રીપોર્ટ લઈ સિવિલ અમદાવાદ પાછા આવ્યા. દવા ઈન્જેક્શન શરૂ થયા. ઉજ્જવલ બચી ગયો. જો કે તે દોઢ મહિનો તેનો અભ્યાસ બગડ્યો. તે ૧૨ સાયન્સ પાસ થયો પરંતુ ગુણાંક ઘટવાથી અમારું તેના શૈક્ષણિક જીવન ટચનું આયોજન બદલાયું અને તેને કારણે તેના જીવનનો રાહ પણ. 

મારી પાસે એકનું એક કામ ક્યાં સુધી કરાવે રાખવું?સરકારને લાગ્યું હશે કે અધિકારીને હવે શિક્ષણના સેક્ટરમાં અજમાવીએ એટલે મારી બદલી કમિશ્નર સ્કૂલ્સ અને મધ્યાહ્ન યોજના તરીકે થઈ. 

મધ્યાહ્ન ભોજન યોજનામાં અમે નાગરિક પુરવઠાની વસ્તુઓની ગુણવત્તા તરફ ધ્યાન આપ્યું અને યોજનાની ગેરરીતિઓ અંકુશમાં લાવવા પ્રયત્નો શરૂ કર્યા. મેં યોજનાનો ૧૯૮૦નો જીઆર ઝીણવટથી વાંચ્યો. કોઈ કુશળ હાથે તેને લખ્યો હતો. મધ્યાહ્ન ભોજન યોજનાનો ઉદ્દેશ એક માત્ર શાળામાં બાળકોની હાજરી વધારવા પૂરતો સીમિત ન હતો. તેના ઉદ્દેશમાં બાળકોના પોષણ ઉપરાંત  સંચાલક, કૂક અને હેલ્પરને રોજગારી પૂરી પાડવાનો પણ ખરો. એક જીઆરથી એક લાખ રોજગારનું સર્જન ત્યારે મોટું ગણાતું. તેમજ કૂક હેલ્પર તરીકે નબળી આર્થિક સ્થિતિવાળાને લઈ તેમનાં પોષણની સરકારની સામાજિક જવાબદારીનું વહન થતું હતું. મધ્યાહ્ન ભોજનના રસોડે માત્ર શાળામાં ભણતાં બાળકો જ જમી શકે તેને બદલે કૂક હેલ્પરના કુટુંબના પેટનો ખાડો પૂરાય તેટલું રાંધેલું વપરાય તેમાં શાની ગેરરીતિ? એટલું મોટું રસોડુ ચાલતું હોય અને બે પેટ ભૂખ્યા રહે? 

હાઈસ્કૂલોમા કમિશ્નર તરીકે મારે ત્યાં શિક્ષકોના વધારાની દરખાસ્તો મંજૂર કરવા ભારે દબાણ રહેતું. ગ્રાન્ટ ઈન એઇડ શાળાઓમાં સંસ્થા શિક્ષક ભરતી કરે તેથી વિદ્યાર્થી સંખ્યા વધારી નવા શિક્ષકો માંગે. એક નવો શિક્ષક મળે એટલે સંસ્થાને ગુલાબી. વળી વધ્યા ઘટ્યા કોઈ સરપ્લસ પોતાનું સ્થાન ક્યાં તે ખોળતા ફરે. ક્યાંક તેઓ જવા તૈયાર ન હોય ક્યાંક સંસ્થા ગમાડે નહીં. એક તરફ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યા થાય નહીં અને લઘુત્તમ મહેકમ ચાલુ રહે અને બીજી તરફ વિદ્યાર્થી સંખ્યા જેવી ઠરાવેલ સંખ્યા પાર કરે એટલે વધારાનો પૂર્ણ શિક્ષક મંગાય. વળી વિદ્યાર્થીઓમાં કાયમ ગેરહાજર રહેતા અને ભૂતિયા કેટલા એ તો તટસ્થ તપાસથી જ ખબર પડે.

મેં હાઈસ્કૂલોના શૈક્ષણિક ધોરણોની તપાસ કરી તો શૈક્ષણિક કામના કલાકો આધાર તરીકે લેવાય. કામના કલાકોમાં સમૂહમાં દૈનિક પ્રાર્થના થાય અને અઠવાડિયે પીટી શિક્ષક પીટી કરાવે તે કલાકો બધા શિક્ષકોના શૈક્ષણિક કામમાં ઉમેરાય. એક અંદાજ પ્રમાણે પંદર મિનિટની પ્રાર્થના સરકારને મહિને ₹૫૫ કરોડમાં પડે. મેં ધોરણો સુધારી ખોટા વધારાના શિક્ષકોના બોજમાંથી સરકારને મુક્ત કરવા પ્રયત્નો આરંભ્યા. 

રાજ્યમાં મોટા ભાગની હાઈસ્કૂલો ગ્રાન્ટ ઈન એઈડ પરંતુ હજી ૧૬-૨૦ સરકારી હાઈસ્કૂલો ચાલતી હતી. પૂરા પગારના શિક્ષકો પરંતુ વિદ્યાર્થી સંખ્યા ઓછી અને પરિણામો નબળા. તેથી એવી વિચારણા થઈ કે કેમ આ શાળાઓનું સંચાલન કોઈ સફળ શૈક્ષણિક સંસ્થાઓને સોંપી તેની સુધારણા ન કરીએ? એ વખતે સ્વામીનારાયણ ગુરૂકુળ અને બીજી એક બે ધાર્મિક સંસ્થાઓ તરફથી ચાલતી શાળાઓ પંકાતી. પરંતુ હજી તો પાશેરામાં પૂણી, વિચાર વિચારણામાં હતો ત્યાં કોઈક ધાર્મિક સંસ્થા સરકારી હાઈસ્કૂલ હવે તેમની થઈ જવાની છે એમ માની સંકુલ તપાસવાના બહાને શાળાએ જઈ વિદ્યાર્થીઓને હરિ ઓમ અને જય સ્વામિનારાયણ બોલાવવા લાગ્યા હોવાની ફરિયાદ મળી. અમે ચેત્યા અને પ્રયોગનું પોટકું પડતું મૂક્યું. 

એ વખતે આઈટીવાળા નવા નિશાળિયા કોઈ એક નાનકડો સોફ્ટવેર બનાવે એટલે તેનો વેપલો કરવા નીકળી પડે. એવી એક ત્રિપુટી શાળામાં શિક્ષકોના હાજરી પત્રકનું સોફ્ટવેર બનાવી તેની સીડી ₹૩૦ લાખમાં વેચવા મારી પાસે પહોંચી ગઈ. મને થયું, શાળામાં ૧૫ શિક્ષક,  તેમની હાજરી એક પાનાંના હાજરી પત્રકમાં મહિનો આખી  પૂરાય ત્યાં આ ધોળો હાથી શું કરવા બાંધવો? વળી તે વખતે આખા રાજ્યની ઓનલાઈન હાજરી નોંધી તેનું મોનિટરિંગ કરવાની વ્યવસ્થા થાય તેવું ઈનેટરનેટ કે બીજું કોઈ માળખું નહીં. ઘણી શાળાઓમાં કોમ્પ્યુટર પણ હશે કે કેમ તે પ્રશ્ન. પરંતુ ત્રિપુટી જીએડીના એક અધિકારીની ભલામણથી આવી હતી તેથી તેમને એમ કે બસ હાજરીપત્રક વેચ્યુ અને રોકડા કરી નીકળ્યા. મેં ચોક્ખી ના ભણી દીધી. જણાવ્યું કે સરકારને જરૂર હશે તો ટેન્ડર બહાર પાડશે અને સ્પર્ધાત્મક ભાવો આવેથી યોગ્યની પસંદગી કરશે. તેઓ ગયા અને મારા નકારાત્મક વલણની તેમના મિત્રને જાણ કરી. તે ભાઈએ ફેબ્રુઆરી ૨૦૦૧માં મારી સચિવ સંવર્ગમાં બઢતી થઈ ત્યારે દાવ વાળ્યો અને મને ફીશરીઝ કમિશ્નર તરીકે મૂકી દીધો. હું કચ્છ ભૂકંપ રાહતની ડ્યુટી પર. મારી કાર અને ડ્રાયવર બદલાયા. 

રાજકીય પટ પર કેશુભાઈ પટેલની બીજી વખતની સરકાર આ વખતે ત્રણ વર્ષ અને સાત મહિના ચાલી પરંતુ કુદરતી અને માનવસર્જિત આફતોએ તેનો પીછો ન છોડે. કેશુભાઈ પહેલીવાર ૧૯૯૫માં મુખ્યમંત્રી બન્યા ત્યારે માનવસર્જિત આફતે તેમને પાડ્યા. માર્ચ ૧૯૯૮માં ફરી મુખ્યમંત્રી બન્યા તો જૂન ૧૯૯૮ના પોરબંદર સાયક્લોને તેમનું સ્વાગત કર્યું.  નવ જિલ્લાઓ અસરગ્રસ્ત થયા, ૧૧૭૩ માનવો હણાયા અને  માલ માળખાકીય નુકસાન અંદાજે ₹૨૦૦૦ કરોડ જેવું નુકસાન થયું. 

૨૦૦૧ની એ ૨૬ જાન્યુઆરી ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ હતો. અમે બધા ગાંધીનગર હેલીપેડ પર મુખ્યમંત્રીના આવવાની વાટ જોતાં હતા. તેઓ આવ્યા અને ધરતી ધણધણી. કંઈક અનહોની થયાનો અંદેશો આવ્યો ત્યાં તો ખબર આવવા લાગી કે કચ્છથી અમદાવાદ લગી ભૂકંપના આંચકાઓએ હજારો મકાનો ધરાશાયી કરી દીધા છે અને મોટી જાનહાનિ કરી છે.

હું હેલીપેડથી ઘેર ગયો તો સેક્ટર-૧૯ ના અમારા સરકારી મકાનમાં મકાનથી ગેરેજ સુધી જમીન ફાટવાની લાઈન, રૂમના ફ્લોરિંગની બે ત્રણ લાઈને ઉખડી ગયેલ અને મકાનની એક તરફની દિવાલ જાણે નમી પડી હોય તેમ જણાય. હું ગયો તો લક્ષ્મી અને બાળકો બહાર બેઠા હતા અને સ્થિતિ સામાન્ય બને તેની રાહ જોતા હતાં. અમે ઈન્કવાયરી પર જાણ કરી. તેઓનો માણસ આવ્યો, જોઈ વિગતો નોંધી જતો રહ્યો. હવે શુ કરીશું એમ વિચારતા હતા ત્યાં સી.કે. કોસી સાહેબના કાર્યાલયમાંથી ફોન આવ્યો કે મારે ભૂકંપ રાહત કામ માટે ભૂજ-કચ્છ રવાના થવાનું છે. મેં લક્ષ્મીને કહ્યું તું જાણે અને તારું ઘર, હું તો આ ચાલ્યો. સેક્ટર-૧૯ ઈન્કવાયરીમાં  ફોલોઅપ કરજે અને બની શકે તો ખાલી ઘર શોધી તેમાં ફેરફારની અરજી આપી આવજે. ત્યાં સુધી ઘરમાં ઠીક લાગે તો ઘરમાં નહિતર ગેરેજને ઘર બનાવજે. 

મેં બે જોડી કપડાં અને પાણીની એક બોટલ લીધી અને કારમાં બેસી ગયો. મને હજી પરિસ્થિતિની ગંભીરતાની ખબર ન હતી તેથી સાથે ખાદ્ય પદાર્થ લેવાનો કે લાંબુ રહેવું પડશે તો શું કરીશું એવું કંઈ વિચારેલ નહીં. પરંતુ અમારી કાર જેવું રાધનપુર છોડી ભચાઉના રસ્તા તરફ આગળ વધવા લાગી, વાતાવરણની ગમગીની મારા મન મસ્તિકને પકડમાં લેવા લાગી. ત્યાં આવ્યું ભચાઉ અને હું થોભ્યો. 

૧ ઓક્ટોબર ૨૦૨૫

Tuesday, September 30, 2025

અમેરિકાની મારી પહેલી યાદગાર સફર

અમેરિકાની મારી પહેલી યાદગાર સફર 

(નાતાલ વેકેશનઃ ૨૫ ડિસેમ્બર ૧૯૯૭ થી ૪ જાન્યુઆરી ૧૯૯૮)

અમારે લ્યુબ્લ્યાના યુનિવર્સિટીમાં નાતાલનું વેકેશન આવી રહ્યું હતું. મને જાણવા મળ્યું કે અમેરિકાના વિઝા જે ભારતથી લેવા અઘરાં છે તે અહીં સ્ટુડન્ટ તરીકે સરળતાથી મળી જશે. તેથી નાતાલ વેકેશનમાં અમેરિકા જવાનો વિચાર આવ્યો. પરંતુ જવું ક્યાં? કદી ગયેલો નહીં. મને ન્યુજર્સીમાં રહેતા બકુલભાઈ પંડ્યા યાદ આવ્યા. તેમનો મિલનસાર સ્વભાવ મને ગમતો. તેઓએ કહ્યું હતું કે જ્યારે અમેરિકા આવવાનુ્ થાય ત્યારે અમારે ત્યાં આવજો. બકુલભાઈ આસારામ આશ્રમ સાથે જોડાયેલા તેથી તેમનો પરિચય મને મોટેરા આશ્રમ અમદાવાદમાં થયેલો. તેમનો એક પુત્ર દિપલ આસારામ બાપુનો સાધક જેનો પરિચય મને સુરત થયેલો. તેથી મેં બકુલભાઈને લ્યુબ્લ્યાનાથી ફોન જોડ્યો અને આવવાની પરવાનગી માંગી. તેમણે ખૂબ જ ઉમળકાભેર કહ્યું કે કોઈ ચિંતા કર્યા વિના આવી જાઓ.

મેં લ્યુબ્લ્યામાં આવેલી અમેરિકન કોન્સ્યુલેટ કચેરીમાં અમેરિકન વીઝા માટે અરજી કરી. તેમણે મારું ઈન્ટરવ્યુ લીધું અને મને છ મહિનાના વિઝા મળી ગયા. અશ્વિનની મદદથી લુફ્થાન્સા એરલાઇન્સમાં રાઉન્ડ ટ્રીપ ટિકિટ બુક કરાવી અને નાતાલના દિવસે ૨૫ ડિસેમ્બર ૧૯૯૭ ના રોજ ન્યુજર્સી અમેરિકા જવા રવાના થઈ ગયો. 

બીજા દિવસે પહોંચ્યો ત્યારે ન્યુજર્સી એરપોર્ટ પર બકુલભાઈ મને લેવા આવ્યા. તેઓ મને એક્ઝીટ ગેટ પર સરળતાથી મળી ગયા. અમે ન્યુજર્સીમાં આવેલા તેમને ઘેર પહોંચ્યા. તેમનાં પત્ની ગીતાબેન અને બહેન વર્ષાબેને આવકાર્યાં. રસોઈ બનાવી મને જમાડ્યો. રાત થઈ એટલે ડ્રોઈંગ રૂમમાં એક ગાદલું પાથરી આપ્યું અને સમજાવી દીધું કે સવારે ઉઠીને મારે ગાદલું વાળી ક્યાં મૂકવું અને કયો બાથરૂમ વાપરવો. બીજા દિવસે સવારે દૂધ, નાસ્તો બન્યો અને વાત કરતા કરતા તેમણે પૂછી લીધુ કે મારે ત્યાંથી પાછા જવાનો શો પ્રોગ્રામ છે? હું તો અમેરિકામા સાવ નવો હતો. હજી તો બેસી ક્યાં જવું, તેનું આયોજન કરવાનું હતું ત્યાં આ પ્રશ્નએ મને સક્રિય કર્યો. બકુલભાઈ મારો ચહેરો જોઈ સમજી ગયા અને બોલ્યા કે સાંજે જોઈશુ. હાલ તો ચાલો આ કાળુ વિંડચીટર જેકેટ પહેરી લો અને આ કાળી ટોપી લઈલો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકાદ બે બીજા સ્થળો જોઈ આવીએ છીએ. હું તો બેઠો તેમની કારમાં. 

પહેલાં અમે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોયું. ફ્રાંસની પ્રજા દ્વારા અમેરિકન પ્રજાને ભેટ અપાયેલ આ સ્ટેચ્યુ ન્યૂયોર્ક બંદર પર કંઈ કેટલાય લાખો ઇમિગ્રન્ટ્સના સપના પૂરા કરવાનું સાક્ષી છે. અમેરિકામાં જ્યાં જાઓ ત્યાં ટિકિટ. સ્ટેચ્યુ જોવાની ટિકિટ અને કાર પાર્કિંગની ટિકિટ એટલે ઘડિયાળ પકડી ચાલવું પડે. ટિકિટ અને પાર્કિંગનો ખર્ચ બકુલભાઈએ આપ્યો. ત્યાંથી અમે WTCના બે ટાવર (જે પછીથી 9/11ના ત્રાસવાદી એટેકમાં ધ્વસ્ત થયા હતા) જોવા ગયા પરંતુ રજા હોવાથી બંધ હતાં તેથી કારમાંથી રાઉન્ડ લઈ બહારથી જ જોઈ અમે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જોવા ગયા. ૧૯૩૧માં બનેલી ૧૦૨ માળની તે ઈમારત તે વખતની વિશ્વની ઊંચી ઈમારતો પૈકીની એક હતી. મેં જીવનમાં આટલી ઊંચી ઈમારત પહેલીવાર જોઈ. તેના ૮૦માં માળ સુધી લીફ્ટ લઈ ગઈ. અમે ઉપર ગયા, લોબીમાં સર્કલ ફર્યા અને પાછા નીચે આવ્યા. અમેરિકામાં બપોરે જમવાનો રિવાજ નહીં. સવારે બરાબર નાસ્તો કરવાનો પછી કામે જવાનું અને રાત્રે આવી જમવાનું. મને તો બપોરે જમવાની આદત મુજબ ભૂખ લાગી. બકુલભાઈ સમજી ગયા. અમે એક સ્ટોરમાં ઊભા રહી કોફી અને ફ્રેંચ ફ્રાય લઈ લંચ જેવું કરી લીધું. વચ્ચે વચ્ચે બકુલભાઈએ તેમના રીલવાળા કેમેરામાં મારા ફોટા લીધા. 

ન્યુયોર્ક શહેરોની ગલીઓમાં ફરી અમે સાંજે ઘેર આવ્યા ત્યારે ગીતાબેને રાતનું ડિનર તૈયાર રાખ્યું હતું. અમે જમ્યા ત્યાં તેમણે ફરી પૂછયું કે તમારે ક્યારે જવાનું છે? મેં કહ્યું અહી મારો એક મિત્ર યોગેશ પટેલ રહે છે તેથી તેનો સંપર્ક કરી તેને ત્યાં જતો રહીશ. મેં યોગેશને ફોન કર્યો તો કહે તારી ભાભીને પૂછીને કહું. હવે મારો મૂંઝારો વધવા લાગ્યો. હજી તો બીજો દિવસ છે. હે ભગવાન, કંઇક રસ્તો સુજાડ. ક્યાં જવું? કેવી રીતે જવું? ગીતાબેન આસારામ બાપુના સત્સંગની કેસેટોની કોપી કરે અને સાધકોને વેચે. અમે બાપુના સત્સંગ અને જીવનની વાતો કરતા હતા અને મારે મનોમન ભગવાનની પ્રાર્થના ચાલતી હતી ત્યાં રાતના ૮.૩૦ કલાકે બકુલભાઈના એક સ્વામીનારાયણી પટેલ મિત્ર તેમને મળવા આવ્યા. સામાન્ય રીતે આટલાં મોડા કોઈ આવે નહીં પરંતુ નિયતિનું ધારેલું હશે. તેમણે મારો પરિચય લીધો અને પછી મારી મૂંઝવણ દૂર કરવા મારો અમેરિકા દર્શનનો કાર્યક્રમ સૂચવવા લાગ્યા. મને કહે ડીઝનીલેન્ડ તો દૂર પડશે પરંતુ ઓરલાન્ડોમાં ડીઝનીવર્લ્ડ અને યુનિવર્સલ સ્ટુડિયો છે તે જોઈ આવો. ત્યાં એક ચર્ચ ખરીદી હરિમંદિર બનાવ્યું છે અને કનુભાઈ પટેલ સંચાલક છે તેથી તમારી રહેવા જમવાની સગવડ કરી આપશે. તેઓ તેમને ફોન કરી દેશે. તેમણે મને કનુભાઈનો નંબર લખાવી દીધો. અમે ચર્ચા કરી પાછા વળતા રસ્તામાં વોશિંગ્ટન ડીસી આવે ત્યાં એક બ્રેક લઈ તે પણ જોઈ લેવાશે તેવું આયોજન રાખ્યુ. મારે અમેરિકા જમીનથી જોવું હતું. સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા. મેં ગ્રેહાઉન્ડની બસમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું. 

લાંબા અંતરે જવાનું હોવાથી બીજા દિવસે અમે વહેલી સવારે ઉઠ્યા. મારા દક્ષિણ પ્રવાસમાં જરૂરી જેટલાં કપડાં લગેજ શોલ્ડર બેગમાં નાખી હું બકુલભાઈ સાથે સવારે ૬ કલાકે બસ અડ્ડે પહોંચ્યો. ન્યુજર્સીથી જેક્સન વીલે અને જેક્સન વીલેથી ઓરલાન્ડોની બસ ટિકિટ $૧૧૬ ચૂકવી મેં ટિકિટ લીધી. ઓરલાન્ડોમાં બે રાત રહી વળતા વોશિંગટન ડીસી એક બ્રેક લઈ ન્યુજર્સી પરત આવવાનું ગોઠવ્યું હતું તેથી તે મુજબ પરત આવતા બકુલભાઈને મને લેવા આવશે તેવી વિનંતી કરી જેક્સન વીલેની બસ મૂકાતા હું તેમાં બેસી ગયો. બારીમાંથી બકુલભાઈને હેતથી વંદન કરી મેં વિદાય લીધી. બારીમાંથી અમેરિકાની ભૂમિ, તેના કાળા અને ગોરા લોકોને જોતો હું આગળ વધતો રહ્યો. વચ્ચે બસ બ્રેક લે એટલે જે તે રેસ્ટોરન્ટના વ્યંજન પર નજર કરીએ પરંતુ ઉપવાસ કરવાના આદી એટલે ભૂખ્યા ચાલ્યા કરીએ. વચ્ચે એક જગ્યાએ કોફી અને ફ્રેંચ ફ્રાય લઈ ચલાવ્યું. ૨૦ કલાકની મુસાફરી પછી રાત્રે બે વાગે જેક્સન વીલે આવતાં મેં બસ બદલી અને બીજા ચાર કલાક સફર કરી સવારે ઓરલાન્ડો બસ અડ્ડે ઉતરી ગયો. ૨૪ કલાકની બસ મુસાફરી કરી નવા સ્થાનકે આવ્યો પણ થાક નહોતો લાગ્યો. બસમાં નિંદર લઈ લીધી હતી. 

કનુભાઈને ફોન કર્યો તો કહે બસ સ્ટેશનેથી કોઈ ટેક્સી કરી સરનામું ડ્રાઈવરને કહેશો એટલે અહીં લાવી દેશે. મેં ટેક્સી કરી. એક વેસ્ટ ઇન્ડિયન ડ્રાઇવર હતો, ડેવિડ નામ. મેં તેની બાજુ આગળની સીટ પર બેઠક લીધી અને વાર્તાલાપ કરી તેના આવવાની અને કુટુંબની સ્થિતિનો અંદાજ લીધો. તે પરણેલો હતો અને પાંચ વર્ષ થયાં દંપતિ સંતાનની ચાહ રાખી બેઠા હતા. મેં તેને આશીર્વાદ આપ્યા, $૧૫ભાડુ ચૂકવ્યું અને હરિમંદિરના સરનામે ઉતરી ગયો. 

કનુભાઈએ મને વેલકમ કરી પૂછયું કે સાહેબ બે વિકલ્પ છે. કહો તો મોટેલમાં રૂમ ખોલી દઉં અને બાકી અહીં હરિમંદિરમાં વ્યવસ્થા થઈ જશે. અહીં અમારે પટેલ દીકરીઓની ત્રણ દિવસની સાંસ્કૃતિક શિબિર છે તેથી તમને જમવાની કોઈ મુશ્કેલી નહીં પડે અને સવારે તમને જોવાના સ્થળે મૂકી સાંજે પાછા લાવવાની વ્યવસ્થા પણ થઈ જશે. મેં કહ્યું મારી જરૂરિયાત સૂવાનું એક ગાદલું અને બાજુમાં એક ટોયલેટ બાથરૂમ તેથી હરિમંદિર બરાબર છે. વળી અહીં બધાને મળી શકાશે. મારી વ્યવસ્થા હરિમંદિરમાં થઈ ગઈ. હું નાહ્યો અને સવારનો ગરમ ગરમ નાસ્તો તૈયાર હતો તે પતાવી દિવસના પર્યટન માટે તૈયાર થયો. 

એક પટેલભાઈ કાર સાથે તૈયાર હતા, તેમની કારમાં બેસી અમે ડીઝનીવર્લ્ડ પહોંચ્યા. તેમણે આખા દિવસની ટિકિટ લીધી અને મને એક સ્પોટ બતાવી કહ્યુ કે સાંજે આઠ વાગે તેઓ મને લેવા આવશે. જો વહેલા આવવાનું થાય તો કનુભાઇને ફોન કરી દેજો. 

હું ડીઝનીવર્લ્ડની અંદર દાખલ થયો અને એક પછી એક ફ્રી રાઇડની લાઇનમાં ગોઠવાતો ગયો અને રાઇડનો આનંદ લેતો ગયો. કેવો આનંદ આવે? લાઈનમાં અડધો કલાક-કલાક ઊભા રહેવાનું અને રાઈડ મિનિટોમાં પતી જાય એટલે થાકી જવાય. મીકી માઉસને મળી તેની સાથે હસ્તધૂનન કર્યું. ત્યારે આપણી પાસે કેમેરો નહીં તેથી આપણી આંખો એ જ આપણો કેમેરો. લાઈનોમાં વિશ્વના જુદા જુદા દેશોના સહેલાણીઓ. હું કોઈકની જોડે ક્ષણિક મિત્રતા થાય એટલે અમે એકબીજાના દેશના નામ, દેશ જણાવીએ પરંતુ ઈન્ડિયા વિશે જાણે લોકો ઓછું જાણતા એવું લાગતું. 

સાંજે આઠ વાગે હું નિયત કરેલ સ્પોટ પર ગયો તો ભાઈ કાર સાથે ઊભા જ હતા. મને બેસાડી હરિમંદિર લઈ ગયા. દીકરીઓની શિબિરનું ગરમાગરમ ડિનર તૈયાર હતું. હું ધરાઈને જમ્યો અને બે-પાંચ દીકરીઓ જોડે પ્રાથમિક વાતચીત કરી. તેઓ અંગ્રેજી અમેરિકન અને ગુજરાતી અમારી મેહાણાની માતૃભાષા ચ્યમ હો માં જ બોલતાં. પહેલા દિવસની જેમ મેં બીજા દિવસે યુનિવર્સલ  સ્ટુડિયોની વિઝિટ કરી અને ત્રીજા દિવસે બધાનો આભાર માની વોશિંગ્ટન ડીસી આવવા નીકળ્યો. ફરી બસમાં ૨૦-૨૨ કલાકની સફર કરવાની હતી. દિવસ અને રાત બસમાં ગઈ. બીજા દિવસે સવારે વોશિંગ્ટન ડીસી બસ અડ્ડે ઉતરી મારી શોલ્ડર બેગ લોકરમાં મૂકી. ત્યાંથી હોપ ઓન હોપ ઓન હોપ ઓફ બસની ટિકિટ લીધી અને શહેર દર્શન માટે નીકળી પડ્યો. તે દિવસે પવન ઘણો હતો તેથી શહેર જોવાનો આનંદ ઓછો રહ્યો પરંતુ બપોરના ત્રણ સુધી વ્હાઇટ હાઉસ, કેપીટોલ, લિંકન મેમોરિયલ, એક સીમેટ્રી અને એક મ્યુઝિયમ વગેરે મહત્વના સ્થળો જોઈ હું બસ સ્ટેશને પાછો ફર્યો. ત્યાંથી ન્યુજર્સીની ટિકિટ લીધી અને બકુલભાઈને ફોન કરી દીધો. રાત્રે સાડા આઠ વાગે બકુલભાઈએ મને બસ સ્ટેશનથી પીક અપ કર્યો અને કારમાં જ કહ્યું કે પરમાર સાહેબ સવારે તમારા મિત્ર તમને લેવા આવે તેવું ચોક્કસ કરી લેજો. અમે ઘેર ગયા. મેં યોગેશને ફોન કર્યો અને કહ્યું કે હવે મારા ભાભી હા પાડે કે ના તારે મને સવારે લેવા આવવાનું છે. બકુલભાઈને ત્યાં રાત વિતાવી સવારે દૂધ નાસ્તો કર્યો ત્યાં યોગેશ આવી ગયો. અમે લગેજ કારમાં મૂક્યું. તે સવારે મારે બકુલભાઈના બીજા પુત્ર જપન જોડે મારે વાર્તાલાપ થયો. દિપલને તો હું ઓળખું પરંતુ તે સુરત ઈન્ડિયા હતો. અમેરિકાની મારી પ્રથમ મુલાકાતના સૂત્રધાર બકુલભાઈ હતાં. મેં તેમનો અને ગીતાબેનનો અંત:કરણ પૂર્વક આભાર માન્યો અને યોગેશ સાથે કારમાં બેસી રવાના થયો. યોગેશ અમારો સચિવાલયનો મિત્ર. મદદનીશ (નાયબ સેક્શન અધિકારી) તરીકે ૧૯૮૩માં અમે સાથે તાલીમ લીધી ત્યારે મિત્રો બનેલા. 

