Tuesday, September 30, 2025

અમેરિકાની મારી પહેલી યાદગાર સફર (૨૨)

અમેરિકાની મારી પહેલી યાદગાર સફર (૨૨)

(નાતાલ વેકેશનઃ ૨૫ ડિસેમ્બર ૧૯૯૭ થી ૪ જાન્યુઆરી ૧૯૯૮)

અમારે લ્યુબ્લ્યાના યુનિવર્સિટીમાં નાતાલનું વેકેશન આવી રહ્યું હતું. મને જાણવા મળ્યું કે અમેરિકાના વિઝા જે ભારતથી લેવા અઘરાં છે તે અહીં સ્ટુડન્ટ તરીકે સરળતાથી મળી જશે. તેથી નાતાલ વેકેશનમાં અમેરિકા જવાનો વિચાર આવ્યો. પરંતુ જવું ક્યાં? કદી ગયેલો નહીં. મને ન્યુજર્સીમાં રહેતા બકુલભાઈ પંડ્યા યાદ આવ્યા. તેમનો મિલનસાર સ્વભાવ મને ગમતો. તેઓએ કહ્યું હતું કે જ્યારે અમેરિકા આવવાનુ્ થાય ત્યારે અમારે ત્યાં આવજો. બકુલભાઈ આસારામ આશ્રમ સાથે જોડાયેલા તેથી તેમનો પરિચય મને મોટેરા આશ્રમ અમદાવાદમાં થયેલો. તેમનો એક પુત્ર દિપલ આસારામ બાપુનો સાધક જેનો પરિચય મને સુરત થયેલો. તેથી મેં બકુલભાઈને લ્યુબ્લ્યાનાથી ફોન જોડ્યો અને આવવાની પરવાનગી માંગી. તેમણે ખૂબ જ ઉમળકાભેર કહ્યું કે કોઈ ચિંતા કર્યા વિના આવી જાઓ.

મેં લ્યુબ્લ્યામાં આવેલી અમેરિકન કોન્સ્યુલેટ કચેરીમાં અમેરિકન વીઝા માટે અરજી કરી. તેમણે મારું ઈન્ટરવ્યુ લીધું અને મને છ મહિનાના વિઝા મળી ગયા. અશ્વિનની મદદથી લુફ્થાન્સા એરલાઇન્સમાં રાઉન્ડ ટ્રીપ ટિકિટ બુક કરાવી અને નાતાલના દિવસે ૨૫ ડિસેમ્બર ૧૯૯૭ ના રોજ ન્યુજર્સી અમેરિકા જવા રવાના થઈ ગયો. 

બીજા દિવસે પહોંચ્યો ત્યારે ન્યુજર્સી એરપોર્ટ પર બકુલભાઈ મને લેવા આવ્યા. તેઓ મને એક્ઝીટ ગેટ પર સરળતાથી મળી ગયા. અમે ન્યુજર્સીમાં આવેલા તેમને ઘેર પહોંચ્યા. તેમનાં પત્ની ગીતાબેન અને બહેન વર્ષાબેને આવકાર્યાં. રસોઈ બનાવી મને જમાડ્યો. રાત થઈ એટલે ડ્રોઈંગ રૂમમાં એક ગાદલું પાથરી આપ્યું અને સમજાવી દીધું કે સવારે ઉઠીને મારે ગાદલું વાળી ક્યાં મૂકવું અને કયો બાથરૂમ વાપરવો. બીજા દિવસે સવારે દૂધ, નાસ્તો બન્યો અને વાત કરતા કરતા તેમણે પૂછી લીધુ કે મારે ત્યાંથી પાછા જવાનો શો પ્રોગ્રામ છે? હું તો અમેરિકામા સાવ નવો હતો. હજી તો બેસી ક્યાં જવું, તેનું આયોજન કરવાનું હતું ત્યાં આ પ્રશ્નએ મને સક્રિય કર્યો. બકુલભાઈ મારો ચહેરો જોઈ સમજી ગયા અને બોલ્યા કે સાંજે જોઈશુ. હાલ તો ચાલો આ કાળુ વિંડચીટર જેકેટ પહેરી લો અને આ કાળી ટોપી લઈલો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકાદ બે બીજા સ્થળો જોઈ આવીએ છીએ. હું તો બેઠો તેમની કારમાં. 

પહેલાં અમે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોયું. ફ્રાંસની પ્રજા દ્વારા અમેરિકન પ્રજાને ભેટ અપાયેલ આ સ્ટેચ્યુ ન્યૂયોર્ક બંદર પર કંઈ કેટલાય લાખો ઇમિગ્રન્ટ્સના સપના પૂરા કરવાનું સાક્ષી છે. અમેરિકામાં જ્યાં જાઓ ત્યાં ટિકિટ. સ્ટેચ્યુ જોવાની ટિકિટ અને કાર પાર્કિંગની ટિકિટ એટલે ઘડિયાળ પકડી ચાલવું પડે. ટિકિટ અને પાર્કિંગનો ખર્ચ બકુલભાઈએ આપ્યો. ત્યાંથી અમે WTCના બે ટાવર (જે પછીથી 9/11ના ત્રાસવાદી એટેકમાં ધ્વસ્ત થયા હતા) જોવા ગયા પરંતુ રજા હોવાથી બંધ હતાં તેથી કારમાંથી રાઉન્ડ લઈ બહારથી જ જોઈ અમે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જોવા ગયા. ૧૯૩૧માં બનેલી ૧૦૨ માળની તે ઈમારત તે વખતની વિશ્વની ઊંચી ઈમારતો પૈકીની એક હતી. મેં જીવનમાં આટલી ઊંચી ઈમારત પહેલીવાર જોઈ. તેના ૮૦માં માળ સુધી લીફ્ટ લઈ ગઈ. અમે ઉપર ગયા, લોબીમાં સર્કલ ફર્યા અને પાછા નીચે આવ્યા. અમેરિકામાં બપોરે જમવાનો રિવાજ નહીં. સવારે બરાબર નાસ્તો કરવાનો પછી કામે જવાનું અને રાત્રે આવી જમવાનું. મને તો બપોરે જમવાની આદત મુજબ ભૂખ લાગી. બકુલભાઈ સમજી ગયા. અમે એક સ્ટોરમાં ઊભા રહી કોફી અને ફ્રેંચ ફ્રાય લઈ લંચ જેવું કરી લીધું. વચ્ચે વચ્ચે બકુલભાઈએ તેમના રીલવાળા કેમેરામાં મારા ફોટા લીધા. 

ન્યુયોર્ક શહેરોની ગલીઓમાં ફરી અમે સાંજે ઘેર આવ્યા ત્યારે ગીતાબેને રાતનું ડિનર તૈયાર રાખ્યું હતું. અમે જમ્યા ત્યાં તેમણે ફરી પૂછયું કે તમારે ક્યારે જવાનું છે? મેં કહ્યું અહી મારો એક મિત્ર યોગેશ પટેલ રહે છે તેથી તેનો સંપર્ક કરી તેને ત્યાં જતો રહીશ. મેં યોગેશને ફોન કર્યો તો કહે તારી ભાભીને પૂછીને કહું. હવે મારો મૂંઝારો વધવા લાગ્યો. હજી તો બીજો દિવસ છે. હે ભગવાન, કંઇક રસ્તો સુજાડ. ક્યાં જવું? કેવી રીતે જવું? ગીતાબેન આસારામ બાપુના સત્સંગની કેસેટોની કોપી કરે અને સાધકોને વેચે. અમે બાપુના સત્સંગ અને જીવનની વાતો કરતા હતા અને મારે મનોમન ભગવાનની પ્રાર્થના ચાલતી હતી ત્યાં રાતના ૮.૩૦ કલાકે બકુલભાઈના એક સ્વામીનારાયણી પટેલ મિત્ર તેમને મળવા આવ્યા. સામાન્ય રીતે આટલાં મોડા કોઈ આવે નહીં પરંતુ નિયતિનું ધારેલું હશે. તેમણે મારો પરિચય લીધો અને પછી મારી મૂંઝવણ દૂર કરવા મારો અમેરિકા દર્શનનો કાર્યક્રમ સૂચવવા લાગ્યા. મને કહે ડીઝનીલેન્ડ તો દૂર પડશે પરંતુ ઓરલાન્ડોમાં ડીઝનીવર્લ્ડ અને યુનિવર્સલ સ્ટુડિયો છે તે જોઈ આવો. ત્યાં એક ચર્ચ ખરીદી હરિમંદિર બનાવ્યું છે અને કનુભાઈ પટેલ સંચાલક છે તેથી તમારી રહેવા જમવાની સગવડ કરી આપશે. તેઓ તેમને ફોન કરી દેશે. તેમણે મને કનુભાઈનો નંબર લખાવી દીધો. અમે ચર્ચા કરી પાછા વળતા રસ્તામાં વોશિંગ્ટન ડીસી આવે ત્યાં એક બ્રેક લઈ તે પણ જોઈ લેવાશે તેવું આયોજન રાખ્યુ. મારે અમેરિકા જમીનથી જોવું હતું. સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા. મેં ગ્રેહાઉન્ડની બસમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું. 

લાંબા અંતરે જવાનું હોવાથી બીજા દિવસે અમે વહેલી સવારે ઉઠ્યા. મારા દક્ષિણ પ્રવાસમાં જરૂરી જેટલાં કપડાં લગેજ શોલ્ડર બેગમાં નાખી હું બકુલભાઈ સાથે સવારે ૬ કલાકે બસ અડ્ડે પહોંચ્યો. ન્યુજર્સીથી જેક્સન વીલે અને જેક્સન વીલેથી ઓરલાન્ડોની બસ ટિકિટ $૧૧૬ ચૂકવી મેં ટિકિટ લીધી. ઓરલાન્ડોમાં બે રાત રહી વળતા વોશિંગટન ડીસી એક બ્રેક લઈ ન્યુજર્સી પરત આવવાનું ગોઠવ્યું હતું તેથી તે મુજબ પરત આવતા બકુલભાઈને મને લેવા આવશે તેવી વિનંતી કરી જેક્સન વીલેની બસ મૂકાતા હું તેમાં બેસી ગયો. બારીમાંથી બકુલભાઈને હેતથી વંદન કરી મેં વિદાય લીધી. બારીમાંથી અમેરિકાની ભૂમિ, તેના કાળા અને ગોરા લોકોને જોતો હું આગળ વધતો રહ્યો. વચ્ચે બસ બ્રેક લે એટલે જે તે રેસ્ટોરન્ટના વ્યંજન પર નજર કરીએ પરંતુ ઉપવાસ કરવાના આદી એટલે ભૂખ્યા ચાલ્યા કરીએ. વચ્ચે એક જગ્યાએ કોફી અને ફ્રેંચ ફ્રાય લઈ ચલાવ્યું. ૨૦ કલાકની મુસાફરી પછી રાત્રે બે વાગે જેક્સન વીલે આવતાં મેં બસ બદલી અને બીજા ચાર કલાક સફર કરી સવારે ઓરલાન્ડો બસ અડ્ડે ઉતરી ગયો. ૨૪ કલાકની બસ મુસાફરી કરી નવા સ્થાનકે આવ્યો પણ થાક નહોતો લાગ્યો. બસમાં નિંદર લઈ લીધી હતી. 

કનુભાઈને ફોન કર્યો તો કહે બસ સ્ટેશનેથી કોઈ ટેક્સી કરી સરનામું ડ્રાઈવરને કહેશો એટલે અહીં લાવી દેશે. મેં ટેક્સી કરી. એક વેસ્ટ ઇન્ડિયન ડ્રાઇવર હતો, ડેવિડ નામ. મેં તેની બાજુ આગળની સીટ પર બેઠક લીધી અને વાર્તાલાપ કરી તેના આવવાની અને કુટુંબની સ્થિતિનો અંદાજ લીધો. તે પરણેલો હતો અને પાંચ વર્ષ થયાં દંપતિ સંતાનની ચાહ રાખી બેઠા હતા. મેં તેને આશીર્વાદ આપ્યા, $૧૫ભાડુ ચૂકવ્યું અને હરિમંદિરના સરનામે ઉતરી ગયો. 

કનુભાઈએ મને વેલકમ કરી પૂછયું કે સાહેબ બે વિકલ્પ છે. કહો તો મોટેલમાં રૂમ ખોલી દઉં અને બાકી અહીં હરિમંદિરમાં વ્યવસ્થા થઈ જશે. અહીં અમારે પટેલ દીકરીઓની ત્રણ દિવસની સાંસ્કૃતિક શિબિર છે તેથી તમને જમવાની કોઈ મુશ્કેલી નહીં પડે અને સવારે તમને જોવાના સ્થળે મૂકી સાંજે પાછા લાવવાની વ્યવસ્થા પણ થઈ જશે. મેં કહ્યું મારી જરૂરિયાત સૂવાનું એક ગાદલું અને બાજુમાં એક ટોયલેટ બાથરૂમ તેથી હરિમંદિર બરાબર છે. વળી અહીં બધાને મળી શકાશે. મારી વ્યવસ્થા હરિમંદિરમાં થઈ ગઈ. હું નાહ્યો અને સવારનો ગરમ ગરમ નાસ્તો તૈયાર હતો તે પતાવી દિવસના પર્યટન માટે તૈયાર થયો. 

એક પટેલભાઈ કાર સાથે તૈયાર હતા, તેમની કારમાં બેસી અમે ડીઝનીવર્લ્ડ પહોંચ્યા. તેમણે આખા દિવસની ટિકિટ લીધી અને મને એક સ્પોટ બતાવી કહ્યુ કે સાંજે આઠ વાગે તેઓ મને લેવા આવશે. જો વહેલા આવવાનું થાય તો કનુભાઇને ફોન કરી દેજો. 

હું ડીઝનીવર્લ્ડની અંદર દાખલ થયો અને એક પછી એક ફ્રી રાઇડની લાઇનમાં ગોઠવાતો ગયો અને રાઇડનો આનંદ લેતો ગયો. કેવો આનંદ આવે? લાઈનમાં અડધો કલાક-કલાક ઊભા રહેવાનું અને રાઈડ મિનિટોમાં પતી જાય એટલે થાકી જવાય. મીકી માઉસને મળી તેની સાથે હસ્તધૂનન કર્યું. ત્યારે આપણી પાસે કેમેરો નહીં તેથી આપણી આંખો એ જ આપણો કેમેરો. લાઈનોમાં વિશ્વના જુદા જુદા દેશોના સહેલાણીઓ. હું કોઈકની જોડે ક્ષણિક મિત્રતા થાય એટલે અમે એકબીજાના દેશના નામ, દેશ જણાવીએ પરંતુ ઈન્ડિયા વિશે જાણે લોકો ઓછું જાણતા એવું લાગતું. 

સાંજે આઠ વાગે હું નિયત કરેલ સ્પોટ પર ગયો તો ભાઈ કાર સાથે ઊભા જ હતા. મને બેસાડી હરિમંદિર લઈ ગયા. દીકરીઓની શિબિરનું ગરમાગરમ ડિનર તૈયાર હતું. હું ધરાઈને જમ્યો અને બે-પાંચ દીકરીઓ જોડે પ્રાથમિક વાતચીત કરી. તેઓ અંગ્રેજી અમેરિકન અને ગુજરાતી અમારી મેહાણાની માતૃભાષા ચ્યમ હો માં જ બોલતાં. પહેલા દિવસની જેમ મેં બીજા દિવસે યુનિવર્સલ  સ્ટુડિયોની વિઝિટ કરી અને ત્રીજા દિવસે બધાનો આભાર માની વોશિંગ્ટન ડીસી આવવા નીકળ્યો. ફરી બસમાં ૨૦-૨૨ કલાકની સફર કરવાની હતી. દિવસ અને રાત બસમાં ગઈ. બીજા દિવસે સવારે વોશિંગ્ટન ડીસી બસ અડ્ડે ઉતરી મારી શોલ્ડર બેગ લોકરમાં મૂકી. ત્યાંથી હોપ ઓન હોપ ઓન હોપ ઓફ બસની ટિકિટ લીધી અને શહેર દર્શન માટે નીકળી પડ્યો. તે દિવસે પવન ઘણો હતો તેથી શહેર જોવાનો આનંદ ઓછો રહ્યો પરંતુ બપોરના ત્રણ સુધી વ્હાઇટ હાઉસ, કેપીટોલ, લિંકન મેમોરિયલ, એક સીમેટ્રી અને એક મ્યુઝિયમ વગેરે મહત્વના સ્થળો જોઈ હું બસ સ્ટેશને પાછો ફર્યો. ત્યાંથી ન્યુજર્સીની ટિકિટ લીધી અને બકુલભાઈને ફોન કરી દીધો. રાત્રે સાડા આઠ વાગે બકુલભાઈએ મને બસ સ્ટેશનથી પીક અપ કર્યો અને કારમાં જ કહ્યું કે પરમાર સાહેબ સવારે તમારા મિત્ર તમને લેવા આવે તેવું ચોક્કસ કરી લેજો. અમે ઘેર ગયા. મેં યોગેશને ફોન કર્યો અને કહ્યું કે હવે મારા ભાભી હા પાડે કે ના તારે મને સવારે લેવા આવવાનું છે. બકુલભાઈને ત્યાં રાત વિતાવી સવારે દૂધ નાસ્તો કર્યો ત્યાં યોગેશ આવી ગયો. અમે લગેજ કારમાં મૂક્યું. તે સવારે મારે બકુલભાઈના બીજા પુત્ર જપન જોડે મારે વાર્તાલાપ થયો. દિપલને તો હું ઓળખું પરંતુ તે સુરત ઈન્ડિયા હતો. અમેરિકાની મારી પ્રથમ મુલાકાતના સૂત્રધાર બકુલભાઈ હતાં. મેં તેમનો અને ગીતાબેનનો અંત:કરણ પૂર્વક આભાર માન્યો અને યોગેશ સાથે કારમાં બેસી રવાના થયો. યોગેશ અમારો સચિવાલયનો મિત્ર. મદદનીશ (નાયબ સેક્શન અધિકારી) તરીકે ૧૯૮૩માં અમે સાથે તાલીમ લીધી ત્યારે મિત્રો બનેલા. 

યોગેશનું ઘર એડીસનમાં. એક ટુ બીએચકેનો ફ્લેટ. પતિ પત્ની અને બે નાના બાળકો. કાશ્મીરા ભાભીએ આવકાર આપ્યો અને તાજા શાકભાજી લાવી બપોરનું ગરમા ગરમ ભોજન દાળ ભાત રોટલી શાક બનાવી મને જમાડ્યો. યોગેશ ઘેર અને ભાભી કામ પર જાય. બાળકો કાલુકાલુ બોલે એને રામાયણની વાર્તાના મને પ્રશ્નો પૂછે. યોગેશ મને સ્વામીનારાયણ મંદિરે લઈ ગયો. મને અમેરિકામાં હિંદુ મંદિર જોઈ આનંદ થયો. યોગેશ ઘેર અને ભાભી કામ પર જાય તે જોઈ મને ઘરની આર્થિક સ્થિતિનો અંદેશો આવી ગયો. ભાભી કોઈ ડંકી ડોનટના સ્ટોરમાં કામ કરે. મારા માટે બીજા દિવસે ડોનટ લઈ આવી. મને અમેરિકામાં આવે સાતમો દિવસ હતો, પહેલીવાર ગળ્યા ડોનટનો સ્વાદ લીધો. સ્વાદિષ્ટ વધુ એટલે લાગ્યું કે તેમાં કાશ્મીરા ભાભીનો પ્રેમ હતો. તેમણે બીજા દિવસે પણ ગરમ ગરમ લંચ અને ડીનર કરાવ્યા. હું યોગેશને લઈ બજાર જઈ મારે લઈ જવાના આટા, દાળ, ચોંખા, હળદર, મરચું, મસાલા વગેરે ખરીદી આવ્યો. એક ટુ ઈન વન રેડિયો કમ કેસેટ પ્લેયર અને સોનીનો કેમકોર્ડર ખરીદ્યો. મનમાં થતું આવીને તરત ખરીદ્યું હોત તો ન્યુયોર્ક, ઓરલાન્ડો અને વોશિંગ્ટન ડીસીના ફોટા પડ્યા હોત. યોગેશે તેની આપવીતી કહી. કેવી રીતે તેની પરસેવાની કમાણી શેરબજારમાં લૂંટાઈ ગઈ તે જણાવ્યું. નોકરી કરતો ત્યારે ભારે વજન ઉચકવાની કારણે તેને કમરનો દુઃખાવો થતો હતો. તેણે તેની કંપની તરફથી અપાતા પટ્ટામાંથી એક પટ્ટો મને ભેટ કર્યો. તે સાંજે મેં ચોગેશના ઘેરથી લક્ષ્મી જોડે ફોન પર વાત કરી. તેને મેં અમેરિકાની મારી આખી ટુરની વાત કરી અને હાલ યોગેશના ઘેર રોકાયો છું એ જણાવી ફોન મૂકી દીધો. કાશ્મીરા કાન ધરી સાંભળી રહી હતી. જેવો ફોન મૂક્યો કે એ તો ભડકી. તમે કેમ લક્ષ્મીભાભીને એ ન કહ્યું કે કાશ્મીરા ભાભી મારી સારી સંભાળ રાખે છે. મને તાજી શાકભાજી લઈ બંને ટાઈમ ગરમ ગરમ જમાડે છે. હું તો ડઘાઈ ગયો. ઘણો બચાવ કર્યો. બીજી વાર વાત કરી કહી દઉં એમ કહ્યું પણ ભાભી તો રિસાઈ ગઈ. અમે રાત્રે ન્યૂયોર્ક ટાઈમ સ્ક્વેર પર નવ વર્ષની રોશની જોવા નીકળ્યા પરંતુ મનની મજા ઓછી પડી. બીજા દિવસે ઉઠ્યો ત્યારે અમારે અબોલા જેવું રહ્યું. હું બજાર ગયો, તેના માટે એક જીન્સ, ઘર વપરાશની થોડી વસ્તુઓ લાવી મૂક્યા અને તે રાત પસાર કરી. ત્રીજા દિવસે યોગેશ મને એરપોર્ટ પર મૂકવા આવ્યો. ૫૬ કિલો લગેજની બેગો સાથે મેં ફ્લાઇટ પકડી અને વાયા ફ્રેન્કફર્ટ મુસાફરી કરી રવિવારે ૪ જાન્યુઆરી ના રોજ લ્યુબ્લ્યાના ઉતર્યો અને અમારી ICPE હોસ્ટેલ (ઘર)માં દાખલ થઈ ગયો. બીજા દિવસથી સવારથી અમારું શૈક્ષણિક કાર્ય આરંભ થવાનું હતું.

