Thursday, June 12, 2025

પરમ આદરણીય શ્રી વિજયભાઈને શ્રધ્ધાંજલિ

૨ ઓગસ્ટ ૧૯૫૬ ના રોજ તેમનો જન્મ રંગૂનમાં થયો હતો. બર્મામાં રાજકીય અસ્થિરતા થતાં તેમનું પરિવાર ૧૯૬૦માં ગુજરાત પાછું ફર્યું. તેમણે અભ્યાસની સાથે રાજકોટમાંથી જાહેર જીવનનો આરંભ કર્યો. ૧૯૭૫માં દેશમાં કટોકટી લાદવામાં આવી ત્યારે ૧૯૭૬માં ૧૮ વર્ષના એક યુવાનને પોલીસ મીસામાં પકડી જાય તે જ તેમની રાજકીય અગ્રતા દર્શાવે છે. તેમનો ૧૧ મહિનાનો ભૂજ-ભાવનગરનો જેલવાસ તેમને રાજકીય મિત્રો બનાવવામાં અને જાહેર જીવનમાં વિકસવામાં ઘણો કામ આવ્યો. તેમના પાર્ટી સંગઠનના સાથી કાર્યકર અંજલીબેન જીવનસાથી મળ્યા. રાજકોટ કર્મભૂમિ રહી, ગાંધીનગરમાં રાજ્યાધિકાર મળ્યો અને છેલ્લે અમદાવાદથી આજે વિદાય લીધી. એક સરળ સાલસ સજ્જન પુરુષને આજે ગુજરાતે ખોઈ દીધાં. ૬૮ વર્ષ અને ૧૦ મહિનાની એમની જીવન યાત્રા અને જાહેર જીવન નમૂના રૂપ રહ્યા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે શરૂ કરી મહાપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને પછી મેયર તરીકે શરૂ કરેલી તેમની રાજકીય સફર છેક ટોચે મુખ્યમંત્રી બની પૂરી થઈ હતી. ગુજરાતના એ ત્રીજા મુખ્યમંત્રી જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. શ્રી વજુભાઈ વાળા ૨૦૧૪માં કર્ણાટકના ગવર્નર બનતાં વિજયભાઈનો રાજકીય સૂર્ય ઝળહળી ઉઠ્યો હતો. પેટા ચૂંટણીમાં ૨૦૧૪માં પ્રથમ વાર વિધાનસભ્ય બનતાં જ મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલે તેમને વાહનવ્યવહાર, રોજગાર, મજૂર, પાણી પુરવઠા ખાતાના મંત્રી બનાવી દીધાં હતાં. એક રાત્રે તેઓ સરકારી બંગલામાં યુરીન માટે ઉઠ્યા અને બાથરૂમની પાળી પર પડી જતાં તેમને માથામાં પાછળના ભાગે વાગ્યું હતું, લોહીલુહાણ હાલતમાં તેઓ સીવીલ અમદાવાદ જઈ અને પાટીપિંડી કરાવી આવ્યા અને માથા પર બાંધેલા પાટા સાથે બીજા દિવસે બુધવારની કેબીનેટ મીટિંગમાં હાજર થઈ તેમણે સાચા કર્મયોગી હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કુદરતને તેમની પાસે કામ લેવું હશે. તેઓ ફેબ્રુઆરી ૨૦૧૬માં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યાં. શ્રીમતી આનંદીબેન પંચોતેર વર્ષ નજીક પહોચતાં ઓગસ્ટ ૨૦૧૬માં તેમની જગ્યાએ શ્રી નીતિનભાઈ પટેલનું નામ નક્કી જેવું સંભળાતું હતું પરંતુ બીજા દિવસની બપોર બદલાઈ ગઈ અને સાંજની બેઠકમાં વિજયભાઈનો વિજય રથ આગળ નીકળી ગયો અને ગુજરાતને એક ન્યાય પ્રિય, ગરીબોના હમદર્દી મુખ્યમંત્રીની ભેટ મળી ગઈ. શ્રી વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા અને શ્રી નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી. વડીલ તરીકે સંકલન પાર પાડવાનું કામ તેમના ભાગે આવ્યું. સંગઠનના માણસ તેથી માથે બરફની પાટ અને જીભ પર સંયમ રાખી તેમણે સંકલન સાધ્યું અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી કટોકટની બની ત્યારે બીજેપીને જીતાડી બીજીવાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બની પાંચ વર્ષ પૂરાં કર્યા હતાં. જ્યારે એક જ સપાટે ધારાસભ્ય, મંત્રી, પક્ષ પ્રમુખ અને મુખ્યમંત્રી બન્યા ત્યારે વજુભાઈ હસતાં હસતાં કહેતાં આમણે કેવા દેવ પૂજ્યા છે? અમારે તો આગળ વધવા આખું આયખું નીકળી ગયું અને આમને કોઈ અટકાવ વિના નસીબની દેવી હાર પહેરાવી રહી છે. રાજકોટમાંથી ગુજરાતને ત્રણ મુખ્યમંત્રીઓ મળ્યા; શ્રી કેશુભાઈ પટેલ, શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી વિજયભાઈ રૂપાણી. શ્રી વિજયભાઈએ રાજકોટને વિકાસની હરણફાળ આપી. રાજકોટ શહેરનું વિસ્તરણ થયું, આધુનિક સુવિધાઓથી સજ્જ થયું, નવું એરપોર્ટ આવ્યું, એઈમ્સ આવી અને અમદાવાદથી રાજકોટને જોડતો છ લેન રાજમાર્ગ અપાવ્યો. તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારથી પાણી સંગ્રહવા અને નર્મદા જળના મહત્તમ ઉપયોગના આગ્રહી રહ્યા જેને કારણે ગુજરાતનો કૃષિ વિકાસ તેની ગતિ જાળવી રહ્યો. પીવાના પાણીની કોઈ તકલીફ પડી નહીં. બનાસમાં પૂર આવ્યું તો બનાસકાંઠા જિલ્લામાં પખવાડિયું કેમ્પ કરી તેમણે કેશડોલ્સ ચૂકવણીથી માંડી રાહતની વ્યવસ્થા કરી દીધી હતી. તેમના પાંચ વર્ષના શાસનમાં ગુજરાત સુખી, સમૃદ્ધ અને વિકસિત બન્યું. તેઓ કેબિનેટ મીટિંગ લેતાં હોય કે બીજી વિભાગીય બેઠકો, અધિકારીઓને તેમની વાત પૂરી કરવાનો મોકો આપતાં અને તેમનાં સાચા સૂચનો સ્વીકારતાં. મીટિંગમાં તેઓ કોઈ વાતે તેમનો વાંધો વિચાર હોય તો સહજ રીતે મોઢે લાવી દેતાં. નોટબંધી થઈ ત્યારે રોકડા નાણાંની વહેંચણીમાં શરૂઆતમાં ભારત સરકાર પહોંચી ન વળતાં તેઓ કહેતાં અટક્યાં નહતા કે સાહેબને સલાહ આપનારાઓએ નવી નોટો છાપવાની પૂરી તૈયારી કરી નોટબંધી કરાવવી જોઈતી હતી. તેઓ મુખ્યમંત્રી તરીકે ઓગસ્ટ ૨૦૧૬માં આવ્યા ત્યારે હું પણ નવોસવો શહેરી વિકાસ વિભાગનો અધિક મુખ્ય સચિવ હતો. અમે પડતર ટીપી મંજૂરીઓમાં ઝડપ લાવી, શહેરો માટે કોમન જીડીસીઆર, રેરાની સ્થાપના, સ્માર્ટ સીટી, સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં પ્રથમ સ્થાન લાવવા જેવાં મહત્વના કામો કરી શક્યાં. શહેરી વિકાસ પછી આરોગ્ય વિભાગમાં પણ ઈનિંગ તેજસ્વી રહી. અમે નવી મેડિકલ કોલેજો ખોલી મેડીકલ એજ્યુકેશનની સીટો વધારી શક્યા, અમદાવાદ સિવિલમાં મેડીસીટીનું સપનું સાકાર કરી શક્યા. યુએન મહેતાની નવી હોસ્પિટલ બનાવી. ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સેવાઓ પૂરી કરી જીવ પૂર્યો. ડેન્ટલ અને આઈ હોસ્પિટલો પૂરી થઈ. કેન્સર હોસ્પિટલના બે બ્લોક પૂરા કરાવ્યા. કીડની હોસ્પિટલ પૂર્ણતા નજીક પહોંચાડી. રાજકોટમાં પ્રધાનમંત્રી યોજનાની હોસ્પિટલ ઉપરાંત એઈમ્સ મંજૂર કરાવી. હોસ્પિટલોના અને કોલેજોનાં નવા બિલ્ડીંગો અને સેવાકીય સાધનો અપગ્રેડ કરી આરોગ્ય સેવાઓની બાબતે ઊંચી બજારશાખ ઊભી કરી શક્યાં. આરોગ્યમાં એક ઘરેલું વિધ્ન આડું આવ્યું અને મારે સેવાના છેલ્લા દશ મહિના કૃષિ વિભાગમાં કરવાં પડ્યાં. જો કે જ્યાં જરૂર હોય ત્યાં કુદરત લઈ જાય. વિઘ્નકર્તા કરતાં વિઘ્નહર્તા વધુ મદદ કરે. ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય સાથે કામ કરી પ્રાકૃતિક કૃષિના અભિયાનનો પાયો નાંખવામાં અને ખેડૂત કલ્યાણનાં સાત પગલાં ઉઠાવવામાં આ તક ઉત્તમ બની રહી. ૨૦૨૦ના બજેટ તૈયાર કરવાની અધિકારીઓની બેઠકોમાં સામાજિક સેક્ટરની યોજનાઓનોની ચર્ચામાં મેં વિશેષ ભાગ લીધો જેને કારણે કેટલીક લાંબા સમયથી સફળ રહેલી સ્કીમ બચી ઉપરાંત નવી યોજનાઓ આપી શક્યાં. બજેટની હેડલાઇન્સ જ્યારે છાપીમાં આવી ત્યારે વિજયભાઈ મને કહે પરમાર છાપામાં આજે તમે જ દેખાવ છો. કૃષિ વિભાગમાં ભારત સરકારની કિસાન ફસલ વીમા યોજનામાં રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં પ્રીમીયમ ભર્યે રાખ્યું અને વીમા કંપનીઓ ટેકનીકલ વાંધા કાઢી ગુજરાતના ખેડૂતોને પૂરતું વળતર આપતી ન હતી. ખોટનો સોદો હતો. અમે અસરદાર પ્રેઝન્ટેશન બનાવ્યું, વિકલ્પો રજૂ કરી રાજ્ય સરકારને ભારત સરકારની યોજનામાંથી બહાર કાઢી રાજ્યની પોતાની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના દાખલ કરી દીધી. આ યોજનાથી દર વર્ષે હજારો ખેડૂત સહાયના લાભાર્થી બન્યાં અને તેમને ચૂકવણી કર્યા બાદ પણ પ્રીમિયમની સંભવિત રકમ સામે રાજ્યને બચત પણ થઈ. બીએસસી કૃષિમાં સરકારી કોલેજોની મોનોપોલીને કારણે ૬૦% ગ્રામ્ય વસ્તીના રાજ્યમાં કૃષિ સ્નાતકોની સંખ્યા માંગ કરતાં ઓછી હોવાથી કૃષિ સ્નાતકોની સંખ્યા વધારવા ખાનગી કોલેજોની ભાગીદારી વધારવાના તેમના સૂચન મુજબ અમે આગળ વધી શક્યા. તેમનો પહેલો પરિચય તો અમને ૧૯૯૮માં જ્યારે શ્રી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતાં ત્યારે તેઓ ઢંઢેરા સમિતિના અને કદાય ૨૦ મુદ્દા સમિતિના અધ્યક્ષ બન્યાં ત્યારે યોજનાની સમીક્ષા કરવાં તેઓ અધિકારીઓને જાતે ફોન કરતાં અને લક્ષ્યાંકો સિદ્ધ કરવાં પ્રોત્સાહિત કરતાં તે વખતથી હતો. તેઓ રાજ્ય સરકારના મંત્રી અને મુખ્યમંત્રી બન્યા તે પહેલાં છ વર્ષ રાજ્યસભાના