યોગેશનું ઘર એડીસનમાં. એક ટુ બીએચકેનો ફ્લેટ. પતિ પત્ની અને બે નાના બાળકો. કાશ્મીરા ભાભીએ આવકાર આપ્યો અને તાજા શાકભાજી લાવી બપોરનું ગરમા ગરમ ભોજન દાળ ભાત રોટલી શાક બનાવી મને જમાડ્યો. યોગેશ ઘેર અને ભાભી કામ પર જાય. બાળકો કાલુકાલુ બોલે એને રામાયણની વાર્તાના મને પ્રશ્નો પૂછે. યોગેશ મને સ્વામીનારાયણ મંદિરે લઈ ગયો. મને અમેરિકામાં હિંદુ મંદિર જોઈ આનંદ થયો. યોગેશ ઘેર અને ભાભી કામ પર જાય તે જોઈ મને ઘરની આર્થિક સ્થિતિનો અંદેશો આવી ગયો. ભાભી કોઈ ડંકી ડોનટના સ્ટોરમાં કામ કરે. મારા માટે બીજા દિવસે ડોનટ લઈ આવી. મને અમેરિકામાં આવે સાતમો દિવસ હતો, પહેલીવાર ગળ્યા ડોનટનો સ્વાદ લીધો. સ્વાદિષ્ટ વધુ એટલે લાગ્યું કે તેમાં કાશ્મીરા ભાભીનો પ્રેમ હતો. તેમણે બીજા દિવસે પણ ગરમ ગરમ લંચ અને ડીનર કરાવ્યા. હું યોગેશને લઈ બજાર જઈ મારે લઈ જવાના આટા, દાળ, ચોંખા, હળદર, મરચું, મસાલા વગેરે ખરીદી આવ્યો. એક ટુ ઈન વન રેડિયો કમ કેસેટ પ્લેયર અને સોનીનો કેમકોર્ડર ખરીદ્યો. મનમાં થતું આવીને તરત ખરીદ્યું હોત તો ન્યુયોર્ક, ઓરલાન્ડો અને વોશિંગ્ટન ડીસીના ફોટા પડ્યા હોત. યોગેશે તેની આપવીતી કહી. કેવી રીતે તેની પરસેવાની કમાણી શેરબજારમાં લૂંટાઈ ગઈ તે જણાવ્યું. નોકરી કરતો ત્યારે ભારે વજન ઉચકવાની કારણે તેને કમરનો દુઃખાવો થતો હતો. તેણે તેની કંપની તરફથી અપાતા પટ્ટામાંથી એક પટ્ટો મને ભેટ કર્યો. તે સાંજે મેં ચોગેશના ઘેરથી લક્ષ્મી જોડે ફોન પર વાત કરી. તેને મેં અમેરિકાની મારી આખી ટુરની વાત કરી અને હાલ યોગેશના ઘેર રોકાયો છું એ જણાવી ફોન મૂકી દીધો. કાશ્મીરા કાન ધરી સાંભળી રહી હતી. જેવો ફોન મૂક્યો કે એ તો ભડકી. તમે કેમ લક્ષ્મીભાભીને એ ન કહ્યું કે કાશ્મીરા ભાભી મારી સારી સંભાળ રાખે છે. મને તાજી શાકભાજી લઈ બંને ટાઈમ ગરમ ગરમ જમાડે છે. હું તો ડઘાઈ ગયો. ઘણો બચાવ કર્યો. બીજી વાર વાત કરી કહી દઉં એમ કહ્યું પણ ભાભી તો રિસાઈ ગઈ. અમે રાત્રે ન્યૂયોર્ક ટાઈમ સ્ક્વેર પર નવ વર્ષની રોશની જોવા નીકળ્યા પરંતુ મનની મજા ઓછી પડી. બીજા દિવસે ઉઠ્યો ત્યારે અમારે અબોલા જેવું રહ્યું. હું બજાર ગયો, તેના માટે એક જીન્સ, ઘર વપરાશની થોડી વસ્તુઓ લાવી મૂક્યા અને તે રાત પસાર કરી. ત્રીજા દિવસે યોગેશ મને એરપોર્ટ પર મૂકવા આવ્યો. ૫૬ કિલો લગેજની બેગો સાથે મેં ફ્લાઇટ પકડી અને વાયા ફ્રેન્કફર્ટ મુસાફરી કરી રવિવારે ૪ જાન્યુઆરી ના રોજ લ્યુબ્લ્યાના ઉતર્યો અને અમારી ICPE હોસ્ટેલ (ઘર)માં દાખલ થઈ ગયો. બીજા દિવસથી સવારથી અમારું શૈક્ષણિક કાર્ય આરંભ થવાનું હતું.

કોઈ પણ પૂર્વ આયોજન કે તૈયારી વિનાની મારી એ અમેરિકાની એક અઠવાડિયાની પહેલી મુલાકાત આમ યાદગાર રહી. 

૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫

Monday, September 29, 2025

એમબીએ ઈન યુરોપ

એમબીએ ઈન યુરોપ 

૧૯૯૭નું વર્ષ. મારી ઉંમર ૩૭ વર્ષ. અમદાવાદથી દિલ્હી, દિલ્હીથી ફ્રેંકફર્ટ અને ફ્રેંકફર્ટથી લ્યૂબ્લ્યાના હું પહોંચી ગયો યુરોપ. મધ્ય યુરોપનું એ રમણીય શહેર. આલ્પ્સની પર્વતમાળા પૂરી થાય ત્યાં સ્લોવેનિયા શરૂ થાય. શિયાળામાં અહીં માઈનસ ૧૫ ડિગ્રી સુધી તાપમાન નીચું જતું રહે. ઠંડી કરતાં સુસવાટા મારતો પવન વાગે તો હાડ ભાંગી નાખે એટલે અહીં બહાર નિકળવું હોય ત્યારે વિન્ડચીટર અને ટોપી જોડે રાખવી પડે. શિયાળામાં બરફ વર્ષા થાય એટલે આખો દેશ ધોળી ચાદરથી ઢંકાઈ જાય. બ્લેદનું તળાવ એવું થીજી જાય કે તેના પર સ્પોર્ટ્સ રમાય.

લ્યૂબ્લ્યાના એરપોર્ટ પર અને જે તાલીમ સંસ્થા ICPEમાં જોડાઈ રહ્યાં હતાં તેના બે પૈકીના એક નેપાળી મૂળના અશ્વિન હાજર હતાં. તેમણે મને આસીસ્ટ કર્યો, પાસપોર્ટમાં જરૂરી એન્ટ્રી થઈ અને કારની વ્યવસ્થા હતી તેમાં બેસી હું દુનાસ્કા સેસ્તા 104 પર આવેલ ICPE (International Centre for Promotion of Enterprises) પહોંચ્યો. મને સાતમા માળે રૂમ નંબર ૭૦૩ ફાળવેલ હતો, તેની ચાવી લઈ હું રૂમમાં દાખલ થયો. 

આ હોસ્ટેલનું મકાન હતું. દરેક માળ પર મુલાકાતી, તાલીમી વગેરેને રહેવાના રૂમ. રૂમ એટલે એક રૂમ અને જાજરૂ બાથરૂમ. રૂમમાં એક ડબલ બેડનો પલંગ આવે એટલે ભરાઈ જાય. જરૂરિયાત જેટલો બાથરૂમ અને વોર્ડરોબ. રૂમમાં પાઈપીંગથી ગરમ પાણીથી રૂમ હીટિંગની વ્યવસ્થા એટલે અહીં મોટા પથારીની જરૂર ન હતી. મેં કપડાં બધાં હેંગર પર લટકાવી વોર્ડરોબમાં ગોઠવ્યા. બેગની વસ્તુઓ જગ્યા શોધી મૂકી પછી રસોડુ જોવા ચાલ્યો. અમને નીચે બ્રિફિંગમાં કહેવાયું હતું કે દરેક માળે એક રસોડુ છે જેમાં ચાર બર્નર છે, બે ડાબે બે જમણે. અમારે એકબીજાના સમયનું સંકલન કરી તેના પર રાંધવાનું. વોશીંગ મશીન નીચે બેઝમેન્ટમાં હતું. અઠવાડિયાના કપડાં ભેગી કરી ધોઈ નાખવાના. 

અમે ઓગસ્ટ અંતમાં ગયેલા તેથી વાતાવરણ ખુશનુમા. જમવાનું બગડે નહીં. શરૂઆતમાં જાતે રાંધવાનું જોર આવે એટલે ચાર-પાંચ દિવસ ચાલે તેટલું શાક વઘારી તપેલું ફ્રીઝમાં મૂકી દઈએ અને રોજ જેટલું ખાવું હોય તેટલું લઈ ગરમ કરી વાપરીએ. રોટલીઓ બનાવીએ તો જુદા જુદા રાજ્યોના નકશા બને તેથી પહેલાં પખવાડિયામાં ભાત અને ખીચડી પર જોર રાખ્યું. પરંતુ ચોખો જલ્દી પચી જાય અને આખો દિવસ ભણવામાંથી છૂટીએ ત્યાં સુધી ચલાવવાનું એટલે પછી ધીમે ધીમે મોણની, અટામણની, વાળવાની, શેકવાની ખબર પડતી ગઈ તેમ તેમ રોટલી બનાવતા થઈ ગયા. શાકની જેમ રોટલામાં પણ બે-ત્રણ દિવસનો લોટ ભેળો બાંધી રાખીએ. વિદ્યાર્થી કુપન મર્યાદિત અને દમડી કાઢવાની ઈચ્છા નહીં, વળી બહાર સુસવાટા મારતો પવન વાય એટલે બધો પોશાક પહેરી એક કલાક દૂર મેકડોનાલ્ડ્સ કે બીજે દઈ જંક ફૂડ ખાવાને બદલે આપણું ભારતીય ખાણું ચાલુ રહ્યું અને તે રીતે તન યુરોપમાં પણ મનથી ભારત છૂટું ન પડ્યું. ત્યાં પાણી કરતાં બીયર સસ્તું અને બાથરૂમનું પાણી આપણાં નળમાં આવે તેના કરતાં ઘણું ચોકખુ તેથી તરસ લાગે એટલે વોશબેશીનમાંથી લઈ પી લઈએ. વર્ગખંડમાં તો પાણીની વ્યવસ્થા હોય. 

અહીં સવાર પડે એટલે ગોરા ગોરા પુંજનો પ્રવાહ પસાર થતો હોય એવા યુવકો અને યુવતીઓથી યુનિવર્સિટીની શેરીઓ ભરાઈ જાય. કેટલાક શહેરમાં રહે તે બસ પાસનો ઉપયોગ કરી દરરોજ આવે. જે યુનિવર્સિટી હોસ્ટેલમાં રહે તે ત્યાંથી આવે. યુનિવર્સિટી હોસ્ટેલમાં ગર્લ્સ અને બોયઝ એવું વિભાજન નહીં. જેને જે રૂમ પાર્ટનર, મહિલા કે પુરુષ પસંદ હોય તે તેની સાથે રહે. યુનિવર્સિટીનો અભ્યાસ દિવસ પૂરો થાય એટલે કેમ્પસ બધું શાંત થઈ જતું. જેમ આપણી વાર્તામાં ગાંધર્વો રાત્રે આવી નાચી જતા રહે તેમ અહી રૂપયૌવન દિવસે ઉભરાય અને રાત્રે અદ્રશ્ય થઈ જાય. રાત પડે અહીં બધુ શાંત થઈ જાય. સાંજે રાંધી, જમી, લોંજમાં રાખેલ ટીવી થોડો સમય જોઈ રાત્રે સૂવા આડા પડીએ એટલે અમારી બિલ્ડીંગને અડકીને આવેલ ધોરી માર્ગ પર જેમ ગોફણમાંથી ગોળીઓ છૂટતી હોય તેમ છમ છમ કરતા વાહનો અતિ તેજ ગતિથી પસાર થાય. એ અવાજનું અનુસંધાન કરતો હું નિરાંતે પછી સૂઈ જતો. 

અમારાં વર્ગખંડમાં અમે કુલ ૧૮ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ હતાં. દરેકને બેસવાનું એક ટેબલ અને ખુરશી આપેલી. સવારે આવી જેને જ્યાં બેસવું હોય ત્યાં બેસે. અમે ભારતમાંથી મારા ઉપરાંત Indian Accounts Serviceના સુધાંશુ મોહન્તી, ONGCના મોહન વર્ગિસ ચેરીયન અને પાછળથી જોડાયેલ IAS દિનેશ કુમાર હતા. પાકિસ્તાનથી રફાતુલ્લાહ બરકી, બાંગ્લાદેશથી ખલીલુર રહમાન ખાન અને સફીઉલ્લા, શ્રીલંકાથી દેશપ્રિય આવેલા. બલ્ગેરિયાથી યુલી કાલ્કાનોવ, અલ્બેનિયાથી એસ્ટોનિયા ટોરો જોડાયા. સ્લોવેનિયાથી પુરુષોમાં માર્કો બહોર, મિત્યા ક્રેગર, એન્ટોન લેન્કો, અને મિહા રોઝમાન તથા સ્લાવકો અને મહિલાઓમાં દુન્યા બુદેર, આન્યા કોકજાન્કિક, તાન્યા તુર્ક, મતાયા ઝોંક, વેસ્ના સ્ટેર.  યુગાન્ડાથી જોલી ઝરીબવેન્દે બેંક ઓફિસર પરંતુ અભ્યાસે વેટરનરી ડોક્ટર. 

ભારતથી ગયો ત્યારે થતું યુરોપનું અંગ્રેજી કેવું ટોપ ક્લાસ હશે. આપણું કેમ ચાલશે? પરંતુ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને મળ્યા પછી ખબર પડી કે અહીં પણ આપણાં જેવું છે. આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા. અમે આઠ એશિયન, એક આફ્રિકન અને બાકીના સ્થાનિક સ્લોવેનિયન અને યુરોપિયન. ત્યાંની માતૃભાષા સ્લોવેનિયન તેથી તેઓ અંગ્રેજીમાં આપણા કરતાં નબળાં. 