કોઈ પણ પૂર્વ આયોજન કે તૈયારી વિનાની મારી એ અમેરિકાની એક અઠવાડિયાની પહેલી મુલાકાત આમ યાદગાર રહી. 

૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫

Monday, September 29, 2025

એમબીએ ઈન યુરોપ (૨૧)

એમબીએ ઈન યુરોપ (૨૧)

૧૯૯૭નું વર્ષ. મારી ઉંમર ૩૭ વર્ષ. અમદાવાદથી દિલ્હી, દિલ્હીથી ફ્રેંકફર્ટ અને ફ્રેંકફર્ટથી લ્યૂબ્લ્યાના હું પહોંચી ગયો યુરોપ. મધ્ય યુરોપનું એ રમણીય શહેર. આલ્પ્સની પર્વતમાળા પૂરી થાય ત્યાં સ્લોવેનિયા શરૂ થાય. શિયાળામાં અહીં માઈનસ ૧૫ ડિગ્રી સુધી તાપમાન નીચું જતું રહે. ઠંડી કરતાં સુસવાટા મારતો પવન વાગે તો હાડ ભાંગી નાખે એટલે અહીં બહાર નિકળવું હોય ત્યારે વિન્ડચીટર અને ટોપી જોડે રાખવી પડે. શિયાળામાં બરફ વર્ષા થાય એટલે આખો દેશ ધોળી ચાદરથી ઢંકાઈ જાય. બ્લેદનું તળાવ એવું થીજી જાય કે તેના પર સ્પોર્ટ્સ રમાય.

લ્યૂબ્લ્યાના એરપોર્ટ પર અને જે તાલીમ સંસ્થા ICPEમાં જોડાઈ રહ્યાં હતાં તેના બે પૈકીના એક નેપાળી મૂળના અશ્વિન હાજર હતાં. તેમણે મને આસીસ્ટ કર્યો, પાસપોર્ટમાં જરૂરી એન્ટ્રી થઈ અને કારની વ્યવસ્થા હતી તેમાં બેસી હું દુનાસ્કા સેસ્તા 104 પર આવેલ ICPE (International Centre for Promotion of Enterprises) પહોંચ્યો. મને સાતમા માળે રૂમ નંબર ૭૦૩ ફાળવેલ હતો, તેની ચાવી લઈ હું રૂમમાં દાખલ થયો. 

આ હોસ્ટેલનું મકાન હતું. દરેક માળ પર મુલાકાતી, તાલીમી વગેરેને રહેવાના રૂમ. રૂમ એટલે એક રૂમ અને જાજરૂ બાથરૂમ. રૂમમાં એક ડબલ બેડનો પલંગ આવે એટલે ભરાઈ જાય. જરૂરિયાત જેટલો બાથરૂમ અને વોર્ડરોબ. રૂમમાં પાઈપીંગથી ગરમ પાણીથી રૂમ હીટિંગની વ્યવસ્થા એટલે અહીં મોટા પથારીની જરૂર ન હતી. મેં કપડાં બધાં હેંગર પર લટકાવી વોર્ડરોબમાં ગોઠવ્યા. બેગની વસ્તુઓ જગ્યા શોધી મૂકી પછી રસોડુ જોવા ચાલ્યો. અમને નીચે બ્રિફિંગમાં કહેવાયું હતું કે દરેક માળે એક રસોડુ છે જેમાં ચાર બર્નર છે, બે ડાબે બે જમણે. અમારે એકબીજાના સમયનું સંકલન કરી તેના પર રાંધવાનું. વોશીંગ મશીન નીચે બેઝમેન્ટમાં હતું. અઠવાડિયાના કપડાં ભેગી કરી ધોઈ નાખવાના. 

અમે ઓગસ્ટ અંતમાં ગયેલા તેથી વાતાવરણ ખુશનુમા. જમવાનું બગડે નહીં. શરૂઆતમાં જાતે રાંધવાનું જોર આવે એટલે ચાર-પાંચ દિવસ ચાલે તેટલું શાક વઘારી તપેલું ફ્રીઝમાં મૂકી દઈએ અને રોજ જેટલું ખાવું હોય તેટલું લઈ ગરમ કરી વાપરીએ. રોટલીઓ બનાવીએ તો જુદા જુદા રાજ્યોના નકશા બને તેથી પહેલાં પખવાડિયામાં ભાત અને ખીચડી પર જોર રાખ્યું. પરંતુ ચોખો જલ્દી પચી જાય અને આખો દિવસ ભણવામાંથી છૂટીએ ત્યાં સુધી ચલાવવાનું એટલે પછી ધીમે ધીમે મોણની, અટામણની, વાળવાની, શેકવાની ખબર પડતી ગઈ તેમ તેમ રોટલી બનાવતા થઈ ગયા. શાકની જેમ રોટલામાં પણ બે-ત્રણ દિવસનો લોટ ભેળો બાંધી રાખીએ. વિદ્યાર્થી કુપન મર્યાદિત અને દમડી કાઢવાની ઈચ્છા નહીં, વળી બહાર સુસવાટા મારતો પવન વાય એટલે બધો પોશાક પહેરી એક કલાક દૂર મેકડોનાલ્ડ્સ કે બીજે દઈ જંક ફૂડ ખાવાને બદલે આપણું ભારતીય ખાણું ચાલુ રહ્યું અને તે રીતે તન યુરોપમાં પણ મનથી ભારત છૂટું ન પડ્યું. ત્યાં પાણી કરતાં બીયર સસ્તું અને બાથરૂમનું પાણી આપણાં નળમાં આવે તેના કરતાં ઘણું ચોકખુ તેથી તરસ લાગે એટલે વોશબેશીનમાંથી લઈ પી લઈએ. વર્ગખંડમાં તો પાણીની વ્યવસ્થા હોય. 

અહીં સવાર પડે એટલે ગોરા ગોરા પુંજનો પ્રવાહ પસાર થતો હોય એવા યુવકો અને યુવતીઓથી યુનિવર્સિટીની શેરીઓ ભરાઈ જાય. કેટલાક શહેરમાં રહે તે બસ પાસનો ઉપયોગ કરી દરરોજ આવે. જે યુનિવર્સિટી હોસ્ટેલમાં રહે તે ત્યાંથી આવે. યુનિવર્સિટી હોસ્ટેલમાં ગર્લ્સ અને બોયઝ એવું વિભાજન નહીં. જેને જે રૂમ પાર્ટનર, મહિલા કે પુરુષ પસંદ હોય તે તેની સાથે રહે. યુનિવર્સિટીનો અભ્યાસ દિવસ પૂરો થાય એટલે કેમ્પસ બધું શાંત થઈ જતું. જેમ આપણી વાર્તામાં ગાંધર્વો રાત્રે આવી નાચી જતા રહે તેમ અહી રૂપયૌવન દિવસે ઉભરાય અને રાત્રે અદ્રશ્ય થઈ જાય. રાત પડે અહીં બધુ શાંત થઈ જાય. સાંજે રાંધી, જમી, લોંજમાં રાખેલ ટીવી થોડો સમય જોઈ રાત્રે સૂવા આડા પડીએ એટલે અમારી બિલ્ડીંગને અડકીને આવેલ ધોરી માર્ગ પર જેમ ગોફણમાંથી ગોળીઓ છૂટતી હોય તેમ છમ છમ કરતા વાહનો અતિ તેજ ગતિથી પસાર થાય. એ અવાજનું અનુસંધાન કરતો હું નિરાંતે પછી સૂઈ જતો. 

અમારાં વર્ગખંડમાં અમે કુલ ૧૮ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ હતાં. દરેકને બેસવાનું એક ટેબલ અને ખુરશી આપેલી. સવારે આવી જેને જ્યાં બેસવું હોય ત્યાં બેસે. અમે ભારતમાંથી મારા ઉપરાંત Indian Accounts Serviceના સુધાંશુ મોહન્તી, ONGCના મોહન વર્ગિસ ચેરીયન અને પાછળથી જોડાયેલ IAS દિનેશ કુમાર હતા. પાકિસ્તાનથી રફાતુલ્લાહ બરકી, બાંગ્લાદેશથી ખલીલુર રહમાન ખાન અને સફીઉલ્લા, શ્રીલંકાથી દેશપ્રિય આવેલા. બલ્ગેરિયાથી યુલી કાલ્કાનોવ, અલ્બેનિયાથી એસ્ટોનિયા ટોરો જોડાયા. સ્લોવેનિયાથી પુરુષોમાં માર્કો બહોર, મિત્યા ક્રેગર, એન્ટોન લેન્કો, અને મિહા રોઝમાન તથા સ્લાવકો અને મહિલાઓમાં દુન્યા બુદેર, આન્યા કોકજાન્કિક, તાન્યા તુર્ક, મતાયા ઝોંક, વેસ્ના સ્ટેર.  યુગાન્ડાથી જોલી ઝરીબવેન્દે બેંક ઓફિસર પરંતુ અભ્યાસે વેટરનરી ડોક્ટર. 

ભારતથી ગયો ત્યારે થતું યુરોપનું અંગ્રેજી કેવું ટોપ ક્લાસ હશે. આપણું કેમ ચાલશે? પરંતુ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને મળ્યા પછી ખબર પડી કે અહીં પણ આપણાં જેવું છે. આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા. અમે આઠ એશિયન, એક આફ્રિકન અને બાકીના સ્થાનિક સ્લોવેનિયન અને યુરોપિયન. ત્યાંની માતૃભાષા સ્લોવેનિયન તેથી તેઓ અંગ્રેજીમાં આપણા કરતાં નબળાં. 

અમારે ચુનિવર્સિટિ જોડે કે તેની ફેકલ્ટી સાથે કામ પડે તો પાકિસ્તાન મૂળના મનસુર અલી અને નેપાળી મૂળના અશ્વિન અમારા કોર્સ ડાયરેક્ટર, તેમના મારફત આગળ વધી શકીએ. ICPE સંસ્થાના Director General એક ભારતીય અધિકારી. તે અને તેમના પત્ની જાહેર કાર્યક્રમો હોય ત્યારે મળતાં અને એકાદ વાર અમને જમાડેલ. અશ્વિન અને મનસુરના પત્ની સ્લોવેનિયાના. અશ્વિને તો ઘર ન બતાવ્યું પરંતુ મનસૂરે એકવાર જમાડેલ. મનસુરને એક દીકરી તે તેના બોય ફ્રેન્ડ સાથે તેમની સાથે જ ઉપરના માળે રહે. 

અમે આટો, શાક, ચોખા, મસાલા થઈ રહે એટલે વીકએન્ડમા ચાલીને શોપિંગ કોમ્પ્લેક્ષમાં જતાં અને થેલા ઉપાડી ઘેર આવતાં. બજારમાં ભાષાની અગવડને કારણે દુકાનદાર સાથે વાતચીતનું અનુસંધાન ન જામે અને ઈશારે બધું પતાવતા. બસોના રૂટ અને સ્ટેન્ડ સમજાય નહીં. વળી મોટાભાગના પાસ કે કાર્ડથી ચડે ઉતરે અમારે રોકડા આપવા લેવાની ઝંઝટ, તેથી ચાર પૈડાંવાળી બસ છોડી અમે બે પૈડાંવાળી ૧૧ નંબરની બસ (બે પગ)થી જ ચલાવી લેતા. રસ્તો ઓળંગીએ તો કારવાળા ઉભા રહી જવા દે. આપણાં જેવું નહીં કે તેમને આપણે જવા દેવા પડે. 

અમે ચાલતાં બજાર જઈએ તો છોકરા-છોકરીઓના જોડા એકબીજાને કમરમાં હાથ નાખી ઊભેલા અને એકબીજાના હોઠમાં હોઠ પરોવી ચુંબનો લેતાં દેખાય. મને તેમને જોઈ ભારે સંકોચ થતો અને પહેલાં દિવસે તો ઉબકા જેવું આવે. આ લોકો કેમે કરી એકબીજાનું થૂંક ચાટતા હશે? મેં એકવાર જોલીને પૂછયું કે છોકરીઓ તો હોઠ પર લિપસ્ટિક લગાડે પછી શું છોકરાઓ લિપસ્ટિક પણ ખાઈ જતા હશે? જોલી કહે લિપસ્ટિક ખાદ્ય હોય છે. પછી તો રોજનું થયું. અહીં ભૌતિક શરીરનું વળગણ. જ્યાં સુધી એકબીજાને રસ મળે ત્યાં સુધી વળગી રહે. જેવું બગડે એટલે તું કોણ અને હું કોણ? અમારા સ્લોવેનિયન ગ્રુપના ત્રણેક યુવકો અને યુવતીઓએ કોઈક એકના ઘેર ન્યૂડ પાર્ટી કરેલ. દુન્યા મને બધાના સમાચાર કહેતી રહેતી. તેની માં સ્લોવેનિયાની અને પિતા તુર્ક મુસ્લિમ. 

ત્યાંના સહાધ્યાયીઓને મેં પાણી પીતા જોયેલા નહી. બિયર જ તેમનું પીણું. બહાર નિકળે એટલીવાર બિયર પીતા હોય. જવમાંથી બનતો બીયર, પાણી અને ઓરેન્જ જ્યુસ કરતાં સસ્તો મળે. તેઓ સમૂહમાં પીએ-ખાય તો કોઈ એક પેમેન્ટ ન કરે. દરેક પોતપોતાનું પાકીટ ખોલે અને પોતાના ભાગના ઓર્ડર મુજબના નાણાં આપી દે. અહી સોલ્જરી ચાલે. આપણાં જેવું નહિ કે એક જણો ટણીમાં ઉભો થાય અને માનમાં લૂંટાય. તેઓ તીખું ખાઈ ન શકે અને રસાવાળુ શાક જુએ તો ઓ કરી મોઢું બગાડે. સામાજિક સંકોચ એવો કે કોઈ તેમના ઘેર જમવા ન બોલાવે કે ન તેમની કારમાં ફરવા લઈ જવાનું કહે. એક ક્રેગર પરણેલો તેથી ઉદાર હ્રદયનો. અમારે વરસ જેવું થવાનું થયું ત્યારે ક્રેગરે તેના ઘેર પાર્ટી રાખેલી, ત્યારે અમે બધા પરિવાર સાથે ગયેલા. ક્રેગરે દારુ રેડીને ચીકન ટિક્કા બનાવેલ. અમારે શાકાહારી લેબલ એટલે શેકેલા બટાટાથી ચલાવવું પડેલ. 

ક્રિસમસ વેકેશન આવ્યું એટલે મેં એક ટ્રીપ અમેરિકાની કરી દીધી. એકવાર સમૂહમાં ફેબ્રુઆરી ૧૯૯૮માં અમે વેનિસ સેંટ માર્ક સ્ક્વેર પર યોજાતા વાર્ષિક કાર્નિવલમાં ગયેલ. વેનિસ પૂરું જોવાયું નહીં પરંતુ તે મેળાનો આનંદ અનેરો હતો. લોકો જાતજાતની અને ભાતભાતની વેશભૂષા પહેરી તથા ચહેરા અને શરીર પર ચિતરામણ કરી વાજિંત્રોના અવાજ વચ્ચે સરઘસ કાઢતા અને પ્રવાસીઓ બધા તેમને જોઈ આનંદ લેતા. સમૂહમાં અમે શિયાળામાં બ્લેદ તળાવ પણ જોઈ આવેલ. થીજી ગયેલા તળાવ પર ચાલવાનો આનંદ પણ કેવો?

સ્લોવેનિયામાં નાણું હાલ તો યુરો છે પરંતુ તે વખતે ટોલર. સરેરાશ પાંચ રૂપિયાનો એક ટોલર થાય. અમારે રીસેપ્શન પર ઘડિયાળ મિનિટમાં ચાલે એટલે ટોલર બચાવવા અમે મિનિટ કાંટો ૧૨ પર આવે ત્યારે કોલ લાગે તે રીતે ડાયલ કરીએ અને તેને વાત કરતાં કરતાં જોઈ રહીએ અને ૧૨ ક્રોસ કરે તે પહેલા ફોન મૂકી દઈએ અને તેમ કરી એક મિનિટ બચાવીએ. તે વખતે ફોન ખર્ચ મોંઘો. એક મિનિટની વાત સો રૂપિયામાં પડે. અમે બજાર શોપિંગ કરવા જઈએ તો દરેક વસ્તુ ખરીદતા પહેલાં તેના ભાવની ચિઠ્ઠી ટોલરમાં વાંચીએ અને પછી મનમાં રૂપિયામાં ભાવ ગણી સસ્તું હોય તે ખરીદીએ. એ વખતે સસ્તામાં સસ્તા બટાટા, ૨૮-૩૦ ટોલરમાં કિલો મળે. બાકી રીંગણું લેવા જઈએ તો રૂપિયાના ભાવે ૪૦૦ રૂપિયે કિલો થાય. મેં સેલરી પહેલીવાર જોઈ. મને થયું આવડા મોટા લીલા ધાણા? મોંઘા હતા તોય સ્વાદ માટે લીધા. પરંતુ શાકમાં નાખ્યા તો કંઈક વિચિત્ર સ્વાદ આવ્યો. પછીથી ખબર પડી કે તે લીલા ધાણા નહીં પરંતુ તેના જેવી દેખાતી સેલરી છે. ત્યાં લોકો બધાં બેકરીના કડક પાઉ ખાય તેથી આપણાં જેવો ઘઉંનો આંટો મળે નહીં. અમે આંટા વેચનાર બહેનોના સ્ટોલ પર જઈ બે ત્રણ પ્રકારના ફાઈન, ઓછા ફાઈન એવા બે-ત્રણ આટા મીક્સ કરાવી લઈએ અને પછી આવડે તેવો આટો બાંધીએ, તેની આવડે તેવી રોટલી વણીએ અને કાચી પાકી શેકી શાકમાં બોળી ખાઈ જઈએ. ગોળ થઈ કે ના થઈ, પેટમાં જઈ આમેય બધું ભેગુ થઈ જવાનું. ચોખા અહીં જાડા અને ચીકણા મળે. તેથી તેને પર પાણીનું માપ ફેરવતા ફેરવતા મેળમાં લાવીએ અને સાંજે ખીચડીમાં વાપરીએ અને રજાના દિવસે મોજ હોય તો દાળ-ભાત કરીએ. મારે રસોઈમાં કાંઈ સાવ કોરું નહોતું ગયું. બચપણ આખું રઈભાભીને રસોઈ કરતી જોઈ હતી. મારા બાપાને ભજીયા તળતા અને મારી બાને આખી જિંદગી રસોઈ કમખોડીને ખાતા જોઈ હતી. તેથી પહેલાં પંદર જ દિવસમાં મેં રસોઈ બનાવવાનું શીખી લીધેલું. 

ત્યાંની મોંઘવારી જોઈ ડીસેમ્બર ૧૯૯૭માં જ્યારે હું અમેરિકા ફરવા ગયો તો ત્યાંથી આટો, દાળ, ચોખા, મસાલા, શાકભાજી, જે સસ્તું મળ્યું તે ઉઠાવી લાવેલો અને લગભગ બે ચેક ઈન બેગ્સ અને હેન્ડલોડ મળી ૯૭ કિલો લગેજ ઉપાડી લાવેલ. બીજીવાર જ્યારે લક્ષ્મી મે ૧૯૯૮ના ઉનાળુ શાળા વેકેશનમાં બાળકોને લઈ સ્લોવેનિયા આવી ત્યારે તેની પાસે ખાસ યાદ કરાવીને આંટો, દાળ, ચોખા, હળદર, મરચું, મસાલા, વગેરે મંગાવેલા. એ ત્રણ જણનું લગેજ પણ ૧૦૦ કિલોથી વધુ થયું હશે. 

એક દિવસ લ્યુબ્લ્યાનાના બજારમાં મને અમદાવાદના શ્રેણિકભાઈ શેઠ કુટુંબનો (લાલભાઈ ગ્રૂપ) એક આધેડ વયનો નબીરો જયસુખ મળી ગયો. તેણે મને ઈસ્કોનનું સેન્ટર બતાવેલું. લ્યુબ્લ્યાનામાં ઢોલકી વગાડતા વગાડતા હરે કૃષ્ણા હરે રામા ગાતા ગોરા યુવકો અને યુવતીઓને જોઈ મને સાનંદાશ્ચર્ય થતું. જયસુખ અમદાવાદમાં પત્ની અને પુત્ર છોડી સ્લોવેનિયન કન્યા સાથે લગ્ન કરી વસેલો. દંપતીને સંતાન નહોતું. પહેલાં તો કામે જતો પરંતુ હવે સ્લોવેનિયન પત્નીના રોટલે નભતો તેથી રવિવારે સેન્ટર પર બપોરનું લંચ ફ્રી મળે તે જમવા આવે. તેનું પરિવાર અમદાવાદમાં ધનાઢ્ય અને અહીં તે લાચાર. તેના દીકરાએ તેની સહીઓ કરી તેના ભાગની બધી મિલકતો હડપ કરેલ તેવું તે માનતો તેથી તે કોઈ સારો વકીલ શોધી આપવા અને મિલકતનો ભાગ મળે તે માટે મદદ કરવા મને વિનંતી કરતો. આપણે ત્યાં લાંબુ રોકાણ તેથી અમદાવાદ પરત જઈશ ત્યારે જોઈશું તેમ કહી હું તેને આશ્વાસન આપતો અને કહેતો આવી લાચારી છોડી તે પોતે કેમ અમદાવાદ પાછો નથી ફરી જતો? તે કહે તેને ૫૫ વર્ષ થયા અને ત્યાં તેને વીસેક વર્ષ થઈ ગયા હતા. હવે ક્યાં પાછાં જાઉં? અમદાવાદ બધી તકરારો છે. વરસ પછી હું અમદાવાદ પાછો આવ્યો ત્યારે શ્રેણિકભાઈને ફોન કરી વાતનું અનુસંધાન જોડવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમણે તેને ઓળખવાનો ઈન્કાર કરેલ. 

