Thursday, October 2, 2025

કચ્છ ભૂકંપ બચાવ રાહત કામગીરી (૨૦૦૧)

 કચ્છ ભૂકંપની બચાવ રાહત કામગીરી (૨૦૦૧)

૨૭ જાન્યુઆરી ૨૦૦૧ ના રોજ અમે ભચાઉમાં દાખલ થયા તો ચારે બાજુ તબાહીનો મંજર. મકાનો બહુ બધા જમીનદોસ્ત. ધરા હજી વારેવારે ધ્રુજી હ્રદયોને ધ્રુજાવી રહી હતી. હું એક ધ્વસ્ત થયેલા મકાન આગળ આવી ઊભો. નીચે ખૂબ ઊંડાણમાંથી કોઈકના કણસવાની કે મદદની પોકારનો અવાજ મલબો ચીરી ધીમેથી આવી રહ્યો હતો. બેએક માળની ઈમારતના કાટમાળ નીચે તે દબાયા હતા. મને થયું અબ ઘડી કાટમાળ હટાવી તેમને બહાર કાઢી લઉ. પરંતુ આરસીસીના ગચિયા મારાથી ન હલ્યા. મેં એક કોન્સ્ટેબલને જોયો, બૂમ પાડી બોલાવ્યો અને કહ્યું આમને બચાવી બહાર કાઢો. કહે સાહેબ આ મલબો માનવીય હાથથી ઉઠે એવો નથી. આ એક નહીં આવા તો અનેક મકાનોમાં માણસો દબાયા છે પરંતુ મલકો હટાવવો કેવી રીતે? ના જેસીબી છે ના કોઈ બીજા સાધનો. ડ્રાયવરો મજૂરો કોઈ નથી. વીજળી પણ બંધ. બધું થંભી ગયુ છે. કુદરતી કહેર સામે માણસની લાચારી જોઈ મારી આંખોમાં અશ્રુ વહ્યા. હું બીજા થોડાક મકાનોની ગલીમાંથી પસાર થયો. ભૂકંપ ટ્રેમર્સ ચાલુ હતા. મરતાં માણસ કેમ બચાવવા? મારે ભૂજ પહોંચવાનો આદેશ હતો તેથી થયું જિલ્લા કચેરીએ જઈ રાવ નાંખીશું. દુઃખી હ્રદયે મેં ભચાઉ છોડ્યું. 

ભૂજ પહોંચી પહેલાં કલેક્ટર કચેરીએ પગ દીધો. મારી ૬-૭ વર્ષ જૂની કચેરી, કેમ જાણે આજે ખંડેર જણાઈ. કલેક્ટર કમલ દયાનીને જોયાં જાણે અવાચક, સાવ ડઘાઈ ગયેલા. મેં પૂછપરછ કરી તો કહ્યું ગાંધીનગરથી જી સુબ્બારાવ સાહેબ આવ્યા છે અને સામે RDCની રૂમમાં બેઠા છે. ત્યાં RDC આર. એસ. નિનામા મળ્યા. તેની બોડીમાં મેં કરંટ જોયો. હું જઈ જી સુબ્બારાવ સાહેબને મળ્યો અને જણાવ્યું કે મને આપની સાથે ભૂકંપ બચાવ રાહતની કામગીરી માટે મોકલ્યો છે. ગાંધીનગરથી એક ટીમ સરકારી હવાઈ જહાજથી પહોંચી ચૂકી હતી. ભૂજ આર્મી, એરફોર્સ, બીએસએફનું મથક તેથી બચાવ કામગીરીમાં તેઓ અને પોલીસ, યુનિફોર્મ ફોર્સ કામે લાગી ગયો હતો. ઘાયલને ભૂજ સિવિલમાં અને અતિ ઘાયલને અમદાવાદ કે બીજી મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. 

જી સુબ્બારાવ સાહેબ અને મેં જુદાજુદા વિભાગના અધિકારીઓને કામગીરી સોંપવા અને તેનું દૈનિક સંકલન મીટીંગ થાય તેવી રૂપરેખા ઘડી. પરંતુ બધા પાસે પહોંચવું કેવી રીતે? વીજળી નહી. ટેલીફોનના થાંભલાઓ ધરાશાયી તેથી ફોન બધા બંધ. ભૂજની ટ્રકો, સરકારી વાહનો બધા ઊભા. ડ્રાઇવર બધા ગાયબ. કોઈ વાહન ચાલે તો વીજળી વિના ડીઝલ પેટ્રોલ ક્યાંથી મળે? મને કોઈક ટેબલના ખાનામાંથી છૂટા થોડા કાગળ હાથ લાગ્યા, એક બે કાર્બન પેપર મળ્યા. ૧૯૭૯ના ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ગુજરાત કોલેજના હેડક્લાર્કે આપેલું મુસદ્દા કોપી કરવાનું યાદ આવ્યું. પેન ખોલી સૂચના મુસદ્દા લખ્યા અને જે અધિકારી સાહેબો મળવા આવે તેમને સૂચના પકડાવવાનું શરૂ કર્યું. 

આરોગ્ય કમિશનર આર. એમ. પટેલ સાહેબે હસતા હસતા કહ્યું કે પૂનમભાઈ તમારે અમને સૂચના આપવાની છે? મેં હળવેથી જવાબ આપ્યો સાહેબ આ ઘડી કોઈ અધિકારી નાનો નથી કે મોટો નથી. કુદરતી આપત્તિ સામે એક ટીમ બની આફતમાંથી પ્રજાને બહાર લાવવાની છે. કચ્છના પૂર્વ કલેક્ટર તરીકે મને મારી પ્રજાની પીડા સતાવી રહી હતી. 

ભૂકંપમાં ભૂજ હોસ્પિટલ ભાંગી પડી હતી અને ચારસોથી વધુ દર્દીઓ અને હાજર સ્ટાફ દટાઈ મર્યા હતા તેથી મેડીકલ ટીમો ઉભી કરી ઈજાગ્રસ્તોની સારવાર કરવું અતિ કપરું કામ હતુ. શરૂના ચાર દિવસ તો આર્મી બેઝ હોસ્પિટલ મોટી કામમાં આવી. પૂણેથી પણ તેમની એક બીજી ટીમ આવી પહોંચી હતી. દરમ્યાન જ્યુબિલી ગ્રાઉન્ડ પર IMAના સહયોગથી એક કામચલાઉ ટેન્ટ હોસ્પિટલ ઊભી કરી કામ આરંભાયું હતું. લાલન કોલેજમાં રેડક્રોસની ટીમો કામે લાગી સારવાર કેન્દ્રો શરૂ કરી દીધા હતા. જે ઉપલબ્ધ હતું તે ગોઠવી રેસ્ક્યુ થયેલાને સારવાર આપવા અને જરૂર જણાય ત્યાં મોટી હોસ્પિટલોમાં ખસેડવા ટીમો ખડે પગે કામ કરી રહી હતી. બીજા જિલ્લાઓમાંથી બોલાવેલા ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ આવી કામે લાગવા માંડયો. પછી તો બીજા દેશો, રાજ્યોમાંથી મેડીકલ એઈડ આવવી શરૂ થઈ. બીલ ક્લિન્ટન અને બીજા એનજીઓ જોડાયા અને સ્થાનિક પટેલ હોસ્પિટલમાં બનેલ ઈઝરાયલની ટેન્ટ હોસ્પિટલમાં પહેલી ડીલીવરી થઈ ત્યારે થયું કે આરોગ્ય સેવાઓ પાટે ચડી. રેસ્ક્યુ સારવાર કામ ચાવતી હતી ત્યાં એપેડેમીક કંટ્રોલના કામે બધા લાગ્યા. આરોગ્ય કમિશ્નર આર એમ પટેલ સાહેબ અને આરોગ્ય મંત્રી અશોક ભટ્ટે સંકલનથી બેનમૂન કામ કર્યું. 

મેં ભચાઉ જોયું હતું તેવા હાલ ભૂજમાં હતા. લોકો મલબા નીચે પરંતુ મલબો હટાવવાના સાધનો અને મજૂરો નહીં. હું શહેરમાં ફર્યો અને માનવ મડદાં ખાઈ શક્તિહીન બનેલાં કૂતરાઓને જોઈ અરેરાટી ઉપજી. માનવ જીવનની આ નશ્વર હાલત મને હચમચાવી ગઈ. માનવ મડદાની દુર્ગંધ વચ્ચે પણ ડેડ બોડીઓ કાઢી તેમની સન્માનભેર અંતિમ વિધિમાં લાગેલા સ્વયંસેવકોને જોઈ માનવતાની ગંધ અનુભવી.  