અમારે ચુનિવર્સિટિ જોડે કે તેની ફેકલ્ટી સાથે કામ પડે તો પાકિસ્તાન મૂળના મનસુર અલી અને નેપાળી મૂળના અશ્વિન અમારા કોર્સ ડાયરેક્ટર, તેમના મારફત આગળ વધી શકીએ. ICPE સંસ્થાના Director General એક ભારતીય અધિકારી. તે અને તેમના પત્ની જાહેર કાર્યક્રમો હોય ત્યારે મળતાં અને એકાદ વાર અમને જમાડેલ. અશ્વિન અને મનસુરના પત્ની સ્લોવેનિયાના. અશ્વિને તો ઘર ન બતાવ્યું પરંતુ મનસૂરે એકવાર જમાડેલ. મનસુરને એક દીકરી તે તેના બોય ફ્રેન્ડ સાથે તેમની સાથે જ ઉપરના માળે રહે. 

અમે આટો, શાક, ચોખા, મસાલા થઈ રહે એટલે વીકએન્ડમા ચાલીને શોપિંગ કોમ્પ્લેક્ષમાં જતાં અને થેલા ઉપાડી ઘેર આવતાં. બજારમાં ભાષાની અગવડને કારણે દુકાનદાર સાથે વાતચીતનું અનુસંધાન ન જામે અને ઈશારે બધું પતાવતા. બસોના રૂટ અને સ્ટેન્ડ સમજાય નહીં. વળી મોટાભાગના પાસ કે કાર્ડથી ચડે ઉતરે અમારે રોકડા આપવા લેવાની ઝંઝટ, તેથી ચાર પૈડાંવાળી બસ છોડી અમે બે પૈડાંવાળી ૧૧ નંબરની બસ (બે પગ)થી જ ચલાવી લેતા. રસ્તો ઓળંગીએ તો કારવાળા ઉભા રહી જવા દે. આપણાં જેવું નહીં કે તેમને આપણે જવા દેવા પડે. 

અમે ચાલતાં બજાર જઈએ તો છોકરા-છોકરીઓના જોડા એકબીજાને કમરમાં હાથ નાખી ઊભેલા અને એકબીજાના હોઠમાં હોઠ પરોવી ચુંબનો લેતાં દેખાય. મને તેમને જોઈ ભારે સંકોચ થતો અને પહેલાં દિવસે તો ઉબકા જેવું આવે. આ લોકો કેમે કરી એકબીજાનું થૂંક ચાટતા હશે? મેં એકવાર જોલીને પૂછયું કે છોકરીઓ તો હોઠ પર લિપસ્ટિક લગાડે પછી શું છોકરાઓ લિપસ્ટિક પણ ખાઈ જતા હશે? જોલી કહે લિપસ્ટિક ખાદ્ય હોય છે. પછી તો રોજનું થયું. અહીં ભૌતિક શરીરનું વળગણ. જ્યાં સુધી એકબીજાને રસ મળે ત્યાં સુધી વળગી રહે. જેવું બગડે એટલે તું કોણ અને હું કોણ? અમારા સ્લોવેનિયન ગ્રુપના ત્રણેક યુવકો અને યુવતીઓએ કોઈક એકના ઘેર ન્યૂડ પાર્ટી કરેલ. દુન્યા મને બધાના સમાચાર કહેતી રહેતી. તેની માં સ્લોવેનિયાની અને પિતા તુર્ક મુસ્લિમ. 

ત્યાંના સહાધ્યાયીઓને મેં પાણી પીતા જોયેલા નહી. બિયર જ તેમનું પીણું. બહાર નિકળે એટલીવાર બિયર પીતા હોય. જવમાંથી બનતો બીયર, પાણી અને ઓરેન્જ જ્યુસ કરતાં સસ્તો મળે. તેઓ સમૂહમાં પીએ-ખાય તો કોઈ એક પેમેન્ટ ન કરે. દરેક પોતપોતાનું પાકીટ ખોલે અને પોતાના ભાગના ઓર્ડર મુજબના નાણાં આપી દે. અહી સોલ્જરી ચાલે. આપણાં જેવું નહિ કે એક જણો ટણીમાં ઉભો થાય અને માનમાં લૂંટાય. તેઓ તીખું ખાઈ ન શકે અને રસાવાળુ શાક જુએ તો ઓ કરી મોઢું બગાડે. સામાજિક સંકોચ એવો કે કોઈ તેમના ઘેર જમવા ન બોલાવે કે ન તેમની કારમાં ફરવા લઈ જવાનું કહે. એક ક્રેગર પરણેલો તેથી ઉદાર હ્રદયનો. અમારે વરસ જેવું થવાનું થયું ત્યારે ક્રેગરે તેના ઘેર પાર્ટી રાખેલી, ત્યારે અમે બધા પરિવાર સાથે ગયેલા. ક્રેગરે દારુ રેડીને ચીકન ટિક્કા બનાવેલ. અમારે શાકાહારી લેબલ એટલે શેકેલા બટાટાથી ચલાવવું પડેલ. 

સ્લોવેનિયામાં નાણું હાલ તો યુરો છે પરંતુ તે વખતે ટોલર. સરેરાશ પાંચ રૂપિયાનો એક ટોલર થાય. અમારે રીસેપ્શન પર ઘડિયાળ મિનિટમાં ચાલે એટલે ટોલર બચાવવા અમે મિનિટ કાંટો ૧૨ પર આવે ત્યારે કોલ લાગે તે રીતે ડાયલ કરીએ અને તેને વાત કરતાં કરતાં જોઈ રહીએ અને ૧૨ ક્રોસ કરે તે પહેલા ફોન મૂકી દઈએ અને તેમ કરી એક મિનિટ બચાવીએ. તે વખતે ફોન ખર્ચ મોંઘો. એક મિનિટની વાત સો રૂપિયામાં પડે. અમે બજાર શોપિંગ કરવા જઈએ તો દરેક વસ્તુ ખરીદતા પહેલાં તેના ભાવની ચિઠ્ઠી ટોલરમાં વાંચીએ અને પછી મનમાં રૂપિયામાં ભાવ ગણી સસ્તું હોય તે ખરીદીએ. એ વખતે સસ્તામાં સસ્તા બટાટા, ૨૮-૩૦ ટોલરમાં કિલો મળે. બાકી રીંગણું લેવા જઈએ તો રૂપિયાના ભાવે ૪૦૦ રૂપિયે કિલો થાય. મેં સેલરી પહેલીવાર જોઈ. મને થયું આવડા મોટા લીલા ધાણા? મોંઘા હતા તોય સ્વાદ માટે લીધા. પરંતુ શાકમાં નાખ્યા તો કંઈક વિચિત્ર સ્વાદ આવ્યો. પછીથી ખબર પડી કે તે લીલા ધાણા નહીં પરંતુ તેના જેવી દેખાતી સેલરી છે. ત્યાં લોકો બધાં બેકરીના કડક પાઉ ખાય તેથી આપણાં જેવો ઘઉંનો આંટો મળે નહીં. અમે આંટા વેચનાર બહેનોના સ્ટોલ પર જઈ બે ત્રણ પ્રકારના ફાઈન, ઓછા ફાઈન એવા બે-ત્રણ આટા મીક્સ કરાવી લઈએ અને પછી આવડે તેવો આટો બાંધીએ, તેની આવડે તેવી રોટલી વણીએ અને કાચી પાકી શેકી શાકમાં બોળી ખાઈ જઈએ. ગોળ થઈ કે ના થઈ, પેટમાં જઈ આમેય બધું ભેગુ થઈ જવાનું. ચોખા અહીં જાડા અને ચીકણા મળે. તેથી તેને પર પાણીનું માપ ફેરવતા ફેરવતા મેળમાં લાવીએ અને સાંજે ખીચડીમાં વાપરીએ અને રજાના દિવસે મોજ હોય તો દાળ-ભાત કરીએ. મારે રસોઈમાં કાંઈ સાવ કોરું નહોતું ગયું. બચપણ આખું રઈભાભીને રસોઈ કરતી જોઈ હતી. મારા બાપાને ભજીયા તળતા અને મારી બાને આખી જિંદગી રસોઈ કમખોડીને ખાતા જોઈ હતી. તેથી પહેલાં પંદર જ દિવસમાં મેં રસોઈ બનાવવાનું શીખી લીધેલું. 

ત્યાંની મોંઘવારી જોઈ ડીસેમ્બર ૧૯૯૭માં જ્યારે હું અમેરિકા ફરવા ગયો તો ત્યાંથી આટો, દાળ, ચોખા, મસાલા, શાકભાજી, જે સસ્તું મળ્યું તે ઉઠાવી લાવેલો અને લગભગ બે ચેક ઈન બેગ્સ અને હેન્ડલોડ મળી ૯૭ કિલો લગેજ ઉપાડી લાવેલ. બીજીવાર જ્યારે લક્ષ્મી મે ૧૯૯૮ના ઉનાળુ શાળા વેકેશનમાં બાળકોને લઈ સ્લોવેનિયા આવી ત્યારે તેની પાસે ખાસ યાદ કરાવીને આંટો, દાળ, ચોખા, હળદર, મરચું, મસાલા, વગેરે મંગાવેલા. એ ત્રણ જણનું લગેજ પણ ૧૦૦ કિલોથી વધુ થયું હશે. 

એક દિવસ લ્યુબ્લ્યાનાના બજારમાં મને અમદાવાદના શ્રેણિકભાઈ શેઠ કુટુંબનો (લાલભાઈ ગ્રૂપ) એક આધેડ વયનો નબીરો જયસુખ મળી ગયો. તેણે મને ઈસ્કોનનું સેન્ટર બતાવેલું. લ્યુબ્લ્યાનામાં ઢોલકી વગાડતા વગાડતા હરે કૃષ્ણા હરે રામા ગાતા ગોરા યુવકો અને યુવતીઓને જોઈ મને સાનંદાશ્ચર્ય થતું. જયસુખ અમદાવાદમાં પત્ની અને પુત્ર છોડી સ્લોવેનિયન કન્યા સાથે લગ્ન કરી વસેલો. દંપતીને સંતાન નહોતું. પહેલાં તો કામે જતો પરંતુ હવે સ્લોવેનિયન પત્નીના રોટલે નભતો તેથી રવિવારે સેન્ટર પર બપોરનું લંચ ફ્રી મળે તે જમવા આવે. તેનું પરિવાર અમદાવાદમાં ધનાઢ્ય અને અહીં તે લાચાર. તેના દીકરાએ તેની સહીઓ કરી તેના ભાગની બધી મિલકતો હડપ કરેલ તેવું તે માનતો તેથી તે કોઈ સારો વકીલ શોધી આપવા અને મિલકતનો ભાગ મળે તે માટે મદદ કરવા મને વિનંતી કરતો. આપણે ત્યાં લાંબુ રોકાણ તેથી અમદાવાદ પરત જઈશ ત્યારે જોઈશું તેમ કહી હું તેને આશ્વાસન આપતો અને કહેતો આવી લાચારી છોડી તે પોતે કેમ અમદાવાદ પાછો નથી ફરી જતો? તે કહે તેને ૫૫ વર્ષ થયા અને ત્યાં તેને વીસેક વર્ષ થઈ ગયા હતા. હવે ક્યાં પાછાં જાઉં? અમદાવાદ બધી તકરારો છે. વરસ પછી હું અમદાવાદ પાછો આવ્યો ત્યારે શ્રેણિકભાઈને ફોન કરી વાતનું અનુસંધાન જોડવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમણે તેને ઓળખવાનો ઈન્કાર કરેલ. 

ભણવાનું આવે ત્યાં આપણે એક્કા. ગણવાના વિષયોમાં તેઓ કેલ્ક્યુલેટર પકડી હિસાબ માંડે અને આપણે મોઢે જવાબ માંડી દઈએ. મારી ઝડપ અને ત્વરિત જવાબોની ચર્ચા યુનિવર્સિટી સ્ટાફમાં થવા લાગી કે એક ઈન્ડિયન ભારે હોંશિયાર આવ્યો છે. ફેકલ્ટી સ્થાનિક હોય કે બહારની હું તેમનો માનીતો રહેતો. 

તે અભ્યાસમાં અમારે કોમ્પ્યુટર ફરજિયાત શીખવું પડ્યુ. અહીં હતા ત્યારે કાગળ પર પેન ખોલી સાદર રજૂની દુનિયાથી ટેવાયેલા. અમારા સરકારી કોમ્પ્યુટર તો શોભા માટે અને ખાસ કરીને ચેમ્બરમાં એસીનો લાભ લેવો હોય તો મૂકાતા. સચિવોને કોમ્પ્યુટર આવડે નહિ પરંતુ સ્ટેટસ સીમ્બોલ તરીકે કોમ્પ્યુટર તેમની ચેમ્બરના દ્રશ્યનો ભાગ બનતું. 

યુનિવર્સિટીમાં અમને પ્રોજેક્ટ વર્ક આપે તે વર્ડ ફાઇલમાં રજૂ કરવું પડતું અને માંગે ત્યારે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કરવું પડતું. અમે મોટાભાગના શિખાઉ તેથી શરૂ શરૂમાં ડોક્યુમેન્ટ સેવ કરવાનું ભૂલી જઈએ તો ફરી મથવાનું થાય. કોમ્પ્યુટર રૂમ અમારો ૨૪x૭ ઉઘાડો અને તે વખતે પાસવર્ડની ગતાગમ નહીં. જેને જ્યાં મન બેસે તે મશીન પર કામ કરે. ભણવાના ટોળામાં મારા જેવા મજૂરિયા ભેળાં સ્માર્ટ લોટ પણ હોવાનો. હું સાંજે મારું પ્રોજેક્ટ વર્ક પતાવી પાછો આવું એટલે કોઈ કોઈ જઈ મારા ફોલ્ડરને ખોલી કોપી કરી જાય. હું મારા જેવું બીજાનું પ્રેઝન્ટેશન જોઈ અચરજ પામતો. ક્યારેક તો વહેમ થાય કે ક્યાંક મેં તેમની કોપી તો નથી કરી!  કોપી માસ્ટરો હું કામ કરતો હોય ત્યારે કયા કોમ્પ્યુટર પર બેઠો શું તે જોઈ લીધું હોય પછી કોપી કરી જાય. પછી તો ફાઈલો અને ફોલ્ડર વધતાં ગયા અને અમારા પોત પોતાના કોમ્પ્યુટર હવે નિયત થઈ ગયા હતા. 