ભણવાનું આવે ત્યાં આપણે એક્કા. ગણવાના વિષયોમાં તેઓ કેલ્ક્યુલેટર પકડી હિસાબ માંડે અને આપણે મોઢે જવાબ માંડી દઈએ. મારી ઝડપ અને ત્વરિત જવાબોની ચર્ચા યુનિવર્સિટી સ્ટાફમાં થવા લાગી કે એક ઈન્ડિયન ભારે હોંશિયાર આવ્યો છે. ફેકલ્ટી સ્થાનિક હોય કે બહારની હું તેમનો માનીતો રહેતો. 

તે અભ્યાસમાં અમારે કોમ્પ્યુટર ફરજિયાત શીખવું પડ્યુ. અહીં હતા ત્યારે કાગળ પર પેન ખોલી સાદર રજૂની દુનિયાથી ટેવાયેલા. અમારા સરકારી કોમ્પ્યુટર તો શોભા માટે અને ખાસ કરીને ચેમ્બરમાં એસીનો લાભ લેવો હોય તો મૂકાતા. સચિવોને કોમ્પ્યુટર આવડે નહિ પરંતુ સ્ટેટસ સીમ્બોલ તરીકે કોમ્પ્યુટર તેમની ચેમ્બરના દ્રશ્યનો ભાગ બનતું. 

યુનિવર્સિટીમાં અમને પ્રોજેક્ટ વર્ક આપે તે વર્ડ ફાઇલમાં રજૂ કરવું પડતું અને માંગે ત્યારે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કરવું પડતું. અમે મોટાભાગના શિખાઉ તેથી શરૂ શરૂમાં ડોક્યુમેન્ટ સેવ કરવાનું ભૂલી જઈએ તો ફરી મથવાનું થાય. કોમ્પ્યુટર રૂમ અમારો ૨૪x૭ ઉઘાડો અને તે વખતે પાસવર્ડની ગતાગમ નહીં. જેને જ્યાં મન બેસે તે મશીન પર કામ કરે. ભણવાના ટોળામાં મારા જેવા મજૂરિયા ભેળાં સ્માર્ટ લોટ પણ હોવાનો. હું સાંજે મારું પ્રોજેક્ટ વર્ક પતાવી પાછો આવું એટલે કોઈ કોઈ જઈ મારા ફોલ્ડરને ખોલી કોપી કરી જાય. હું મારા જેવું બીજાનું પ્રેઝન્ટેશન જોઈ અચરજ પામતો. ક્યારેક તો વહેમ થાય કે ક્યાંક મેં તેમની કોપી તો નથી કરી!  કોપી માસ્ટરો હું કામ કરતો હોય ત્યારે કયા કોમ્પ્યુટર પર બેઠો શું તે જોઈ લીધું હોય પછી કોપી કરી જાય. પછી તો ફાઈલો અને ફોલ્ડર વધતાં ગયા અને અમારા પોત પોતાના કોમ્પ્યુટર હવે નિયત થઈ ગયા હતા. 

મારી શાખ મારા સહાધ્યાયીઓ ઉપરાંત ફેકલ્ટીમાં ઊંચી હતી. કેટલાક સહાધ્યાયીઓને અઘરા વિષયોની પરીક્ષા, પ્રોજેક્ટ રીપોર્ટ, થીસીસ પ્રપોઝલ, સીનોપ્સીસ વગેરે બનાવવું અઘરું પડે. તેમને મદદ કરું અને અઘરા વિષયો વધુ સ્પષ્ટ કરવા વર્ગ પૂરો થયે રોકાઈને તેમનું કોચીંગ કરું. છોકરીઓમાં જોલી, આન્યા, વેસ્નાને વાંધો ન આવે. મતૈયા થોડી મદદથી પહોંચી વળે. તાન્યાને મદદ મળે એટલે પાસ થઈ જાય પરંતુ દુન્યાને ભણાવવી અને પાસ કરાવવી અઘરી બની જાય. પરીક્ષાખંડમાં ચિઠ્ઠી લઈ આવનાર પણ ખરાં. તેમાંય જો સુપરવાઈઝર કડક આવી જાય તો ગભરાટમાં આવડતું ભૂલી જાય અને બીજા પ્રયત્ને પાસ થાય. યુનિવર્સિટીના એક પ્રોફેસર ડેનિયલ પુચકોની બધાંને બહુ બીક લાગે. સ્વભાવે કડક અને પરીક્ષા માટે કેોઈ imp ન આપે કે લાગવગ કોઈનું માને નહી. તે Strategic Management ભણાવે. તેમની બીકનો કારણે દુન્યાને ન સમજણ પડે ન યાદ રહે. તેમના વિષયની પરીક્ષામાં દુન્યા ખાસ સ્કર્ટ પહેરે અને આંતરિક આભૂષણોની જેમ ચિઠ્ઠીઓ ભરાવી દે. કઈ ચિઠ્ઠી ક્યાં ભરાવી છે તેની પણ એક અનુક્રમણિકા બનાવી તેની પણ ચિઠ્ઠી બનાવે. પરંતુ જેવી પરીક્ષા શરૂ થાય એટલે ચિઠ્ઠીઓ ભૂલી જાય. Strategic Management ના વિષયમાં તેને ખૂબ ભણાવી છતાં સતત ત્રણવાર નાપાસ થઈ. હું તૈયારી કરાવી થાક્યો પરંતુ તેનો ડર તેના પર હાવી થઈ ગયો હતો. તેનું ધ્યાન હંમેશાં પરીક્ષાની ચિઠ્ઠી બનાવવામાં વધુ અને વિષયને સમજવામાં ઓછું. હવે ચોથી વાર નાપાસ થાય તો તેનું વર્ષ બગડે. તે મારી પાસે આવી મોટે મોટેથી રડવા લાગી. મને કહે પીકે તારે પ્રો. પુચકો સાથે સારું બને છે. મારી ભલામણ કરી મને પાસ કરાવી દે, તેનાથી આમ પરીક્ષા આપી નહીં પાસ થવાય. મારી હોશિયારીને કારણે પ્રો. પુચકોની દિલમાં મારું સારું સ્થાન. મને તેમની પાસે ભલામણ લઈ જતા સંકોચ થયો પરંતુ સહાધ્યાયીને તેની કંપનીએ સ્પોન્સર કરેલી તેથી જે નાપાસ થાય તો ખર્ચો બધો તેની સેલેરીમાંથી વસૂલ થાય. હું યુનિવર્સિટી સ્ટાફ રૂમમાં જઈ પ્રો. પુચકોની મળવાનો સમય લીધો. માનવતાની ટહેલ નાંખી. તે મારી સામે બે ઘડી જોઈ રહ્યા. મારા પ્રત્યે તેમને આદર તેથી માન્યા અને તે પ્રયત્નમાં દુન્યા પાસ થઈ ગઈ. 

ડેન્માર્કથી આવેલા એક પ્રોફેસર એવું ઝડપી ભણાવે કે કોઈને ખબર ન પડે. વિષયના ટેકનિકલ શબ્દોની પરિભાષા ન આવડે અને કેટલીક અટપટી ગણતરી પકડાય નહીં તેથી કેટલાકને બધું ઉપરથી જાય. હું આંકડાશાસ્ત્રી એટલે મને સાવ સરળ સમજાય. તેઓનો વર્ગ પૂરો થાય એટલે મારે કલાક રોકાઈને જેને ન સમજાયું હોય તેને સમજાવવું પડે. તેઓ ગેસ્ટ ફેકલ્ટી તરીકે અમારી હોસ્ટેલમાં જ રહે તેથી બધાને તેમનો વિષય હું સરળ કરી ભણાવું તે જોઈ રહે. અમારી પરીક્ષા થઈ. તેમના વિષયમાં પરિણામો સારા આવતાં તેઓ ખુશીમાં તેમના પૈસે બધા માટે બીયરના કેન અને મારા માટે ખાસ ઓરેન્જ ડ્રીંક લઈ આવ્યા. દિલ્હી IITથી પ્રો. પી.કે. જૈન પણ મારાથી પ્રભાવિત રહ્યા મને મને દિલ્હીથી IIT PhD કરવાનું આમંત્રણ આપી મારા ગાઈડ બનવાની તૈયારી બતાવી. 

મારા થીસીસના મટીરીયલ માટે લક્ષ્મીએ મારી ઈન્ડિયાથી મદદ કરી. તે વખતે વાયફાયનો જમાનો નહીં. મોબાઇલ વોટ્સઅપ ન મળે. ઈ-મેઈલનું ચલણ નહોતું. તેથી મટીરીયલ ટપાલથી મંગાવવું પડે. લક્ષ્મી કહું તે કચેરીમાં જાય અને જે મળે તે ટપાલથી મોકલી આપે. 

એમબીએમાં અમે કુલ ૧૬ વિષયો ભણ્યાં. મારે પરિણામમાં ૧૧ વિષયોમાં A ગ્રેડ, ૪ વિષયોમાં A- ગ્રેડ અને એક વિષયમાં B+ ગ્રેડ આવ્યો. વિષય પરિણામ અને થીસીસ મળી ઓવરઓલ પરિણામમાં મને ડિસ્ટિંકશન સાથે ફર્સ્ટ રેન્ક મળી અને આપણાં કોલર ઊંચા રહ્યા. 

સચિવાલય એટલે સંકુચિત સંકુલ. ફોન માટેની બે ઘટના નોંધવી રહી. એ વખતે સચિવાલયમાં ISD ફોનની સુવિધા માત્ર સચિવ પાસે અને કોઈક જ સંયુક્ત સચિવ પાસે. મારા નસીબે મારા વિભાગના ફોનમાં ISD કોલ લાગે તેથી લક્ષ્મીને કહેલું કે તેને અગત્યની જરૂર હોય તો વિભાગમાં જઈ મને ફોન કરવો. સમય મેં તેને સમજાવી રાખેલો. સ્લોવેનિયાની ઘડિયાળ ૩ કલાક ૩૦ મિનિટ પાછળ ચાલે તેથી અહીંથી બપોર પહેલાં વાત કરી લે તો મારો સંપર્ક થઈ જાય. મારી જગ્યાએ મારા બેચ મેટ આવેલા તેથી અમે બંને નિશ્ચિત. એક સવારે લક્ષ્મી તો પહોંચી ગઈ વિભાગમાં અને જેવું મારા બેચમેટના નામનું બોર્ડ જોયું એટલે તેમની ચેમ્બરમાં તેમને મળવા ગઈ. મારા બેચમેટે તેના આવવાનું કારણ જાણ્યું અને જેવી ખબર પડી કે ISD ફોન કરવા આવી છે ઘસીને ના કહી દીધી અને તેને મીટીંગ છે તેવું કહી બહાર નીકળી ગયો. લક્ષ્મી ધોયેલા મોઢે પાછી આવી. આજે ૨૮ વર્ષે તે અધિકારીને જુએ એટલે તેને પેલી ફોન ન કરવા દેવાવાળી વાત યાદ આવે. 

તેની ફોન રામાયણ આટલેથી ના અટકી. હું જેવો સ્લોવેનિયા ગયો અને મારી જગ્યાએ નવા અધિકારી હાજર થયા કે તરત જ વિભાગની મહેકમ શાખાએ ટેલીફોન ખાતાને પત્ર લખી અમારા ગાંધીનગર નિવાસસ્થાનનું ફોન કનેક્શન કપાવી નાખ્યું. લક્ષ્મી અને બાળકો સંપર્ક વિહોણા થઈ ગયા. મારું તો ઠીક પરંતુ અમદાવાદ બા-બાપુને તકલીફ પડે તો શું કરે? ઉજ્જવલ-ધવલને કોઈ ઈમરજન્સી આવે તો શું કરે? તેણે મને એસટીડી પીસીઓ પરથી ફોન કરી જાણ કરી તો મેં તેને અધિક મુખ્ય સચિવ અશોક ભાટિયા સાહેબને મળવા જવા કહ્યું. ભાટિયા સાહેબ સેક્ટર-૧૯માં અમારા ઘરથી નજીક રહે. લક્ષ્મી અંદરથી ઉકળી ગયેલી કે આ કેવું તંત્ર? તેનો પતિ સરકારી હુકમથી વિદેશ ગયો છે, કાંઈ નોકરી છોડી ગયો નથી. કનેક્શન કાપે જ કેમ? ભાટિયા સાહેબ વિનમ્ર, તેથી તેમણે તેને સાંભળી અને બીજે દિવસે ટેલીફોન ખાતાને પત્ર લખાવી કનેક્શન ચાલુ કરાવી આપ્યુ. 

લક્ષ્મીની ઉજ્જવલ ધવલને લઈ એકલા યુરોપ પ્રવાસ કરી મારી સુધી લ્યુબ્લ્યાના પહોંચવાની યાત્રા એડવેન્ચર્સ રહી. મેં તેને પત્ર લખી પ્રકિયા સ્ટેપ્સ લખી સમજાવી દીધી હતી. તેમનાં ત્રણેયના પાસપોર્ટ હતાં તેથી તેમાં માત્ર શેંગેન વિઝા લેવાના હતા. મેં તેને સમજાવ્યું તેમ અરજી કરી તે બંને દીકરાઓને લઈ મુંબઈ જર્મન કોન્સ્યુલેટ ઓફિસમાં જઈ વિઝા લઈ આવી. પછી લુફ્થાન્સા એકલાઈન્સમાં વાયા ફ્રેન્કફર્ટ ટિકિટો બુક કરાવી. પાછા આવવાનું સેકટર ઓપન રખાવ્યું. તેને અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી ફ્રેન્કફર્ટ સુધી પ્રવાસની તકલીફ ન પડી. પરંતુ ફ્રેન્કફર્ટ જઈ લ્યુબ્લ્યાનાની ફ્લાઇટ નાની તેથી બીજા ટર્મિનલથી મળે ત્યાં કેવી રીતે પહોંચવું તેની તેને મૂંઝવણ થયેલી. પહેલીવાર હતું. તેમને કે નજીક ક્યાંક હશે. વિશ્વના સૌથી મોટા પૈકીના એક એવા વિેશાળ ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર બે બાળકો અને ત્રણ હેન્ડ લોડ સાથે મુવ કરવાનું. અંગ્રેજી આવડે નહીં. તેથી તેણે કોઈ ઈન્ડિયન ફેસ જોઈ હિન્દીમાં પૂછપરછ કરી. ઉપર લાગેલા ટીવી સ્ક્રીનમાં ફલાઈટ અને ટર્મિનલ શોધવાનું સમજી. પછી જેવી સમજણ પડી કે જ્યાં જવાનું છે તે ટર્મિનલ તો ક્યાંક બહુ દૂર છે અને સબ વે ટ્રેન પકડી જવાનું છે. પહેલી ટ્રામમાં બેસી જ્યાં પહોંચ્યા ત્યાં તેમનું ઠેકાણું નહીં. ભાંગ્યા તૂટ્યા અંગ્રેજીમાં ફરી પૂછી ઉપર બીજા માળેથી બીજી ટ્રામ લીધી ત્યારે માંડ જવાના ટર્મિનલે પહોંચાયુ. સમય ઘણો વેડફાયો હતો પરંતુ નસીબજોગે ફ્લાઇટ હજી ઉપડી ન હતી. સ્ટાફ તેમની રાહ જોતો હતો. જેવા તેમને દૂરથી જોયા ફ્લાઇટ સ્ટાફે તેમના હેન્ડલોડ ઉચકી લીધા અને હાથ પકડી ફલાઈટમાં ચડાવી દીધા. બસ પછી બાકી શું રહ્યું. લ્યુબ્લ્યાના એરપોર્ટ પર હું રાહ જોતો હતો. તેમને રિસીવ કરી અમે પહોંચ્યા અમારે ઘેર ICPE હોસ્ટેલ. 

મારે હવે રાહત થઈ ગઈ હતી. રસોઈ, લોન્ડ્રી, ઇસ્ત્રી, રૂમ જાળવણી, બધું લક્ષ્મી કરી લેતી. રૂમ નાનો હતો પરંતુ અમે ચારેય સમાઈ રહ્યા. 

પછી આવી અમારી યુરોપ સ્ટડી ટુર. અમારા શૈક્ષણિક કાર્યક્રમના ભાગરૂપ ૧૫ દિવસનો યુરોપ પ્રવાસ કરવાનો હતો. એકેડેમીએ લક્ઝરી બસ કરાવી હતી. અમે ૧૮ અને બે કોર્સ ડાયરેક્ટર તેથી બાકીની સીટો ખાલી. અમારો ખર્ચ તો કોર્સ ફીમાં આવી ગયો હતો પરંતુ અમારા પરિવારને સાથે લઈ જવા એક મોકો હતો. અમે દરખાસ્ત મૂકી કે આમેય બસ ખાલી જવાની તો પછી શા માટે અડધી કિંમતે તેમને સાથે ન લઈ જવા. અમે પાકા તેથી બાળકો માટે ૨૫% રેટે માંગણી કરી. આયોજકોને તો વકરો એટલો નફો હતો તેથી શિષ્ટાચાર પૂરતાં ના હા કરતાં કરતાં તૈયાર થઈ ગયા. અમે સહાધ્યાયીઓ અને જેમના પરિવાર હતાં તે પરિવાર સહિત ઉપડી ગયા યુરોપના પ્રવાસે. 

પંદર દિવસનો એ પ્રવાસ યાદગાર રહ્યો. તેમાં અમે ઈટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાંસ, યુકે, બેલ્જિયમ, નેધરલેન્ડ, જર્મની અને ઓસ્ટ્રિયા વગેરે થઈ કુલ અગિયાર દેશોના પ્રખ્યાત શહેરોમાં ફર્યા અને જોવાલાયક બધાં સ્થળો જોયા. તેમાં મિલાનો, જીનિવા, પેરિસ, લંડન, બ્રસેલ્સ, આર્મસ્ટરડમ, હેગ, બોન, મ્યૂનિક, સાલ્સબર્ગ વગેરે સમાવેશ થઈ જાય. યુરોપ પ્રવાસની બે-ત્રણ ઘટનાઓ નોંધવી રહી. 

લંડનની બંકિમહામ પેલેસ અને તેની પરેડ જોવા જેવા. લંડન ટાવર અને તેની ઘડિયાળના ટકોરા ના સાંભળ્યા હોય તો મુલાકાત અધૂરી ગણાય. લંડનમાં બસવાળાએ અમને કોઈ મોંઘી હોટલના દરવાજે ઉતાર્યા. મેનુ તો સરસ હતું પરંતુ પાઉન્ડમાં ભાવ વાંચી હું તો હેબતાયો. એક લંચમાં ૬૫ પાઉન્ડનું ખર્ચ કરવાનું? અમે તો બાજુના ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં ગયા ત્યાંથી બ્રેડ, બટર, ટામેટાં, કાકડી લીધી અને સરસ મજાની સેન્ડવીચ બનાવી ૧૦ પાઉન્ડમાં લંચ કરી લીધુ. વળી આગળ ઉપર તકલીફ થાય તો વ્યવસ્થા માટે પાકિસ્તાની બાસમતીનું એક પેકેટ મળતું હતું તે લઈ લીધું. જે પછી અમને હેગમાં કામ લાગ્યું. લક્ષ્મી હોટલના રસોડે જઈ ત્યાંના મસાલા તેલ ઉમેરી તેને પુલાવ રાંધી આવેલી. અમારી સાથે બે બાળકો એટલે કોઈ ના કહે નહીં. 

પેરિસમાં એફિલ ટાવર જોયો ત્યારે મને ગાંધીજી યાદ આવ્યા. તેમણે આ ટાવરને માણસના શાણપણનું નહીં પરંતુ મૂર્ખાઇનું સ્મારક ગણ્યું હતું. લૂવર મ્યુઝિયમમાં અમે સ્કલ્પચર અને પેઇન્ટિંગ્સ જોયા. તેમાંય લિયોનાર્ડો દા વિન્ચીના પ્રસિદ્ધ પેઇન્ટિંગ્સ અને ખાસ કરીને મોનાલિસા અવિસ્મરણીય રહ્યા. 

આર્મસ્ટડમમાં બસવાળાએ અમને રાત થઈ રહી હતી એટલે પ્રોસ્ટીટ્યુટ બજારમાં ઉતાર્યા. અમારી સાથેના સ્લોવેનિયન સીંગલ યુવક યુવતીઓ તો રાજીના રેડ થઈ ગયા અને પોતાને મન ગમતા થિયેટરના શો જોવા ભાગી નીકળ્યા. અમારામાંથી એક કપલ પણ છૂટુ પડ્યું. હું, લક્ષ્મી, ઉજ્જવલ અને ધવલ શું કરીએ? મોટા બજારમાં શો રૂમમાં કપડાં- ડ્રેસ લટકાવી જેમ વેપારી શો કરે તેમ અહી દુકાને દુકાને સજી ધજીને રૂપલલનાઓ શરીર વેચવા ઉભી હતી. જાતજાતના ગીતો વાગે અને એવા ઘોંઘાટ વચ્ચે બજારમાં તો ચિક્કાર ગિરદી. અમારે બીજા પાછા આવે ત્યાં સુધી સમય કાપવાનો હતો. ફૂટપાથ બજાર પરથી કંઈક લઈ અમે હળવો નાસ્તો કર્યો પછી ફૂટપાથ પકડી બજારમાં ચાલ્યા. હવે પલાળ્યુ છે એટલે મૂંડાએ છૂટકો. અભ્યાસ પ્રવાસ છે ચાલો આનો પણ અભ્યાસ કરી લઈએ. હું અને લક્ષ્મી એક દુકાને ઉભા રહ્યા. લલના કહે ૭૫ ડોલર. પાછી લક્ષ્મી તરફ ઈશારો કરી કહે તેની પાસે છે તે જ છે બીજું કંઈ નવું નથી તેથી ચાલતી પકડ. હું હજી તેની સામાજિક પૃષ્ઠભૂમિ પર ઉતરું ત્યાં રોકડું પરખાવ્યું કે વાતો કરવી હોય તો પણ કલાકના ૭૫ ડોલર આપવા પડે. અમે તો ચાલતી પકડી. મોડી રાત્રે જેઓ બજારમાં ઉતર્યા હતા તે પાછા ફર્યા એટલે અમે સૌ બસમાં બેસી શહેર બહાર બુક કરેલ કોઈ હોટલમાં પહોંચી નિદ્રાધીન થયા. 