એટલામાં ખબર આવી કે રીલાયન્સના જેસીબી રવાના થઈ ગયા છે. ૧૨-૧૫ કલાકે પહોંચી ડેબરી ખસેડવાનું ચાલુ થઈ જશે. અમે આશાના કિરણની જેમ તે મશીનોની રાહ જોતા હતાં ત્યાં ખબર પડી કે સૂરજબારીનો પુલ તૂટી ગયો હોવાથી હવે મશીનો મહેસાણા રાધનપુરના રસ્તે થઈ આવશે. તેને આવવામાં બે દિવસ બગડ્યા. 

અહીં અમારું ધ્યાન વીજળી અને ટેલિફોન સેવાઓ ચાલુ કરવા તરફ. વીજળી ચાલુ થાય તો પીવાના પાણીના ટ્યુબવેલ ચાલુ થાય, ઘંટીઓ ચાલુ થાય તો અનાજ દળાય અને લોકોનો રોટલો ચાલુ થાય, પેટ્રોલ-ડીઝલ પંપો ચાલુ થાય તો વાહનો ચાલુ થાય, વાહનો ચાલુ થાય તો બચાવ રાહત કામગીરી ઝડપી બને. જીઈબી, પાણી પુરવઠા અને ટેલિફોન ખાતાના અધિકારીઓ ખડે પગે લાગી ગયા અને પોત પોતાના યુનિટોનું સંકલન કરી સબ સ્ટેશનો, પંપીંગ સ્ટેશનો ચાલુ થાય તે માટે મચી પડ્યા. પાણી પુરવઠાના રાધાકાંત ત્રિપાઠી સાહેબ તો આવતાં જ કામે ચડ્યા અને તેઓ ફીલ્ડમાં જ રહે તેથી અમને ન મળે પરંતુ તેમનું કામ તરત બોલવા લાગ્યું. જીઈબીના અધિકારીઓએ તૂટેલા સબ સ્ટેશનો ફરી ઉભા થાય ત્યાં સુધી આડી ઊભી લાઈનો જોડી પાવર સપ્લાય ચાલુ કરાવ્યો તે તંત્રની મોટી જીત હતી. 

ધીમે ધીમે બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલી ટીમો સાથે સંકલન ગોઠવાવા લાગ્યું. સુરેશભાઈ સક્રિય થયા. ત્યાં દિલ્હીથી પ્રધાનમંત્રી આવી રહ્યા છે તેવો મેસેજ મળતાં પ્રધાનમંત્રીને નુકસાનનો શું અંદાજ આપવો તેની ચર્ચા થઈ. કચ્છની વસ્તી તે વખતે ૧૫ લાખ તેથી અંદાજે ત્રણ લાખ મકાનો ગણી તેના ૫૦% લેખે ૭.૫ લાખ મકાનો નાશ પામ્યાનું અને ભચાઉ, ભૂજ, અંજારની જાનહાનિની જે વાતો સાંભળી હતી તે ધ્યાને રાખી અંદાજે વીસેક હજાર જેટલા માનવ મૃત્યુ, તેનાથી ત્રણ ગણા પશુ મૃત્યુ, લાખેક ઈજાગ્રસ્ત ગણી તથા જાહેર ઈમારતો, અસ્પતાલો, શાળાઓ, રસ્તા, સબસ્ટેશનો, ટેલિફોન, વગેરેના નુકસાનના અંદાજો બાંધી અમે એક આવેદનપત્ર બનાવી દીધું. સુરેશભાઈ મહેતાને બતાવ્યું તો તેમને ઓછુ જણાયું પરંતુ સર્વે અંદાજો મેળવવાનો સમય કે સગવડ ક્યાં હતી? તેમણે મોઢું બગાડ્યું પરંતુ હાથે ચડ્યું એ હથિયાર અમે નુકસાનથી પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા. તેમણે લોકોના દુઃખ દર્દ જાણ્યા અને દિલ્હી જઈ તરત જ બચાવ રાહત ટીમો, રાહત સામગ્રી, વોટર કુલર મશીન વગેરે રવાના કર્યાં. ભૂજ જનરલ હોસ્પિટલ નવી બાંધી અદ્યતન કરવા હુકમો છોડ્યા. 

ભૂકંપનું એ પહેલું અઠવાડિયું કપરું હતું. ભૂકંપ હજી સમાપ્ત નહોતો થયો. ટ્રેમર્સ ચાલુ તેથી શહેર આખું બહાર ઊંઘે. કડકડતી શિયાળાની રાતો. અમે કચેરી છોડીએ ત્યારે રાતના ૧૧–૧૨ થઈ જતાં. વળી પાછા સવારે ૬-૭ વાગે કચેરીમાં આવી જઈએ. પરંતુ રાત્રે સૂવા ક્યાં જઈએ? લેઉવા પટેલ સમાજવાડીના ગેસ્ટ હાઉસમાં મર્યાદિત રૂમ તેથી સીનીયર સાહેબો મંત્રીઓ ઉપલબ્ધ રૂમોમાં અને મેં કંપાઉન્ડમાં ખુલ્લામાં ગોદડા પાથરેલા તેમાં એકની ભેળાં બે થઈ જ્યાં થોડું ઓઢવાનું મળે ત્યાં ઘૂસી ત્રણ રાત પસાર કરી. જીસુબ્બારાવ અને હું મોડી રાતે કચેરી છોડતાં. સાહેબને મારી રાત્રે સૂવાની તકલીફની ખબર પડી એટલે ચોથે દિવસે તેમની રૂમમાં મને રૂમ શેરિંગની જગા કરી. વીજળી તો હતી નહિ તેથી ડોલ ભરી જે પાણી મળે તેનાથી અમે નાહતા. હું ચાર દિવસે નાહ્યો. પછી તો પાણી બહાર ગરમ કરી એક એક ડોલ પાણી ગરમ મળે તેવી સ્વયંસેવકોએ વ્યવસ્થા કરતાં રાહત થઈ. એક નાહી રહે અને બીજાની ચિંતા કરે. મંત્રી અશોક ભટ્ટ પણ ડોલ ઉચકી એકબીજાને પહોંચાડવા અમારી સાથે લાગી જતા. 

મારી પાસે પોતાનું ખાવાનું તો કશું હતું નહીં. તેથી RDC અમારે માટે ક્યાંય થી જે કંઈ બિસ્કિટનું પેકેટ લઈ આવે તે ખાઈ અને પાણી જે મળે તેવું પી પહેલાં બે દિવસ ચલાવ્યું. ત્યાં સુધીમાં સામાજિક સંસ્થાઓના રસોડા ચાલુ થતાં અને અછત રાહત સામગ્રીમાં પાણીની બોટલો આવતા અમારી તકલીફો ઓછી થઈ. 

મુખ્યમંત્રી આવી ગયા હતાં. પરંતુ તે દિવસે અમને મુખ્યમંત્રી અને નાણામંત્રીના સંકલનમાં તફાવત દેખાયો. પ્રધાનમંત્રીની મુલાકાત પછી ખબર નહીં સુરેશભાઈને શું વાંકુ પડ્યું જી સુબ્બારાવ સાહેબને પરત બોલાવી સરકારે એલ. માનસિંહ સાહેબને ચીફ કોઓર્ડિનેટર બનાવી મોકલ્યા. જીસુબ્બારાવ સાહેબ ખૂબ ખંતથી કામ કરતાં અને જે રીતે તેમને પાછા બોલાવ્યા તે મને ન ગમ્યું. પરંતુ સરકારી હુકમ એટલે સરકારી હુકમ. તેઓ ગાંધીનગર ગયા પરંતુ નિયતિ તેમના મારફત મારી એક મોટી મદદ કરવાની હતી. 

તેમના સ્થાને આવ્યાં તે મારા જૂના બોસ એલ. માનસિંહ સાહેબ. ત્યાં અંજારમાં મારા બેચમેટ સંજય ગુપ્તા અને ભચાઉમાં બેચમેટ અતનુ ચક્રવર્તી જોડાયા. કલેક્ટર કચ્છ બદલાયા. હું ઊર્જાથી ભરેલો હાજર પરંતુ સુરેશભાઈ પણ હાજર તેથી મારી પર નજર શાની પડે? મારા બેચમેટ અનિલ મુકીમને કલેક્ટર બનાવી મોકલ્યા. ૧૯૮૫ની બેચ આમ ભૂકંપ રાહત કામમાં લાગી પડી. ત્યાં વળી હુકમ આવ્યો કે મારે ભૂજ છોડી રાપર એકમનો ચાર્જ લઈ બચત રાહતની કામગીરી સંભાળવાની છે. પરતું એલ. માનસિંહ સાહેબે ગાંધીનગર વાત કરી મને રોકી લીધો. રાપરમાં અરવિંદ શર્મા કામે લાગ્યા.