મારી શાખ મારા સહાધ્યાયીઓ ઉપરાંત ફેકલ્ટીમાં ઊંચી હતી. કેટલાક સહાધ્યાયીઓને અઘરા વિષયોની પરીક્ષા, પ્રોજેક્ટ રીપોર્ટ, થીસીસ પ્રપોઝલ, સીનોપ્સીસ વગેરે બનાવવું અઘરું પડે. તેમને મદદ કરું અને અઘરા વિષયો વધુ સ્પષ્ટ કરવા વર્ગ પૂરો થયે રોકાઈને તેમનું કોચીંગ કરું. છોકરીઓમાં જોલી, આન્યા, વેસ્નાને વાંધો ન આવે. મતૈયા થોડી મદદથી પહોંચી વળે. તાન્યાને મદદ મળે એટલે પાસ થઈ જાય પરંતુ દુન્યાને ભણાવવી અને પાસ કરાવવી અઘરી બની જાય. પરીક્ષાખંડમાં ચિઠ્ઠી લઈ આવનાર પણ ખરાં. તેમાંય જો સુપરવાઈઝર કડક આવી જાય તો ગભરાટમાં આવડતું ભૂલી જાય અને બીજા પ્રયત્ને પાસ થાય. યુનિવર્સિટીના એક પ્રોફેસર ડેનિયલ પુચકોની બધાંને બહુ બીક લાગે. સ્વભાવે કડક અને પરીક્ષા માટે કેોઈ imp ન આપે કે લાગવગ કોઈનું માને નહી. તે Strategic Management ભણાવે. તેમની બીકનો કારણે દુન્યાને ન સમજણ પડે ન યાદ રહે. તેમના વિષયની પરીક્ષામાં દુન્યા ખાસ સ્કર્ટ પહેરે અને આંતરિક આભૂષણોની જેમ ચિઠ્ઠીઓ ભરાવી દે. કઈ ચિઠ્ઠી ક્યાં ભરાવી છે તેની પણ એક અનુક્રમણિકા બનાવી તેની પણ ચિઠ્ઠી બનાવે. પરંતુ જેવી પરીક્ષા શરૂ થાય એટલે ચિઠ્ઠીઓ ભૂલી જાય. Strategic Management ના વિષયમાં તેને ખૂબ ભણાવી છતાં સતત ત્રણવાર નાપાસ થઈ. હું તૈયારી કરાવી થાક્યો પરંતુ તેનો ડર તેના પર હાવી થઈ ગયો હતો. તેનું ધ્યાન હંમેશાં પરીક્ષાની ચિઠ્ઠી બનાવવામાં વધુ અને વિષયને સમજવામાં ઓછું. હવે ચોથી વાર નાપાસ થાય તો તેનું વર્ષ બગડે. તે મારી પાસે આવી મોટે મોટેથી રડવા લાગી. મને કહે પીકે તારે પ્રો. પુચકો સાથે સારું બને છે. મારી ભલામણ કરી મને પાસ કરાવી દે, તેનાથી આમ પરીક્ષા આપી નહીં પાસ થવાય. મારી હોશિયારીને કારણે પ્રો. પુચકોની દિલમાં મારું સારું સ્થાન. મને તેમની પાસે ભલામણ લઈ જતા સંકોચ થયો પરંતુ સહાધ્યાયીને તેની કંપનીએ સ્પોન્સર કરેલી તેથી જે નાપાસ થાય તો ખર્ચો બધો તેની સેલેરીમાંથી વસૂલ થાય. હું યુનિવર્સિટી સ્ટાફ રૂમમાં જઈ પ્રો. પુચકોની મળવાનો સમય લીધો. માનવતાની ટહેલ નાંખી. તે મારી સામે બે ઘડી જોઈ રહ્યા. મારા પ્રત્યે તેમને આદર તેથી માન્યા અને તે પ્રયત્નમાં દુન્યા પાસ થઈ ગઈ. 

ડેન્માર્કથી આવેલા એક પ્રોફેસર એવું ઝડપી ભણાવે કે કોઈને ખબર ન પડે. વિષયના ટેકનિકલ શબ્દોની પરિભાષા ન આવડે અને કેટલીક અટપટી ગણતરી પકડાય નહીં તેથી કેટલાકને બધું ઉપરથી જાય. હું આંકડાશાસ્ત્રી એટલે મને સાવ સરળ સમજાય. તેઓનો વર્ગ પૂરો થાય એટલે મારે કલાક રોકાઈને જેને ન સમજાયું હોય તેને સમજાવવું પડે. તેઓ ગેસ્ટ ફેકલ્ટી તરીકે અમારી હોસ્ટેલમાં જ રહે તેથી બધાને તેમનો વિષય હું સરળ કરી ભણાવું તે જોઈ રહે. અમારી પરીક્ષા થઈ. તેમના વિષયમાં પરિણામો સારા આવતાં તેઓ ખુશીમાં તેમના પૈસે બધા માટે બીયરના કેન અને મારા માટે ખાસ ઓરેન્જ ડ્રીંક લઈ આવ્યા. દિલ્હી IITથી પ્રો. પી.કે. જૈન પણ મારાથી પ્રભાવિત રહ્યા મને મને દિલ્હીથી IIT PhD કરવાનું આમંત્રણ આપી મારા ગાઈડ બનવાની તૈયારી બતાવી. 

મારા થીસીસના મટીરીયલ માટે લક્ષ્મીએ મારી ઈન્ડિયાથી મદદ કરી. તે વખતે વાયફાયનો જમાનો નહીં. મોબાઇલ વોટ્સઅપ ન મળે. ઈ-મેઈલનું ચલણ નહોતું. તેથી મટીરીયલ ટપાલથી મંગાવવું પડે. લક્ષ્મી કહું તે કચેરીમાં જાય અને જે મળે તે ટપાલથી મોકલી આપે. 

એમબીએમાં અમે કુલ ૧૬ વિષયો ભણ્યાં. મારે પરિણામમાં ૧૧ વિષયોમાં A ગ્રેડ, ૪ વિષયોમાં A- ગ્રેડ અને એક વિષયમાં B+ ગ્રેડ આવ્યો. વિષય પરિણામ અને થીસીસ મળી ઓવરઓલ પરિણામમાં મને ડિસ્ટિંકશન સાથે ફર્સ્ટ રેન્ક મળી અને આપણાં કોલર ઊંચા રહ્યા. 

સચિવાલય એટલે સંકુચિત સંકુલ. ફોન માટેની બે ઘટના નોંધવી રહી. એ વખતે સચિવાલયમાં ISD ફોનની સુવિધા માત્ર સચિવ પાસે અને કોઈક જ સંયુક્ત સચિવ પાસે. મારા નસીબે મારા વિભાગના ફોનમાં ISD કોલ લાગે તેથી લક્ષ્મીને કહેલું કે તેને અગત્યની જરૂર હોય તો વિભાગમાં જઈ મને ફોન કરવો. સમય મેં તેને સમજાવી રાખેલો. સ્લોવેનિયાની ઘડિયાળ ૩ કલાક ૩૦ મિનિટ પાછળ ચાલે તેથી અહીંથી બપોર પહેલાં વાત કરી લે તો મારો સંપર્ક થઈ જાય. મારી જગ્યાએ મારા બેચ મેટ આવેલા તેથી અમે બંને નિશ્ચિત. એક સવારે લક્ષ્મી તો પહોંચી ગઈ વિભાગમાં અને જેવું મારા બેચમેટના નામનું બોર્ડ જોયું એટલે તેમની ચેમ્બરમાં તેમને મળવા ગઈ. મારા બેચમેટે તેના આવવાનું કારણ જાણ્યું અને જેવી ખબર પડી કે ISD ફોન કરવા આવી છે ઘસીને ના કહી દીધી અને તેને મીટીંગ છે તેવું કહી બહાર નીકળી ગયો. લક્ષ્મી ધોયેલા મોઢે પાછી આવી. આજે ૨૮ વર્ષે તે અધિકારીને જુએ એટલે તેને પેલી ફોન ન કરવા દેવાવાળી વાત યાદ આવે. 

તેની ફોન રામાયણ આટલેથી ના અટકી. હું જેવો સ્લોવેનિયા ગયો અને મારી જગ્યાએ નવા અધિકારી હાજર થયા કે તરત જ વિભાગની મહેકમ શાખાએ ટેલીફોન ખાતાને પત્ર લખી અમારા ગાંધીનગર નિવાસસ્થાનનું ફોન કનેક્શન કપાવી નાખ્યું. લક્ષ્મી અને બાળકો સંપર્ક વિહોણા થઈ ગયા. મારું તો ઠીક પરંતુ અમદાવાદ બા-બાપુને તકલીફ પડે તો શું કરે? ઉજ્જવલ-ધવલને કોઈ ઈમરજન્સી આવે તો શું કરે? તેણે મને એસટીડી પીસીઓ પરથી ફોન કરી જાણ કરી તો મેં તેને અધિક મુખ્ય સચિવ અશોક ભાટિયા સાહેબને મળવા જવા કહ્યું. ભાટિયા સાહેબ સેક્ટર-૧૯માં અમારા ઘરથી નજીક રહે. લક્ષ્મી અંદરથી ઉકળી ગયેલી કે આ કેવું તંત્ર? તેનો પતિ સરકારી હુકમથી વિદેશ ગયો છે, કાંઈ નોકરી છોડી ગયો નથી. કનેક્શન કાપે જ કેમ? ભાટિયા સાહેબ વિનમ્ર, તેથી તેમણે તેને સાંભળી અને બીજે દિવસે ટેલીફોન ખાતાને પત્ર લખાવી કનેક્શન ચાલુ કરાવી આપ્યુ. 

લક્ષ્મીની ઉજ્જવલ ધવલને લઈ એકલા યુરોપ પ્રવાસ કરી મારી સુધી લ્યુબ્લ્યાના પહોંચવાની યાત્રા એડવેન્ચર્સ રહી. મેં તેને પત્ર લખી પ્રકિયા સ્ટેપ્સ લખી સમજાવી દીધી હતી. તેમનાં ત્રણેયના પાસપોર્ટ હતાં તેથી તેમાં માત્ર શેંગેન વિઝા લેવાના હતા. મેં તેને સમજાવ્યું તેમ અરજી કરી તે બંને દીકરાઓને લઈ મુંબઈ જર્મન કોન્સ્યુલેટ ઓફિસમાં જઈ વિઝા લઈ આવી. પછી લુફ્થાન્સા એકલાઈન્સમાં વાયા ફ્રેન્કફર્ટ ટિકિટો બુક કરાવી. પાછા આવવાનું સેકટર ઓપન રખાવ્યું. તેને અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી ફ્રેન્કફર્ટ સુધી પ્રવાસની તકલીફ ન પડી. પરંતુ ફ્રેન્કફર્ટ જઈ લ્યુબ્લ્યાનાની ફ્લાઇટ નાની તેથી બીજા ટર્મિનલથી મળે ત્યાં કેવી રીતે પહોંચવું તેની તેને મૂંઝવણ થયેલી. પહેલીવાર હતું. તેમને કે નજીક ક્યાંક હશે. વિશ્વના સૌથી મોટા પૈકીના એક એવા વિેશાળ ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર બે બાળકો અને ત્રણ હેન્ડ લોડ સાથે મુવ કરવાનું. અંગ્રેજી આવડે નહીં. તેથી તેણે કોઈ ઈન્ડિયન ફેસ જોઈ હિન્દીમાં પૂછપરછ કરી. ઉપર લાગેલા ટીવી સ્ક્રીનમાં ફલાઈટ અને ટર્મિનલ શોધવાનું સમજી. પછી જેવી સમજણ પડી કે જ્યાં જવાનું છે તે ટર્મિનલ તો ક્યાંક બહુ દૂર છે અને સબ વે ટ્રેન પકડી જવાનું છે. પહેલી ટ્રામમાં બેસી જ્યાં પહોંચ્યા ત્યાં તેમનું ઠેકાણું નહીં. ભાંગ્યા તૂટ્યા અંગ્રેજીમાં ફરી પૂછી ઉપર બીજા માળેથી બીજી ટ્રામ લીધી ત્યારે માંડ જવાના ટર્મિનલે પહોંચાયુ. સમય ઘણો વેડફાયો હતો પરંતુ નસીબજોગે ફ્લાઇટ હજી ઉપડી ન હતી. સ્ટાફ તેમની રાહ જોતો હતો. જેવા તેમને દૂરથી જોયા ફ્લાઇટ સ્ટાફે તેમના હેન્ડલોડ ઉચકી લીધા અને હાથ પકડી ફલાઈટમાં ચડાવી દીધા. બસ પછી બાકી શું રહ્યું. લ્યુબ્લ્યાના એરપોર્ટ પર હું રાહ જોતો હતો. તેમને રિસીવ કરી અમે પહોંચ્યા અમારે ઘેર ICPE હોસ્ટેલ. 

મારે હવે રાહત થઈ ગઈ હતી. રસોઈ, લોન્ડ્રી, ઇસ્ત્રી, રૂમ જાળવણી, બધું લક્ષ્મી કરી લેતી. રૂમ નાનો હતો પરંતુ અમે ચારેય સમાઈ રહ્યા. 

પછી આવી અમારી યુરોપ સ્ટડી ટુર. અમારા શૈક્ષણિક કાર્યક્રમના ભાગરૂપ ૧૫ દિવસનો યુરોપ પ્રવાસ કરવાનો હતો. એકેડેમીએ લક્ઝરી બસ કરાવી હતી. અમે ૧૮ અને બે કોર્સ ડાયરેક્ટર તેથી બાકીની સીટો ખાલી. અમારો ખર્ચ તો કોર્સ ફીમાં આવી ગયો હતો પરંતુ અમારા પરિવારને સાથે લઈ જવા એક મોકો હતો. અમે દરખાસ્ત મૂકી કે આમેય બસ ખાલી જવાની તો પછી શા માટે અડધી કિંમતે તેમને સાથે ન લઈ જવા. અમે પાકા તેથી બાળકો માટે ૨૫% રેટે માંગણી કરી. આયોજકોને તો વકરો એટલો નફો હતો તેથી શિષ્ટાચાર પૂરતાં ના હા કરતાં કરતાં તૈયાર થઈ ગયા. અમે સહાધ્યાયીઓ અને જેમના પરિવાર હતાં તે પરિવાર સહિત ઉપડી ગયા યુરોપના પ્રવાસે. 

પંદર દિવસનો એ પ્રવાસ યાદગાર રહ્યો. તેમાં અમે ઈટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાંસ, યુકે, બેલ્જિયમ, નેધરલેન્ડ, જર્મની અને ઓસ્ટ્રિયા વગેરે થઈ કુલ અગિયાર દેશોના પ્રખ્યાત શહેરોમાં ફર્યા અને જોવાલાયક બધાં સ્થળો જોયા. તેમાં મિલાનો, જીનિવા, પેરિસ, લંડન, બ્રસેલ્સ, આર્મસ્ટરડમ, હેગ, બોન, મ્યૂનિક, સાલ્સબર્ગ વગેરે સમાવેશ થઈ જાય. યુરોપ પ્રવાસની બે-ત્રણ ઘટનાઓ નોંધવી રહી. 