યુરોપના આ પ્રવાસ ઉપરાંત અમે અંગત ટુર કરી રોમ, પોમ્પે, ફ્લોરેન્સ, પીસા, નેપલ જોયા હતાં. લક્ષ્મીને આવ્યાં પહેલાં ડિસેમ્બર ૧૯૯૭માં ક્રિસમસમાં મેં એકલા અમેરિકા પ્રવાસ કર્યો હતો. ફેબ્રુઆરી ૧૯૯૭માં સહાધ્યાયીઓએ સમૂહમાં ફેબ્રુઆરીમાં વેનિસ કાર્નિવલ જોયો. લક્ષ્મીના ગયા પછી અમારા એશિયન સહાધ્યાયીઓ વિયેના એકલા ફરી આવ્યા. વિયેના જવા મારે પછી બીજા વીસ વર્ષ રાહ જોવી પડી. દરેકનું લખવા રહીએ તો પાનાં ભરાય. એટલું સમજાય કે જીવ્યા કરતાં જોયું ભલું. જે ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે. 

મારે ડોલર બચ્યા. સરકારે ગાંધીનગર પ્લોટ આપ્યો અને લોન મંજૂર કરી. એટલે ગાંધીનગરમાં પોતાનું ઘર બન્યું જેનું અમે નામ રાખ્યું લ્યુબ્લ્યાના. તે શહેરે મને ડિગ્રી આપી અને તેની બચતે ઘર બંધાયુ. 

લ્યુબ્લ્યાનાથી નાતાલ વેકેશનમાં હું પહેલીવાર અમેરિકા ગયેલો તેની વાત હવે પછીના અંકમાં. 

૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫

Sunday, September 28, 2025

સચિવાલય થી સ્લોવેનિયા (૨૦)

સચિવાલય થી સ્લોવેનિયા (૨૦)

૧૯૮૫માં IAS થયા પછી મસૂરી તાલીમમાં જવા સચિવાલયની વિદાય લીધી હતી તેમાં ત્રણેક મહિના ૧૯૮૯માં નાયબ સચિવ માર્ગ અને મકાન વિભાગમાં નિમણૂક થઈ હતી ફરી પાછી પુનઃ નાયબ સચિવ આરોગ્ય તરીકે ૧૯૯૫ના ઓગસ્ટમાં પ્રવેશ થયો. વિઠ્ઠલ કૌલગી સાહેબ અમારા અગ્ર સચિવ. રાજેશ કિશોર પાસેથી મેં ચાર્જ સંભાળ્યો તેથી જાહેર આરોગ્યની શાખાઓ મને વારસામાં મળી. 

એ વખતે સચિવો બોસ ગણાતા. કૌલગી સાહેબ પ્રમાણમાં શાંત પરંતુ બોલવાનું શરૂ કરે તો અટકાવવા કાઠા. ગુજરાતમાં બીજેપીની સ્વતંત્ર સરકાર પહેલીવાર બની. મંત્રીઓ ઉત્સાહમાં. ફાઈલોની ચર્ચા કરવા સચિવોને વારેવારે બોલાવવા ન પડે એટલે નાયબ/સંયુક્ત સચિવોને બોલાવે. એકવાર કૌલગી સાહેબ તેમના કોઈ અધિકારીને મંત્રીશ્રીની કેબીનની લોબીમાં જોઈ ગયા. તેમણે લંચ સમયે અધિકારીઓની બેઠક બોલાવી અને લાંબુંલચ ભાષણ કર્યું. જો ભાઈ મંત્રી જોડે ચર્ચા કરવાનું થાય તો તેમને જણાવ્યા સિવાય નહીં જવાનું. સીઆરની બીક એ વખતે મોટી તેથી સાહેબો કહે એ બધું અધિકારીઓ સાંભળી લેતા. 

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાસ કરીને કોમ્યુનીટી હેલ્થ સેન્ટરોને અદ્યતન સાધનો, તેમાંય મુખ્યત્વે એક્સ રે મશીનો મેળવવાનો ORET પ્રોજેક્ટ આવ્યો. યોજનાની શરતો સારી હતી પરંતુ નેધરલેન્ડમાં obsolete સાધનો અહીં પધરાવવાનો અને currency exchange risk અમારા પક્ષે રાખવાની બાબતે વિભાગના અગ્ર સચિવ કૌલગી સાહેબ અને હું એક થયા. તેમના સેક્ટર-૧૯ના ઘેર બેસી પ્રોજેક્ટની શરતો સુધારવા નોંધ તૈયાર કરી આરોગ્ય મંત્રીને રજૂ કરી. પરંતુ આરોગ્ય મંત્રી ઓરેટ પ્રોજેક્ટ સ્વીકારવા ઉત્સાહિત હોઈ મૂળ ઓફર મુજબ તે દરખાસ્ત મંજૂર થઈ અને ગુજરાતના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં અદ્યતન સંસાધનો આવ્યા. એ અલગ વાત છે કે જ્યાં એક્સ રે મશીન હોય અને ટેકનીશ્યન ન હોય એટલે કેટલાક એક્સ રે મશીનો વપરાયા વિનાના પડી રહે. કોઈક કેન્દ્રોમાં અઠવાડિયે માંડ પાંચ પચીસ એક્સ રે પડતા હોય ત્યાં કલાકના હજારની ક્ષમતાવાળા મશીનો શોભા અભિવૃદ્ધિ કરતા રહે. પરંતુ ઓરેટ પ્રોજેક્ટના સાધનોએ ગુજરાતના આરોગ્ય કેન્દ્રોને બીજા રાજ્યોથી ચડિયાતા કર્યા. 

કૌલગી સાહેબ પછી અશોક ભાટિયા સાહેબ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા. વિભાગની મહત્વની શાખાઓ તબીબી શિક્ષણની ગણાતી પરંતુ ત્યાં સંયુકત સચિવ ક્રિશ્ચિયનની કામગીરીથી ભાટિયા સાહેબ ખુશ તેથી તેમને મારી શાખાઓમાં ફેરફાર કરવાનું મુનાસિબ ના લાગ્યું. એ સમયે આરોગ્ય સેવાઓ સુધારણાના ભાગરૂપ સરકારે એક સમિતિ બનાવી જેમાં વિભાગના બે અગ્ર સચિવો, આરોગ્ય કમીશ્નર સાથે કમીશ્નર કચેરીમાંથી અધિક નિયામક ડો. ઘાસુરા અને મારે સહભાગી થવાનું થયું. મારો જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો લગભગ પાંચ વર્ષનો અનુભવ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરોનો વહીવટ જિલ્લા પંચાયતો જોડે તેથી નબળી વ્યવસ્થાના કારણો માટે હું સુપેરે પરિચિત. મારા અનુભવ કામ આવ્યાં અને ઘણાં સુધારાત્મક પગલાંઓમાં મેં સૂચવેલા ફેરફારો લેવાયા. ડ્રાફ્ટ રીપોર્ટ તૈયાર થયો પરંતુ ભાટિયા સાહેબે તેને સુધારી નવો તૈયાર કર્યો. ડ્રાફ્ટ રીપોર્ટની પ્રસ્તાવનામાં મારું નામ હતું તે દૂર થયું. પરંતુ રીપોર્ટ પ્રિન્ટિંગમાં જતા પહેલા ભાટિયા સાહેબની બદલી સામાન્ય વહીવટ વિભાગમાં થતાં વિભાગના બીજા અગ્ર સચિવ પ્રબીર બાસુ સાહેબ ચાર્જમાં આવ્યા હતા તેઓ મારા કામના સાક્ષી તેથી પ્રસ્તાવનામાં મારું નામ ઉમેરી અહેવાલની પ્રિન્ટ કોપીમાં તે ભૂલ તેમણે સુધારી લીધી હતી.

આ ગાળામાં જીએડીએ મને ટુરિઝમ કોર્પોરેશનના એમડીનો વધારાનો ચાર્જ સોંપ્યો. ત્યાં ત્રણ Jનું સામ્રાજ્ય. MD આવે અને જાય, તે ત્રણ કરે તે થાય. ટુરિઝમને કારણે વાહન, જરૂર પડે ત્યારે કૂક વગેરે સપોર્ટની મદદ ઊભી થઈ એટલે હું રાજી થયો. મેં નિગમને નિયમોની ફ્રેમમાં લાવવાનો અને અનિયમિત નિર્ણયોમાંથી નિયમિત વ્યવસ્થા સ્થાપિત કરવાની કામગીરીનો આરંભ કર્યો. પરંતુ મારો હરખ બહું લાંબું ન ટક્યો. દિલ્હી ડેપ્યુટેશનમાંથી પ્રવીણભાઈ લહેરી સાહેબને સરકારે પાછા બોલાવતા તેમને ટુરિઝમ એમડીનો ચાર્જ સોંપી હું તે કામથી ફારેગ થયો. ગાંધર્વ મહેલની જેમ મળેલી સુવિધાઓ અદ્રશ્ય થઈ. સુરેશભાઈ ઉદ્યોગમંત્રી તેથી તેમના કહેવાથી ચાર્જ છોડાવ્યો હશે તેવી ધારણાથી મને તેમની પર ફરી એકવાર ખીજ ચડી. 

અહીં મને ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૧૯૯૬માં નાલગોંડા સંસદીય મતવિસ્તારની ચૂંટણી નિરીક્ષક તરીકે જવાની તક મળી. ત્યાં રેકોર્ડ ૪૮૦ ઉમેદવારો ચૂંટણી લડ્યા. સમાચારપત્રના ફૂલ પેજ જેવડું મોટા મતપત્રો છપાયા. વધારે ડબા મૂક્યા. મને થતું મતદાતા આવડી લાંબી યાદીમાં તેમનો ઉમેદવાર ક્યાંથી ખોળીને જતાડશે? પરંતુ તેઓએ તેમને ગમતાં CPMના ઉમેદવારને ૧ લાખ મતોથી જીતાડ્યો. મહિલા કલેક્ટરે ખૂબ જ સુંદર રીતે ચૂંટણી સંચાલન કર્યું. મારો બે વાર RO તરીકેનો અને એકવાર DEO તરીકેનો અનુભવ હતો તેથી કામ સરળ બન્યું અને કલેક્ટરને યોગ્ય સૂચન કરતો રહ્યો. આંધ્રપ્રદેશ રાજ્યનો પ્રદેશ જોવા મળ્યો. તેની પ્રજા, વહીવટી તંત્ર અને રાજકારણ સમજવાનો મોકો મળ્યો. 

વળી પાછા રાજકીય મેદાનમાં ખજૂરિયા - હજૂરિયા ચાલ્યું અને તે વર્ષે ઓક્ટોબરમાં (૧૯૯૫) સુરેશભાઈ મહેતા મુખ્યમંત્રી બની ગયા. તેમને કારણે મારે સચિવાલય આવવું પડ્યું તેથી હવે જિલ્લામાં પાછા જવાની કોઈ ઉમેદ ન રહી. પરંતુ તેમણે ચીમનભાઈ પટેલ સાથે સચિવ રહેલા મારા બેચમેટ સંજય ગુપ્તાને તેમના સચિવ તરીકે પસંદ કર્યા તેનું મારી સાથે ઘણાને આશ્ચર્ય થયું. પછીથી સંજ્ય જ્યારે ૨૦૦૨માં IASમાથી રાજીનામું આપી અદાણીમાં જોડાયા ત્યારે થોડુંક અનુમાન બેઠુ પરંતુ તોય સાચુ ખોટું તો રામ જાણે. 

તે વર્ષે મુખ્ય સચિવ તરીકે ગુજરાતી આવ્યા જેને કારણે અમારા જીએડીના મિત્રનું જોર વધ્યું. મારે એક નવું વિધ્ન આવ્યું. તે સમયે દિલ્હી સરકારમાં ડેપ્યુટેશનમાં નામો મોકલવાના હોય ત્યારે અનૌપચારિક રીતે અધિકારીઓને પૂછવાની પ્રથા હતી. પરંતુ મને પૂછ્યા વિના મારું નામ દિલ્હી ડેપ્યુટેશન માટે ગયું અને દિલ્હીથી મારો નાયબ સચિવ કૃષિ મંત્રાલયનો હુકમ આવી ગયો. અહીં અમદાવાદ  મારી બાને પડી જવાથી ફીમર ભાંગી ગયેલું. તેના પગમાં સર્જરી કરી સળિયા નાંખેલા. વયોવૃદ્ધ માતા પિતા. આખું જીવન મજૂરી કરી ઉપર આવેલાં તેથી તેમની દેખભાળ મારી પહેલી પ્રાથમિકતા. તેમને ન છોડવા પડે તે માટે મેં ૧૯૮૪માં IRS છોડી દીધેલું. તેથી દિલ્હી ડેપ્યુટેશન કેરીયર એડવાન્સમેન્ટની તક કહેવાય પરંતુ તે છોડવા મેં પ્રયત્નો આદર્યા. હું સંજયને મળ્યો અને તેમના મારફત મુખ્યમંત્રીને સંમત કરી ડેપ્યુટેશન રદ કરવા દિલ્હી પત્ર લખવાનો જોગ કર્યો. બીજી તરફ દિલ્હી જઈ DoPTમાં ગુજરાત કેડરના વિલાસીની રામચંદ્રન મેડમને મળ્યો. તેમણે કહ્યું કે પાંચ વર્ષનું ડીબારમેન્ટ આવશે. મારી સમક્ષ માતા પિતાની સારવાર પહેલી પ્રાથમિકતા, તેથી ડીબારમેન્ટ તો ડીબારમેન્ટ મેં વિનંતી ચાલુ રાખી. અહીં ગાંધીનગરથી પત્ર ગયો અને ત્યાંથી મારો ડેપ્યુટેશનનો હુકમ રદ થયો. પરંતુ દિલના ભલા વિલાસીની મેડમે મારું ડીબારમેન્ટ કોઈક રીતે ટાળ્યું તો જરૂર હશે કારણકે બીજે જ વર્ષે મને લાંબાગાળાની વિદેશ તાલીમનો લાભ મળવાનો હતો. 

સંજય ગુપ્તા તેમના અનુભવ, હોશિયારી અને વિઝનને કારણે ચીમનભાઈની અત્યંત નજીક હતા અને હવે તેઓ સુરેશભાઈ મહેતાની પણ નજીક પહોંચી ગયા. ચીમનભાઈના વખતમાં ચીમનભાઈ બહાર પ્રવાસમાં હોય ત્યારે તેમના સહી કરેલા કોરાં કાગળો તેની પાસે રહેતા જેથી ઈમરજન્સીમાં તેનો ઉપયોગ કરી મુખ્યમંત્રીનો નિર્ણય સંબંધિતોને જણાવી શકે. સુરેશભાઈ વખતે પણ તેનો દબદબો કાયમ રહ્યો. તેણે સરકારના ઘણાં નિર્ણયોમાં મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો હશે, પરંતુ વહીવટી તંત્રના સંદર્ભે બનેલી બે ઘટનાઓની નોંધ લેવી રહી.  

સામાન્ય વહીવટ વિભાગમાં એક ઉપસચિવ હાઈ ફ્લાયર. મદદનીશથી શરૂ કરી સળંગ પંદર વર્ષથી એક જ શાખા (IAS establishment) નું કામ કરે. તેમનાથી ઘણાં રાજી અને ઘણાં નારાજ. જેને લાભ થાય તે વખાણ કરે અને જેને નુકસાન પહોચ્યું હોય તે ઘસાતું બોલે. અંગ્રેજી નોંધ લેખન સારું હોવાથી અને સતત એક જ જગ્યાએ લાંબો સમય રહેવાથી અદ્યતન નિયમો GRsની જાણકારી વિશેષ રાખે. તેમના પર નાયબ સચિવ તરીકે એક આઈએએસ મૂકાતા નિયંત્રણ ઊભું તો થયું પરંતુ હજી રીપેરીંગ જરૂરી હતું તેવુ ઘણાંને લાગતું. અમારી બેચ સાથે તે ભાઈને પહેલાથી વાંધો પડેલો, અને સંજયને લગભગ કાર એડવાન્સ કે કોઈ બીજી બાબતે વધુ વાંધો પડેલ. વળી હોઈ શકે મુખ્યમંત્રી કાર્યાલયની સૂચનાઓના અમલ ન કરવામાં તે અને મુખ્ય સચિવ એક થયા હોય. મુખ્યમંત્રીને વિશ્વાસમાં લઈ તે અધિકારીની જીએડી બહાર બદલીના હુકમો થયા. કહેવાય છે કે તે વખતના મુખ્ય સચિવે હુકમના અમલને વિલંબિત કરવાનો પ્રયાસ કરતાં ઈન્ડિયન એક્સપ્રેસે હેડલાઇનથી સમાચાર છાપ્યા તેથી તે બદલી હુકમનો અમલ ઝટ થયો. સુરેશભાઈ મુખ્યમંત્રી તરીકે માંડ એક વરસ રહ્યા અને તેમના પછી નવા મુખ્યમંત્રી શંકરસિંહ વખતે જીએડીના એક અગ્ર સચિવે કહેવાય છે કે તે અધિકારી સામે ખાતાકીય પગલાંની વિચારણા કરેલ પરંતુ નવા આવેલ મુખ્ય સચિવે તેમનું રક્ષણ કરતા પ્રકરણ ત્યાં જ બંધ રહેલ. પછી રાજકીય પરિસ્થિતિ તેમને સાનુકૂળ થતાં તે પાછા આવી ગયા અને નિવૃત્તિ સુધી બઢતી મેળવતા રહ્યા અને ટકી રહ્યા. 

સંજયની બીજી એક સ્ટ્રાઈકમાં યુએન મહેતા હોસ્પિટલમાં હ્રદયરોગના એક દર્દીની સારવારમાં વિલંબના મુદ્દે વિવાદ થતા ત્યાંની ટીમ બદલાઈ ગઈ અને ડો. આર. કે. પટેલનો પ્રવેશ થયો. ડો. પટેલ સંસ્થામાં ત્રણ દસક જેટલું રહ્યા અને તેમણે તેમનું તથા સંસ્થાનું નામ રોશન કર્યું. 

અહીં હવે મને સચિવાલયમાં કામથી વિરક્તિ આવવા લાગી. મને થયું અહીં તો આવું ઉપર નીચે ચાલ્યા કરશે, ચાલો, થોડું પર્યટન કરીએ. પિથૌરાગઢ જિલ્લો ઉત્તરપ્રદેશ (હાલ ઉત્તરાખંડ)માં તે વખતના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે મારા બેચમેટ અને મિત્ર સીતારામ મીના. બીજું ઉજ્જવલ રાનીખેત હતો તેથી તેને મળવા જવાનું હતું. બંને કારણો ભેગાં કરી લક્ષ્મી અને હું પ્રવાસે નિકળ્યા. ઉજ્જવલને રાનીખેતથી લઈ અમે પિથૌરાગઢ પહોંચ્યા. સીતારામે મને એક સરકારી જીપ અને ડ્રાઇવર મોહન જોષીની સેવાઓ આપી. અમે રોજ સવારે ચા-નાસ્તો કરી નીકળીએ, રસ્તામાં ક્યાંક લંચ કરીએ અને સાંજે મુખ્ય મથકે આવી ડીનર કરી સૂઈ રહીએ. આવું ચાર પાંચ દિવસ ચાલ્યુ. ડ્રાઇવર જોષી હવે અકળાયો. મને કહે સાહેબ આપ ક્યા યહ જગહ વો જગહ, યહ મંદિર વો મંદિર ભટક રહે હો, ભગવાન તો હમારે ભીતર હૈ, બસ ઉસે દેખને કી સમજ ચાહિયે. મારા કાન ચમક્યા. મેં વળતું પૂછયું આપ કો આધ્યાત્મ કી ક્યા સમજ હૈ? તેણે કહ્યું કે તેના ગુરૂ બાબા જયગુરૂ દેવ છે. તેઓ કંતાન પહેરે છે. તેમના ઉપદેશથી તે તેના ભીતરના ચૈતન્ય રૂપનો અનુભવ કરે છે. આ તો કુટુંબ પાળવા તેને ડ્રાઇવરની સરકારી નોકરી કરવી પડે છે નહિતર જેનું સ્વરૂપ અજર અવિનાશી હોય તે આમતેમ થોડો ભટકે? મને તેની વાત હ્રદય સોંસરવી ઉતરી ગઈ. આધ્યાત્મિક ખેડાણ મારું બચપણથી પરંતુ મોહનની વાતે મારામાં હજી કંઈ ખૂટતું હોવાનું ભાન કરાવ્યું. અમે નિર્ધારિત પ્રવાસ પૂરો કરી ગાંધીનગર આવ્યાં. મારું તન સચિવાલયના કામમાં અને મન અધ્યાત્મ વિચારોમાં ખોવાયું. 