એલ. માનસિંહ સાહેબ રીસોર્સફૂલ એટલે તેમણે ક્યાંકથી બે લેપટોપ લાવી દીધાં. મને એક લેપટોપ મળતાં મેં ડેટા અને થઈ રહેલી બચાવ રાહતની કામગીરી નોંધવાનું અને રીપોર્ટ બનાવવાનું શરૂ કરી દીધુ. બેટરીમાં દમ હતો ત્યાં સુધી કામ કરવાનું હતું. વીજળી જલ્દી ચાલુ થવાની ઉમેદ હતી. જીઈબીની ટીમ સફળ રહી. સાતમા દિવસે વીજળી ચાલુ થતાં જીવન ધમધમતું થવા લાગ્યું. મુખ્ય સચિવ મુકુન્દન સાહેબ અધિકારીઓની ટીમ લઈ આવી પહોંચ્યા. અમે માહિતી રજૂ કરી. તેમને આશ્ચર્ય થયું કે આટલી ઝીણવટભરી માહિતી ભેગી કેવી રીતે થઈ. વીજળી, પાણી, ટેલિફોન, વાહનવ્યવહાર, સાર્વજનિક રસોડા અને રાહત સામગ્રી વિતરણ અમારી પ્રાથમિકતા બની. 

અહીં ગાંધીનગરમાં લક્ષ્મી, ઉજ્જવલ, ધવલ ભૂકંપગ્રસ્ત ઘરમાં દિવસો કાપે. લક્ષ્મીએ સ્કૂટર લઈ સેક્ટર-૧૯ અને પછી સેકટર-૨૦નું ચક્કર લગાવી આમતેમ પૂછપરછ કરી એક ખાલી ઘર શોધી કાઢ્યું. મેં તેને ફીશરીઝ કમિશનર કચેરીમાં જઈ મકાન ફેરફારની અરજી તૈયાર કરાવી તેમાં સહી કરી એક અરજી માર્ગ અને મકાન વિભાગના સચિવ જામદાર સાહેબને અને બીજી અરજી નાણાં વિભાગમાં સુબ્બારાવ સાહેબને આપવા કહ્યું. તેણે તેમ કર્યું. મારી ૧૯૮૯માં સીનીયર સ્કેલમાં બઢતી વખતે નાયબ સચિવ માર્ગ અને મકાન વિભાગ તરીકે નિમણૂક થઈ ત્યારે જામદાર સાહેબ ત્યાં સંયુક્ત સચિવ હતાં. જીસુબ્બારાવ સાહેબ અને હું તો હજી હમણાં જ ભેળાં હતાં. મુખ્યમંત્રી કચ્છ આવ્યા ત્યારે મારા પરિવારને મકાનની અગવડની વાત મેં કરી રાખી હતી. સંજોગે અમને મદદ કરી અને સેક્ટર ૨૦માં મકાન ફાળવણી થતાં લક્ષ્મી, ઉજ્જવલ અને ધવલ ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૧ના રોજ કબજો લઈ મકાનમાં રહેવા ગયા જ્યાં હવે પછી અમે બીજા ૧૫ વર્ષ રહેવાના હતા અને તે દરમ્યાન બંને પુત્રોના લગ્ન પ્રસંગો પૂરા કરવાના હતા. એ અમારું સુંદર અને છેલ્લું સરકારી નિવાસસ્થાન હતું. 

આ તરફ કચ્છમાં રાહત સામગ્રીના વહન માટે મહેસાણા તરફથી રસ્તો ચાલુ તેથી રાહત સામગ્રીની ટ્રકોની લંગાર શરૂ થઈ. અધિકારીઓ પણ ફોજની જેમ ખડકાવા લાગ્યા. તે રાહત કામમાં મદદે આવે તે પહેલાં તેમના રહેવા જમવાની સગવડની રાહતના પ્રશ્નો થયાં. એરપોર્ટ પર પણ રાહત સામગ્રીનો ખડકલો ચાલુ થયો. જો એરપોર્ટ ખાલી ન થાય તો બીજી ખેપો રોકાઈ જાય તેથી રાહત સામગ્રીને યોગ્ય જગ્યાએ સ્ટોર કરી, શોર્ટિંગ કરી તેના વિતરણના તંત્રની ગોઠવણની જરૂર ઊભી થઈ. પછીથી સુરજબારી પુલ ચાલુ થતાં તે માર્ગ પણ ખુલ્યો એટલે ધસારો વધ્યો. 

અમે અધિકારીઓ અને કર્મચારીઓ લગાવ્યા. વાહનો જોડ્યા. કેટલાક એનજીઓને જોડ્યા અને રાહત સામગ્રીનું વિતરણ ચાલું કરાવ્યું. પરંતુ કામ ધારીએ તેવું સહેલું ન હતું. ભૂજ એકલામાં પાંચ લાખ ધાબળા વહેંચ્યા પરંતુ ધાબળા લેનારની લાઈનો ટૂંકી થાય નહી. પછીથી ખબર પડી કે કેટલાક કુટુંબો ઘરના દરેક સભ્યને લાઈનમાં ઊભા કરે. ધાબળા લઈ જાય અને ઘેર મૂકી ફરી લાઈનમાં લાગી જાય. જેને વિતરણ કર્યું તે ફરી ન આવે તેવી નોંધ રાખવાનું અને અમલ કરવાનું ક્યાં શક્ય હતું? વિતરણ માટે જે એનજીઓની મદદ લીધી તે પણ જબરા નીકળ્યા. તેમની સંસ્થાના બેનરો બાંધી જાણે તેમની સંસ્થા રાહત સામગ્રી વિતરણ કરી રહી છે તેવી છાપ ઊભી કરવા લાગ્યા. પરિણામે સરકારને કામની ટીકાનો વરસાદ મળે અને સંસ્થાને ત્યાં અનુયાયીઓના દાનની સરવાણી ફૂટે. માંડ માંડ બધાને કાબૂમાં લાવ્યા. 

કચ્છ ભૂકંપ રાહતમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાની બેનમૂન કામગીરીની નોંધ લેવી જ પડે. સંસ્થાએ બ્રહ્મવિહારી સ્વામીને ઉતાર્યા. અમદાવાદ થી પ્રમુખસ્વામી તેમની દરરોજ વહેલી સવારે અને મોડી રાત્રે સમીક્ષા કરે અને રાહત કેન્દ્ર અને રસોડુ કેવી રીતે ચલાવવું તેનું આયોજન અને અમલ કરે. લોકોને આપવની રાહત કીટમાં મીણબત્તી, મેચબોક્ષ, ટોર્ચ, ટોર્ચ સેલ જેવી નાની નાની વસ્તુઓની વિચારણા કરી યાદી બને. રાહત સામગ્રી કીટ બની આવે અને સ્વયં સેવકો વિતરણમાં લાગી જાય. તેમણે એક મોટું રસોડું શરૂ કરેલું. અન્નક્ષેત્રની જેમ રસોડે  મોટી સંખ્યામાં લોકો જમે પરંતુ સારા ઘરના લોકો જાહેરમાં જમવા આવતા સંકોચ કરે અને તેઓ ભૂખ્યા ન રહી જાય તે માટે ટીફીન સેવાની સગવડ કરેલ. મુંદ્રા રોડ પર ખુલ્લી જમીનમાં એક મોટો પતરાનો શેડ બનાવી શિયાળાની ઠંડી સામે અસરગ્રસ્તોને આશ્રયની મોટી વ્યવસ્થા ઊભી કરેલ. અમે પણ ક્યાં પાછળ રહેતાં. રસોડા માટે જરૂરી અનાજ ઘંઉ, ચોખા વગેરે FCIના ગોડાઉનમાં ઉપલબ્ધ હતું તે સંસ્થાને આપી રસોડાને ધમધમતું રાખવા સહયોગ કર્યો. પ્રધાનમંત્રીએ આપેલું મોટું વોટર કુલર આવ્યું તો તે સંસ્થાને આપી જનસેવાના કામમાં લીધું. બ્રહ્મવિહારી સ્વામી સાથે મિત્રતા બંધાઈ અને જીવનભર ટકી રહી.