સભ્ય હતાં. ગુજરાત પ્રવાસન નિગમના અધ્યક્ષ અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન બની તે જવાબદારી પણ તેઓએ સરસ રીતે નિભાવી હતી. એક વખત હતો જ્યારે જે. એન. સિંહની મુખ્ય સચિવની મુદત પૂરી થવામાં હતી ત્યારે ક્રમ મુજબ શ્રી અરવિંદ અગ્રવાલનો નંબર હતો. મારા બેચમેટ શ્રી અનિલ મુકીમ તે વખતે દિલ્હીમાં સચિવ હતાં. તેથી ભૂતકાળમાં શ્રી પી. કે. લહેરી, શ્રી જગદીશ પાંડિયન, શ્રી જી. આર. અલોરિયા, શ્રી જે. એન. સિંહને તેમના સીનીયર હોવા છતાં મુખ્ય સચિવ બનવાની તક મળી હતી તેમ જો શ્રી અરવિંદ અગ્રવાલ ન પસંદ થાય અને શ્રી અનિલ મુકીમ દિલ્હીથી ન આવે તો મારી તક ખુલતી હતી. અરવિંદ અગ્રવાલને તો તેમણે કહ્યું હતું કે સીનીયોરીટીનો ક્રમ તોડી આગળ વધવામાં તેમને રસ નથી પરંતુ નક્કી તો દિલ્હીમાં થશે. મેં પણ એક વખત મારા વિશે પૂછી લીધું તો એટલી સરળતાથી જણાવ્યું, પરમાર તમે તો જાણો છો, દિલ્હી જઈ શ્રી પી. કે. મિશ્રાજીને મળી આવો. આનંદીબહેન જેવી ભૂલ મારે નથી કરવી. નિખાલસતાથી અને કોઈ પણ પ્રકારના કપટ વિના વાત કરતાં આવા મુખ્યમંત્રી અમે ક્યારેય જોયાં નથી. ૨૦૧૦ના માર્ચમાં કોવીડનું લોકડાઉન આવતાં કોવીડના ગંભીર દર્દીઓની લાઈન ઓફ ટ્રીટમેન્ટની મોનીટરીંગની ગંભીર જવાબદારી ઉપાડવાનું કામ મારા ભાગે આવ્યું. તંત્ર ત્યારે લોકડાઉન, હોસ્પિટલ વ્યવસ્થા અને પોઝિટિવ પરંતુ વિપરીત અસર ન થઈ હોય તેવા દર્દીઓને એડમીટ કરી તેની હોસ્પિટાલિટીના ભારમાં વ્યસ્ત થઈ રહ્યું હતું ત્યારે કોવીડ કેસોનું વીડીયો બેઠકથી દૈનિક મોનીટરીંગ અને ડેથ ઓડીટ કરાવી લાઈન ઓફ ટ્રીટમેન્ટમાં નક્કી કરવા અમને સફળતા મળી હતી. ૩૫ વર્ષની ભારતીય વહીવટી સેવાની નોકરીમાંથી કોવીડના વર્ષે ૩૧ જુલાઈ ૨૦૨૦ નારોજ હું નિવૃત્ત થયો ત્યારે વિજયભાઈનું અંતરમન મને નિવૃત્તિ પછી સેવામાં રોકવા તત્પર હતું પરંતુ કોઈ અજ્ઞાત રોકને કારણે તેમ ન કરી શકવાથી તેમની નિરાશા તેમના ચહેરા પર મેં વાંચી હતી. તેમણે મને નિવૃત્તિ પહેલાં પાંચેક વાર કહ્યુ હતું કે પરમાર તમારી સેવા લેવાનું નક્કી જ છે પરંતું તેઓ પાછા પડ્યાં. ત્રણેક મહિના પછી તેમણે મને ત્રણ વર્ષ માટે ગુજરાત પોલીસ કમ્પલેઈન ઓથોરિટીનો મેમ્બર બનાવ્યો હતો. પરંતુ તેમને એ ખબર ન હતી કે તેમાં મારે વર્ષે એકાદ વખત મળતી બેઠકમાં ₹૧૫૦૦ના મહેનતાણાંથી હાજર રહેવા માત્રનું કામ હતું. મને થયું મુખ્યમંત્રીનું વચન છે, આજે નહીં તો કાલે પૂરું કરશે. પરંતુ તેમ વાટ જોવામાં રહ્યા અને તેમની બદલીની તારીખ આવી ગઈ. આમ તેમનો અને મારો સાથે કામ કરવાનો તબક્કો પૂરો થયો. પરંતુ જેટલું સાથે રહ્યાં ચિરસ્મરણીય રહ્યું. કર્મયોગી