એક દિવસ મને મળવા મારા જૂના સાથી મિત્ર કાળુજી વણઝારા આવ્યા. મેં કાળુજીને કહ્યું કે મારે સત્સંગ સાંભળવો છે. નજીકમાં કોઈ આધ્યાત્મિક સંત હોય તો તેમનું નામ જણાવો ને. કાળુજી કહે, એ તો સાવ ઢૂંકડું છે. તેમનો ભાઈ ડાહ્યાજી વણઝારા મોટેરા આસારામ આશ્રમવાળા આસારામ બાપુનો ભક્ત છે, તે તમને લઈ જશે. તેમણે તેમના ભાઈને ફોન કર્યો અને એક સાંજે બાપુના સત્સંગ પૂરો થવાના સાંજના સમયે અમે મોટેરા આશ્રમ પહોચી ગયા. મને આગળની હરોળમાં બેસાડ્યો અને જેવો સત્સંગ પૂરો થયો એટલે દર્શનની લઈન લાગી એટલે મને બાજુમાં એક ખૂણે ઊભો રહેવા જણાવ્યું. ભીડ ઓછી થઈ એટલે ડાહ્યાજીએ મારો પરિચય કરાવ્યો. બાપુએ હાથ લાંબો કરી મારો હાથ મિલાવી મને પ્રેમપૂર્વક આવકાર આપ્યો. પછી ચાલ્યો મારો સત્સંગ સાંભળવાનો સિલસિલો. આસારામ બાપુ સ્વામી રામસુખદાસજીનું સાહિત્ય વધુ વાપરે. તેમના સત્સંગ ટીમના પ્રેમજી વગેરે કદાચ મુદ્દા નોંધ બનાવી આપતા હશે. પરંતુ બાપુ ભૂલ વગર સત્સંગ કરે. એક વાર્તામાંથી બીજી વાર્તા, બીજીમાંથી ત્રીજી અને પાછી મૂળ પહેલી વાર્તાનો તંતુ પકડી ટ્રેક પર એટલા સહજતાથી આવે કે રસ ભંગ થાય નહીં. બોલતા કોઈવાર ખાંસી જેવું આવે તો સાઈડમાં રહેલી માઈકની સ્વીચ બંધ કરી ખાંસે તેવી સજગતા. યોગ વશિષ્ઠનું વાંચન અને તેનું અર્થઘટન ડિનર પછીની સાધકોની બેઠકોમાં થતું. અદ્વૈત વેદાંતમાં એટલી સરળ સમજ આપતા એ વખતે ખૂબ ઓછા સંતગણમાં તે શિરમોર. તેઓના ગુરૂ લીલાશાહ બાપુ પરંતુ તેઓની આધ્યાત્મિક પ્રગતિમાં ગણેશપુરીના સ્વામી મુક્તાનંદ અને હાલોલના નારાયણ બાપુનો ફાળો. તેમના કહેવા પ્રમાણે તેમને સાક્ષાત્કાર અનુભવ ગણેશપુરી આશ્રમમાં થયેલ. ભારતના ભાગલા વખતે હાથેપગે થઈ ગયેલા કુટુંબો પાકિસ્તાનથી નિરાશ્રિત થઈ આવેલા તેમાનું તેમનું એક કુટુંબ. તેઓની વય ત્યારે નાની. તેઓ પરિણિત અને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર. કાલુપુર લાટબજારમાં તેમના ભાઈની ખાંડની દુકાન આજે પણ છે. તે દુકાન પર તેઓ બેસતા અને ભાઈના ત્રાસથી ઘર છોડી આધ્યાત્મિક માર્ગે ફંટાઈ ગયેલા. તેમના વિશે કહેવાતું કે તેઓ અનેક વર્ષોની સાધના થકી કુંડલિની યોગના જાણકાર અને શક્તિપાત વિદ્યાના ધની બન્યા હતા. મને પણ તંત્રની કુંડલિની જાગરણ વિધિનું માર્ગદર્શન અને અદ્વૈત આધ્યાત્મની શરૂઆતની સમજ કેળવવામાં તેમના સત્સંગોથી લાભ થયેલ. 

ગાંધીનગર સુરેશભાઈ મહેતાની સરકાર લાંબુ ન ટકી. શંકરસિંહ વાઘેલાએ બળવો કરી તેમની વગના ધારાસભ્યો લઈ બીજેપીમાંથી છૂટા પડ્યા. ઓક્ટોબર ૧૯૯૬માં ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું. રાજ્યપાલ કૃષ્ણપાલ સિંહ સત્તાધીશ બન્યા. તેમના કાર્યાલયમાં એક સચિવ તરીકે અવિનાશ કુમાર હતા બીજા અધિક સચિવ મૂકાયા. રાજકારણ અને વહીવટ બંનેનું કેન્દ્ર રાજ્યપાલ બન્યા. રાજ્યપાલ કાર્યાલયમાંથી બદલી હુકમો શરૂ થયા. કેટલાક કલેક્ટર બદલાયા. મને પણ નાયબ સચિવ (જમીન) તરીકે ફેરફાર મળ્યો. 

કોંગ્રેસ પક્ષે બહારથી ટેકો આપતાં નવેમ્બર ૧૯૯૬માં મુખ્યમંત્રી તરીકે શંકરસિંહ વાઘેલાની વરણી થઈ અને તેમની સરકાર બની. મહેસાણાના આત્મારામ પટેલ મહેસૂલ મંત્રી બન્યા અને કચ્છના ધારાસભ્ય બાબુભાઈ મેઘજી શાહ નાણા મંત્રી બન્યા. 

શંકરસિંહ મુખ્યમંત્રી બન્યા ત્યારે ધારાસભ્ય નહોતા તેથી રાધનપુરની બેઠક પરથી પેટા ચૂંટણી લડ્યા. તે વખતે મુખ્ય સચિવ એવા ગુજરાતી અધિકારીના એક્સટેન્શનનું નક્કી મનાતુ પરંતુ દરખાસ્ત ન થઈ કે દિલ્હીની યુપીએ સરકારે ન સ્વીકાર્યુ, તેમની પછીના ક્રમે આવતા અધિકારી મુખ્ય સચિવ બન્યા. તેઓ નસીબદાર પણ એટલાં કે તેમના સમયમાં ભારત સરકારે નિવૃત્તિ વય ૫૮ થી વધારી ૬૦ કરતાં તેમને વધારાના બીજા બે વર્ષ મળ્યા.

અમારા મહેસૂલ સચિવ તરીકે એની પ્રસાદ મેડમ. એકદમ ભલાં. મને કહે કે તેઓને રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર રખડતાં ભટકતાં આશ્રય વિહોણા ગરીબ અને લાચાર માણસો માટે કોઈ યોજના બનાવવી છે. મેં “કસ્તુરબા આશ્રય યોજના” ઘડી કાઢી. તેનો મુસદ્દો મારા મિત્ર કાન્તિ પ્રજાપતિ પાસે સુદૃઢ કરાવ્યો અને નિરાશ્રિત એવાં રખડતાં ભટકતાં લોકોની ભોજન, આશ્રય, તાલીમ અને પુનર્વસનની યોજના લાગુ થઈ. 

સરકાર તે વખતે ફાસ્ટ ટ્રેક પર ચાલતી. વહીવટી નિર્ણયો ઝડપી લેવાતા. સચિવાલય કેમ્પસમાં મુલાકાતીઓની ભીડ વધવા લાગી. નવા મુખ્યમંત્રી કહે તેમને બધું એક નંબર જોઈએ છે. એક નંબર વહીવટ. એક નંબર અધિકારીઓ. એક નંબર... બધું એક નંબર. એક દિવસ માધવસિંહ સરકાર વખતની એક સમિતિનો રાજ્યના જિલ્લા તાલુ્કા વિભાજનનો એક અહેવાલ બન્યો હતો તે મંગાવ્યો. હજી કંઈ લાંબી ચર્ચા વિચારણા થાય ત્યાં સુધીમાં ૧૯ જિલ્લા વધી ૩૩ જિલ્લા અને ૧૮૪ તાલુકા વધી ૨૨૫ તાલુકાની જાહેરાત થઈ ગઈ. તે નિર્ણયના અમલનો GR થયો. એ વખતે દરેક ખેડૂતને નવી ખેડૂત ખાતાવહી આપવાનો નિર્ણય થયો. તે બુકલેટ છપામણી અને વિતરણનો મુદ્દો પછીથી ખૂબ ચગ્યો. સંજય પ્રસાદ તે સમયે વિભાગમાં આ કાર્યવાહી સંભાળતા. મંત્રી આત્મારામ કાકા સમીક્ષા કરે ત્યારે તેમની કડવી જીભ પ્રગટ કરતા. 

મહેસૂલ વિભાગમાં મારી પાસેનું સરકારી જમીનોના ફાળવણી અને દબાણો નિયમબદ્ધ કરવાનું ટેબલ સંવેદનશીલ. મહેસૂલ મંત્રી અને કેબિનેટને નાણાંકીય મર્યાદા મુજબ અધિકારો. વચ્ચે ખાસ કિસ્સામાં નિર્ણય લેવાનો હોય ત્યારે મુખ્યમંત્રીની સહી લેવાતી. માંગણીદારો તેમને ઓછામાં ઓછી કિંમતે લાભ મળે તેવા પ્રયાસ કરતા. વળી જિલ્લા અને રાજ્ય મૂલ્યાંકન સમિતિના મૂલ્યાંકન રકમની અવધી છ મહિનાની તેથી ફરી પાછી મૂલ્યાંકનમાં જતી દરખાસ્તો વિલંબિત થતી. તેથી જૂના મૂલ્યાંકન પર ૧૨ ટકા સાદું વ્યાજ ચડાવી દરખાસ્તો મંજૂર કરવાની પ્રથા અમલી બની. દબાણ નિયમબદ્ધ કરવું હોય તો GR મુજબ જમીનની બજારકિમતની અઢી ગણી કિંમત ભરવી પડતી, તેથી ક્યાંક ખાસ કિસ્સામાં એકવડી કિંમતે દબાણ નિયમબદ્ધ થવાના નિર્ણયો આવે. જ્યાં જમીન માંગણીદાર સંસ્થા હોય ત્યાં GR મુજબ ૫૦% બજાર કિંમતે અને જ્યાં મહેસૂલ માફીની જોગવાઈ હોય તો તે મુજબ થતું. 

નવી સરકાર બહારના ટેકાથી બનેલી તેથી આંતરિક રીતે અસ્થિર ગણાતી. અમારા મહેસૂલ મંત્રીના પણ મોટા અભરખા સંભાળાતા. તેમનું અને નાણામંત્રીનું સંકલન સરસ થઈ ગયેલું. તેથી મહેસૂલ અને નાણાં વિભાગના અધિકારીઓ જે પણ નોંધ લખે, ધાર્યુ તેઓનું થતું. નાણાં સચિવને રીટર્નમાં ફાઈલ મોકલીએ તો તેઓ ટૂંકી સહી કરી પરત કરે તેથી સરકારનું ધાર્યું થાય. પછીથી એક સંસ્થાને ઓછી કિંમતની ફાળવેલ જમીન સામે બદલી બીજે મોંઘી કિંમતની જમીન સામે અદલાબદલી કરવાનો એક નિર્ણય લોકાયુક્તની ચકાસણી સુધી ગયેલ. 

આ બાજુ આસારામ આશ્રમ મોટેરા અને સુરતની આસપાસ દબાણ કરેલ સરકારી જમીનો નિયમિત કરવાની ફાઈલો શરૂ થઈ. અમારા મહેસૂલ મંત્રી ધાર્મિક સ્વભાવના અને રાજકીય મહત્વાકાંક્ષી તેથી તેઓનું વલણ આશ્રમના દબાણની જમીનો નિયમબદ્ધ કરવા હકારાત્મક હતું. આસારામ બાપુના સત્સંગમાં ત્યારે જે તે રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, રાજકીય મોટા આગેવાનોનું વગેરેનું આવવું સહજ હતું. અમારા મહેસૂલ મંત્રી પણ તેમને મળવા મોટેરા આશ્રમ જઈ આવેલા. તેમાં વળી હું આશ્રમથી પરિચિત ઉમેરાયો એટલે સાધકોના આંટા સચિવાલયમાં વધી ગયા. મોટેરા અને સુરત આશ્રમમાં બાપુ વિશે મેં જાતજાતની વાતો સાંભળેલ. તેમાંય વળી તેમના ત્રણેક દાયકાના સાથી શિવલાલ કાકાએ કેટલીક ખાનગી વાતો કરી તો મારી શંકા વધી ગઈ. તેવામાં એકવાર મેં આધ્યાત્મિક પ્રશ્ન કર્યો તો કહે વો સબ મેં સંભાલ લૂંગા તુમ આશ્રમ કી ફાઈલો કે નિકાલમેં ધ્યાન દો. મારું મન ચકરાવે ચડ્યું. અમારે સંસારીઓને સંસાર અને બાવાઓને આશ્રમોનો સંસાર. આમાં વિવેક અને વૈરાગ્ય ક્યાંથી આવે? વિવેક અને વૈરાગ્ય વિના જ્ઞાન થાય નહીં અને જ્ઞાન વિના અવિદ્યાનું અંધારું જાય નહીં. ખેર! મહેસૂલ મંત્રી અને નાણામંત્રી બંને એક હતાં, તેથી બજાર કિંમતની અઢી ગણી કિંમત એકવડી થઈ જાય અને પુનર્મૂલ્યાંકનની દરખાસ્તો મૂળ મૂલ્યાંકન પર સાદું વ્યાજ ઉમેરી મંજૂર થઈ જતી. 

ફાસ્ટ ટ્રેક સરકારના ફાસ્ટ ટ્રેક મુખ્યમંત્રીએ લોકોના પ્રશ્નોના ઝડપી નિકાલ અર્થે મુખ્યમંત્રી નિવાસે લોક દરબાર શરૂ કર્યો. તેમાં વિષય સંબંધિત જે તે વિભાગના નાયબ/સંયુક્ત સચિવ હાજર રહેતા. મારે પણ એક દિવસ હાજર રહેવાનું થયું. સવારે દસ વાગે શરૂ થયેલી બેઠક બપોર સુધી ચાલી. મારા વિભાગનો મુદ્દો આવ્યો અને પતી ગયો. એવામાં કોઈક આવ્યું. મુખ્યમંત્રી કહે, પરમાર તમે બેસજો, હું પાછો આવું છું તેમ કહી બપોરના ૧ કલાકે તેઓ ગયા. અહીં બપોરના બે થયા અને મને પેટમાં બિલાડા બોલે. મુખ્યમંત્રી આવાસે કોઈ વ્યવસ્થા ન હતી. મેં ૨.૩૦ સુધી રાહ જોઈ પરંતુ મુખ્યમંત્રી ન આવ્યા તેથી હું ઉઠીને ઘેર જમવા આવ્યો. પાછળથી ત્રણ વાગ્યા પછી મુખ્યમંત્રી આવ્યા તો મને ન જોવાથી તેઓ નારાજ થયા. 

અહી મારા ટેબલે કચ્છમાં જે સાંથણીની ફાઇલની મારે તકરાર પડી હતી તે જ ફાઇલ આવી. નિયમ વિરુદ્ધ નિયમબદ્ધ કરવાની નોંધ હું કેવી રીતે લખતો? નિયમસર નોંધ મૂકાઈ એટલે તેના હિતધારકો ચેત્યા. જઈ કચ્છના મંત્રી બાબુભાઈ શાહને પકડ્યા અને મારી મહેસૂલ વિભાગમાંથી બદલી આરોગ્ય વિભાગમાં થઈ. હું મહેસૂલ મંત્રીને મળ્યો પરંતુ તેમણે નાણાંમંત્રીનું બહાનું ધર્યું. મહેસૂલ મંત્રીના અંગત સચિવ નલીન ઉપાધ્યાયે કાકાને સમજાવવા પ્રયાસ કરી જોયો પરંતુ તેમનો પનો ટૂંકો પડ્યો. નાણામંત્રી મારા કચ્છના પરિચિત અને મારા પક્ષધર. તેથી મેં તેમનો સંપર્ક કર્યો તો તેમનો બોલ બદલાયો. મેં મુખ્યમંત્રીના સચિવને ફોન કરી સમય લઈ તેમની ચેમ્બરમાં જઈ વાત કરી. મેં તેમને યાદ કરાવ્યું કે કલેક્ટરોના હુકમો થયાં તેમાં મારું નામ લીધું હોત તો આ ઘડી ન આવત. તેઓ કહે તેમને એમ કે DS (Land)ની કામગીરી મહત્ત્વની છે અને તે કામથી હું ખુશ છું તેવા ભ્રમથી તેમનું ધ્યાન ન રહ્યું. અન્યથા થઈ જાત. મેં આશ્વાસનથી મન મનાવ્યું. મારી હાજરીમાં તેમણે નાણામંત્રી સાથે વાત કરી. સામે મંત્રી શું બોલ્યા તે મને ખબર નહીં પરંતુ બંનેની મોઘમ વાતો પૂરી થઈ અને હું પાછો આરોગ્ય વિભાગમાં પહોંચી ગયો. મુખ્ય સચિવને મળ્યો તો કહે there is a silver line that your ACS Health is happy with your posting. મહેસૂલ વિભાગની મારી એ સફર માત્ર સાત મહિનાની રહી પરંતુ યાદગાર રહી. 

હું મે ૩૦, ૧૯૯૭ના રોજ આરોગ્ય વિભાગમાં સંયુક્ત સચિવ (ICDS અને જાહેર આરોગ્ય) તરીકે હાજર થયો. વિભાગના કાર્ય વિભાજન મુજબ અશોક કોસી સાહેબ અમારા ઉગ્ર સચિવ. તેમની જોડે સીએલ લેવી હોય તો પણ તકરાર કરવી પડે. પણ પડ્યું પાનું નિભાવવું રહ્યુ. 

જેને રામ રાખે તેને કોણ ચાખે? આસારામ આશ્રમના સાનિધ્યમાં હું એક સરસ્વતી મંત્ર શીખેલો. મને થયું જોઈએ શું અસર થાય છે મંત્રની. મેં જાપ શરૂ કર્યા. ધવલ અને મેં બંને જણે ચાંદ્રાયણ વ્રત પૂરું કર્યું હતું તેથી કહેવાતી માનસિક શુદ્ધિ મારી સાથે હતી. 

હજી મને નવી જગ્યાએ માંડ મહિનો થયો હશે. એક દિવસ બપોરે ઘેરથી લંચ કરી વિભાગમાં મારી ચેમ્બરમાં પ્રવેશ્યો તો મારા ટેબલ પર મારા નામજોગ ભારત સરકારનું કવર પડ્યું હતું. મને થયું, ભારત સરકારનો પત્ર મારા નામ જોગ? શું હશે? કવર ખોલ્યું તો જાણી સાનંદાશ્ચર્ય થયું. UNDP અંતર્ગત લ્યુબ્લ્યાના યુનિવર્સિટી સ્લોવેનિયામાં એમ.બી.એ. અભ્યાસ માટે મારી પસંદગી થઈ હતી. પગાર ચાલુ, પ્રવાસનો બધો ખર્ચ સરકારી, દૈનિક ભથ્થુ ડોલરમાં, જાણે લોટરી લાગી. મેં જરૂરી ફોર્મ ભરી વિઝા, ટિકિટ બુકિંગ વગેરે કામગીરી આરંભી દીધી. લાંબા ગાળાની આવી તાલીમનો લાભ દરેક સીધી ભરતીના આઈએએસ અધિકારીને મળતો જ હોય છે તેથી તેમાં કંઈ નવું નહોતું. પરંતુ મને સચિવાલય છોડવામાં તે સાનુકુળ હતું. તાલીમ પૂરી કર્યા પછી હું પાછો આવ્યો ત્યારે એક અજ્ઞાત મદદની ખબર પડી. એ વખતે GADમાંથી ARTD છૂટું પડેલું. ARTDમાં તે વખતે મારી ચાલીના ઉપસચિવ ભલજીભાઈ સોલંકી ફરજ બજાવતા. તેમણે તાલીમ માટે અધિકારીઓના નામ ભારત સરકારને મોકલવાની યાદીમાં મારું નામ ઉમેરેલું તેનું આ પરિણામ હતું. બાકી પેલા ભાઈ હોત તો આપણે આટલા વહેલા અને સરળતાથી ન જઈ શકત. 

હવે જીવનમાં એક નવો અનુભવ ઉમેરાવાનો હતો. એક તરફ યુરોપ ખંડ, તેનું શિક્ષણ, તેના લોકો, જોવાલાયક સ્થળો વગેરેનો એક રોમાંચક અનુભવ મારે કરવાનો હતો અને બીજી તરફ માતાપિતાને એક કનડગત થવાની હતી.

૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫

Saturday, September 27, 2025

કચ્છડો બારેમાસ (૧૯) કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ)

મારો કચ્છડો બારે માસ (૧૯)

(કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ) 

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પેલો કચ્છડો બારે માસ. ગુજરાતના ઈતિહાસમાં કચ્છનું અનોખું મહત્વ. અહીં અધિકારી આવતાં રડે અને જતાં પણ રડે. આવે ત્યારે અછતવાળા રણ પ્રદેશમાં આવવાનું દુઃખ લઈ રડે અને જાય ત્યારે અહીંના પ્રેમાળ, માયાળુ લોકોના પ્રેમથી એવા ભીંજાયા હોય કે જતાં પણ રડે. કચ્છી માંડું ભગવાન જેડા આય. તેઓ અચો કહે ત્યારે આત્મીય લાગે અને અચીજા કહે ત્યારે તેમની વધુ આત્મીયતા તેમને ફરી મળવા પ્રેરે. કચ્છનો જણ જ્યાં પણ વસતો હોય, મુંબઈમાં, કરાંચીમાં કે આફ્રિકા યુરોપમાં પોતાના વતનની યાદ કદી ન ભૂલે. કચ્છના પહેલાં વરસાદના સમાચાર સૌ લે અને વધામણાં કરે. ગુજરાતથી અલગ આષાઢી બીજના દિવસે તેઓ નવ વર્ષની ઉજવણી કરી એકબીજાનું અભિવાદન કરે. શિયાળાની ટાઢ અને ઉનાળાની ગરમી અહીં આકરી પડે. નર્મદાના પાણી નહોતા આવ્યાં ત્યાં લગી તો ઘણાં ગામો કાશ્મીરની જેમ ખારી ચા પીતાં. વલસાડના અનરાધાર વરસાદની સામે અહીં છાંટા પડે તો પણ લોકો રાજીના રેડ થઈ જાય. અહીં ઉનાળાની સાંજે પશ્ચિમથી વાતો મંદમંદ સમીર મનને પ્રસન્ન કરી દેતો. તનને ટાઢક હોય અને મનને પ્રસન્નતા પછી તે સાંજ હજી ચલતી રહે તેવો ભાવ સહજ થતો. 