એલ. માનસિંહ સાહેબને આ વખતે સરકારે આઈટેમ દીઠ રૂપિયા પાંચ કરોડના ખર્ચ મંજૂરીના અધિકારો આપ્યા હતા. તેથી બચાવ રાહત કામમાં એજન્સીઓને જોડવાનો રસ્તો સરળ બન્યો હતો. રૂપિયાની કોથળી ખુલે એટલે તે લેનારા આવી જ જાય. વિના ટેન્ડરે કામ મળવાનું. અંદાજો અંદાજિત, કામ અંદાજિત અને રૂપિયા અંદાજિત. આઈટમ દીઠ પાંચ કરોડની સત્તા એટલે ડેબરી નિકાલની ફાઈલો લાખમાં શેની આવે? દલા તરવાડી જેવી સ્થિતિ. ફેરા લખું ચાર પાંચ ત્યાં લખે દસ બાર. એલ. માનસિંહ સાહેબ કહે પીકે મંજૂરી આપી દઈએ? પરંતુ કયા કામનો કયો રેટ મંજૂર કરવો, કેટલી રકમ મંજૂર કરવી તેનો તાગ કેવી રીતે કાઢવો? અમે વ્યૂહ રચના બનાવી. ભાવોને SORના માન્ય દરો પર બાંધ્યા. કાર્યપાલક ઈજનેરને ફેરાની સંખ્યા અને મલબાના હિસાબને સર્ટિફાય કરવાની જવાબદારી સોંપી અને કરોડની ફાઈલોને લાખમાં મંજૂરી આપી કામગીરીના શ્રીગણેશ કર્યા. બીજા વિભાગોમાં સંબંધિત વિભાગના બજેટ ઉપરાંત ખૂટતી રકમ જોડવા સત્તાનો ઉપયોગ કરતાં. આ ઉપરાંત કામચલાઉ શેડ-કોલોની બનાવવાના કામે અનુભવી અધિકારીઓ હોવાથી ખર્ચ મંજૂરીમાં કોઈ તકલીફ ન પડી. ભૂજમાં જગદીશન આવી ગયા હતા તેઓ નગરપાલિકાના સંકલન થકી મોટું મેદાન શોધી, પ્લોટિંગ કરી ટીન શેડની કોલોની ઉભી કરવા જોતરાયા. 

જુદા જુદા રાજ્યોમાંથી મંત્રી, અધિકારીઓના ડેલિગેશન ઉતરવા શરૂ થયા. વિદેશી ટીમો ઉતરવા વાગી. UNDPની ટીમ લઈ મારા બેચમેટ પ્રવીણ પરદેશી જોડાયા. જાપાનની ટીમ ટેન્ટનો ઢગલો અને આરોગ્ય ટીમ લઈ ઉતરી. તેમની આરોગ્ય ટીમને ગાંધીધામ મોકલી. બીજા કેટલાક દેશોની ટીમ આરસીસી કટરના સામાનો લઈ આવી હતી તે કામે લાગી. પરંતુ સમય પસાર થયો હતો તેથી દટાયેલા જીવતા નીકળવાની સંભાવના નહિવત્ હતી. જે જે ટીમો આવતી ગઈ તેઓને અસરગ્રસ્ત શહેર, ગામોની યાદી આપતાં અને તેમના બજેટની મર્યાદામાં પુનર્વસન એકમ પસંદ કરવાનું કહેતા તેઓ કામે લાગ્યા. આ પ્રયોગ સફળ થયો. આપણાં ચોપડે મદદ લઈ પુનર્વસનનું કામ આપણી ટીમ દ્વારા કરવાને બદલે જે તે એજન્સી, સરકારો દ્વારા તેમની ટીમો કામે લાગવાથી અમારો બોજ હળવો થયો. 

ક્યાંક ક્યાંક કોઈક રાજકીય આગેવાનો આવી અમારી સાથે જીભાજોડી કરી જાય તો અમે તેમના ચોકખા કપડાં તરફ આંગળી ચિંધી અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ કામ કરી મેલાં કરી માનવસેવાનું પુણ્ય કમાવા જણાવતા. 

પછી આવ્યું સર્વેનું અને કેશડોલ વિતરણનું કામ. તંત્રએ કર્મચારી અધિકારીઓની ટીમો બનાવી સર્વે માહિતી મેળવવાનું શરૂ કરી દીધું. 

અહીં એક પ્રસંગ નોંધવો રહ્યો. પ્રધાનમંત્રીની મુલાકાત પછી પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી તેમના સચિવ અશોક સાઈકિયા કચ્છની મુલાકાતે આવ્યા. તેઓ માનસિંહ સાહેબના મિત્ર. તેમનું પખવાડિયાનું રોકાણ. ભૂજમાં અમે રોકાયેલ તે લેઉવા પટેલ સમાજવાડીના મકાન સિવાય બીજે કોઈ વ્યવસ્થા નહીં. પ્રશ્ન થયો સાઈકિયા સાહેબને રાત ક્યાં રોકવા? ત્યાં સમાજવાડી મકાનમાં માનસિંહ સાહેબ અને હું એક જ રૂમમાં રહીએ. બાકીની રૂમોમાં બીજા અધિકારીઓ અને તે પણ શેરિંગમાં. મેં સાઈકિયા સાહેબ માટે રૂમ ખાલી કર્યો અને બહાર લોબીમાં સૂતો. વાવેલું એળે ન જાય. સાઈકિયા સાહેબે એ goodwill યાદ રાખી અને ભવિષ્યમાં મારી જાપાન જવાની એક તાલીમમાં પસંદ કરી વાળી આપી. 

મને રાહત કામગીરી સંચાલનમાં બે મહિનાથી વધુ સમય થયો હતો. ૩૧ માર્ચ ૨૦૦૧ના રોજ ઘેરથી ફોન આવ્યો કે મારા સાળા વિનોદને બ્રેઈનની મોટી તકલીફ થઈ છે અને સારવાર માટે મારી મદદની જરૂર છે. કચ્છમાં ગાડી હવે પાટે ચડી ગઈ હતી. મારી પાસે ત્રણ જોડી કપડાં જે હું ધોઈ સૂકવી વાપરતો તેથી થયું ગાંધીનગર એક આંટો મારતો આવું. માનસિંહ સાહેબની રજા લઈ હું નીકળ્યો. વિનોદની બ્રેઈન સર્જરી થઈ પરંતુ તે ન બચ્યો. ૬ એપ્રિલ ૨૦૦૧ તેનો દેહાંત થયો અને તે જ દિવસે મારા પિતાની કેટરેકટ સર્જરી થઈ. ૧૦ એપ્રિલ ૨૦૦૧ તેમને એન્જાયના દુખાવો ઉપડ્યો અને ૧૨ એપ્રિલ ૨૦૦૧ હાર્ટ એટેકથી તેઓ ૮૧ વર્ષની ઉંમરે વી. એસ હોસ્પિટલમાં ગુજરી ગયા. હજી તેમની અંતિમ ક્રિયા, બેસણું બારમું પતાવ્યું ત્યાં મારી બા બિમાર થઈ. તેને હોસ્પિટલ લઈ ગયા, વેન્ટિલેટર પર મૂકી પરંતુ તે પણ ન બચી. ૨૩ મે ૨૦૦૧ ના રોજ ૭૮ વર્ષની વયે મારા પિતાનો સંગાથ કરવા સ્વધામ પહોંચી ગઈ. છત્ર જવાથી હું સાવ ખાલી થઈ ગયો. તેમના આપેલા સંસ્કાર હવે મારી દીવાદાંડી હતાં. 