લંડનની બંકિમહામ પેલેસ અને તેની પરેડ જોવા જેવા. લંડન ટાવર અને તેની ઘડિયાળના ટકોરા ના સાંભળ્યા હોય તો મુલાકાત અધૂરી ગણાય. લંડનમાં બસવાળાએ અમને કોઈ મોંઘી હોટલના દરવાજે ઉતાર્યા. મેનુ તો સરસ હતું પરંતુ પાઉન્ડમાં ભાવ વાંચી હું તો હેબતાયો. એક લંચમાં ૬૫ પાઉન્ડનું ખર્ચ કરવાનું? અમે તો બાજુના ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં ગયા ત્યાંથી બ્રેડ, બટર, ટામેટાં, કાકડી લીધી અને સરસ મજાની સેન્ડવીચ બનાવી ૧૦ પાઉન્ડમાં લંચ કરી લીધુ. વળી આગળ ઉપર તકલીફ થાય તો વ્યવસ્થા માટે પાકિસ્તાની બાસમતીનું એક પેકેટ મળતું હતું તે લઈ લીધું. જે પછી અમને હેગમાં કામ લાગ્યું. લક્ષ્મી હોટલના રસોડે જઈ ત્યાંના મસાલા તેલ ઉમેરી તેને પુલાવ રાંધી આવેલી. અમારી સાથે બે બાળકો એટલે કોઈ ના કહે નહીં. 

પેરિસમાં એફિલ ટાવર જોયો ત્યારે મને ગાંધીજી યાદ આવ્યા. તેમણે આ ટાવરને માણસના શાણપણનું નહીં પરંતુ મૂર્ખાઇનું સ્મારક ગણ્યું હતું. લૂવર મ્યુઝિયમમાં અમે સ્કલ્પચર અને પેઇન્ટિંગ્સ જોયા. તેમાંય લિયોનાર્ડો દા વિન્ચીના પ્રસિદ્ધ પેઇન્ટિંગ્સ અને ખાસ કરીને મોનાલિસા અવિસ્મરણીય રહ્યા. 

આર્મસ્ટડમમાં બસવાળાએ અમને રાત થઈ રહી હતી એટલે પ્રોસ્ટીટ્યુટ બજારમાં ઉતાર્યા. અમારી સાથેના સ્લોવેનિયન સીંગલ યુવક યુવતીઓ તો રાજીના રેડ થઈ ગયા અને પોતાને મન ગમતા થિયેટરના શો જોવા ભાગી નીકળ્યા. અમારામાંથી એક કપલ પણ છૂટુ પડ્યું. હું, લક્ષ્મી, ઉજ્જવલ અને ધવલ શું કરીએ? મોટા બજારમાં શો રૂમમાં કપડાં- ડ્રેસ લટકાવી જેમ વેપારી શો કરે તેમ અહી દુકાને દુકાને સજી ધજીને રૂપલલનાઓ શરીર વેચવા ઉભી હતી. જાતજાતના ગીતો વાગે અને એવા ઘોંઘાટ વચ્ચે બજારમાં તો ચિક્કાર ગિરદી. અમારે બીજા પાછા આવે ત્યાં સુધી સમય કાપવાનો હતો. ફૂટપાથ બજાર પરથી કંઈક લઈ અમે હળવો નાસ્તો કર્યો પછી ફૂટપાથ પકડી બજારમાં ચાલ્યા. હવે પલાળ્યુ છે એટલે મૂંડાએ છૂટકો. અભ્યાસ પ્રવાસ છે ચાલો આનો પણ અભ્યાસ કરી લઈએ. હું અને લક્ષ્મી એક દુકાને ઉભા રહ્યા. લલના કહે ૭૫ ડોલર. પાછી લક્ષ્મી તરફ ઈશારો કરી કહે તેની પાસે છે તે જ છે બીજું કંઈ નવું નથી તેથી ચાલતી પકડ. હું હજી તેની સામાજિક પૃષ્ઠભૂમિ પર ઉતરું ત્યાં રોકડું પરખાવ્યું કે વાતો કરવી હોય તો પણ કલાકના ૭૫ ડોલર આપવા પડે. અમે તો ચાલતી પકડી. મોડી રાત્રે જેઓ બજારમાં ઉતર્યા હતા તે પાછા ફર્યા એટલે અમે સૌ બસમાં બેસી શહેર બહાર બુક કરેલ કોઈ હોટલમાં પહોંચી નિદ્રાધીન થયા. 

યુરોપના આ પ્રવાસ ઉપરાંત અમે અંગત ટુર કરી રોમ, પોમ્પે, ફ્લોરેન્સ, પીસા, નેપલ જોયા હતાં. મેં વધારામાં વેનિસનો પ્રવાસ કર્યો હતો. દરેકનું લખવા રહીએ તો પાનાં ભરાય. એટલું સમજાય કે જીવ્યા કરતાં જોયું ભલું. જે ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે. 

મારે ડોલર બચ્યા. સરકારે ગાંધીનગર પ્લોટ આપ્યો અને લોન મંજૂર કરી. એટલે ગાંધીનગરમાં પોતાનું ઘર બન્યું જેનું અમે નામ રાખ્યું લ્યુબ્લ્યાના. તે શહેરે મને ડિગ્રી આપી અને તેની બચતે ઘર બંધાયુ. 

લ્યુબ્લ્યાનાથી નાતાલ વેકેશનમાં હું પહેલીવાર અમેરિકા ગયેલો તેની વાત હવે પછીના અંકમાં. 

૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫

Sunday, September 28, 2025

સચિવાલય થી સ્લોવેનિયા

સચિવાલય થી સ્લોવેનિયા 

૧૯૮૫માં IAS થયા પછી મસૂરી તાલીમમાં જવા સચિવાલયની વિદાય લીધી હતી તેમાં ત્રણેક મહિના ૧૯૮૯માં નાયબ સચિવ માર્ગ અને મકાન વિભાગમાં નિમણૂક થઈ હતી ફરી પાછી પુનઃ નાયબ સચિવ આરોગ્ય તરીકે ૧૯૯૫ના ઓગસ્ટમાં પ્રવેશ થયો. વિઠ્ઠલ કૌલગી સાહેબ અમારા અગ્ર સચિવ. રાજેશ કિશોર પાસેથી મેં ચાર્જ સંભાળ્યો તેથી જાહેર આરોગ્યની શાખાઓ મને વારસામાં મળી. 

એ વખતે સચિવો બોસ ગણાતા. કૌલગી સાહેબ પ્રમાણમાં શાંત પરંતુ બોલવાનું શરૂ કરે તો અટકાવવા કાઠા. ગુજરાતમાં બીજેપીની સ્વતંત્ર સરકાર પહેલીવાર બની. મંત્રીઓ ઉત્સાહમાં. ફાઈલોની ચર્ચા કરવા સચિવોને વારેવારે બોલાવવા ન પડે એટલે નાયબ/સંયુક્ત સચિવોને બોલાવે. એકવાર કૌલગી સાહેબ તેમના કોઈ અધિકારીને મંત્રીશ્રીની કેબીનની લોબીમાં જોઈ ગયા. તેમણે લંચ સમયે અધિકારીઓની બેઠક બોલાવી અને લાંબુંલચ ભાષણ કર્યું. જો ભાઈ મંત્રી જોડે ચર્ચા કરવાનું થાય તો તેમને જણાવ્યા સિવાય નહીં જવાનું. સીઆરની બીક એ વખતે મોટી તેથી સાહેબો કહે એ બધું અધિકારીઓ સાંભળી લેતા. 

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાસ કરીને કોમ્યુનીટી હેલ્થ સેન્ટરોને અદ્યતન સાધનો, તેમાંય મુખ્યત્વે એક્સ રે મશીનો મેળવવાનો ORET પ્રોજેક્ટ આવ્યો. યોજનાની શરતો સારી હતી પરંતુ નેધરલેન્ડમાં obsolete સાધનો અહીં પધરાવવાનો અને currency exchange risk અમારા પક્ષે રાખવાની બાબતે વિભાગના અગ્ર સચિવ કૌલગી સાહેબ અને હું એક થયા. તેમના સેક્ટર-૧૯ના ઘેર બેસી પ્રોજેક્ટની શરતો સુધારવા નોંધ તૈયાર કરી આરોગ્ય મંત્રીને રજૂ કરી. પરંતુ આરોગ્ય મંત્રી ઓરેટ પ્રોજેક્ટ સ્વીકારવા ઉત્સાહિત હોઈ મૂળ ઓફર મુજબ તે દરખાસ્ત મંજૂર થઈ અને ગુજરાતના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં અદ્યતન સંસાધનો આવ્યા. એ અલગ વાત છે કે જ્યાં એક્સ રે મશીન હોય અને ટેકનીશ્યન ન હોય એટલે કેટલાક એક્સ રે મશીનો વપરાયા વિનાના પડી રહે. કોઈક કેન્દ્રોમાં અઠવાડિયે માંડ પાંચ પચીસ એક્સ રે પડતા હોય ત્યાં કલાકના હજારની ક્ષમતાવાળા મશીનો શોભા અભિવૃદ્ધિ કરતા રહે. પરંતુ ઓરેટ પ્રોજેક્ટના સાધનોએ ગુજરાતના આરોગ્ય કેન્દ્રોને બીજા રાજ્યોથી ચડિયાતા કર્યા. 

કૌલગી સાહેબ પછી અશોક ભાટિયા સાહેબ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા. વિભાગની મહત્વની શાખાઓ તબીબી શિક્ષણની ગણાતી પરંતુ ત્યાં સંયુકત સચિવ ક્રિશ્ચિયનની કામગીરીથી ભાટિયા સાહેબ ખુશ તેથી તેમને મારી શાખાઓમાં ફેરફાર કરવાનું મુનાસિબ ના લાગ્યું. એ સમયે આરોગ્ય સેવાઓ સુધારણાના ભાગરૂપ સરકારે એક સમિતિ બનાવી જેમાં વિભાગના બે અગ્ર સચિવો, આરોગ્ય કમીશ્નર સાથે કમીશ્નર કચેરીમાંથી અધિક નિયામક ડો. ઘાસુરા અને મારે સહભાગી થવાનું થયું. મારો જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો લગભગ પાંચ વર્ષનો અનુભવ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરોનો વહીવટ જિલ્લા પંચાયતો જોડે તેથી નબળી વ્યવસ્થાના કારણો માટે હું સુપેરે પરિચિત. મારા અનુભવ કામ આવ્યાં અને ઘણાં સુધારાત્મક પગલાંઓમાં મેં સૂચવેલા ફેરફારો લેવાયા. ડ્રાફ્ટ રીપોર્ટ તૈયાર થયો પરંતુ ભાટિયા સાહેબે તેને સુધારી નવો તૈયાર કર્યો. ડ્રાફ્ટ રીપોર્ટની પ્રસ્તાવનામાં મારું નામ હતું તે દૂર થયું. પરંતુ રીપોર્ટ પ્રિન્ટિંગમાં જતા પહેલા ભાટિયા સાહેબની બદલી સામાન્ય વહીવટ વિભાગમાં થતાં વિભાગના બીજા અગ્ર સચિવ પ્રબીર બાસુ સાહેબ ચાર્જમાં આવ્યા હતા તેઓ મારા કામના સાક્ષી તેથી પ્રસ્તાવનામાં મારું નામ ઉમેરી અહેવાલની પ્રિન્ટ કોપીમાં તે ભૂલ તેમણે સુધારી લીધી હતી.

આ ગાળામાં જીએડીએ મને ટુરિઝમ કોર્પોરેશનના એમડીનો વધારાનો ચાર્જ સોંપ્યો. ત્યાં ત્રણ Jનું સામ્રાજ્ય. MD આવે અને જાય, તે ત્રણ કરે તે થાય. ટુરિઝમને કારણે વાહન, જરૂર પડે ત્યારે કૂક વગેરે સપોર્ટની મદદ ઊભી થઈ એટલે હું રાજી થયો. મેં નિગમને નિયમોની ફ્રેમમાં લાવવાનો અને અનિયમિત નિર્ણયોમાંથી નિયમિત વ્યવસ્થા સ્થાપિત કરવાની કામગીરીનો આરંભ કર્યો. પરંતુ મારો હરખ બહું લાંબું ન ટક્યો. દિલ્હી ડેપ્યુટેશનમાંથી પ્રવીણભાઈ લહેરી સાહેબને સરકારે પાછા બોલાવતા તેમને ટુરિઝમ એમડીનો ચાર્જ સોંપી હું તે કામથી ફારેગ થયો. ગાંધર્વ મહેલની જેમ મળેલી સુવિધાઓ અદ્રશ્ય થઈ. સુરેશભાઈ ઉદ્યોગમંત્રી તેથી તેમના કહેવાથી ચાર્જ છોડાવ્યો હશે તેવી ધારણાથી મને તેમની પર ફરી એકવાર ખીજ ચડી. 

વળી પાછા રાજકીય મેદાનમાં ખજૂરિયા - હજૂરિયા ચાલ્યું અને તે વર્ષે ઓક્ટોબરમાં (૧૯૯૫) સુરેશભાઈ મહેતા મુખ્યમંત્રી બની ગયા. તેમને કારણે મારે સચિવાલય આવવું પડ્યું તેથી હવે જિલ્લામાં પાછા જવાની કોઈ ઉમેદ ન રહી. પરંતુ તેમણે ચીમનભાઈ પટેલ સાથે સચિવ રહેલા મારા બેચમેટ સંજય ગુપ્તાને તેમના સચિવ તરીકે પસંદ કર્યા તેનું મારી સાથે ઘણાને આશ્ચર્ય થયું. પછીથી સંજ્ય જ્યારે ૨૦૦૨માં IASમાથી રાજીનામું આપી અદાણીમાં જોડાયા ત્યારે થોડુંક અનુમાન બેઠુ પરંતુ તોય સાચુ ખોટું તો રામ જાણે. 