ભારતના નાના રાજ્યોથી મોટો કચ્છ જિલ્લો ઈઝરાયલ દેશ બરાબર ક્ષેત્રફળ ધરાવે છે. તેને અડકીને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ છે. કંડલા અને મુંદ્રા બે મોટા બંદરો ઉપરાંત જાણીતું જખો છે. રાત્રે જખૌના દરિયા કાંઠેથી કરાંચી બંદરની લાઈટો દેખાય. સિંધુ સંસ્કૃતિનું ધોલાવીરા છે. સફેદ રણની ચાંદની રોનક છે. ધોરડોના વ્યંજનો છે. કોટેશ્વર, નારાયણ સરોવર તીર્થો છે. સિંધુ નદીની નરા શાખા અહીં વહેતી ત્યારે ડાંગરની ખેતી થતી અને લાખ કોરીનો વેપાર કરતું લખપત ધીકતું બંદર હતું. ગુરૂ નાનકદેવજી અહીંથી મક્કાના પ્રવાસે ગયા હતા. જૈન તીર્થોમાં અહીં ભદ્રેશ્વર પ્રખ્યાત છે. માંડવીનો દરિયાકિનારો આહલાદક છે. માંડવીના ઘંઉ શક્તિવર્ધક અને ખડીર રાપરની બાજરીના રોટલા તો ખાવ અને ખૂટે. અહીંની ખારેક ખાઓ તો બીજી કોઈ ન અડકો. કેસર કેરી કચ્છની જૂનાગઢ અને વલસાડને પાછળ મૂકી દે. ડ્રેગન ફ્રૂટ હોય કે દાડમ, ફળોમાં કચ્છનો રસ ભળે એટલે મધુરા બની જાય. કચ્છનો પેલેસ, આયના મહેલ રજવાડી જીવનનો ઠાઠ બતાવે. 

બ્રિટીશ સરકાર વખતે અહીં દેશી રજવાડાંનું રાજ હતું. કાચબા જેવા આકારવાળો આ પ્રદેશ ધોલાવીરાને કારણે સિંધુ ખીણ સંસ્કૃતિ સાથે પોતાનો ઈતિહાસ જોડે છે. મહંમદ ગઝનીએ ૧૦૨૫-૨૬માં સોમનાથ પર ચડાઈ કરી ત્યારે કહેવાય છે કે ગુજરાતનો નાથ ભીમદેવ-૧લો રાજધાની પાટણ છોડી અહીં કંથકોટમાં છૂપાયો હતો. કચ્છનું જાડેજા રાજની સ્થાપના સન ૧૧૪૭માં ચાવડાઓને હરાવી સિંધની સમાં જાતિના લાખા જાદાણીએ કરી હતી. તેની રાજધાની તેના જોડિયા ભાઈના નામે લખીરવીરો (નખત્રાણા) હતી. ઉત્તરાધિકારી તરીકે મોટા પુત્રની શાખા અને નાના પુત્રની શાખામાં તકરારો ઉભી થતાં નાની શાખાના જામ રાવલના પિતા લાખાજીનું લખીરવીરોમાં કતલ થતાં તેનો આરોપ લખીરવીરાના રાવ હમીરજી પર આવ્યો. જામ રાવલે સન ૧૫૩૭માં રાવ હમીરજીની હત્યા કરી બે દશક રાજ કર્યું. પરંતુ પછીથી હમીરજીના વંશજ રાવ ખેંગારજી-૧એ પોતાના અધિકારનું રાજ સન ૧૫૫૭માં જીતી લેતાં જામ રાવલે નવાનગર જઈ નવું રાજ સ્થાવવું. તેમના વંશજો જામનગર, રાજકોટ, ગોંડલ, ધ્રોલ, વીરપુરમાં વસ્યા. જ્યારે ખેંગારજીના કચ્છમાં ભૂજ રાજધાની બની. તેમના કુળદેવી માં આશાપુરા દેવી છે. 

મેં કચ્છ કલેક્ટરનો હવાલો સંભાળ્યો ત્યારે નામમાત્રના રાજવંશના વારસ રાવ પ્રાગમલજી-૩ હતાં. તેઓને હું તેમના પેલેસ હાઉસમાં મળ્યો ત્યારે તેઓ મને મિલનસાર અને વિનમ્ર લાગ્યાં. તેમને પુત્ર સંતાન ન હોવાથી તેઓ તેમની મિલકતોના વાણિજ્યિક હેતુ ઉપયોગ માટે ખૂબ વિચારતાં અને તેમના પ્રોજેક્ટના લાંબી ચર્ચા કરતાં. તેમના પિતરાઈ કાકા હિંમતસિંહ મને નિયમિત કલેક્ટર નિવાસે આવી પખવાડિયે મહિને મળવાનું રાખતાં. મહારાવ કુટુંબના શિકારીભાઈ મને આદરપૂર્વક મળતાં અને કોઈક વાર રાજવી ટેસ્ટનાં અથાણાં લઈ આવતાં. કચ્છની વાતો કરતાં રામસિંહ રાઠોડને પણ યાદ કરવા પડે. 

કચ્છ સરહદી જિલ્લો તેથી અહીં આર્મી, એરફોર્સ, બીએસએફ, આઈબી અને બીજી મહત્વપૂર્ણ કેન્દ્રીય સંસ્થાઓના મથકો. જેને કારણે આર્મીના બ્રિગેડિયર જે.પીં પાઠક, એરફોર્સના ભૂજ કમાન્ડના એર કોમોડોર જૈન, એરફોર્સ નલીયા કમાન્ડના એર કોમોડોર ત્યાગી, 
બીએસએફ વડા મેનન, તેમના ડેપ્યુટી રાઠૌર વગેરે સાથે મારે મૈત્રીપૂર્ણ સંકલન સંબંધ રહેતો. તેમને ત્યાં get together હોય કે અમારે ત્યાં અમારે અરસપરસ અવરજવર રહેતી. મારે તેમને ત્યાં ડિનરમાં જવાનું થાય પહેલાં વિનંતી કરતો કે જમવાનું વહેલાં પીરસજો પછી તમ તમારે મોડી રાત સુધી મસ્ત રહેજો. ભારત સરકારની એજન્સીઓ સાથે મારી ઘનિષ્ઠ મૈત્રીનું એક કારણ મારા પુરોગામીના આર્મી સાથે ખાટા થયેલા સંબંધો હશે. બીએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ રાઠૌરે ડ્રાઈવિંગ અંગે આપેલી ટીપ્સ મને કાયમ કામ આવી. 

ભૂજની નજીક માધાપર ગામ નજીક આર્મી કેન્ટોન્ટમેન્ટ અને તેમાં થઈ જવાનો લોકોને કાયમનો રસ્તો. આર્મીએ મારા પુરોગામીના સમયે એકવાર એ રસ્તો સદંતર બંધ કરી દીધો. કલેક્ટરે કહ્યું પણ આર્મી અધિકારીઓએ ન ગણકાર્યું એટલે કલેક્ટર પોતે ટ્રેક્ટર પર બેસી રસ્તો ખોલાવવા ગયા હતાં તેવી વાતો લોકો કરતાં. તેઓને પ્રવાસ અને ફોટોગ્રાફીનો શોખ તેથી તેમણે ત્રણ વર્ષ જેટલો લાંબો સમય એક મજબૂત યાદ તરીકે વિતાવેલ. કાસમ કલેકટરનો રસોઇયો. મારા પુરોગામીને વારેવારે ટાઈફોઈડ થાય પણ કારણ ન પકડાય. છેવટે કાસમનો ટાઇફોઈડ પકડાયો ત્યારે તેમનો મટ્યો.  

મારા પુરોગામી સીટીસી પહેલેથી ભરી કદાચ વતનમાં નીકળી ગયા હતા પરંતુ તેમના પત્ની એકલાં રહે. વલસાડ અમે છોડી દીધેલું અને સરકીટ હાઉસમાં કેટલું રહેવાય? વળી ઉજ્જવલ ધવલની શાળાઓ શરૂ થાય તે પહેલાં તો ઘરમાં રહેવા જવું જ પડે. નસીબજોગે પુરોગામીએ ઘરનાં બે ભાગ કર્યા અને એક તરફના ભાગમાં તેમનો સામાન ખસેડ્યો અને એક તરફનો ભાગ અમને રહેવા આપ્યો. કલેક્ટર નિવાસ રજવાડા વખતનું ગેસ્ટ હાઉસ. બે બાજુ બે-બે રૂમો અને વચ્ચે રસોડું, ડાઇનિંગ અને બેઠક રૂમ. જમણી બાજુનું ઘર તો અમને છ મહિના પછી વાપરવા મળ્યું. પરંતુ છ મહિનામાં ડાબી બાજુની આદત એવી પડી હતી કે જમણી બાજુ પછી અતડી લાગવા માંડી. કમ્પાઉન્ડમાં આંબા, ગોરસઆંબલી, કોઠુંના ઝાડ. બગીચામાં એક ઝુમ્મર વેલ મને એવી તો ગમી કે અમદાવાદ પિતાજીને ઘેર લગાવી અને હાલ મારા ગાંધીનગર નિવાસે પણ છે. મકાનના દક્ષિણ દ્વારે રોડને અડકીને શિવજીનું મંદિર. શ્રાવણ મહિનામાં અને સોમવારે અમે શિવલિંગના દર્શન કરતાં અને પૂજારીના ખબરઅંતર પૂછતા. 

કચેરીમાં બેસું ત્યારે મને ખ્યાલ હતો કે આપણે દેશી રજવાડાના ક્ષેત્રમાં છીએ અને કલેક્ટરનું સ્થાન અહીં સામંતી વારસ જેવું છે. કલેક્ટરના પટાવાળા તરીકે નાયક એક જોગીભાઈ. દેખાવે નીચા અને વૃદ્ધ જણાય. મને કહે સાહેબ હું નાયક તેથી રેન્ક મુજબ મને લાલ પટ્ટો મળે તે પહેરું? મને થયું નેકી ઓર પૂછપૂછ, એકલો પટ્ટો સારો ન લાગે, માથે પાઘડી અને પગમાં પોલિશવાળા કાળા બૂટ જોડી દો. કાકા ખુશ થઈ ગયા અને હું રહ્યો ત્યાં સુધી તેમણે તે યુનિફોર્મ જાળવી રાખ્યો. તેમની જોડે બીજા પટાવાળો સતુભા જાડેજા. 

કચેરીમાં ભટ્ટીભાઈ હાજર હોય એટલે કલેક્ટરને કોઈ ચિંતા નહીં. તેમની મદદમાં વૈષ્ણવ પણ આજ્ઞાંકિત. આરડીસી જગદીશ પંડ્યા અને તે પછી આવેલા શંકરભાઈ પટેલ કચેરી સંભાળી લે. વર્ગ ૧-૨ ના અધિકારીઓ તેમની ક્ષમતા જેટલું કામ કરે. જિલ્લા વિકાસ અધિકારી તરીકે વસંતભાઈ ગઢવી અને પછી આવેલ સંજય નંદન તેમની જિલ્લા પંચાયત સુપેરે ચલાવે અને કલેક્ટર સાથે સંકલનમાં રહે. પ્રાંત અધિકારી તરીકે મારી પાસે નખત્રાણામાં સી. આર. ખરસાણ, ભૂજમાં એ.બી. પરમાર અને પછીથી નલીન ઉપાધ્યાય અને અંજારમાં દુષ્યંત દવે. ત્રણેય અસરદાર એટલે પ્રાંત અને તાલુકા કક્ષાના કામો તેઓ સુપેરે સંભાળી લેતાં. મામલતદારો કોઈ સારા, કોઈ મધ્યમ અને કોઈ નબળા પરંતુ જાહેર વહીવટમાં બધા ચાલી જાય. 

બંગલે કાસમ રસોડુ સંભાળે. પાતળો નાનો અબ્દુલ કપડાંને ઈસ્ત્રી કરે અને નાના મોટા ટાંપા કરે. હુસેનભાઈ માળી બગીચો સંભાળે. મહમંદ રાત્રે આવે તે કમ્પાઉન્ડમાં આંટા માર્યા કરે. બે સિક્યુરીટી બંગલે રહે અને એક ગનમેન અશોક વાજા સાથે કચેરી અને પ્રવાસમાં સાથે રહે. શિફ્ટ લાંબી ચાલે તો બીજો આવી જાય. બધાં નિયમિત અને શિસ્તપાલનવાળા, કલેકટરની ગરિમાનું ધ્યાન રાખે. ડ્રાયવર તરીકે દામજી મકવાણા અને તેની સાથે કિશોર. બંને કુશળ એટલે જૂનાગઢના ડ્રાઇવરોની અકસ્માત કરવાની બીક જેવી બીક હવે ન રહી. ગાંધીનગર મિટિંગમાં જઈએ તો લાંબો પંથ કાપતાં કાપતાં થાકી જવાય. પરંતુ પાછા ફરીએ એટલે જાણે ઘેર જતાં હોઈએ તેવો હરખ જાગે.

મેં કચ્છનો હવાલો સંભાળ્યો ત્યારે અહીં અછત ચાલે. દાહોદ સબડિવિઝનમાં લાખ-દોઢ લાખ મજૂરો સંભાળ્યા હોય ત્યાં અહીંના અછત રાહત કામો સાવ સામાન્ય લાગે. પરંતુ મુખ્ય પ્રશ્ન ઢોરોને ઘાસચારાનો બંને. વિશાળ બન્ની પ્રદેશ અહીંનો ઘાસ વિસ્તાર જેમાં હજારોની સંખ્યામાં ગાય, ભેંસ, બકરાં, ઘેટાં નભે. રાજ્યમાં બીજા જિલ્લામાં અછત હોય તો અહીંની વીડીઓનું ઘાસ કામ આવે. સવારે કચેરીએ જાઓ તો બન્નીના માલધારીઓ જવાનો રસ્તો અને કચેરીનું નાકું બાંધીને બેઠા હોય. તેમનાં પ્રશ્નો સાંભળવા પડે અને ઉકેલવા પડે. પરંતુ અહીં અછત હોય ત્યારે ઘાસ મેળવવા જૂનાગઢ, ભાવનગર અને છેક પંચમહાલ સુધી નજર દોડાવવી પડે. પીવાનું પાણી એક વિશેષ સમસ્યા. જ્યાં સારા વર્ષમાં અઠવાડિયામાં બે-કે ત્રણવાર પાણી મળતું હોય તેવા ગામોમાં જો ટેન્કર ન પહોંચે તો ત્રાહિમામ થઈ જતો. મેં એક નિયમ રાખેલો. જે ગામની મોટી રાડ આવે કે ગામના નાકે બીજી સવારે મારી ગાડી ઊભી હોય. કચ્છની પ્રજાને તે અછતમાં ના કામની, ના ઘાસની કે ના પીવાના પાણીની તંગી પડવા દીધી. 

તે વર્ષે અછત રાહત કામોની મુલાકાતે દેશના લીડર ઓફ ઓપોજીશન અટલ બિહારી વાજપેયી આવ્યા. ધોતી, ઝબ્બો અને બંડીની સાદગીમાં સજ્જ એક મોહક વ્યક્તિત્વ. હું નાનો હતો ત્યારે કટોકટીના વર્ષોમાં જ્યારે ૧૯૭૭ની ચૂંટણી જાહેર થઈ ત્યારે અમદાવાદ ખાનપુરની સભામાં તેમને સાંભળવા ગયો ત્યારે દૂરથી જોયેલા. આજે પ્રત્યક્ષ હતાં અને દિવસ દરમ્યાન તેમની સાથે વાતચીત કરવાનો અદ્ભુત મોકો. તેઓ અછત રાહતના અમારા કામથી સંતુષ્ટ થયા. કચ્છના વિકાસ માટે તે વખતે મારું રોમ રોમ અવાજ કરે. મેં કચ્છને ઈઝરાયલ સાથે સરખાવી તેને એક વિશેષ પ્રદેશ ગણી ઈઝરાયલના મોડલ પર જળ સંચય, સિંચાઈ, કૃષિ અને ઔદ્યોગિક વિકાસની રૂપરેખા સમજાવી. તેઓ એટલા તો રોમાંચિત થયા કે મને કહે, परमारजी, आप की कच्छ विकास की सोच उत्तम है. 
अपने को कच्छ देश का प्रमुख मानकर काम करो. અમે સાથે પ્રવાસમાં ગાંધીધામ ગયા. ત્યાં તેમને પરિચિત તેમના પક્ષના કોઈ સિંધી આગેવાન મળવા આવ્યા. તેઓ તેમની સાથે વાજપેયીજીની એક છબી લાવેલા અને અટલજીને વિનંતી કરી કે તેઓ તેમનો ઓટોગ્રાફ તેના પર આપે. અટલજીએ બે લાઈનો લખી જેમાં પહેલી મને કંઈક યાદ રહ્યું ढलती उम्र, बढ़ती परछाई, वो एक दौर था, आज नया दौर है. તેઓ જાણે તેમના જીવનપંથની યાત્રાને વર્ણવી રહ્યા હતા. 

અહીં વરસાદ ઓછો પડે અને શહેરની વસ્તીને પાણીની તંગી ન પડે તેથી જે પણ વરસે તે બધું પાણી સંગ્રહ થાય તે રીતે પાણીના આવરાને જોઈ રાજાશાહીના વખતમાં તળાવોની રચના, તેના ઇનલેટ આઉટલેટ બનાવેલ. ભૂજનું હમીરસર તળાવ એટલે શહેરનું આભૂષણ. સહજાનંદ સ્વામી મહારાજ ભૂજમાં રહેલ અને હમીરસર તળાવમાં સ્નાન કરતાં તેથી તે પ્રસાદીના તળાવ તરીકે ઓળખાય. મને થયું લાવોને તળાવની સંગ્રહ શક્તિ વધારવા કંઈક કરીએ. મેં ધારાસભ્ય સહિત શહેરના આગેવાનો અને સ્વામિનારાયણ મંદિરના સંતોની બેઠક બોલાવી. મારી વાત રજૂ કરી અને હમીરસર તળાવના ખાણેત્રાના ફાળા પેટે મારો એક પગાર આપવાની જાહેરાત કરી. બેઠકમાં વીજળી દાખલ થઈ. ધારાસભ્ય પુષ્યદાન ગઢવીએ એમએલએ ગ્રાન્ટમાંથી ₹૧ લાખ લખાવ્યાં. પછી દાનનો પ્રવાહ શરૂ થયો અને એક કલાકમાં અમારી પાસે ₹૧૦ લાખ એકઠા થઈ ગયા. સ્વામીનારાયણ મંદિરના સંતોએ ખાણેત્રાના સુપરવિઝનની જવાબદારી લીધી. તેમના હરિભક્તોએ ડીઝલનો ખર્ચ નીકળે તેટલા દરે ટ્રેક્ટરો ખડકી દીધાં. સ્વયંસેવકો અને મજૂરોની લાઈન લાગી અને ખાણેત્રુ શરૂ થયું. ખોદકામમાં માટી નીકળતી કે અમે શહેરના રસ્તાઓની બંને બાજુ અને ખાડાઓમાં ઠાલવતાં. જોતજોતામાં હમીરસર તળાવની સંગ્રહ શક્તિમાં અંદાજે એક કરોડ લિટર પાણીનો વધારો કરી દીધો. 

અસ્તિત્વને હું જીવંત જોતો તેથી સમૂહના સકારાત્મક સંકલ્પો સારા ફળ આપે તેવી મારી શ્રદ્ધા હતી. મેં ફરી તળાવમાં વિષ્ણુયાગ યજ્ઞ કરવાની ટહેલ નાખી. રાજપુરોહિત કુટુંબના હરેકૃષ્ણ ખેરા અમારાં પુરોહિત બન્યાં. યજમાન જોડાઓએ ખર્ચ ઉઠાવ્યો અને પૂજામાં બેઠા. ચારેબાજુ એક સકારાત્મક વિચારોનું વાતાવરણ બંધાયું. મેં ડીસીએફને એક લાખ રોપા તૈયાર રાખવા જણાવ્યું. સૌના આનંદ અને આશ્ચર્ય વચ્ચે તે વર્ષે (૧૯૯૪)માં સદીનો સૌથી વધુ વરસાદ નોંધાયો. નદી, નાળા, તળાવો બધું તરબતર થઈ છલકાયું અને કચ્છ અમારું આનંદના હિલોળે ચડ્યું. જ્યાં ૧૫-૨૫ રેઈની ડે નોંધાતા હોય તે મલકમાં ૭૫ રેઈની ડે નોંધાયા અને ભૂજ, નખત્રાણા, માંડવી જેવા ક્ષેત્રોમાં પાણીના તળ ખૂબ ઉપર આવ્યા. ભૂજમાં હમીરસર છલકાયું તે દિવસે આખું નગર ઘર છોડી તળાવે આવી ગયું. પરંપરા મુજબ બીજા દિવસે સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજા જાહેર કરી. હમીરસર ઉભરાય એટલે શહેરના પ્રથમ નાગરિક મેયર તેમની જમણાં હાથની કનિષ્ઠિકા (ટચલી આંગળી) નાં રક્તકણોથી તળાવનાં વધામણાં કરે. પરંતુ તે વર્ષે બધાને ભાવ થયો કે કલેક્ટર સાહેબે હેતે કરી ઘણું કામ કર્યું તેથી આ વર્ષે તેમના હાથે વધામણા કરીએ. પરંતુ એમ સીધું હાલે તો સમાજ ન કહેવાય. કેટલાક જાતિવાદી તત્વોએ ઊંબાડિયું કર્યું અને તળાવ વહીવટદાર તરીકે કામ કરતાં અમારા નાયબ કલેક્ટર બી. કે. ઠક્કરે વધાવ્યું. તેમના સંકોચને દૂર કરવાં મેં કાર્યક્રમમાં ગેરહાજર રહેવાનું પસંદ કર્યું. પછી તો અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉજવ્યો. ભૂજના બધાં રસ્તાઓને વાવેતરથી જડી દીધા. વૃક્ષની નજીક રહેનારને તેના રક્ષણ અને વર્ષાઋતુ પૂરી થાય પછી જળ સિંચનની જવાબદારી આપી. કેટલાં વૃક્ષો બચ્યાં તેની ખબર નહીં પરંતુ ભૂજના રસ્તાઓ પર અને હમીરસરની ફરતે ઊભેલાં ઘણાં વૃક્ષો અમારા કર્મયજ્ઞની સાક્ષી પૂરે છે. 