૨ ઓક્ટોબર ૨૦૨૫

Wednesday, October 1, 2025

વતન વાપસી અને સ્થાન પ્રાપ્તિ મથામણ

વતન વાપસી અને સ્થાન પ્રાપ્તિ મથામણ 

લ્યુબ્લ્યાના યુનિવર્સિટી, સ્લોવેનિયાથી MBA અભ્યાસ પતાવી હું વતન ભારત પાછો ફર્યો. મેનેજમેન્ટ અને કોમ્પ્યુટરના જ્ઞાનથી મારી વહીવટી સ્કિલમાં વધારો થયો હતો. મનમાં હતું કે સરકારે આટલી મોટી ધનરાશિ ખર્ચી આપણને ભણાવ્યા છે તેથી તે વસૂલ કરવા કોઈ મેનેજમેન્ટને લગતી કાર્યપાલક જગ્યા કે બોર્ડ નિગમના એમડી બનાવશે. પરંતુ જેવા આવ્યા કે સંયુક્ત સચિવ (કલ્પસર યોજના), આયોજન પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગમાં નિમણૂક આપવામાં આવી. કોઈ નિવૃત્ત ચીફ એન્જીનિયર સી. કે. પટેલને કલ્પસર યોજનાના અભ્યાસ માટે OSD તરીકે મૂકેલા તેમની સાથે કામ કરવાનું અને રીપોર્ટિંગ ઓફિસર તરીકે આયોજન પ્રભાગના સચિવ ભગત સાહેબ. કલ્પસર તે વખતે એક કલ્પનાની નીપજ લાગતી. ઈજનેર સી. કે. પટેલ તેનો પ્રી ફિઝિબિલિટી અહેવાલ કોઈક નેધરલેન્ડની એજન્સી જોડે કરાવતા હતા તેથી ન તેમની પાસે કોઈ કામ હતું ના મારી પાસે. પ્રી ફિઝિબિલિટી અહેવાલ આવ્યા પછી તેની ભલામણોના અભ્યાસ પછી ફિઝિબિલિટી અહેવાલ બને પછી DPR બન્યા પછી યોજના થશે કે નહિ તેની ખબર પડવાની. વાત એટલી કે ખંભાતના અખાતમાં ૩૦ કિલોમીટર લાંબો ડેમ બાંધી એક કલ્પસર બનાવવું અને ડેમ પર ૧૦ લેનનો રોડ બનાવી સૌરાષ્ટ્રની ટ્રકો ટ્રાફિકને સુરત સુધીનો એક શોર્ટ ઊભો કરી આપવો. પરિણામે અરબી સમુદ્રમાં સાબરમતી અને મહીના ઠલવાતા મીઠા પાણીનું એક કલ્પસર બને તેની શરૂઆતના ભાંભરા પાણીમાં માછલાં પાકે અને ભાલ કાંઠાની જમીનો નવ સાધ્ય થાય. પરંતુ જ્યાં નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમ માટે નાણાં ઊભા કરવાની મુશ્કેલી ચાલતી હોય ત્યાં અંદાજે ૨૫,૦૦૦ કરોડની આ યોજનાનું ભવિષ્ય ધૂંધળું દેખાય. આમછતાં અભ્યાસ કરીએ તો ખબર પડે કે નવું સાહસ કરવું કે નહીં તેથી અમારું એકમ ચાલુ રહ્યું. ૨૭ વર્ષ પછી હવે તો અંદાજો એક લાખ કરોડ સુધી પહોંચી શકે. 

આ બાજુ રાજકીય વાતાવરણ ભૂકંપ આવે ત્યાં સુધી શાંત પડી ગયું હતું. સત્તા કાલ જતી હોય તો આજ જાય, જૂત્તે મારીના અંદાજમાં મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું સંકલન ઘર આંગણે તેમની સરકારને ટેકો આપતાં પક્ષ કોંગ્રેસના નેતા અમરસિંહ ચૌધરી અને કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ સીતારામ કેસરી જોડે તૂટ્યું અને એક વર્ષમા તેમની સરકાર ગઈ. દિલીપભાઈ પરીખને તો જાણે લોટરી લાગી પરંતુ તે પણ ચાર મહિના જ ચાલ્યા. વચગાળાની ચુંટણી આવી. શંકરસિંહે બનાવેલા રાષ્ટ્રીય જનતા પક્ષે બેઠકોની વહેંચણીમાં કોંગ્રેસ સાથે ઠીક ગઠબંધન ન કરતાં બીજેપી ફાવી ગઈ અને ૪૪.૮૮% મત સાથે ૧૧૫ બેઠકો જીતી સરકાર બનાવી દીધી. કોંગ્રેસ (૩૪.૯૦%) અને આરજેપી (૧૧.૬૯%) મળી બીજેપીથી વધારે ૪૬.૪૯% મત મળ્યા પરંતુ વિભાજિત તેઓ હારી ગયા. જૂનું જનતાદળ પણ ૨.૬૪% મત લઈ ગયુ. 

ભાજપની સરકાર હવે જાણે સ્થિર બની. મુખ્યમંત્રી કેશુભાઈની આ બીજી ટર્મ હતી તેથી સાવધાન બની સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યા હલ કરવા અને ગ્રામ વિકાસની ગોકુલગામ યોજના અને સમરસ પંચાયત બનાનવા સક્રિય બન્યા. આંતરિક ખટરાગ ઘટ્યો અને અધિકારીઓનો અવાજ સંભળાવા લાગ્યો. લાગતા વળગતા અને સગાવ્હાલા પણ સક્રિય થયા. 

કામ અને વાહન વિનાની જિંદગીથી કંટાળી મેં એક દિવસ જીએડીમાં કોઈ ફેરફારો આવે તો જોવા કહ્યુ તો તેમણે મને સમાજ કલ્યાણ નિયામક તરીકે મૂકી દીધો. કેડરમાં પણ કેડર, કેટલીક જગ્યાઓ અનામત હતી. 

OBC વર્ગ માટે અલગ નિયામક હોવાથી અને આદિજાતિ કલ્યાણ માટે અલગ કમિશ્નર હોવાથી મારે અહીં માત્ર અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓનું કામ આવ્યું. અમારા મંત્રી ફકીરભાઈ વાઘેલા. ઘડિયાળના કાંટે કામ કરે અને કરાવે. તેમની મિટિંગો નિર્ધારિત સમયે શરૂ થાય અને સમયસર પૂરી થાય જેથી બીજી મીટિંગ પણ તેના નિર્ધારિત સમયે શરૂ થઈ જાય. જો કોઈ વહેલા જાય તો બહાર બેસાડે અને મોડા પડે તો ખખડાવે. તેઓ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી તેથી SC અને OBC કલ્યાણની યોજનાઓની ઝીણવટભરી સમીક્ષા કરતાં. વિભાગોની બેઠકો કરી તેમના સચિવોને હાજર રખાવતા, ૭% બજેટ ફળવાય અને તે વપરાય તેનો આગ્રહ રાખતા અને નબળા કામ માટે ઠપકો આપતા. તેમના સમયે અમે ઘણાં રચનાત્મક કામ કરી શક્યા. નવી યોજનાઓ લાવ્યા. દલિત સાહિત્યમાં ઉમદા કામ માટે ડો. આંબેડકર એવોર્ડ લાવી દલિત સાહિત્યકારોને સન્માનિત કરવાનું શરૂ થયું. ગુજરાતમાં ડાંગ અને ઉંમરગામની મોચી જાતિ અસ્પૃશ્ય હોવાથી અનામતની હકદાર હતી પરંતુ ૧૯૭૭માં કેન્દ્ર સરકારે સમગ્ર મોચી જાતિને SC જાહેર કરતાં SCની અન્ય જાતિઓમાં અસંતોષ હતો. અમે તે વખતની વાજપેયી સરકારના સામાજિક ન્યાય મંત્રી મેનકા ગાંધીને મોચી જાતિને SC જાતિની યાદીમાંથી દૂર કરવા સમજાવી શક્યા. છેવટે મોચી જાતિને SC યાદીમાંથી દૂર કરાઈ. પછીથી મંડલ યાદીમાં તેમનો સમાવેશ થવાથી કોઈ વિશેષ અસંતોષ ન રહ્યો. 

અમારા અધિક મુખ્ય સચિવ તરીકે ડો. પી. કે. દાસ સાહેબ. અભ્યાસુ અને ભલા. વાતો ખૂબ કરે. ગુજરાતી બિંદૂબેન પરણેલા અને તેમને પણ મારી જેમ જ્યોતિષનો ચસ્કો તેથી મારે બહું સારું બને. તેમણે અમેરિકા રહી પીએચડી કરેલું અને તેમનો દીકરો પછીથી અમેરિકા સ્થાયી થયેલો પરંતુ તેની સાથે સંકલનના પ્રશ્નો થતાં. તેઓ કહેતા કે તેમના પિતા સરકારી ડોક્ટર તેથી તેઓ બચપનમા ગામડામાં રહી નબળા વર્ગના બાળકો સાથે રમેલાં તેથી કલ્યાણ યોજનાઓ માટે ભારે હમદર્દી ધરાવે. સરકારે પી.કે. દાસ સાહેબના અધ્યક્ષપણા હેઠળ જુદા જુદા વિભાગોની ચાલતી કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરી ડુપ્લીકેશન દૂર કરી અસરકારક યોજનાઓ આગળ વધારવા સમિતિ બનાવી જેમાં મને સચિવ બનાવ્યો. મારું શૈક્ષણિક જ્ઞાન, વિશ્લેષણ શક્તિ, લ્યુબ્લ્યાનામાં શીખેલ કોમ્પ્યુટર કૌશલ્ય અહીં કામ આવ્યા અને એક સુંદર અહેવાલ તૈયાર થયો જેનો લાગતા વળગતા તમામ વિભાગોએ અમલ કર્યો. નાણાં વિભાગને ફાઈલોમાં ના-ના લખવાનું એક નવું હથિયાર મળ્યું. 