તરીકે કામ કર્યું. તેમનાં દીકરા ઋષભના લગ્નમાં તેમણે યાદ કરી અમને કંકોત્રી મોકલાવી અને અમે ગયાં તો હરખથી આવકારી ફોટા પડાવ્યા હતાં. તેઓ મુખ્યમંત્રી હતાં ત્યારે તેમના દીકરા ઋષભને તેમણે અમેરિકા ભણવા મોકલી દીધો અને તે પણ અન્ય વિદ્યાર્થીઓના જેવા સામાન્ય જીવનશૈલીમાં રહી ભણ્યો. શ્રી વિજયભાઈ સાથે આત્મીયતા એટલી કે તેમને કંઈ કહેવું હોય, સૂચન કરવું હોય તો હું બેધડક SMS કરી શકતો. તેઓ અચૂક જવાબ આપતાં. રાજ્યના હિતમાં મહત્વપૂર્ણ સૂચન કરવાની કે મહત્વની વાત ધ્યાને લાવવા આ માધ્યમ ઝડપી રહેતું. તેઓ હંમેશાં પ્રેમથી બોલાવતાં અને શાંતિથી વાત કરતાં. કોઈ દંભ નહીં, કોઈ અભિનય નહીં. નિવૃત્તિ પછી મેં પીએચડીનો અભ્યાસ પૂરો કર્યો તો હરખીને અભિનંદન આપેલાં. કોઈ અમારે બંનેના કોમન મિત્ર તેમને મંળતાં તો મારા વિશે ઉત્તમ અભિપ્રાય વ્યક્ત કરતાં. ક્યાંક કોઈનું ખોદીને કે નિંદા કરી તે તેમનું અંતઃકરણ ન બગાડતાં. મુખ્યમંત્રી બન્યાં પરંતુ હોદ્દાનું અભિમાન તેમના પર ક્યારેય ન ચડ્યુ. કેટલાક નેતા એવા પણ હોય છે કે તેમને ન ગમતો માણસ આવે તો તેની સામું પણ ન જુએ. પરંતુ વિજયભાઈ સજ્જન તેથી કોઈ પણ માનવી આવે તેમની માનવતા તેમનાં ચહેરા પર છલકી ઉઠે. પછાત વર્ગ અને ખાસ કરીને અનુસૂચિત જાતિ પ્રત્યે તેમને વિશેષ લાગણી રહેતી. તેમની એક બિન સરકારી સંસ્થા રાજકોટમાં પછાત વર્ગોના કલ્યાણ માટે વર્ષોથી કાર્યરત છે. કેટલાક વર્ષો અગાઉ તેમનો એક પુત્ર પૂજીત ઉત્તરાયણના દિવસે અમદાવાદ તેમના સાસરીના ઘરનાં ધાબા પરથી પડી જતાં ગુજરી ગયેલ, તેના નામ પરથી આ સંસ્થા પૂજીત મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ વંચિતોના વિકાસ માટે અવ્વલ કામ કરતી. તેમને ૨૦૧૬માં બાથરૂમમાં પડી જવાથી માથામાં વાગ્યું ત્યારે સિવિલ હોસ્પિટલ અમદાવાદ જઈ સારવાર લઈ મુખ્યમંત્રી બન્યાં હતાં. તેમના મોટા પુત્રએ અમદાવાદથી અકસ્માતે વિદાય લીધી હતી. આજે વિમાન દુર્ઘટનાએ તેમને સિવિલ હોસ્પિટલ અમદાવાદથી જ ઉપર બોલાવી લીધા. જિન શાસનની સિદ્ધશિલા પર તેમને માટે પરમાત્માને કોઈ કામ શોધી રાખ્યું હશે. ગુજરાતની ભૂમિ પરથી એક નર રત્નની આમ કવેળાની વિદાયથી ગુજરાતની ૭ કરોડ પ્રજા સાથે આજે અમારું પરિવાર પણ દુઃખની લાગણી અનુભવી રહ્યું છે. અમારી અંતરની પ્રાર્થના છે કે પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને ચિરઃ શાંતિ અને સદ્ગતિ અર્પે. વ્હાલા વિજયભાઈ, તમે અમને હંમેશાં યાદ આવશો. ઓમ નમો અરિહંતાણં. 🙏 લિ. ડો. પૂનમચંદ પરમાર (IAS:1985) પૂર્વ અધિક મુખ્ય સચિવ (ગુજરાત સરકાર) ૧૨ જૂન ૨૦૨૫

0 comments:

Post a Comment

Powered by Blogger.