તે વર્ષે મુખ્ય સચિવ તરીકે ગુજરાતી આવ્યા જેને કારણે અમારા જીએડીના મિત્રનું જોર વધ્યું. મારે એક નવું વિધ્ન આવ્યું. તે સમયે દિલ્હી સરકારમાં ડેપ્યુટેશનમાં નામો મોકલવાના હોય ત્યારે અનૌપચારિક રીતે અધિકારીઓને પૂછવાની પ્રથા હતી. પરંતુ મને પૂછ્યા વિના મારું નામ દિલ્હી ડેપ્યુટેશન માટે ગયું અને દિલ્હીથી મારો નાયબ સચિવ કૃષિ મંત્રાલયનો હુકમ આવી ગયો. અહીં અમદાવાદ  મારી બાને પડી જવાથી ફીમર ભાંગી ગયેલું. તેના પગમાં સર્જરી કરી સળિયા નાંખેલા. વયોવૃદ્ધ માતા પિતા. આખું જીવન મજૂરી કરી ઉપર આવેલાં તેથી તેમની દેખભાળ મારી પહેલી પ્રાથમિકતા. તેમને ન છોડવા પડે તે માટે મેં ૧૯૮૪માં IRS છોડી દીધેલું. તેથી દિલ્હી ડેપ્યુટેશન કેરીયર એડવાન્સમેન્ટની તક કહેવાય પરંતુ તે છોડવા મેં પ્રયત્નો આદર્યા. હું સંજયને મળ્યો અને તેમના મારફત મુખ્યમંત્રીને સંમત કરી ડેપ્યુટેશન રદ કરવા દિલ્હી પત્ર લખવાનો જોગ કર્યો. બીજી તરફ દિલ્હી જઈ DoPTમાં ગુજરાત કેડરના વિલાસીની રામચંદ્રન મેડમને મળ્યો. તેમણે કહ્યું કે પાંચ વર્ષનું ડીબારમેન્ટ આવશે. મારી સમક્ષ માતા પિતાની સારવાર પહેલી પ્રાથમિકતા, તેથી ડીબારમેન્ટ તો ડીબારમેન્ટ મેં વિનંતી ચાલુ રાખી. અહીં ગાંધીનગરથી પત્ર ગયો અને ત્યાંથી મારો ડેપ્યુટેશનનો હુકમ રદ થયો. પરંતુ દિલના ભલા વિલાસીની મેડમે મારું ડીબારમેન્ટ કોઈક રીતે ટાળ્યું તો જરૂર હશે કારણકે બીજે જ વર્ષે મને લાંબાગાળાની વિદેશ તાલીમનો લાભ મળવાનો હતો. 

સંજય ગુપ્તા તેમના અનુભવ, હોશિયારી અને વિઝનને કારણે ચીમનભાઈની અત્યંત નજીક હતા અને હવે તેઓ સુરેશભાઈ મહેતાની પણ નજીક પહોંચી ગયા. ચીમનભાઈના વખતમાં ચીમનભાઈ બહાર પ્રવાસમાં હોય ત્યારે તેમના સહી કરેલા કોરાં કાગળો તેની પાસે રહેતા જેથી ઈમરજન્સીમાં તેનો ઉપયોગ કરી મુખ્યમંત્રીનો નિર્ણય સંબંધિતોને જણાવી શકે. સુરેશભાઈ વખતે પણ તેનો દબદબો કાયમ રહ્યો. તેણે સરકારના ઘણાં નિર્ણયોમાં મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો હશે, પરંતુ વહીવટી તંત્રના સંદર્ભે બનેલી બે ઘટનાઓની નોંધ લેવી રહી.  

સામાન્ય વહીવટ વિભાગમાં એક ઉપસચિવ હાઈ ફ્લાયર. મદદનીશથી શરૂ કરી સળંગ પંદર વર્ષથી એક જ શાખા (IAS establishment) નું કામ કરે. તેમનાથી ઘણાં રાજી અને ઘણાં નારાજ. જેને લાભ થાય તે વખાણ કરે અને જેને નુકસાન પહોચ્યું હોય તે ઘસાતું બોલે. અંગ્રેજી નોંધ લેખન સારું હોવાથી અને સતત એક જ જગ્યાએ લાંબો સમય રહેવાથી અદ્યતન નિયમો GRsની જાણકારી વિશેષ રાખે. તેમના પર નાયબ સચિવ તરીકે એક આઈએએસ મૂકાતા નિયંત્રણ ઊભું તો થયું પરંતુ હજી રીપેરીંગ જરૂરી હતું તેવુ ઘણાંને લાગતું. અમારી બેચ સાથે તે ભાઈને પહેલાથી વાંધો પડેલો, અને સંજયને લગભગ કાર એડવાન્સ કે કોઈ બીજી બાબતે વધુ વાંધો પડેલ. વળી હોઈ શકે મુખ્યમંત્રી કાર્યાલયની સૂચનાઓના અમલ ન કરવામાં તે અને મુખ્ય સચિવ એક થયા હોય. મુખ્યમંત્રીને વિશ્વાસમાં લઈ તે અધિકારીની જીએડી બહાર બદલીના હુકમો થયા. કહેવાય છે કે તે વખતના મુખ્ય સચિવે હુકમના અમલને વિલંબિત કરવાનો પ્રયાસ કરતાં ઈન્ડિયન એક્સપ્રેસે હેડલાઇનથી સમાચાર છાપ્યા તેથી તે બદલી હુકમનો અમલ ઝટ થયો. સુરેશભાઈ મુખ્યમંત્રી તરીકે માંડ એક વરસ રહ્યા અને તેમના પછી નવા મુખ્યમંત્રી શંકરસિંહ વખતે જીએડીના એક અગ્ર સચિવે કહેવાય છે કે તે અધિકારી સામે ખાતાકીય પગલાંની વિચારણા કરેલ પરંતુ નવા આવેલ મુખ્ય સચિવે તેમનું રક્ષણ કરતા પ્રકરણ ત્યાં જ બંધ રહેલ. પછી રાજકીય પરિસ્થિતિ તેમને સાનુકૂળ થતાં તે પાછા આવી ગયા અને નિવૃત્તિ સુધી બઢતી મેળવતા રહ્યા અને ટકી રહ્યા. 

સંજયની બીજી એક સ્ટ્રાઈકમાં યુએન મહેતા હોસ્પિટલમાં હ્રદયરોગના એક દર્દીની સારવારમાં વિલંબના મુદ્દે વિવાદ થતા ત્યાંની ટીમ બદલાઈ ગઈ અને ડો. આર. કે. પટેલનો પ્રવેશ થયો. ડો. પટેલ સંસ્થામાં ત્રણ દસક જેટલું રહ્યા અને તેમણે તેમનું તથા સંસ્થાનું નામ રોશન કર્યું. 

અહીં હવે મને સચિવાલયમાં કામથી વિરક્તિ આવવા લાગી. મને થયું અહીં તો આવું ઉપર નીચે ચાલ્યા કરશે, ચાલો, થોડું પર્યટન કરીએ. પિથૌરાગઢ જિલ્લો ઉત્તરપ્રદેશ (હાલ ઉત્તરાખંડ)માં તે વખતના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે મારા બેચમેટ અને મિત્ર સીતારામ મીના. બીજું ઉજ્જવલ રાનીખેત હતો તેથી તેને મળવા જવાનું હતું. બંને કારણો ભેગાં કરી લક્ષ્મી અને હું પ્રવાસે નિકળ્યા. ઉજ્જવલને રાનીખેતથી લઈ અમે પિથૌરાગઢ પહોંચ્યા. સીતારામે મને એક સરકારી જીપ અને ડ્રાઇવર મોહન જોષીની સેવાઓ આપી. અમે રોજ સવારે ચા-નાસ્તો કરી નીકળીએ, રસ્તામાં ક્યાંક લંચ કરીએ અને સાંજે મુખ્ય મથકે આવી ડીનર કરી સૂઈ રહીએ. આવું ચાર પાંચ દિવસ ચાલ્યુ. ડ્રાઇવર જોષી હવે અકળાયો. મને કહે સાહેબ આપ ક્યા યહ જગહ વો જગહ, યહ મંદિર વો મંદિર ભટક રહે હો, ભગવાન તો હમારે ભીતર હૈ, બસ ઉસે દેખને કી સમજ ચાહિયે. મારા કાન ચમક્યા. મેં વળતું પૂછયું આપ કો આધ્યાત્મ કી ક્યા સમજ હૈ? તેણે કહ્યું કે તેના ગુરૂ બાબા જયગુરૂ દેવ છે. તેઓ કંતાન પહેરે છે. તેમના ઉપદેશથી તે તેના ભીતરના ચૈતન્ય રૂપનો અનુભવ કરે છે. આ તો કુટુંબ પાળવા તેને ડ્રાઇવરની સરકારી નોકરી કરવી પડે છે નહિતર જેનું સ્વરૂપ અજર અવિનાશી હોય તે આમતેમ થોડો ભટકે? મને તેની વાત હ્રદય સોંસરવી ઉતરી ગઈ. આધ્યાત્મિક ખેડાણ મારું બચપણથી પરંતુ મોહનની વાતે મારામાં હજી કંઈ ખૂટતું હોવાનું ભાન કરાવ્યું. અમે નિર્ધારિત પ્રવાસ પૂરો કરી ગાંધીનગર આવ્યાં. મારું તન સચિવાલયના કામમાં અને મન અધ્યાત્મ વિચારોમાં ખોવાયું. 

એક દિવસ મને મળવા મારા જૂના સાથી મિત્ર કાળુજી વણઝારા આવ્યા. મેં કાળુજીને કહ્યું કે મારે સત્સંગ સાંભળવો છે. નજીકમાં કોઈ આધ્યાત્મિક સંત હોય તો તેમનું નામ જણાવો ને. કાળુજી કહે, એ તો સાવ ઢૂંકડું છે. તેમનો ભાઈ ડાહ્યાજી વણઝારા મોટેરા આસારામ આશ્રમવાળા આસારામ બાપુનો ભક્ત છે, તે તમને લઈ જશે. તેમણે તેમના ભાઈને ફોન કર્યો અને એક સાંજે બાપુના સત્સંગ પૂરો થવાના સાંજના સમયે અમે મોટેરા આશ્રમ પહોચી ગયા. મને આગળની હરોળમાં બેસાડ્યો અને જેવો સત્સંગ પૂરો થયો એટલે દર્શનની લઈન લાગી એટલે મને બાજુમાં એક ખૂણે ઊભો રહેવા જણાવ્યું. ભીડ ઓછી થઈ એટલે ડાહ્યાજીએ મારો પરિચય કરાવ્યો. બાપુએ હાથ લાંબો કરી મારો હાથ મિલાવી મને પ્રેમપૂર્વક આવકાર આપ્યો. પછી ચાલ્યો મારો સત્સંગ સાંભળવાનો સિલસિલો. આસારામ બાપુ સ્વામી રામસુખદાસજીનું સાહિત્ય વધુ વાપરે. તેમના સત્સંગ ટીમના પ્રેમજી વગેરે કદાચ મુદ્દા નોંધ બનાવી આપતા હશે. પરંતુ બાપુ ભૂલ વગર સત્સંગ કરે. એક વાર્તામાંથી બીજી વાર્તા, બીજીમાંથી ત્રીજી અને પાછી મૂળ પહેલી વાર્તાનો તંતુ પકડી ટ્રેક પર એટલા સહજતાથી આવે કે રસ ભંગ થાય નહીં. બોલતા કોઈવાર ખાંસી જેવું આવે તો સાઈડમાં રહેલી માઈકની સ્વીચ બંધ કરી ખાંસે તેવી સજગતા. યોગ વશિષ્ઠનું વાંચન અને તેનું અર્થઘટન ડિનર પછીની સાધકોની બેઠકોમાં થતું. અદ્વૈત વેદાંતમાં એટલી સરળ સમજ આપતા એ વખતે ખૂબ ઓછા સંતગણમાં તે શિરમોર. તેઓના ગુરૂ લીલાશાહ બાપુ પરંતુ તેઓની આધ્યાત્મિક પ્રગતિમાં ગણેશપુરીના સ્વામી મુક્તાનંદ અને હાલોલના નારાયણ બાપુનો ફાળો. તેમના કહેવા પ્રમાણે તેમને સાક્ષાત્કાર અનુભવ ગણેશપુરી આશ્રમમાં થયેલ. ભારતના ભાગલા વખતે હાથેપગે થઈ ગયેલા કુટુંબો પાકિસ્તાનથી નિરાશ્રિત થઈ આવેલા તેમાનું તેમનું એક કુટુંબ. તેઓની વય ત્યારે નાની. તેઓ પરિણિત અને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર. કાલુપુર લાટબજારમાં તેમના ભાઈની ખાંડની દુકાન આજે પણ છે. તે દુકાન પર તેઓ બેસતા અને ભાઈના ત્રાસથી ઘર છોડી આધ્યાત્મિક માર્ગે ફંટાઈ ગયેલા. તેમના વિશે કહેવાતું કે તેઓ અનેક વર્ષોની સાધના થકી કુંડલિની યોગના જાણકાર અને શક્તિપાત વિદ્યાના ધની બન્યા હતા. મને પણ તંત્રની કુંડલિની જાગરણ વિધિનું માર્ગદર્શન અને અદ્વૈત આધ્યાત્મની શરૂઆતની સમજ કેળવવામાં તેમના સત્સંગોથી લાભ થયેલ. 

ગાંધીનગર સુરેશભાઈ મહેતાની સરકાર લાંબુ ન ટકી. શંકરસિંહ વાઘેલાએ બળવો કરી તેમની વગના ધારાસભ્યો લઈ બીજેપીમાંથી છૂટા પડ્યા. ઓક્ટોબર ૧૯૯૬માં ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું. રાજ્યપાલ કૃષ્ણપાલ સિંહ સત્તાધીશ બન્યા. તેમના કાર્યાલયમાં એક સચિવ તરીકે અવિનાશ કુમાર હતા બીજા અધિક સચિવ મૂકાયા. રાજકારણ અને વહીવટ બંનેનું કેન્દ્ર રાજ્યપાલ બન્યા. રાજ્યપાલ કાર્યાલયમાંથી બદલી હુકમો શરૂ થયા. કેટલાક કલેક્ટર બદલાયા. મને પણ નાયબ સચિવ (જમીન) તરીકે ફેરફાર મળ્યો. 

કોંગ્રેસ પક્ષે બહારથી ટેકો આપતાં નવેમ્બર ૧૯૯૬માં મુખ્યમંત્રી તરીકે શંકરસિંહ વાઘેલાની વરણી થઈ અને તેમની સરકાર બની. મહેસાણાના આત્મારામ પટેલ મહેસૂલ મંત્રી બન્યા અને કચ્છના ધારાસભ્ય બાબુભાઈ મેઘજી શાહ નાણા મંત્રી બન્યા. 

શંકરસિંહ મુખ્યમંત્રી બન્યા ત્યારે ધારાસભ્ય નહોતા તેથી રાધનપુરની બેઠક પરથી પેટા ચૂંટણી લડ્યા. તે વખતે મુખ્ય સચિવ એવા ગુજરાતી અધિકારીના એક્સટેન્શનનું નક્કી મનાતુ પરંતુ દરખાસ્ત ન થઈ કે દિલ્હીની યુપીએ સરકારે ન સ્વીકાર્યુ, તેમની પછીના ક્રમે આવતા અધિકારી મુખ્ય સચિવ બન્યા. તેઓ નસીબદાર પણ એટલાં કે તેમના સમયમાં ભારત સરકારે નિવૃત્તિ વય ૫૮ થી વધારી ૬૦ કરતાં તેમને વધારાના બીજા બે વર્ષ મળ્યા.