ડો. પી. કે. દાસ સાહેબની બદલી થતાં પછી એલ. માનસિંહ આવ્યા. એક ગજબ વ્યક્તિત્વ. મોટા અવાજે હસીને તેઓ આખા રૂમને હસતો રાખે. વાતમાંથી વાત એમની સરકારી બાબુઓની વાત ખતમ ન થાય. અમારે મૈત્રી જેવા સંબંધો બંધાયા. મારી પછી તે વિભાગમાંથી બદલી થઈ હતી પરંતુ અમે પાછા કચ્છ ભૂકંપ રાહતની કામે ભૂજમાં ભેગા થયા. તે વાતો હવે પછીના અંકે કરીશું. 

અનુસૂચિત જાતિ કલ્યાણની યોજનાઓ એટલે મુખ્યત્વે શૈક્ષણિક સ્કોલરશીપની, જે વર્ષોથી ચાલતી. બીજા રાજ્યોની સરેરાશ ૧૫%ની સરખામણીમાં ગુજરાતમાં SC વસ્તી માત્ર ૭%. એક કારણ તો બીજા રાજ્યોમાં SC ગણાતી ધોબી, દેવીપૂજક, વણઝારા, કોળી, માછીમાર વગેરે અહીં અસ્પૃશ્ય ન હોવાથી યાદીમાંથી બાકાત હતાં અને પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારમાં તેમની હાજરી ક્યાંક જ જોવા મળે તેથી ઓછા હતા. અમે અમલી યોજનાઓ સુદઢ કરી. આવાસ યોજનાને ડો. આંબેડકર આવાસ યોજના નામ આપી સહાયના ધોરણો સુધારી બજેટ અને લક્ષ્યાંકો વધાર્યા અને સ્વરોજગારને મજબૂત કરવા તરફ આગળ વધ્યા. 

સામાજિક સેવાઓના વિભાગોમાં કામ કરતાં કર્મચારીઓ અધિકારીઓને પ્રોત્સાહન જોઈએ નહિતર તેઓ ડિપ્રેશનમાં જાય અને કામ પણ. મેં પ્રથમ તો તેમની કામગીરી ઝડપ વધારવા દરેક શાખામાં નવા કોમ્પ્યુટર ઉપલબ્ધ કરાવ્યા, દરેક કર્મચારી અધિકારીને તાલીમ આપી અને કોમ્પ્યુટર પર કામ કરતાં કર્યા. બીજું કેટલાક કર્મચારી અધિકારી કામ પૂરું ન થાય તેંથી કચેરી સમય પછી રોકાતા. તે પ્રથા બંધ કરી બધું કામ કચેરી સમયમાં પૂરું કરવા ફરજ પાડી. તેમનામાં કર્મયોગી જાગે અને જળવાઈ રહે તે માટે શ્રી શ્રી રવિશંકર પ્રેરિત Art of Livingના કોર્સ કરાવ્યા. રીપોર્ટિંગના ઘણાં પત્રકો અને પદ્ધતિઓ બદલી. પરિણામે ટીમ એક નવા જોશથી કામ કરવા લાગી. 

અનુસૂચિત જાતિ વિકાસ માટે શિક્ષણ, સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતા મોટા હથિયાર. અમે તેઓ વિદેશ જઈ ભણી પટેલોની જેમ ડોલરમાં કમાઈ શકે તે માટે વિદેશ અભ્યાસની લોન સહાય ચાલુ કરી. માનવ ગરિમા યોજના ટુલકીટ દ્વારા સ્વરોજગારની તકો વધારી. દીકરીઓ કોલેજ શિક્ષણ સુધી પહોંચી શકે તે માટે અપર પ્રાઈમરીથી કન્યાઓને સાયકલ આપવાનું શરૂ કર્યું. મને યાદ છે તે યોજનાની ફાઈલ પર મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે સહી ડો આંબેડકર એવોર્ડ વિતરણના સમારંભમાં ટાગોર હોલ પાલડીની સ્ટેજ પર કરી હતી. પછીથી બહારગામ જતી કન્યાઓ પૂરતી યોજના સીમિત કરી તે યોજનાને સંકુચિત કરાઈ. કન્યાઓ સાયકલ ચલાવે તો તેમની ઊંચાઈ વધે, પાચન સુધરે, ભોજન સુધરે અને તેઓ એનીમીક અને કુપોષિત ન રહે તે ફાયદા તરફ જોવાનું જાણે ભૂલાઈ ગયું. મેં ૧૯૮૬માં ભારત દર્શનમાં તામિલનાડુના ગામડાઓમાં સાયકલ સવારી કરી ટોળાબંધ શાળાએ જતી કન્યાઓ જોયેલી. ગુજરાત મને તેમની સરખામણીમાં સંકુચિત લાગતું. 

અહીંની SC પ્રજા ધાર્મિક હિંદુ પરંતુ કર્મકાંડ સંસ્કાર માટે બ્રાહ્મણો ન મળે તેથી તેમનામાંથી બનેલી શ્રીમાળી ગરો પેટા જાતિ બ્રાહ્મણ કામ કરે. હજામ-વાળંદ તેમની હજામત ન કરે તેથી સેનમાં નામની પેટા જાતિ તે કામ કરે. તેમની જ પેટા જાતિના તૂરી તરગાડા ગામેગામ ફરી ભવાઈને વેશ કરી તેમની મનોરંજન જરૂરિયાતો પૂરી કરે. તેમના ઢોલી તો બધાને જોઈએ. દરેક ગામમાં સવર્ણ અને અવર્ણ (અસ્પૃશ્ય) એમ બે ભાગ અને સામાજિક જીવનમાં એક માનસિક દિવાલ રાખી જીવવાનું, પરંતુ પોતાની અંદર સ્વમાનભેર જીવવા એક આખી સ્વતંત્ર સામાજિક વ્યવસ્થા ઊભી કરી આ કોમ ટકી રહેલી. 

તેમની શ્રીમાળી ગરો પેટા જાતિના પુરુષો શિક્ષિત. જ્યોતિષ પંચાંગમાં હોશિયાર તેથી પટેલોના નામ જન્મ રાશિ પર ન મળે પરંતુ SC વર્ગમાં નામ અચૂક રાશિ મુજબ જ હોય. તેમનાં ઘરના ખાત, બાંધકામ, વાસ્તુ મુહુર્ત મુજબ જ થાય. તેમના લગ્નન માણેક સ્તંભ મુહૂર્તે રોપાય અને ગણેશ સ્થાપનથી લઈ, જાન જોડવી, ચોરી ફેરા, ગણેશ વિસર્જન બધુ નક્ષત્ર, વાર, તિથિ, ચોઘડિયું જોઈને જ થાય. શુભ પ્રસંગો, બહારગામ જવું, આણું પિયાણું કરવા પણ મુહૂર્ત જોવાતા. મૃતક પાછળ બારમા તેરમાની વિધિ અને શ્રાદ્ધ પિંડદાન પણ હિંદુ સમાજની જેમ જ થાય. ગરો સમાજની સ્ત્રીઓ બ્રાહ્મણ સ્ત્રીઓની જેમજ પ્રસંગોએ કંચુકી પહેર્યા વિના માત્ર સાડી લપેટી જમવાની પ્રથા છેક આઝાદી સુધી ચાલી. 

એક માત્ર મૃત્યુ સમયે અગ્નિ સંસ્કારને બદલે દફનવિધિ થાય પરંતુ હિંદુ રિવાજ મુજબ ડેડબોડીને જમીન પર કરવાની દિશાથી લઈ ઘોરમાં પણ મડદાંની ઉત્તર દક્ષિણ દિશાનું ભાન રખાતું. જેરૂસલેમનું પહેલું મંદિર બાંધનાર કિંગ સોલોમોન (970-932 BCE)ના વખતથી ચાલી આવતી પ્રથા મુજબ અહીં પૃથ્વી પર રોકાઈ ગયેલા આત્માઓ (spirit)ને પૂર્વજ તરીકે સ્થાપી તેનો દીવો કરી ધૂપિયામાં નૈવેધ ચડાવવાની પ્રથા હજી ચાલે છે. મૃતકને માટીના વાસણમાં ભાથું મૂકવું એ પ્રાચીન પરંપરા આજે ય નિભાવાય છે. પ્રથમ પુત્ર સંતાનના જન્મ માટે દૈવી શક્તિને પશુ બલિદાન આપવાની પ્રથા ઘણાં વર્ષો ચાલી અને હજી ક્યાંક ક્યાંક ચાલુ છે. 