એ વર્ષ સુરતમાં આવ્યો પ્લેગ (ઓગસ્ટ-ઓક્ટોબર ૧૯૯૪). એસ.આર.રાવ સાહેબે સુરત શહેર સફાઈ કર્યું પરંતુ ત્યાંથી પલાયન થઈ અમારા જિલ્લાના જે ઈસમો આવવા લાગ્યા તેનાથી અમારે સાવધાન થવાની જરૂર ઊભી થઈ. મારા ફીજીશિયન મિત્ર સિવિલ ભૂજના ડો કશ્યપ બૂચ અને જિલ્લાની ડોક્ટરો અને અધિકારીઓની ટીમ કામે લાગી. અમે વિષયને સમજાવતી, રોગ, રોગના લક્ષણો, સારવાર, રાખવાની તકેદારી વગેરે સાથે રેડિયો વાર્તાલાપ અને દ્રશ્ય શ્રાવ્ય કેસેટો તૈયાર કરી કેબલ ટીવી મારફત પ્રચાર કરવાનું શરૂ કરી દીધું. સદનસીબે અમે પ્લેગથી બચ્યાં. 

આસો નવરાત્રિમાં આશાપુરા માતાના સ્થાનકે મેળો ભરાય. ગુજરાતમાં અંબાજીની જેમ હજારો લોકો પગપાળા દર્શન કરવા જાય. હું કાર લઈને ગયો. મને મચ્છરોએ ચાખ્યો. એકાદ બે અઠવાડિયામાં હું તાવમાં પટકાયો. લોહીના નમૂનાના સ્લાઈડ લીધી પરંતુ મેલેરિયા નેગેટિવ આવ્યો તેથી ડોક્ટર બીજી દવાઓ આપ્યા કરે. અહી તાન તૂટે નહીં. એક દિવસ થર્મોમીટરે ૧૦૪-૧૦૫નું રીડીંગ બતાવ્યું. તાન ન ઉતરવાથી અને ભોજન ન લેવાથી હું સાવ અશક્ત થઈ ગયેલો. તેમાં તાવની સ્પાઇક આવતાં મને મોત નજીક લાગ્યું. ચોરે તરફ અંધારું જણાય. કોઈ મળવા આવે તો તેમનો અવાજ સંભળાય. ડો કશ્યપ બૂચે ફરી સ્લાઈડ લેવડાવી. મેલેરિયા ફાલ્સીફેરમ પકડાયો. પછી તો તરત ઇંજેક્શન શરૂ થયા. મેલેરિયા વિરુદ્ધની દવાઓ શરીરમાં દાખલ થઈ અને હું બચ્યો. 

ડિસેમ્બરમાં જિલ્લા, તાલુકા પંચાયત અને ગામ પંચાયતોની ચૂંટણીઓ આવી. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે અધિકારીઓની ટીમ સરસ હોવાથી સરળતાથી યોજી પાર કરી. પંચાયતી રાજની નવી ટીમ અમારા સંકલનમાં આવી. 

મુખ્ય ચૂંટણી કમિશનર શેષાનના તાપનો એ જમાનો. ચૂંટણી ઓળખ કાર્ડ આવ્યા. ગામે ગામ અને વોર્ડે વોર્ડે જઈ મતદારોના ફોટા પડાવવાના અને મતદાતા સૂચિનો રેકર્ડ સુધારવાનો. રાજ્ય ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી ઓળખ કાર્ડનું છાપકામ કેન્દ્રીયકૃત કરી જિલ્લાઓને પ્રેસ ફાળવાયા. કચ્છને જામનગરનું પ્રેસ ફાળવ્યું જ્યાં જામનગરનું છાપકામ પહેલેથી ચાલતું હતું. પ્રેસ સ્થાનિક કલેક્ટરનું કામ પહેલું કરે તેથી અમે પાછળ રહીએ. તે કારણસર ગાંધીનગરમાં ઓળખ કાર્ડ છપામણી પ્રગતિની બેઠકમાં નાયબ રાજ્ય ચૂંટણી અધિકારી કૈલાસનાથન જોડે ચણભણ થઈ. મેં કહ્યું કે મને સ્વતંત્ર પ્રેસ આપો અથવા જામનગરનું કામ થોડા દિવસ અટકાવી મારો બેકલોગ પૂરો કરાવો. હું જામનગર જતો ત્યારે કલેક્ટર સંજયપ્રસાદને ઘેર જમતો. સદાવ્રત જેવું તેમનું ઘર. રસોઈઓ ડાઈનિંગ ટેબલ પર મોટો બાઉલ ભરીને પાલક પનીર મૂકી દે પછી જેને જેટલું ખાવું હોય તેટલું ખાય. સંગીતાને પાલક પનીર ખાતા જોઈ લક્ષ્મીને પાલક પનીરનો સ્વાદ જામી ગયો. આજે પણ પાલક પનીર બને ત્યારે સંગીતાને જરૂર યાદ કરે. 

મુખ્યમંત્રી છબીલદાસ મહેતા અવારનવાર જિલ્લાની મુલાકાતે આવતા. તેઓ એક અમદાવાદ સાબરમતીના કોઈ પરંપરાથી તૈયાર થયેલ ઠાકોરનો કેમ્પ કરાવતાં. મહિલાઓને કમરમાં દુખાવો થાય તે આ ઠાકોર હાથથી ઠોકી દુખાવાવાળા બે મણકાનું અંતર વધારી મટાડી દેતાં. તે મહિનાઓમાં ડીએસપી પ્રમોદ કુમારની બદલી માટે એક વિશેષ ગ્રુપે બહુ બળ કર્યું. પરંતુ મારી ભલામણથી મુખ્યમંત્રીએ તેમની બદલી ન કરી. તે વર્ષે ચૂંટણી આચારસંહિતાને કારણે ૨૬મી જાન્યુઆરી ધ્વજવંદનનો કાર્યક્રમ કલેક્ટરનાં હસ્તે થયો. પરેડ સલામી બધું નિયમસર થયું પરંતુ કાર્યક્રમનો ચીફ ગેસ્ટનો પ્રોટોકોલ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને સોંપી પ્રમોદ કુમાર બેચનું વર્ષ ગણવા બેસી રહ્યા. 

પછી આવી ફેબ્રુઆરી-માર્ચ ૧૯૯૫માં નવમી વિધાનસભાની ચૂંટણીઓ. અમારે અહીં આઠમી વિધાનસભાના ધારાસભ્યો ભૂજથી પુષ્પદાન ગઢવી, માંડવીથી સુરેશભાઈ મહેતા, અબડાસાથી તારાચંદ છેડા, અંજારથી નવીનભાઈ શાસ્ત્રી (કાયદામંત્રી), રાપરથી હરિલાલ પટેલ, મુંદ્રાથી પરબત સોધમની સરસ ટીમ હતી. નવમી વિધાનસભાની ચૂંટણીનું કામ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે મારે ભાંગ આવ્યું. છએ બેઠકોની મતદાર યાદીથી લઈને ચૂંટણી કરવાના સંશાધનો, વાહનો, અધિકારીઓ, કર્મચારીઓ, તેમની તાલીમો, આચારસંહિતાનો અમલ, કાયદો અને વ્યવસ્થા, ચૂંટણી, મત ગણતરી, પરિણામો, વગેરે કામગીરી તેના સમયપત્રક મુજબ પૂરી કરવાની. જિલ્લાનો વિસ્તાર ખૂબ મોટો. ત્રણ-ચાર જિલ્લા ભેગા કરીએ તેવો. દુર્ગમ વિસ્તારો જ્યાં રોડ રસ્તા ન હોય, રણ પ્રદેશ હોય ત્યાં પરિવહન માટે ઊંટને ઉપયોગમાં લેવા પડે. અમે તે કામ સફળતાપૂર્વક પાર પાડ્યું. ધારાસભ્યોની ટીમમાં થોડા ફેરફાર થયા. અબડાસાથી નીમાબેન આચાર્ય ચૂંટાયા. ભૂજથી મુકેશભાઇ ઝવેરી આવ્યા. અંજારથી વાસણભાઈ આહીર ચૂંટાયા. રાપરથી બાબુભાઈ મેઘજી શાહ જીત્યા. જૂનામાંથી સુરેશભાઈ મહેતા અને પરબત સોધમ બીજીવાર ચૂંટાઈ આવ્યા. પુષ્પદાન ગઢવી પછીથી ૧૯૯૬માં સંસદસભ્ય તરીકે ચૂંટાયા. 

વિધાનસભાની ચુંટણીઓમાં સત્તાપક્ષ કોંગ્રેસની (૪૫) હાર થઈ. છબીલદાસ મહેતાએ રાજીનામું આપ્યું અને કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પક્ષની (૧૨૧) સરકાર બનાવી. કચ્છમાંથી સુરેશ મહેતા નંબર ૨ તરીકે ઉદ્યોગ મંત્રી બન્યા. જેવી નવી સરકાર બને અને સત્તાપક્ષ બદલાય એટલે અધિકારીઓની બદલીઓનો દોર શરૂ થાય. મારા સદનસીબે મુખ્યમંત્રી કેશુભાઈએ તેમનો પહેલો પ્રવાસ કચ્છ બોર્ડર એરિયાની મુલાકાતનો ગોઠવ્યો. હું તેમની સાથે રહ્યો એટલે સરકારી વાતચીત પૂરી થાય એટલે અંગત વાતોમાં દાખલ થયો. તેમણે રાજકોટમાં કોલસા તોલવાના તોલાટ તરીકે શરૂ કરેલી તેમની કારકિર્દી કેવી રીતે તેમની સેવાકીય ભાવના અને કર્મઠતાથી આગળ વધી તેની ગાથા ગાઈ. તેઓ જ્યારે વાજપેયી અને ખાસ કરીને લાલકૃષ્ણ અડવાણી આવે ત્યારે પોતે ડ્રાઈવર થઈ તેમની જીપ હંકારતા તે ઘટનાઓ વર્ણવી. એ સમયે કચ્છના ઔદ્યોગિક વિકાસ માટે સરકારનું ધ્યાન. કચ્છમાં સીમેન્ટ ઉદ્યોગને ૧૦૦ વર્ષ ચાલે તેટલો ચૂનો. સાંઘી સિમેન્ટની દરખાસ્ત પાછલી સરકારમાં ચાલી જેમાં આવનાર કંપનીને જમીન લાંબી લીઝ પર આપવાની કાર્યવાહી ચાલતી હતી. મને તેમાં સરકારનું અહિત જણાતા મુખ્યમંત્રીના કાને જાહેર સાહસ બનાવી સંયુક્ત સાહસ તરીકે પ્રોજેક્ટ હાથ ધરવા સૂચવ્યું. પરંતુ ઉદ્યોગ મંત્રી કચ્છના તેથી તેમનો અભિપ્રાય જાણ્યો હશે. ખનીજો ભરેલી જમીનો સાંઘી સિમેન્ટને મળી. મુખ્યમંત્રી મારા કામથી ખુશ હતાં અને ધારાસભ્યોની કોઈ વિશેષ ફરિયાદ ન હોઈ બીજા જિલ્લા કલેક્ટરો બદલાયા પરંતુ મને અને ડીએસપી પ્રમોદ કુમારને તેમણે કચ્છમાં ચાલુ રાખ્યા. સુરેશભાઈનો આગ્રહ ન સ્વીકારાતા તેઓ અમારાથી અને મુખ્યમંત્રીથી નારાજ થયા. 

તે વખતે આર્મી, એરફોર્સ, બીએસએફની કંપની અને પાર્ટીઓ એક જુદો કેફ આપે. વિધાનસભાની ચૂંટણીઓ પતી એટલે અમને હળવા કરવાં અબડાસા નલીયા એરબેઝના હૂંફાળા એરકોમોડોર ત્યાગીજીએ પિંગલેશ્વરના ગોલ્ડન સેન્ડ માટે જાણીતા બીચ પર એક સાંજે ડિનર પાર્ટી રાખી. ડીએસપી અને હું પરિવાર સાથે જોડાયા. તેમને ડ્રિંક્સ પાર્ટી ચાલે તેથી હું તેમનાથી થોડેક દૂર ઉજ્જવલને લઈ દરિયા તરફ જઈ ઊભો રહ્યો અને લક્ષ્મી ધવલને લઈ મહિલાઓ જૂથમાં જોડાઈ ગઈ. દરિયામાં હજી ભરતી આવવાની તૈયારી થતી હશે પરંતુ ધીમે ધીમે અંધારું આવી રહ્યું હતું તેથી હું ઉજ્જવલની આંગળીઓ મારી આંગળીઓમાં ભરાવી મોજાંનું પાણી આવે ત્યાં સુધી અમે આગળ ગયા. અચાનક મોજાં મોટાં થવા લાગ્યા અને હજી અમે કંઈ વિચારીએ તે પહેલાં મોટા મોટા બે મોજાં આવી અમને તેમની લપેટમાં લઈ લીધા. મારા પગ નીચે રેતમાં લાગેલા પરંતુ ઉજ્જવલ જમીન પરથી ઉખડી ગયો અને દરિયાના પાણીમાં ખેંચાવા લાગ્યો. તેની આંગળીઓ મારી આંગળીઓમાં ભરાયેલી તેટલી જ પકડ રહી. જો જરાક વધુ બળથી દરિયો ખેંચે તો ગયો. હું પણ પાણીમાં ગળાડૂબ, આંખ આગળ પાણી સિવાય કશું ન દેખાય. હું ચેત્યો, સમય સમજ્યો અને બીજો હાથ ઝડપથી ઉપાડી ઉજ્જવલની તરફ ફેલાવી તેને ખેંચી છાતી સાથે ભીડી પહેલાં સલામત કર્યો. પછી દરિયાલાલને મનોમન પ્રાર્થના કરી કે હે દેવ, મારો પુત્ર તો તને નહિ આપું. તારે જોઈએ તો અમે બંને આહુતિ માટે તૈયાર છીએ. એટલું મનમાં બોલતાં જ ધબાક દઈ દરિયાનું પાણી નીચે ઉતરી ગયું. ત્યાં સુધી દૂરથી કંઈ મુશ્કેલી છે તેવું જણાતા પ્રમોદ કુમાર દોડીને આવ્યા. અમે કિનારે આવ્યા. ઉજ્જવલે તે દિવસે તેના નાનાએ આપેલી સોનાની ત્રણ-ચાર રતીની એક સોનાની વીંટી પહેરી હતી. તેના હાથમાં જોયું તો દરિયાએ તે વીંટી લઈ અમને જીવતદાન આપ્યું હતું. 

સન ૧૯૯૫ના વર્ષમાં લગનસરાનો વૈશાખનો મહિનો આવ્યો. ભૂજ નજીક પટેલ ચોવીસીના ગામમાં દેવજી કરસન પટેલ નામનો એક સ્વામીનારાયણનો ભક્ત વચનામૃત વાંચે. તેની દીકરી તેણે બળદિયામાં પરણાવેલી. દીકરીના દિયરના લગ્ન. બે વેવાઈઓ વચ્ચે કોઈ બાબતે વાંકું પડ્યું તેથી દેવજીને લગ્નનું આમંત્રણ ન મળ્યું. અહીં વેવાઈને ત્યાં ઢોલ વાજિંત્ર સાથે જાન નિકળવાનો આગલો દિવસે ફૂલેકું ફેરવ્યું. વર, તેના ભાઈ-ભાભી, મિત્રો, સગા, બધા વાજતે ગાજતે ગામની કે પછી એક શેરીઓ પસાર કરતાં દેવજીની શેરીમાં આવી ગયા. દેવજીએ વચનામૃતની કોઈ લાઈન અંડરલાઈન કરી. એક ચિઠ્ઠી બનાવી તેમાં તેને ટાંકી તેના અર્થનો અનર્થ કર્યો. તેણે તેના ડેલાનો પતરાંનો દરવાજો બંધ રાખ્યો હતો પરંતુ એક મોટો કેરબો ભરી કેરોસીન લાવી દરવાજાના ખૂણે રાખી દીધું હતું. સંધ્યા ટાણું હશે. જેવું ફૂલેકું તેના ડેલે આવ્યું અને બધાં જ્યારે વાજિંત્રોના અવાજમાં નાચગાનમાં મસ્ત હતાં ત્યારે તેના ડેલાની દિવાલ પરથી કેરોસીનનો કેરબો તેણે વર અને તેના મિત્રો, કન્યાઓ બેઠા હતાં તે બળદગાડા પર ઠાલવી આગ ચાંપી દીધી. હાહાકાર મચી ગયો.વર સહિત ૨૩ જણ મરીને ભળથું થઈ ગયા. કેટલાય દાઝી ગયા. દેવજીનો જમાઈ માર્યો ગયો અને દીકરી ગંભીર દાઝી ગઈ. લગ્નગીતો મરસિયામાં પલટાઈ ગયા. મૃતકો અને દાઝેલાંઓને ભૂજ જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા અને જેઓ બચ્યા તેમની સારવાર શરૂ કરી અને વધારે બર્નવાળાને અમદાવાદ ખસેડ્યા. આ તરફ દેવજી રાતના અંધારાનો લાભ લઈ સાયકલ પર ભાગ્યો. પોલીસે આખી રાત શોધખોળ કરી. સવારે તે એક કૂવામાં પડી આત્મહત્યા કરેલી તેમાંથી તેની લાશ કમળી. તેના ઘેર સ્વામીનારાયણ વચનામૃતની એ ખુલ્લું પુસ્તક, તેના પરની કોઈક શિક્ષા કરવાની લાઈન પર રામજીએ પેનથી કરેલી અંડરલાઈન અને પોતાની લગ્નમાં આમંત્રણ ન આપવાથી અપમાનની મનોદશામાં કરેલું કૃત્યની ચિઠ્ઠી મારી સામે આજેય પ્રશ્ન ચિહ્ન ખડો કરી દે છે. ધાર્મિક અંધશ્રદ્ધાનું આવું ભયાનક પરિણામં તે દિવસે ભૂજ જનરલ હોસ્પિટલમાં મરેલાં માણસોનાં મળદાં અને તેમનાં બળેલાં શરીરની વાસથી મારો અંતરાત્મા કમકમી ઉઠ્યો. આજે પણ તે દ્રશ્ય અને બળેલા માનવ શરીરોની એ ગંધ યાદ આવતા મન ગ્લાનિથી ભરાઈ જાય છે.

હું હવે એક પછી એક કામના લોડથી થાકવા લાગ્યો. બળધિયાની ઘટનાએ મને આંતરિક હચમચાવી મૂક્યો. આ બધું શા માટે? વળી સુરેશભાઈ મહેતાનું મન કળવું હવે મને અઘરું થવા લાગ્યું. હું લક્ષ્મીને કાયમ કહેતો કે નોકરી મારી પહેલી પત્ની તેથી મને સરકારી કામમાં બાધક ન થવું અને ઘર પરિવાર પોતાની મેળે સાચવી લેવા. બે બાળકો હવે મોટા થઈ રહ્યા હતા. જિલ્લાઓની નોકરીમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવામાં ઉજ્જવલ-ધવલની વારેવારે શાળાઓ બદલાવાથી તેમના શિક્ષણને માઠી અસર થઈ હતી. ધવલને દિપ્તી સોની નામની ટ્યૂશન ટીચર મળી એટલે તેની ગાડી તો પાટા પર ચડી પરંતુ ઉજ્જવલ આઠમું પાસ થયો પરંતુ મને તેની શિક્ષાથી સંતોષ નહોતો. મને તેના ભાવિ જીવનની ચિંતા થવા લાગી. વળી તે પિંગલેશ્વર દરિયા કિનારાની દુર્ઘટનાથી બચ્યો પછી મારું ધ્યાન તેના તરફ વિશેષ જવા લાગ્યું. મેં મિત્રોની સલાહ લીધી અને આઠમું રીપીટ કરી ભણવા રાનીખેતની જીડી બિરલા મેમોરિયલ શાળામાં દાખલ કરી દીધો. તેની ઉંમર ત્યારે તેર વર્ષની. કલેક્ટરની નોકરીમાં જવાબદારીઓ વચ્ચે રજા ક્યાંથી લેવાય? અમે સાહસ કર્યું. ઉજ્જવલને અમદાવાદ ટ્રેન સુધી મૂકવા જવાનું અને ત્યાંથી તેણે એકલા જવાનું નક્કી કર્યું. એક પાના પર અગત્યના નંબરો લખી તેનો ઉપયોગ સમજાવી દીધો. પ્રવાસ ખર્ચ માટે નાનકડી રકમ આપી. જીડી બિરલા સ્કૂલના આચાર્ય રાજીવને તેના પ્રવાસ આયોજનની ફોન દ્વારા ખબર કરી. તેની ટ્રેન ટિકિટ લીધી. તેની બેગ, લગેજ, ટિફિન તૈયાર કરી આપી અમે તેને અમદાવાદ રેલવે સ્ટેશને મૂકવા ગયા. પછીની મુસાફરી તેણે એકલાંએ કરવાની હતી. મેં તેને સમજણ પાડી કે દિલ્હી રેલવે સ્ટેશને ઉતરી કેવીરીતે બસ અડ્ડા તરફના દરવાજા તરફથી બહાર નિકળવાનું અને બસ અડ્ડેથી રાનીખેત માટેની ઉત્તરાખંડ મંડલ વિકાસ નિગમની બસ પકડી તેમાં બેસી જવાનું. પછી રાનીખેત આવે ત્યારે જ ઉતરવાનું અને ઉતરીને તરત પીસીઓ પર જઈ પહોંચી ગયાનો મને ફોન કરવો. પછી સ્થાનિકેથી જે સાધન મળે તે કરી જીડી બિરલા મેમોરિયલ સ્કૂલ પહોંચી, રીપોર્ટ કરી, સામાન મૂકી મને ફરી ફોન કરવો. ઉજ્જવલે તેની ચતુરાઈ અને હિંમત પૂરવાર કર્યા. વિના વિધ્ને તે દિલ્હી પહોંચ્યો, ત્યાંથી બસ અડ્ડેથી બસ પકડી રાનીખેત પહોંચ્યો અને તેનો રાનીખેતથી ફોન આવ્યાની ઘંટી રણકી એટલે મને હાશ થઈ તથા પુત્ર પર ગર્વ થયો. ઉજ્જવલ પછીથી રાનીખેત આઠમું અને નવમું બે વર્ષ ભણ્યો પરંતુ હોસ્ટેલ જીવન તેને માફક ન આવ્યું એટલે ધોરણ-૧૦મા પછીથી તેને ગાંધીનગર પાછો બોલાવી લીધો. 