અમારા મહેસૂલ સચિવ તરીકે એની પ્રસાદ મેડમ. એકદમ ભલાં. મને કહે કે તેઓને રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર રખડતાં ભટકતાં આશ્રય વિહોણા ગરીબ અને લાચાર માણસો માટે કોઈ યોજના બનાવવી છે. મેં “કસ્તુરબા આશ્રય યોજના” ઘડી કાઢી. તેનો મુસદ્દો મારા મિત્ર કાન્તિ પ્રજાપતિ પાસે સુદૃઢ કરાવ્યો અને નિરાશ્રિત એવાં રખડતાં ભટકતાં લોકોની ભોજન, આશ્રય, તાલીમ અને પુનર્વસનની યોજના લાગુ થઈ. 

સરકાર તે વખતે ફાસ્ટ ટ્રેક પર ચાલતી. વહીવટી નિર્ણયો ઝડપી લેવાતા. સચિવાલય કેમ્પસમાં મુલાકાતીઓની ભીડ વધવા લાગી. નવા મુખ્યમંત્રી કહે તેમને બધું એક નંબર જોઈએ છે. એક નંબર વહીવટ. એક નંબર અધિકારીઓ. એક નંબર... બધું એક નંબર. એક દિવસ માધવસિંહ સરકાર વખતની એક સમિતિનો રાજ્યના જિલ્લા તાલુ્કા વિભાજનનો એક અહેવાલ બન્યો હતો તે મંગાવ્યો. હજી કંઈ લાંબી ચર્ચા વિચારણા થાય ત્યાં સુધીમાં ૧૯ જિલ્લા વધી ૩૩ જિલ્લા અને ૧૮૪ તાલુકા વધી ૨૨૫ તાલુકાની જાહેરાત થઈ ગઈ. તે નિર્ણયના અમલનો GR થયો. એ વખતે દરેક ખેડૂતને નવી ખેડૂત ખાતાવહી આપવાનો નિર્ણય થયો. તે બુકલેટ છપામણી અને વિતરણનો મુદ્દો પછીથી ખૂબ ચગ્યો. સંજય પ્રસાદ તે સમયે વિભાગમાં આ કાર્યવાહી સંભાળતા. મંત્રી આત્મારામ કાકા સમીક્ષા કરે ત્યારે તેમની કડવી જીભ પ્રગટ કરતા. 

મહેસૂલ વિભાગમાં મારી પાસેનું સરકારી જમીનોના ફાળવણી અને દબાણો નિયમબદ્ધ કરવાનું ટેબલ સંવેદનશીલ. મહેસૂલ મંત્રી અને કેબિનેટને નાણાંકીય મર્યાદા મુજબ અધિકારો. વચ્ચે ખાસ કિસ્સામાં નિર્ણય લેવાનો હોય ત્યારે મુખ્યમંત્રીની સહી લેવાતી. માંગણીદારો તેમને ઓછામાં ઓછી કિંમતે લાભ મળે તેવા પ્રયાસ કરતા. વળી જિલ્લા અને રાજ્ય મૂલ્યાંકન સમિતિના મૂલ્યાંકન રકમની અવધી છ મહિનાની તેથી ફરી પાછી મૂલ્યાંકનમાં જતી દરખાસ્તો વિલંબિત થતી. તેથી જૂના મૂલ્યાંકન પર ૧૨ ટકા સાદું વ્યાજ ચડાવી દરખાસ્તો મંજૂર કરવાની પ્રથા અમલી બની. દબાણ નિયમબદ્ધ કરવું હોય તો GR મુજબ જમીનની બજારકિમતની અઢી ગણી કિંમત ભરવી પડતી, તેથી ક્યાંક ખાસ કિસ્સામાં એકવડી કિંમતે દબાણ નિયમબદ્ધ થવાના નિર્ણયો આવે. જ્યાં જમીન માંગણીદાર સંસ્થા હોય ત્યાં GR મુજબ ૫૦% બજાર કિંમતે અને જ્યાં મહેસૂલ માફીની જોગવાઈ હોય તો તે મુજબ થતું. 

નવી સરકાર બહારના ટેકાથી બનેલી તેથી આંતરિક રીતે અસ્થિર ગણાતી. અમારા મહેસૂલ મંત્રીના પણ મોટા અભરખા સંભાળાતા. તેમનું અને નાણામંત્રીનું સંકલન સરસ થઈ ગયેલું. તેથી મહેસૂલ અને નાણાં વિભાગના અધિકારીઓ જે પણ નોંધ લખે, ધાર્યુ તેઓનું થતું. નાણાં સચિવને રીટર્નમાં ફાઈલ મોકલીએ તો તેઓ ટૂંકી સહી કરી પરત કરે તેથી સરકારનું ધાર્યું થાય. પછીથી એક સંસ્થાને ઓછી કિંમતની ફાળવેલ જમીન સામે બદલી બીજે મોંઘી કિંમતની જમીન સામે અદલાબદલી કરવાનો એક નિર્ણય લોકાયુક્તની ચકાસણી સુધી ગયેલ. 

આ બાજુ આસારામ આશ્રમ મોટેરા અને સુરતની આસપાસ દબાણ કરેલ સરકારી જમીનો નિયમિત કરવાની ફાઈલો શરૂ થઈ. અમારા મહેસૂલ મંત્રી ધાર્મિક સ્વભાવના અને રાજકીય મહત્વાકાંક્ષી તેથી તેઓનું વલણ આશ્રમના દબાણની જમીનો નિયમબદ્ધ કરવા હકારાત્મક હતું. આસારામ બાપુના સત્સંગમાં ત્યારે જે તે રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, રાજકીય મોટા આગેવાનોનું વગેરેનું આવવું સહજ હતું. અમારા મહેસૂલ મંત્રી પણ તેમને મળવા મોટેરા આશ્રમ જઈ આવેલા. તેમાં વળી હું આશ્રમથી પરિચિત ઉમેરાયો એટલે સાધકોના આંટા સચિવાલયમાં વધી ગયા. મોટેરા અને સુરત આશ્રમમાં બાપુ વિશે મેં જાતજાતની વાતો સાંભળેલ. તેમાંય વળી તેમના ત્રણેક દાયકાના સાથી શિવલાલ કાકાએ કેટલીક ખાનગી વાતો કરી તો મારી શંકા વધી ગઈ. તેવામાં એકવાર મેં આધ્યાત્મિક પ્રશ્ન કર્યો તો કહે વો સબ મેં સંભાલ લૂંગા તુમ આશ્રમ કી ફાઈલો કે નિકાલમેં ધ્યાન દો. મારું મન ચકરાવે ચડ્યું. અમારે સંસારીઓને સંસાર અને બાવાઓને આશ્રમોનો સંસાર. આમાં વિવેક અને વૈરાગ્ય ક્યાંથી આવે? વિવેક અને વૈરાગ્ય વિના જ્ઞાન થાય નહીં અને જ્ઞાન વિના અવિદ્યાનું અંધારું જાય નહીં. ખેર! મહેસૂલ મંત્રી અને નાણામંત્રી બંને એક હતાં, તેથી બજાર કિંમતની અઢી ગણી કિંમત એકવડી થઈ જાય અને પુનર્મૂલ્યાંકનની દરખાસ્તો મૂળ મૂલ્યાંકન પર સાદું વ્યાજ ઉમેરી મંજૂર થઈ જતી. 

ફાસ્ટ ટ્રેક સરકારના ફાસ્ટ ટ્રેક મુખ્યમંત્રીએ લોકોના પ્રશ્નોના ઝડપી નિકાલ અર્થે મુખ્યમંત્રી નિવાસે લોક દરબાર શરૂ કર્યો. તેમાં વિષય સંબંધિત જે તે વિભાગના નાયબ/સંયુક્ત સચિવ હાજર રહેતા. મારે પણ એક દિવસ હાજર રહેવાનું થયું. સવારે દસ વાગે શરૂ થયેલી બેઠક બપોર સુધી ચાલી. મારા વિભાગનો મુદ્દો આવ્યો અને પતી ગયો. એવામાં કોઈક આવ્યું. મુખ્યમંત્રી કહે, પરમાર તમે બેસજો, હું પાછો આવું છું તેમ કહી બપોરના ૧ કલાકે તેઓ ગયા. અહીં બપોરના બે થયા અને મને પેટમાં બિલાડા બોલે. મુખ્યમંત્રી આવાસે કોઈ વ્યવસ્થા ન હતી. મેં ૨.૩૦ સુધી રાહ જોઈ પરંતુ મુખ્યમંત્રી ન આવ્યા તેથી હું ઉઠીને ઘેર જમવા આવ્યો. પાછળથી ત્રણ વાગ્યા પછી મુખ્યમંત્રી આવ્યા તો મને ન જોવાથી તેઓ નારાજ થયા. 

અહી મારા ટેબલે કચ્છમાં જે સાંથણીની ફાઇલની મારે તકરાર પડી હતી તે જ ફાઇલ આવી. નિયમ વિરુદ્ધ નિયમબદ્ધ કરવાની નોંધ હું કેવી રીતે લખતો? નિયમસર નોંધ મૂકાઈ એટલે તેના હિતધારકો ચેત્યા. જઈ કચ્છના મંત્રી બાબુભાઈ શાહને પકડ્યા અને મારી મહેસૂલ વિભાગમાંથી બદલી આરોગ્ય વિભાગમાં થઈ. હું મહેસૂલ મંત્રીને મળ્યો પરંતુ તેમણે નાણાંમંત્રીનું બહાનું ધર્યું. મહેસૂલ મંત્રીના અંગત સચિવ નલીન ઉપાધ્યાયે કાકાને સમજાવવા પ્રયાસ કરી જોયો પરંતુ તેમનો પનો ટૂંકો પડ્યો. નાણામંત્રી મારા કચ્છના પરિચિત અને મારા પક્ષધર. તેથી મેં તેમનો સંપર્ક કર્યો તો તેમનો બોલ બદલાયો. મેં મુખ્યમંત્રીના સચિવને ફોન કરી સમય લઈ તેમની ચેમ્બરમાં જઈ વાત કરી. મેં તેમને યાદ કરાવ્યું કે કલેક્ટરોના હુકમો થયાં તેમાં મારું નામ લીધું હોત તો આ ઘડી ન આવત. તેઓ કહે તેમને એમ કે DS (Land)ની કામગીરી મહત્ત્વની છે અને તે કામથી હું ખુશ છું તેવા ભ્રમથી તેમનું ધ્યાન ન રહ્યું. અન્યથા થઈ જાત. મેં આશ્વાસનથી મન મનાવ્યું. મારી હાજરીમાં તેમણે નાણામંત્રી સાથે વાત કરી. સામે મંત્રી શું બોલ્યા તે મને ખબર નહીં પરંતુ બંનેની મોઘમ વાતો પૂરી થઈ અને હું પાછો આરોગ્ય વિભાગમાં પહોંચી ગયો. મુખ્ય સચિવને મળ્યો તો કહે there is a silver line that your ACS Health is happy with your posting. મહેસૂલ વિભાગની મારી એ સફર માત્ર સાત મહિનાની રહી પરંતુ યાદગાર રહી. 

હું મે ૩૦, ૧૯૯૭ના રોજ આરોગ્ય વિભાગમાં સંયુક્ત સચિવ (ICDS અને જાહેર આરોગ્ય) તરીકે હાજર થયો. વિભાગના કાર્ય વિભાજન મુજબ અશોક કોસી સાહેબ અમારા ઉગ્ર સચિવ. તેમની જોડે સીએલ લેવી હોય તો પણ તકરાર કરવી પડે. પણ પડ્યું પાનું નિભાવવું રહ્યુ. 

જેને રામ રાખે તેને કોણ ચાખે? આસારામ આશ્રમના સાનિધ્યમાં હું એક સરસ્વતી મંત્ર શીખેલો. મને થયું જોઈએ શું અસર થાય છે મંત્રની. મેં જાપ શરૂ કર્યા. ધવલ અને મેં બંને જણે ચાંદ્રાયણ વ્રત પૂરું કર્યું હતું તેથી કહેવાતી માનસિક શુદ્ધિ મારી સાથે હતી. 

હજી મને નવી જગ્યાએ માંડ મહિનો થયો હશે. એક દિવસ બપોરે ઘેરથી લંચ કરી વિભાગમાં મારી ચેમ્બરમાં પ્રવેશ્યો તો મારા ટેબલ પર મારા નામજોગ ભારત સરકારનું કવર પડ્યું હતું. મને થયું, ભારત સરકારનો પત્ર મારા નામ જોગ? શું હશે? કવર ખોલ્યું તો જાણી સાનંદાશ્ચર્ય થયું. UNDP અંતર્ગત લ્યુબ્લ્યાના યુનિવર્સિટી સ્લોવેનિયામાં એમ.બી.એ. અભ્યાસ માટે મારી પસંદગી થઈ હતી. પગાર ચાલુ, પ્રવાસનો બધો ખર્ચ સરકારી, દૈનિક ભથ્થુ ડોલરમાં, જાણે લોટરી લાગી. મેં જરૂરી ફોર્મ ભરી વિઝા, ટિકિટ બુકિંગ વગેરે કામગીરી આરંભી દીધી. લાંબા ગાળાની આવી તાલીમનો લાભ દરેક સીધી ભરતીના આઈએએસ અધિકારીને મળતો જ હોય છે તેથી તેમાં કંઈ નવું નહોતું. પરંતુ મને સચિવાલય છોડવામાં તે સાનુકુળ હતું. તાલીમ પૂરી કર્યા પછી હું પાછો આવ્યો ત્યારે એક અજ્ઞાત મદદની ખબર પડી. એ વખતે GADમાંથી ARTD છૂટું પડેલું. ARTDમાં તે વખતે મારી ચાલીના ઉપસચિવ ભલજીભાઈ સોલંકી ફરજ બજાવતા. તેમણે તાલીમ માટે અધિકારીઓના નામ ભારત સરકારને મોકલવાની યાદીમાં મારું નામ ઉમેરેલું તેનું આ પરિણામ હતું. બાકી પેલા ભાઈ હોત તો આપણે આટલા વહેલા અને સરળતાથી ન જઈ શકત. 

હવે જીવનમાં એક નવો અનુભવ ઉમેરાવાનો હતો. એક તરફ યુરોપ ખંડ, તેનું શિક્ષણ, તેના લોકો, જોવાલાયક સ્થળો વગેરેનો એક રોમાંચક અનુભવ મારે કરવાનો હતો અને બીજી તરફ માતાપિતાને એક કનડગત થવાની હતી.

૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫

Powered by Blogger.