વધતી વસ્તી અને ખૂટતા બ્રાહ્મણો જોઈ અમને શ્રીમાળી સમાજના યુવકોની કર્મકાંડ કૌશલ્ય સુધારી તેમને સારી આવક ઉપાર્જન કરાવવાનું સૂઝ્યું. વેકેશનમાં SC છાત્રાલયો ખાલી રહે તેથી એક પહેલ કરી કર્મકાંડ કરતાં યુવકો માટે કર્મકાંડ ભાસ્કરના તાલીમ કાર્યક્રમો યોજી તેમની સ્વરોજગાર ક્ષમતા વધારવાનું શરૂ કર્યું. 

હું નિયામક હતો ત્યારે મારા મોટા દીકરા ઉજ્જવલને આફત આવી. તે ધોરણ ૧૨ સાયન્સમાં ભણતો. અને સેકટર ૧૯ માં રહીએ અને તેનું ફીઝીક્સનું ટ્યૂશન સેકટર ૮ માં. એક વીકી લઈ આપેલું તેના પર તે દરરોજ સાંજે ટ્યૂશન જાય અને રાત્રે ૯.૩૦ કલાકે પાછો આવે. તે આવે પછી અમે સાથે જમતા. એક રાત્રે ૯.૪૫ થવા આવ્યા પરંતુ તે પહોંચ્યો નહીં તેથી મને ચિંતા થઈ. તે જમાનો મોબાઇલનો નહીં તેથી તે આવે તો ખબર પડે. ત્યાં લેન્ડલાઇન ફોનથી ઘંટડી વાગી અને મેં ફોન ઉપાડ્યો. સામે કોઈ પોલીસ કોન્સ્ટેબલ. કહે ઉજ્જવલ તમારો દીકરો? જલ્દી સિવિલ હોસ્પિટલ ગાંધીનગર આવો તેને ગંભીર અકસ્માત થયો છે. હું ધ્રૂજ્યો, લક્ષ્મી સામે હતી, કહે શું થયું. મેં કહ્યું, પર્સ લઈ, ઘરમાં જે હોય તે રૂપિયા લઈ કારમાં બેસી જા. અમે તાબડતોબ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. જઈ જોયું તો ઉજ્જવલ બેભાન. મોઢામાંથી ફીણ નીકળે, માથાના પાછળના ભાગે ચીરો અને લોહી નીકળે. હું ગભરાયો અને જાણ્યું કે સેક્ટર ૮ થી પરત આવતાં સેક્ટર ૯ આગળ ગુજરાત અર્થશાસ્ત્ર અને આંકડા બ્યૂરોની કચેરી સામે આવેલ સચિવાલયના ગેટ નં- ૩થી  મંત્રીઓના વાહનો માટે જુદી એન્ટ્રી કરાવી હોઈ તે સામેના રોડ પર નવા બમ્પ બનાવ્યા છે અને તે પર ઝિબ્રા પટ્ટા કરવાના બાકી છે. બમ્પ તે જ દિવસે બનેલો. ઉજ્જવલ દરરોજ તે રસ્તે બમ્પ વગરના રસ્તે આવતો તેથી નવા બમ્પનું તેને ભાન નહીં તેથી તે તેની મસ્તીમાં. બમ્પ પર તે વીકી સાથે ઉછળ્યો અને રોડ પર પટકાયો. 

મને સિવિલ હોસ્પિટલ ગાંધીનગરની મર્યાદાનું ભાન હતું. મેં ક્ષણનોય વિલંબ કર્યા વિના એમ્બ્યુલન્સમાં ઉજ્જવલને ચડાવી ઓક્સિજન સિલિન્ડર, નર્સ અને ડોક્ટર સાથે અમદાવાદ સિવિલ તરફ હંકારી દીધું. ત્યાં પહોંચ્યા એટલે ડ્યુટી ડોક્ટર કહે સાહેબ સીટી સ્કેન વિના સારવાર ન થાય. હેડ ઈન્જરીમાં જો બ્રેઇનમાં સોજો હોય અને પહોળુ થતું હોય તો સંકોચનની દવા આપવી પડે. અને જો શોકને કારણે બ્રેઇન સંકોચાઈ ગયું હોય તો તેને વિસ્તારવાની દવા આપવી પડે. અહીં ઉજ્જવલ બેભાન અને સિવિલ હોસ્પિટલનું સીટી સ્કેન મશીન આઉટ ઓફ ઓર્ડર. મને ડર વધવા લાગ્યો. પછી તરત જ ઉજ્જવલને એમ્બ્યુલન્સ પર પાછો ચડાવી અને નવરંગપુરામાં આવેલ સામવેદ ઈમેજિંગ સેન્ટર તરફ હંકાર્યું. ટ્રાફિક તો નહિ પરંતુ સેન્ટર નજીક આવવા થયુ અને એક દારૂડિયો બાઈક લઈ અમારી એમ્બ્યુલન્સની આગળ થયો. તે ધીમે ચલાવે અને અમારી એમ્બ્યુલન્સને માર્ગ ન આપે. મને ગુસ્સો આવ્યો પરંતુ હોર્ન પર હોર્ન વગાડી જેમ તેમ અને ઈમેજિંગ સેન્ટરે પહોંચ્યાં. નોંધણી કરાવી ઉજ્જવલને સ્ટ્રેચર પર લઈ અમે સીટી સ્કેન રૂમ નજીક પહોંચ્યા અને ઉજ્જવલ ભાનમાં આવ્યો. અમને હવે હાશ થઈ. સીટી સ્કેન કરાવ્યો. રીપોર્ટ લઈ સિવિલ અમદાવાદ પાછા આવ્યા. દવા ઈન્જેક્શન શરૂ થયા. ઉજ્જવલ બચી ગયો. જો કે તે દોઢ મહિનો તેનો અભ્યાસ બગડ્યો. તે ૧૨ સાયન્સ પાસ થયો પરંતુ ગુણાંક ઘટવાથી અમારું તેના શૈક્ષણિક જીવન ટચનું આયોજન બદલાયું અને તેને કારણે તેના જીવનનો રાહ પણ. 

મારી પાસે એકનું એક કામ ક્યાં સુધી કરાવે રાખવું?સરકારને લાગ્યું હશે કે અધિકારીને હવે શિક્ષણના સેક્ટરમાં અજમાવીએ એટલે મારી બદલી કમિશ્નર સ્કૂલ્સ અને મધ્યાહ્ન યોજના તરીકે થઈ. 

મધ્યાહ્ન ભોજન યોજનામાં અમે નાગરિક પુરવઠાની વસ્તુઓની ગુણવત્તા તરફ ધ્યાન આપ્યું અને યોજનાની ગેરરીતિઓ અંકુશમાં લાવવા પ્રયત્નો શરૂ કર્યા. મેં યોજનાનો ૧૯૮૦નો જીઆર ઝીણવટથી વાંચ્યો. કોઈ કુશળ હાથે તેને લખ્યો હતો. મધ્યાહ્ન ભોજન યોજનાનો ઉદ્દેશ એક માત્ર શાળામાં બાળકોની હાજરી વધારવા પૂરતો સીમિત ન હતો. તેના ઉદ્દેશમાં બાળકોના પોષણ ઉપરાંત  સંચાલક, કૂક અને હેલ્પરને રોજગારી પૂરી પાડવાનો પણ ખરો. એક જીઆરથી એક લાખ રોજગારનું સર્જન ત્યારે મોટું ગણાતું. તેમજ કૂક હેલ્પર તરીકે નબળી આર્થિક સ્થિતિવાળાને લઈ તેમનાં પોષણની સરકારની સામાજિક જવાબદારીનું વહન થતું હતું. મધ્યાહ્ન ભોજનના રસોડે માત્ર શાળામાં ભણતાં બાળકો જ જમી શકે તેને બદલે કૂક હેલ્પરના કુટુંબના પેટનો ખાડો પૂરાય તેટલું રાંધેલું વપરાય તેમાં શાની ગેરરીતિ? એટલું મોટું રસોડુ ચાલતું હોય અને બે પેટ ભૂખ્યા રહે? 

હાઈસ્કૂલોમા કમિશ્નર તરીકે મારે ત્યાં શિક્ષકોના વધારાની દરખાસ્તો મંજૂર કરવા ભારે દબાણ રહેતું. ગ્રાન્ટ ઈન એઇડ શાળાઓમાં સંસ્થા શિક્ષક ભરતી કરે તેથી વિદ્યાર્થી સંખ્યા વધારી નવા શિક્ષકો માંગે. એક નવો શિક્ષક મળે એટલે સંસ્થાને ગુલાબી. વળી વધ્યા ઘટ્યા કોઈ સરપ્લસ પોતાનું સ્થાન ક્યાં તે ખોળતા ફરે. ક્યાંક તેઓ જવા તૈયાર ન હોય ક્યાંક સંસ્થા ગમાડે નહીં. એક તરફ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યા થાય નહીં અને લઘુત્તમ મહેકમ ચાલુ રહે અને બીજી તરફ વિદ્યાર્થી સંખ્યા જેવી ઠરાવેલ સંખ્યા પાર કરે એટલે વધારાનો પૂર્ણ શિક્ષક મંગાય. વળી વિદ્યાર્થીઓમાં કાયમ ગેરહાજર રહેતા અને ભૂતિયા કેટલા એ તો તટસ્થ તપાસથી જ ખબર પડે.