ઉજ્જવલના રાનીખેત ગયા પછીની જુલાઈ મહિનાની વાત છે. કચ્છ ટાઉનહોલમાં કોઈ એક સાર્વજનિક કાર્યક્રમમાં સુરેશભાઈ મહેતા અને હું અગલબગલમાં બેઠા હતા. ત્યાં ગાંધીનગર બહુમતી સરકાર છતાં પક્ષમાં આંતરિક મતભેદોને કારણે કેશુભાઈ સરકારની અસ્થિરતાની વાતો ચાલતી. મારા ખાનગી સર્કલમાં હું જ્યોતિષ જાણું તેવી ખબર. હળવાશની એ પળોમાં સુરેશભાઈએ મને પૂછયું કે તમને આ રાજકીય પ્રવાહમાં કેવું લાગે છે? મેં તેમને તેમની જન્મ તારીખ, સ્થળ અને સમય પૂછ્યા. અભ્યાસ હતો તેથી અંદાજિત કુંડળી માંડી. ગ્રહોના ગોચરને જન્મના ગ્રહો સાથે મેળવી જોયું અને આકસ્મિક લાભના ઉદયના ગ્રહો જણાતા સૂચવ્યું કે તેઓ નંબર -૨ હોવાથી ઓક્ટોબર મહિનાની આસપાસ મુખ્ય મંત્રી તરીકે શપથ લેવાની તૈયારી કરો. ભવિષ્યવાણી અંતરિક્ષમાં ચાલી ગઈ. 

મારી લોકપ્રિયતાનો ગ્રાફ ચડતો ગયો અને નવા ધારાસભ્ય નીમાબેન આચાર્ય તો ઉત્સાહિત થઈ જાહેરમાં કહેતા કે પરમાર સાહેબ કચ્છમાંથી ચૂંટણી લડે તો આરામથી જીતી જાય. પરંતુ આવી સફળતાની ક્ષણે મારો હાથ મધપૂડામાં પડી ગયો. તે વખતે મારે બે કારણોસર રાજકીય લોકો સાથે ઘર્ષણમાં આવવું પડયું. અમારા જિલ્લા પુરવઠા અધિકારી ભાસ્કર ભટ્ટ પર મારે કડક થવું પડ્યું. જિલ્લામાં પેટ્રોલ ડીઝલમાં મોટી ભેળસેળ ચાલે. પુરવઠાની ફરિયાદો આવે તો તેની તપાસ કરવા કરાવવાના બદલે બહાના બતાવે. પંચમહાલ જિલ્લાનો ખેલ મેં જોયેલો હતો. ચેતવણી છતાં તેમના વલણમાં ફેરફાર ન થતા જિલ્લા પુરવઠા અધિકારીના બધાં પુરવઠા નિરીક્ષકો મેં ત્રણ  પ્રાંત અધિકારીઓના હવાલામાં મૂકી દીધા અને પ્રાંત અધિકારીઓના સુપરવિઝન હેઠળ પુરવઠાની ફરિયાદો અને ગેરરીતિની તપાસો હાથ ધરી.  ભાસ્કરે સાંસદ અનંતભાઈ દવેને હાથ પર લીધા. બીજી તરફ લખપતમાં એક પેટ્રોલ પંપની તપાસમાં ભેળસેળની મોટી ચોરી પકડાઈ. પેટ્રોલપંપના માલિકના સંબંધો સંસદસભ્ય  હરિલાલ પટેલ સાથે તેથી તે સામે આવ્યા. ત્યાં વળી આવી ભૂજની જમીનની એક રામાયણ. સાંથણીમાં એક દલિતને ફાળવેલ જમીન શરતભંગ કરી બીજાને વેચાઈ ગયેલી તેનું પ્રીમિયમ નક્કી કરી બિનખેતી મંજૂરી આપવાની હતી. તે જમીનમાં અનંતભાઈ કે તેમના કોઈ નજીકના માણસનું હિત હશે. તેઓએ આખરી હથિયાર ઉપાડ્યું, કલેક્ટર બદલીએ. મને ખબર કે મુખ્યમંત્રી મારા પક્ષે છે તેથી જ્યાં સુધી સુરેશભાઈ નહીં કહે ત્યાં સુધી ચિંતા નથી. જિલ્લા આયોજન મંડળની બેઠક હતી. સુરેશભાઈ અધ્યક્ષ તેથી તેઓ આવ્યા. સરકીટ હાઉસમાં બેસી બધી માંડીને વાત સમજાવી. તેમણે ખાતરી આપી કે તેમને સંતોષ છે અને હવે કોઈ વિરોધ નથી. મેં જિલ્લા પુરવઠા અધિકારીના નિરીક્ષકોને પ્રાંતના સીધા સુપરવિઝનથી મુક્ત કર્યા. તે દિવસની આયોજન મંડળની બેઠક ખૂબ ઉત્સાહથી ચલાવી. રાજ્યસભાના સભ્ય અનંતભાઈને આશ્ચર્ય થયું કે આ કલેક્ટર તો હવે જવામાં છે તોય કેવડો ઉત્સાહ. તેમણે કોમેન્ટ કરી કે પરમાર સાહેબ આજે તો બહુ ફોર્મમાં છો. સુરેશભાઈ કંઈ ન બોલ્યા. ૧૫ ઓગસ્ટનો ધ્વજવંદન કાર્યક્રમ નજીક આવી રહ્યો હતો. તેઓ ગાંધીનગર ગયા અને મારો બદલી હુકમ આવી ગયો. પુષ્પદાન ગઢવીને મારા પ્રત્યે ખૂબ લાગણી પરંતુ હવે તે ધારાસભ્ય ન હતા. તેમના પુત્રને માઈનીંગ લીઝનો લાભ થયો હતો પરંતુ તેમની ત્રણની ત્રિપુટી (સુરેશભાઈ, અનંતભાઈ અને પુષ્પદાન) હોય ત્યાં ચૂપ.મારા મિત્ર ધારાસભ્ય તારાચંદ છેડાએ પછીથી કહ્યું હતું કે તેમણે જ્યારે વાંધો લીધો કે આટલું સારું કામ કરતા અધિકારીને કેમ બદલો છો તો જવાબ મળ્યો કે તેઓ પેલા પરમાર નથી. જેવું જેટલું જેનું અન્ન જળ પાણી. મેં ચાર્જ આગંતુક અધિકારીને સોંપી ગાંધીનગર પ્રયાણ કર્યું. ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં જાહેર આરોગ્યની શાખાઓનો હવાલો રાજેશ કિશોર પાસેથી સંભાળી હું અશોક ભાટિયા સાહેબની આરોગ્ય ટીમમાં દાખલ થયો. 

ગાંધીનગરમા શંકરસિંહ બાપુ વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેથી મુખ્યમંત્રી બનવાની મનોકામના, પરંતુ ન બની શક્યા. મંત્રીમંડળની રચનામાં તેમની પૃચ્છા ન થવાથી અથવા ઓછી થવાથી નારાજ. તેમાં વળી તેમના પરામર્શ વિના બોર્ડ કોર્પોરેશનના ચેરમેનની નિમણૂકના સમાચારે આગ પર ઘીનું કામ કર્યું. અસંતોષને ચિનગારી લાગી. અહીં એક તરફ રાજ્યમાં વિકાસ માટે વિદેશી મૂડીરોકાણ મેળવવા મુખ્યમંત્રી કેશુભાઈ મંત્રીઓનું એક ડેલિગેશન લઈ વિદેશ પ્રવાસે ઉપડ્યા અને બીજી તરફ શંકરસિંહ વાઘેલા તેમના ૪૮ સમર્થકો લઈ ખજૂરાહો પહોંચી ગયા. ગુજરાત ભાજપ ખજૂરિયા અને હજૂરિયામાં વહેંચાઈ ગયુ. જે બેમાંય ન દેખાય તે મજૂરિયા કહેવાયા. કેશુભાઈ સાથે ડેલિગેશનમાં રાજ્ય કક્ષાના મંત્રી વિપુલ ચૌધરી. તેઓ ત્યાંની ખબર ગાંધીનગર આપે અને ગાંધીનગરની ખબર લેતા રહે. ખેલ બરાબર ચાલ્યો અને છેવટે અડવાણી-વાજપેયીની મધ્યસ્થીથી સમાધાન થયું. કેશુભાઈએ રાજીનામું આપ્યું. શંકરસિંહને મુખ્યમંત્રી તરીકે ન સ્વીકાર્યા અને બંને પક્ષનો વિરોધ ન હોય તેવા સુરેશભાઈ મહેતાને મુખ્યમંત્રી પદ મળ્યું. બરાબર ઓક્ટોબર ૧૯૯૫માં. 

સુરેશભાઈએ તેમના મિત્ર સાંસદ અનંતભાઈ દવેના કહેવાથી મારી કચ્છ કલેક્ટરમાંથી બદલી કરાવેલી તેથી હું તેમનાથી નારાજ. છતાં સત્તા આગળ શાણપણ નકામું એમ માની તેઓના નામની મુખ્યમંત્રી તરીકે જાહેરાત થતા હું તેમને અભિનંદન આપવાં તેમના નિવાસે ગયો. ત્યાં વિપુલ ચૌધરી અને બીજા ધારાસભ્યો હાજર. વિપુલે વાત ઉપાડી કે આ પરમાર સાહેબ તો ગજબનાં જ્યોતિષ છે, મારી જે વાત કરી તે સાચી નીકળી. સુરેશભાઈ મારી સામે જોઈ રહ્યા અને હસ્યા. અમારી ટાઉનહોલની ચર્ચા તાજી જ હતી. તેઓએ મંત્રીમંડળની રચનાનું મુહુર્ત પૂછયું. મેં મુહુર્ત કાઢી તે સમયમાં શપથવિધિ પતાવી લેવા આગ્રહ કર્યો. મંત્રીઓની સંખ્યા અંગે પણ સૂચન કર્યું. તેમણે બંને બાબતો સ્વીકારી તે મુજબ અમલ કર્યો. પરંતુ શપથવિધિના દિવસે કોઈ ધારાસભ્યને લેવા ન લેવાની ચર્ચા વચ્ચે રાજ્યપાલશ્રીને આવવામાં વિલંબ થયો. શરૂઆતના મંત્રીઓએ મારા મુહુર્ત સમયમાં શપથ ગ્રહણ કર્યા અને કેટલાક પાછળ રહી ગયા. અમે સાંજે ફરી તેમના ઘેર ગયા. વળી પાછા પહેલી બેઠકમાં હતાં તે બધા હાજર અને મહેસાણાના અરવિંદભાઈ પટેલ પૂછી બેઠા, પરમાર સાહેબ, આ સરકાર કેટલી લાંબી ચાલશે? મેં જવાબ આપવાનું ટાળ્યું પરંતુ અતિ આગ્રહ થતાં મારાથી બોલી પડાયું માંડ એક વર્ષ. જેણે મુહૂર્ત બહાર શપથ લીધા તે નિમિત્ત બનશે. શંકરસિંહ બાપુ ફરી ત્રાટક્યા. પાર્ટી તોડી નવો પક્ષ બનાવ્યો. ટૂંકા સમય માટે રાષ્ટ્રપતિ શાસન આવ્યું અને કોંગ્રેસના ટેકાથી બાપુએ સરકાર બનાવી મુખ્યમંત્રી બન્યા. સત્તા કાલ જતી હોય તો આજે જાય, જૂત્તે મારી. બાપુનો રીએક્ટીવ સ્વભાવ તેમને નડ્યો અને તેમને પણ એક વર્ષમાં જવું પડ્યું. 

કચ્છમા મારે અધિકારી વર્ગ ઉપરાંત મિત્રવર્તુળ સરસ બન્યું હતું. નાનકડી ઓફિસર્સ ક્લબ પરંતુ નાના નાના સંગીત સંધ્યા કે કવિ સંમેલન કરવા કામ આવે. જિલ્લા પંચાયતના મેડિકલ ઓફિસર ડો રોહિત શ્યામ ચતુર્વેદી અને ડો કશ્યપ બુચ મારા મિત્રો બન્યા. ડો ચતુર્વેદી કવિતા વાંચન કરે અને તેમનો પુત્ર અક્ષતવિશાલ મિમિક્રી કરે અને મિથુન ચક્રવર્તીના અવાજની નકલ કરે. ડો. ચતુર્વેદીએ મારા યજ્ઞોપવિત સંસ્કાર પણ કરેલાં. ડો કશ્યપ બુચ ફીજીશિયન તરીકે ઉત્તમ જ્ઞાન ધરાવે. એનાટોમી ફીજીયોલોજી મોઢે અને દવાઓ તો લાંબુ લીસ્ટ બની જાય. તેમનાં પત્ની સ્ટેલા ઉત્તપમ સારા બનાવે અને આગ્રહ કરી ખવડાવે. નાનકડી મીમાંસા આજે તો કચ્છની youngest cardiologist છે પણ ત્યારે ગોદીમાં બેસી રમતી. ડો. મીસીસ રાજારામ કેમ ભૂલાય? જાપાનીઝ પરંતુ સિરમોર ભારતીય અને જાજરમાન વ્યક્તિત્વ. તેમની પરોણાગત ઉત્તમ. તેમની જોડે જમી અને વાતો કરવાનો મને આનંદ આવતો. શરદ ભટ્ટ અને શહેરના બીજા યુવાનો ઓર્કેસ્ટ્રા ચલાવે. ક્યારેક કલેકટર બંગલે કે ક્યારેક ટાઉનહોલમાં સંગીતની સરગમ માણવામાં તેમનો સહયોગ રહેતો. શહેરમાં કન્યા શિક્ષણની એક સંસ્થા સરસ ચાલતી. તેમના માણેકલાલ ગાંધી ગોળના લાડુ ખવડાવે તેને યાદ કરું તો આજેય તે સ્વાદ મોઢામાં આવી જાય છે. દિપ્તિ સોનીએ અમારા ધવલના શિક્ષણને પાટા પર લાવ્યું તેને કેમ ભૂલાય? કાશ્મીર મૂળના અને કચ્છી ઠક્કર કન્યાને પરણેલા એક પંડિત દીનાનાથ જોડે મારે કાશ્મીરની ભૂગોળ ઈતિહાસ સમજવા મૈત્રી થઈ તથા તેમની બે પુત્રીઓ અર્ચના અને બીના સાથે લક્ષ્મીને ફાવતું. અર્ચના ત્યારે સૃજનમાં કામ કરતી અને કચ્છી ભરતકામ, તેની ખૂબીઓ, વિવિધતાની સુંદર જાણકારી લક્ષ્મીને આપતી. પછીથી તેને જિલ્લા કોર્ટમાં નોકરી મળી ગઈ હતી અને નાની બીના શિક્ષિકા બની હતી. કીર્તિભાઈ ભાનુશાળી અને તેમના પત્ની એક પ્રેમાળ દંપતી. તેમનાં પત્ની તો ન રહ્યાં પરંતુ કીર્તિભાઈ સાહેબ તમે આવો ને, તમે આવો ને, રાજીપો વ્યક્ત કરી ફોન કરે અને યાદ કરે. ડો કમલના આંતરજ્ઞાતીય લગ્ન બચાવવા મદદ કરી હતી. તે અને તેનું કુટુંબ આદરભાવ રાખે છે. જથમની સાઉથ ઈન્ડિયન ડીસો માંગો ત્યારે મળતી. પ્રિન્સના પનીર ટિક્કા વલસાડના દારાના સ્વાદની બરોબરી ન કરે પરંતુ તોય સ્વાદિષ્ટ તેથી બાળકોને વારેવારે ખાવાનું મન થાય. કચ્છી જૈન મહાજનોને કેમ ભૂલાય? મુંબઈવાળા રવિભાઈ સેંઘોઈ જીવ્યા ત્યાં સુધી સંપર્કમાં રહ્યા. શાંતિભાઈ મેકોની, દામજીભાઈ એન્કરવાલા, વીઆઈપી બેગવાળા સુમતિભાઈ વગેરેની આજે પણ યાદ આવે. બેલારપુર ઈન્ડસ્ટ્રીઝના જનરલ મેનેજર દેવેન્દ્રસિંહ ઝાલાએ બાંધેલો મૈત્રીનો પરિચય આજે પણ પ્રેમથી જળવાઈ રહ્યો છે. હવે તો તેમનો દેવ સોલ્ટ નામે મોટો મીઠા ઉદ્યોગ છે.  મુંબઈના મિત્રો ધરમ પટેલ, ભચુભાઈ વગેરે આજે પણ મુંબઈ જઈએ તો એટલાં જ પ્રેમ અને ઉત્સાહથી મળે, ફેરવે અને જમાડે. ભાનુશાળીઓ પિઠુભાઈ અને તેમનું પરિવાર, આસુભાઈ, વલસાડ રહેતા અશોકભાઈ ભાનુશાળી, હર્ષદભાઈ કટારિયા આજે પણ સંબંધ સાચવે. ગાંધીધામના રમેશભાઈ શાહ ચૂક્યા વિના પ્રસંગ તહેવારે શુભકામનાના સંદેશ મોકલતા રહે. નખત્રાણાથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમલેશ બ્રહ્મક્ષત્રિય મારા કોલેજના સહાધ્યાયી. તેમના બા પુત્ર જેમ પ્રેમ કરે અને ભાઈઓ ભાઈ બનીને રહે. રાપરના જયેશભાઈ, હેમેન્દ્રભાઈ, નીતિન ઠક્કર અને તેમનો ભાઈ મુકેશ, હાકલ કરોને ઊભા રહે અને જે કામ આપો તે કરે. એક કનક મહેતા ડીસકનેક્ટ થઈ ગયા. 

કચ્છના કારીગરો કેમ ભૂલાય. અદ્ભુત હસ્તકલાના ધણી. ભરતકામમાં તો આંતરરાષ્ટ્રીય ઈનામો જીતી શકે તેવા. તેના સૂફ, જત, આહિર વગેરે ભરતોના કામ જોતાં જ અચરજ થાય. સૂફમાં તો કપડાંના તાર ગણી ગણી ભરતના દોરાની સોય મારી ડિઝાઇન ઉપસાવવાની. સૃજનના કાંતિલાલ શ્રોફ અને ચંદાબેન શ્રોફે કરછી કલાકારોની કલાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. ભૂજેડીના વણકરો પણ બેનમૂન. ધાબડીઓ, શાલ, સાદડીઓ, વગેરે એવી સુંદર બનાવે કે જોતાં જ લઈ લેવાનું મન થાય. સુથરીના તાળા લગાવો તો જાણકાર સિવાય બીજો કોઈ ખોલી ન શકે. ખાવડા જવાનું ક્યારેક જ થાય પરંતુ તેનો મૈસૂર/મૈસૂક મોઢામાં મૂકીએ તો તેના સ્વાદના કાયમ દીવાના થવાય. માનકૂવાની પટેલ આઇસ્ક્રીમ કેન્ડી ખાઈએ તો ઓહોહો શું સ્વાદ છે એવો ઉદ્ગાર નીકળી જાય. ગાંધીધામ ઈફ્કો ગેસ્ટહાઉસનું જમવાનું ફરી ત્યાં લઈ જાય. વિઘાકોટ બોર્ડર અને તેની આસપાસનો અફાટ રણપ્રદેશ કંઈક જુદી દુનિયામાં લઈ આવે. બન્નીના ધોરડો બાજુ જઈએ તો ભૂંગાના ભાતીગળ જીવનનો અહેસાસ થાય. ગુલામ હુસેને આપેલી ગોદડી આજે પણ મેં સાચવી રાખી છે. નિરોણાનું લેકર વર્ક સંખેડાથી આગળ જઈ શકે. પરંતુ માર્કેટ અને માર્ગદર્શનના અભાવે તે કળા બહુ આગળ ન આવી. તેના કારીગરોની લાકડા પર કોતરણી કરી બનાવેલી ટીપોય વગેરે સો વર્ષે પણ એવીને એવી રહે. 

કચ્છની સેવા કરવા મારે ભૂકંપ વખતે ૨૦૦૧માં જવાનું થયું. તેની વાત માંડીને પછી કરીશું. પરંતુ એક વાત નક્કી જેણે કચ્છનું પાણી એકવાર પીધું તે કચ્છને કદી ભૂલી શકે નહીં. કચ્છડો બારેમાસ. 

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫
Powered by Blogger.