મેં હાઈસ્કૂલોના શૈક્ષણિક ધોરણોની તપાસ કરી તો શૈક્ષણિક કામના કલાકો આધાર તરીકે લેવાય. કામના કલાકોમાં સમૂહમાં દૈનિક પ્રાર્થના થાય અને અઠવાડિયે પીટી શિક્ષક પીટી કરાવે તે કલાકો બધા શિક્ષકોના શૈક્ષણિક કામમાં ઉમેરાય. એક અંદાજ પ્રમાણે પંદર મિનિટની પ્રાર્થના સરકારને મહિને ₹૫૫ કરોડમાં પડે. મેં ધોરણો સુધારી ખોટા વધારાના શિક્ષકોના બોજમાંથી સરકારને મુક્ત કરવા પ્રયત્નો આરંભ્યા. 

રાજ્યમાં મોટા ભાગની હાઈસ્કૂલો ગ્રાન્ટ ઈન એઈડ પરંતુ હજી ૧૬-૨૦ સરકારી હાઈસ્કૂલો ચાલતી હતી. પૂરા પગારના શિક્ષકો પરંતુ વિદ્યાર્થી સંખ્યા ઓછી અને પરિણામો નબળા. તેથી એવી વિચારણા થઈ કે કેમ આ શાળાઓનું સંચાલન કોઈ સફળ શૈક્ષણિક સંસ્થાઓને સોંપી તેની સુધારણા ન કરીએ? એ વખતે સ્વામીનારાયણ ગુરૂકુળ અને બીજી એક બે ધાર્મિક સંસ્થાઓ તરફથી ચાલતી શાળાઓ પંકાતી. પરંતુ હજી તો પાશેરામાં પૂણી, વિચાર વિચારણામાં હતો ત્યાં કોઈક ધાર્મિક સંસ્થા સરકારી હાઈસ્કૂલ હવે તેમની થઈ જવાની છે એમ માની સંકુલ તપાસવાના બહાને શાળાએ જઈ વિદ્યાર્થીઓને હરિ ઓમ અને જય સ્વામિનારાયણ બોલાવવા લાગ્યા હોવાની ફરિયાદ મળી. અમે ચેત્યા અને પ્રયોગનું પોટકું પડતું મૂક્યું. 

એ વખતે આઈટીવાળા નવા નિશાળિયા કોઈ એક નાનકડો સોફ્ટવેર બનાવે એટલે તેનો વેપલો કરવા નીકળી પડે. એવી એક ત્રિપુટી શાળામાં શિક્ષકોના હાજરી પત્રકનું સોફ્ટવેર બનાવી તેની સીડી ₹૩૦ લાખમાં વેચવા મારી પાસે પહોંચી ગઈ. મને થયું, શાળામાં ૧૫ શિક્ષક,  તેમની હાજરી એક પાનાંના હાજરી પત્રકમાં મહિનો આખી  પૂરાય ત્યાં આ ધોળો હાથી શું કરવા બાંધવો? વળી તે વખતે આખા રાજ્યની ઓનલાઈન હાજરી નોંધી તેનું મોનિટરિંગ કરવાની વ્યવસ્થા થાય તેવું ઈનેટરનેટ કે બીજું કોઈ માળખું નહીં. ઘણી શાળાઓમાં કોમ્પ્યુટર પણ હશે કે કેમ તે પ્રશ્ન. પરંતુ ત્રિપુટી જીએડીના એક અધિકારીની ભલામણથી આવી હતી તેથી તેમને એમ કે બસ હાજરીપત્રક વેચ્યુ અને રોકડા કરી નીકળ્યા. મેં ચોક્ખી ના ભણી દીધી. જણાવ્યું કે સરકારને જરૂર હશે તો ટેન્ડર બહાર પાડશે અને સ્પર્ધાત્મક ભાવો આવેથી યોગ્યની પસંદગી કરશે. તેઓ ગયા અને મારા નકારાત્મક વલણની તેમના મિત્રને જાણ કરી. તે ભાઈએ ફેબ્રુઆરી ૨૦૦૧માં મારી સચિવ સંવર્ગમાં બઢતી થઈ ત્યારે દાવ વાળ્યો અને મને ફીશરીઝ કમિશ્નર તરીકે મૂકી દીધો. હું કચ્છ ભૂકંપ રાહતની ડ્યુટી પર. મારી કાર અને ડ્રાયવર બદલાયા. 

રાજકીય પટ પર કેશુભાઈ પટેલની બીજી વખતની સરકાર આ વખતે ત્રણ વર્ષ અને સાત મહિના ચાલી પરંતુ કુદરતી અને માનવસર્જિત આફતોએ તેનો પીછો ન છોડે. કેશુભાઈ પહેલીવાર ૧૯૯૫માં મુખ્યમંત્રી બન્યા ત્યારે માનવસર્જિત આફતે તેમને પાડ્યા. માર્ચ ૧૯૯૮માં ફરી મુખ્યમંત્રી બન્યા તો જૂન ૧૯૯૮ના પોરબંદર સાયક્લોને તેમનું સ્વાગત કર્યું.  નવ જિલ્લાઓ અસરગ્રસ્ત થયા, ૧૧૭૩ માનવો હણાયા અને  માલ માળખાકીય નુકસાન અંદાજે ₹૨૦૦૦ કરોડ જેવું નુકસાન થયું. 

૨૦૦૧ની એ ૨૬ જાન્યુઆરી ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ હતો. અમે બધા ગાંધીનગર હેલીપેડ પર મુખ્યમંત્રીના આવવાની વાટ જોતાં હતા. તેઓ આવ્યા અને ધરતી ધણધણી. કંઈક અનહોની થયાનો અંદેશો આવ્યો ત્યાં તો ખબર આવવા લાગી કે કચ્છથી અમદાવાદ લગી ભૂકંપના આંચકાઓએ હજારો મકાનો ધરાશાયી કરી દીધા છે અને મોટી જાનહાનિ કરી છે.

હું હેલીપેડથી ઘેર ગયો તો સેક્ટર-૧૯ ના અમારા સરકારી મકાનમાં મકાનથી ગેરેજ સુધી જમીન ફાટવાની લાઈન, રૂમના ફ્લોરિંગની બે ત્રણ લાઈને ઉખડી ગયેલ અને મકાનની એક તરફની દિવાલ જાણે નમી પડી હોય તેમ જણાય. હું ગયો તો લક્ષ્મી અને બાળકો બહાર બેઠા હતા અને સ્થિતિ સામાન્ય બને તેની રાહ જોતા હતાં. અમે ઈન્કવાયરી પર જાણ કરી. તેઓનો માણસ આવ્યો, જોઈ વિગતો નોંધી જતો રહ્યો. હવે શુ કરીશું એમ વિચારતા હતા ત્યાં સી.કે. કોસી સાહેબના કાર્યાલયમાંથી ફોન આવ્યો કે મારે ભૂકંપ રાહત કામ માટે ભૂજ-કચ્છ રવાના થવાનું છે. મેં લક્ષ્મીને કહ્યું તું જાણે અને તારું ઘર, હું તો આ ચાલ્યો. સેક્ટર-૧૯ ઈન્કવાયરીમાં  ફોલોઅપ કરજે અને બની શકે તો ખાલી ઘર શોધી તેમાં ફેરફારની અરજી આપી આવજે. ત્યાં સુધી ઘરમાં ઠીક લાગે તો ઘરમાં નહિતર ગેરેજને ઘર બનાવજે. 

મેં બે જોડી કપડાં અને પાણીની એક બોટલ લીધી અને કારમાં બેસી ગયો. મને હજી પરિસ્થિતિની ગંભીરતાની ખબર ન હતી તેથી સાથે ખાદ્ય પદાર્થ લેવાનો કે લાંબુ રહેવું પડશે તો શું કરીશું એવું કંઈ વિચારેલ નહીં. પરંતુ અમારી કાર જેવું રાધનપુર છોડી ભચાઉના રસ્તા તરફ આગળ વધવા લાગી, વાતાવરણની ગમગીની મારા મન મસ્તિકને પકડમાં લેવા લાગી. ત્યાં આવ્યું ભચાઉ અને હું થોભ્યો. 

૧ ઓક્ટોબર ૨૦૨૫
Powered by Blogger.